દુઃખ નીવારણ શીબીર!

કોઈ સ્વામીજી કાનમાં વેદમન્ત્ર ફુંકીને દુઃખ નીવારણ કરી શકે? બીજમન્ત્રથી પન્દર દીવસમાં કોઈ દરદી કેન્સરમુક્ત, કોઢમુક્ત કે ડાયાબીટીસથી મુક્ત થઈ શકે? નીર્જીવ ચીત્રો જોઈને જ બધી સમસ્યાઓ અને પીડાઓનું નીદાન કરીને, તેનું પુર્ણરુપે સમાધાન કરી શકે?

કુમાર સ્વામી સામે સત્યશોધક સભા’, સુરતને ‘વીજ્ઞાન જાથા’, રાજકોટે શી કાર્યવાહી કરી અને કુમાર સ્વામીએ શી ડીંગ મારી તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી રહી..

દુઃખ નીવારણ શીબીર!

–રમેશ સવાણી

તારીખ 18 માર્ચ, 2006ને શનીવાર. સુરતમાં પત્રકાર પરીષદનું આયોજન થયું હતું. તેમાં ઘોષણા થઈ : “સુરતમાં મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્ટીપ્લોટમાં પહેલી અને બીજી એપ્રીલના રોજ ‘કષ્ટ નીવારણ શીબીર’નું આયોજન કરવામાં આવ્યું છે. શીબીરમાં કુમાર સ્વામીજી કષ્ટ ભોગવનારના કાનમાં વેદમન્ત્ર ફુંકીને દુઃખ નીવારણ કરશે! આ બાસઠમી શીબીર છે. વીશ્વના અઢાર કરોડથી વધુ લોકોએ કુમાર સ્વામીજીની અદભુત શક્તીનો લાભ ઉઠાવ્યો છે!”

બીજા દીવસે, અખબારોમાં કુમાર સ્વામીજીના ફોટા સાથે સમાચાર પ્રસીદ્ધી થયા. દક્ષીણ ગુજરાતના દુઃખી લોકોને આશ્વાસન મળ્યું. સૌ શીબીરની રાહ જોવા લાગ્યા. શીબીર માટે પોસ્ટર, હોર્ડીંગ વગેરે મારફતે પ્રચાર શરુ થયો. સમજુ લોકોએ ઈન્ટરનેટ ઉપર જઈને ખાંખાખોળા કર્યો. કુમાર સ્વામીજી (ઉમ્મર : 52) મુળ રાજસ્થાનના, તેમનો આશ્રમ નવી દીલ્હીમાં હતો. તેઓ જે. કૃષ્ણમુર્તી, ઓશોથી લઈને આસારામ સાથે સંકળાયેલા હતા!

શીબીરના આગલા દીવસે, દુઃખ નીવારણ શીબીર અંગે જાહેરખબર પ્રસીદ્ધ થઈ. આ જાહેરખબર વાંચીને સુરતની સત્યશોધક સભાના કાર્યકરોને આંખે અંધારા આવી ગયા!

જાહેરખબરનું શીર્ષક હતું : “અદભુત શક્તીથી દુઃખોનો અન્ત!” જાહેરખબરમાં બે ફોટા ધ્યાન ખેંચે તેવા હતા. એક ફોટામાં કુમાર સ્વામીજી રાષ્ટ્રપતી સાથે હતા. ફોટા નીચે લખ્યું હતું : “પરમપુજ્ય કુમાર સ્વામીજીનું ભારતના રાષ્ટ્રપતી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા રાષ્ટ્રપતી ભવનમાં ભવ્ય સ્વાગત!” બીજા ફોટામાં સ્વામીજી મન્ત્રી સાથે હતા. ફોટા નીચે લખ્યું હતું : “દીલ્હીમાં એક સમારોહમાં દેશના પ્રમુખ વીદ્વાનો, વૈજ્ઞાનીકો, ડોક્ટર્સની ઉપસ્થીતીમાં પરમપુજ્ય કુમાર સ્વામીજીનું સ્વાગત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મન્ત્રી રામોદાસજી!”

જાહેરખબરમાં અમુક લોકોના અનુભવોનું વર્ણન હતું : યુ.કે., બર્મીંગહામના નીવાસી મંજીત કૌર કહે છે : “સ્વામીજીએ મને પુછ્યા વગર મારી સમસ્યા જાણી લીધી અને તેનું નીરાકરણ પણ લાવી દીધું! મારી બીમારી માટે હું કેટલાય ડૉકટરો પાસે ગઈ; પણ કોઈ ઈલાજ કરી શક્યું નહીં. સ્વામીજીએ ચમત્કાર કર્યો.” આવી જ વાત લંડન નીવાસી શ્રીમતી કાઈરને જણાવી હતી.

દીલ્હીના કુસુમલતા ધવને કહ્યું હતું : “મને સ્પાઈનલ કોર્ડમાં કેન્સર હતું. કેન્સર અન્તીમ સ્થીતીમાં હતું. ઑલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં ઈલાજ ચાલુ હતો; પણ સારું થવાની કોઈ સમ્ભાવના ન હતી. પરન્તુ સ્વામીજી સાથે ટેલીફોન ઉપર વાત થઈ. એમણે બીજમન્ત્ર આપ્યો અને પન્દર દીવસમાં હું કેન્સરમુક્ત થઈ ગઈ!”

ફરીદાબાદના વીનોદકુમાર કહે છે : “મારા પીતા છેલ્લાં પચ્ચીસ વર્ષથી કોઢની ગમ્ભીર બીમારીથી પીડાતા હતા. સ્વામીજીએ બીજમન્ત્ર આપ્યો અને મારા પીતા કોઢમુક્ત થઈ ગયા!” દીલ્હીના અમીત શરણ જણાવે છે : “ડાયાબીટીસની સમસ્યા વારસાગત છે. હું પોતે તેનાથી પીડાતો હતો; પરન્તુ સ્વામીજીના દીવ્યયોગ પ્રક્રીયાથી હું ડાયાબીટીસથી મુક્ત થઈ ગયો!”

હૈદરાબાદના ચન્દ્રપાલસીંહ કહે છે : “મને ઘણા વર્ષોથી હાડકાંના ક્ષયનો રોગ હતો. તેનાથી અસહ્ય પીડા થતી હતી. દેશ–વીદેશમાં ઈલાજ માટે ગયો; પણ રોગ દુર ન થયો. સ્વામીજીએ બીજમન્ત્ર આપ્યો અને હું રોગમુક્ત થઈ ગયો!”

અમેરીકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને યુરોપના અનેક વીદ્વાનો, બુદ્ધીજીવીઓ, વૈજ્ઞાનીકોએ ઘણાં સમય સુધી સ્વામીજી ઉપર શોધકાર્ય કરીને નીષ્કર્ષ આપ્યો છે : “ફક્ત અમારા નીર્જીવ ચીત્રો જોઈને જ બધી સમસ્યાઓ અને પીડાઓનું નીદાન કરીને, તેનું પુર્ણરુપે સમાધાન કરવું તે ખરેખર વીસ્મયકારક છે! સ્વામીજી જેવા સન્ત દુલર્ભ છે!”

જાહેરખબર ચતુરાઈપુર્વકની હતી. તેમાં કયા વૈજ્ઞાનીકે, બુદ્ધીજીવીએ સ્વામીજીની પ્રશંસા કરી છે તેના નામ–ઠામ ન હતા. તેમાં યુ.કે., દીલ્હી, હૈદરાબાદના લોકોના અભીપ્રાય હતા. સુરત કે ગુજરાતમાંથી કોઈનો અભીપ્રાય ન હતો, રાષ્ટ્રપતી અને મન્ત્રી સાથેના ફોટામાં સ્વામીજી નમીને અભીવાદન સ્વીકારતા હોય તેમ જણાતું હતું!

સત્યશોધક સભા, સુરત અને વીજ્ઞાન જાથા, રાજકોટ દ્વારા ‘દુઃખ નીવારણ શીબીર’નો વીરોધ કરવાનું આયોજન થયું.

તારીખ : 02 એપ્રીલ, 2006ને રવીવાર. સત્યશોધક સભા, સુરતના કાર્યકર મધુભાઈ કાકડીયા, ખીમજીભાઈ કચ્છી, સીધ્ધાર્થ દેગામી, ગુણવન્ત ચૌધરી અને વીજ્ઞાન જાથા’, રાજકોટના કાર્યકર જયન્ત પંડયાએ શીબીરના સ્થળે સુત્રોચ્ચાર કર્યા : “ડીંડકલીલા બન્ધ કરો! પાખંડ બન્ધ કરો! બીજમન્ત્રનું તુત બન્ધ કરો! કેન્સર, ડાયાબીટીસ જેવા રોગ મન્ત્રશક્તીથી મટે નહીં. ભ્રામક જાહેરાત સામે પગલાં ભરો!”

ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરે સુત્રોચ્ચાર કરનારાઓને અટક કર્યા. જયન્ત પંડયાએ કહ્યું : “સાહેબ! પાખંડ કરનારને અટક કરો!”

“સ્વામીજીએ મંજુરી લઈને શીબીરનું આયોજન કરેલ છે. દસ હજાર લોકો શીબીરમાં છે. હું તમને વીરોધ કરવાની છુટ આપી શકું નહીં. ગડબડ થાય. બબાલ થાય. નાસભાગ થાય. કાયદો–વ્યવસ્થા જળવાય તે મારે જોવાનું હોય છે!”

સાહેબ! ભ્રામક જાહેરખબર સબબ ગુનો રજીસ્ટર કરો. ડ્રગ્સ એન્ડ મેજીક રેમેડીસ, ઓબ્જેકશનેબલ એડવરર્ટાઈઝમેન્ટસ એક્ટ – 1954ની કલમ – 05નો ભંગ સબબ કલમ – 07 હેઠળ ગુનો બને છે. ઉપરાંત ખોટા પુરાવા ઉભા કરી ઠગાઈ કરવા અંગે ઈન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો બને છે. કુમાર સ્વામીજીને અટક કરી જેલમાં પુરો! એનો બીજમન્ત્ર, એની દીવ્યશક્તી એને જેલમુક્ત નહીં કરી શકે!”

શીબીર પુરી થતાં જ પોલીસે સત્યશોધક સભા’ અને વીજ્ઞાન જાથાના કાર્યકરોને મુક્ત કર્યા. બીજા દીવસે સમાચાર પ્રસીદ્ધ થયા : “પાખંડીને છુટોદોર આપી, પોલીસે ‘સત્યશોધક સભા’ અને ‘વીજ્ઞાન જાથા’ના કાર્યકરોને અટક કર્યા!”

ઉત્તરપ્રદેશના આઈ.પી.એસ. ઑફીસર અમીતાભ ઠાકુરના પુત્ર આદીત્ય (ઉમ્મર : 14) અને પુત્રી તન્યા (ઉમ્મર : 17) અન્ધવીશ્વાસ સામે જાગૃતી ફેલાવવાનું કામ કરતા હતા. બન્નેની નજર કુમાર સ્વામીજીની અતીશયોક્તીવાળી અને ખોટી વાતો ઉપર પડી. બન્નેએ સ્વામીજીની વેબસાઈટ ઉપરથી ખોટા દાવાના પુરાવા એકત્ર કર્યા. તારીખ 16 જાન્યુઆરી, 2013ના રોજ આદીત્ય અને તન્યાએ કુમાર સ્વામીજીને લીગલ નોટીસ મોકલી દસ પ્રશ્નો પુછ્યા. જવાબ ન મળ્યો. તારીખ : 20 ફેબ્રુઆરી, 2013ના રોજ ફરી સ્વામીજીને પત્ર લખ્યો. જવાબ ન મળ્યો. તારીખ : 14 જુન, 2013ના રોજ આદીત્ય અને તન્યાએ લખનૌના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કુમાર સ્વામીજી સામે લેખીત ફરીયાદ આપી.

તારીખ : 30 ડીસેમ્બર, 2012ના રોજ મુમ્બઈ, બોરીવલીની સભામાં નાટકીય ઢબે કુમાર સ્વામીજીએ આસારામના ચરણસ્પર્શ કરીને કહ્યું હતું : “તમે પરમાત્મા સ્વરુપ છો. કણકણના જ્ઞાતા છો. આસારામ સુર્ય છે, હું મીણબત્તી છું! આસારામ! દેશ ચલાવવા માટે પાંચસો એમ.પી. જોઈએ. પાંચસો નહીં, પાંચ હજાર એમ.પી. એક મીનીટમાં અમે દઈ શકીએ છીએ! સરકાર આપની આજ્ઞા મુજબ ચાલશે! જો આસારામ આજ્ઞા આપે તો એક દીવસની અન્દર સરકારને બદલી નાંખીશું!”

કુમાર સ્વામીજી, જેલનીવાસી આસારામનું દુઃખ નીવારણ કરી શક્યા નહીં! એમનો બીજમન્ત્ર, આસારામને જેલમુક્ત કરાવી શક્યો નહીં!

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર પગેરું’(02, ઓગસ્ટ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ     ઈ–મેઈલ :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–05–2019

6 Comments

  1. આ લોકો ની હિંમત તો જુઓ કેટલું જુઠાણું બેધડક છાપી નાખે છે સારું છે કે સત્ય શોધક સભા વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ કાર્યરત છે. આ જમાના માં આ લોકો આટલો વિકાસ કરી શકે

    Liked by 1 person

  2. ‘2013ના રોજ આદીત્ય અને તન્યાએ કુમાર સ્વામીજીને લીગલ નોટીસ મોકલી દસ પ્રશ્નો પુછ્યા. જવાબ ન મળ્યો. તારીખ : 20 ફેબ્રુઆરી, 2013ના રોજ ફરી સ્વામીજીને પત્ર લખ્યો. જવાબ ન મળ્યો. તારીખ : 14 જુન, 2013ના રોજ આદીત્ય અને તન્યાએ લખનૌના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કુમાર સ્વામીજી સામે લેખીત ફરીયાદ આપી.’ આવી વ્યવસ્થિત રીતે વ્રોધ કરતા રેશનલ વાતોમા સફલતા મળવાનો વધુ સંભવ છે
    ‘ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરે સુત્રોચ્ચાર કરનારાઓને અટક કર્યા. જયન્ત પંડયાએ કહ્યું : “સાહેબ! પાખંડ કરનારને અટક કરો!” ‘“સ્વામીજીએ મંજુરી લઈને શીબીરનું આયોજન કરેલ છે. દસ હજાર લોકો શીબીરમાં છે. હું તમને વીરોધ કરવાની છુટ આપી શકું નહીં. ગડબડ થાય. બબાલ થાય. નાસભાગ થાય. કાયદો–વ્યવસ્થા જળવાય તે મારે જોવાનું હોય છે!”
    .
    આ મજબુરી પણ સમજવાની જરુર છે

    Liked by 1 person

  3. રમેશભાઇનો લેખ અઘુરો અને અઘુરા સત્યનો છે. સુરતની સત્ય શોઘક સભાના આજ સુઘીના દાખલાઓ જે અભિવ્યક્તિમાં છપાયેલાં છે તેમાં તે લોકો દર્દી બનીને પાખંડીઓને ખુલ્લા પાડે છે. આ કેસમાં તેમણે અેવું કેમ ના કર્યું ? બીજું આમ કર્યુ હોત તો તેજ ઘડીઅે સ્વામીજીનો ભાંડો ફૂટી જાત. પોલીસોઅે પણ જુદા રસ્તે પાખંડીને ખુલ્લા પાડવાની મદદ કરવી જોઇતી હતી. કદાચ પોલીસ પણ પૈસા ખાઇને પાખંડીને મદદ કરતી હતી. સત્ય શોઘકોઅે સીબીરના આગલે દિવસથી વિરોઘની વાત લોકોમાં મુકી હતી. પાખંડીઓ પૈસાવાળા હોય છે. પોલીસો વેચાવા તૈયાર હોય છે. આ આખી વાત બેઝ વિનાની છે.અઘુરી છે. સત્યશોઘક પોતે આવીને વાત કરે તો કાંઇક માની લઇઅે. આ મારા વિચારો છે. લેખક કે કોઇ બીજાને તેમના વિચારો હશે.
    મારા વિચારો ખોટા પણ હોઇ શકે તે હું કબુલ કરું છું.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. Forum for Fast Justice
    May 10, 2019, 11:08 AM (21 hours ago)
    to me

    I met Kumar Swami in 2010 with two of my Rationalist friends Khushalbhai and Jamanbhai at his BHAKTA’S A Andheri, Mumbai building with two police guards. On ground floor some 100 women were singing bhajans and Swami was performing pooja on first floor. Seeing police with us he gave us DARSHAN! Surrounded by followers he first called three packets of sweets and gifted us!
    I started dialogue with him in the same way as like our Madhubhai and Jayantbai talked to him at Surat did though I never new that Satyasabha activists had confronted him earlier. He was evasive and vague in replies WE LEFT AND LODGED A COMLAINT AGAINST HIM AT VERSOVA POLICE STATION
    But no action was taken and I filed a PIL in the Bombay High Court against him, some other hallf a dozen practitioners of astrology, tarrot, vastu, reki etc. under Drugs and Magic Remedies Act 1954 while arguing the PIL in the court I sensed the judges were also follwing such smoothsayers. They dismissed the petition. Satyashodhak Sabha was my co-petitioner
    I filed SLP in the Supreme Court and personally argued before the bench of justice Agrawal and Ruma Pal and showed the meaning of ASTROLOGY from the Oxford dictionary which says that Astrology is not a real science but a pseudo i.e. false or spurious science. But I failed there too and they dismissed the SLP. I came back to Mumbai empty handed

    Bhagvanji Raiyani

    Liked by 1 person

Leave a comment