સુપર પાવર
‘કૃષ્ણ ભગવાનની બાબરી અહીં ઉતારાઈ હતી’ અમે મોટા અમ્બાજી ગયા હતા ત્યારે મારા ભાણા લાલજીએ એ પવીત્ર સ્થાન બતાવ્યું. અમ્બાજી પાસે ગબ્બરનો પવીત્ર ડુંગર છે. તેના શીખર ઉપર માતાજીના મન્દીર પાસે જ આ સ્થાન છે. ત્યાં મેં એક પવીત્ર બોર્ડ પણ જોયું. તે બોર્ડમાં જ્યાં કૃષ્ણ ભગવાનની બાબરી ઉતારાઈ હતી તે દીશા તરફ જવાનો ઍરો હતો. સાથે અમારાં માસી હતાં. તેમણે ભક્તીપુર્વક તે બોર્ડને પણ નમન કર્યું. મારા પગ નીચે કપાયેલા વાળના ગુચ્છા આવ્યા.
હું બોલ્યો, ‘માસી જુઓ, કૃષ્ણ ભગવાનના વાળ હજુ પડ્યા છે.’ માસીએ ગમ્ભીરતાથી કહ્યું, ‘લોકો પોતાના છોકરાઓની બાબરી અહીં ઉતારવા આવે છે તેના વાળ છે.’
માસી થોડું ચીઢાઈને બોલ્યાં, ‘ભગવાન, આને શ્રદ્ધા રાખતાં શીખવ.’ આ તેમણે સાધુ–મહાત્માની લઢણમાં મુર્તીને કહ્યું. જ્યારે આપણે બોલીએ અને મુર્તી સાંભળે એને શ્રદ્ધા કહેવાય અને જ્યારે મુર્તી બોલે અને આપણને સંભળાય એને ગાંડપણ કહેવાય. માસીની વાત ખરી હતી. આવા પ્રસંગે શ્રદ્ધા જરુરી છે. ત્યાં દરેક જણ શ્રદ્ધાળુ હતું. મેં શ્રદ્ધાથી ભગવાનના વાળ જ્યાં સૌ પ્રથમ વખતે ઉતરાવ્યા હતા ત્યાં નમન કર્યું. સૌ નમન કરતાં હતાં એટલે વાતમાં જરુર કાંઈ માલ હશે. આટલાં બધાં શ્રદ્ધાળુ કાંઈ ખોટાં થોડાં હોય ! મેં પણ નમન કર્યું. જાણે કોઈ હેરકટીંગ સલુનના એરકન્ડીશન્ડ રુમમાં નમસ્કાર કરતો હોઉં એટલા ભાવથી ! ભગવાનના આશીર્વાદ મળે કે ન મળે; પરન્તુ માસી પર તો સારી ઈમ્પ્રેશન પડી કે અમેરીકામાં રહેવા છતાં મારા ભાણામાં ભારતીય સંસ્કૃતીના થોડાઘણા અંશ બચ્યા છે.
અહીં બોર્ડ માર્યું છે એટલે ભગવાને વાળ કપાવ્યા જ હશે. ત્રણ હજાર વર્ષ પહેલાંનો બનાવ આપણે ત્યાં અકબન્ધ છે. ગોકુળથી અહીં વાળ કપાવવા આવવાનું કારણ શું હોઈ શકે ? કદાચ યશોદામૈયાએ પોતાના લાલાની બાબરી ઉતારવાને બહાને ગુજરાતમાં કે રાજસ્થાનમાં ફરવા આવવાની ઈચ્છા રાખી હશે. અથવા તો તે વખતે અમ્બાજીના મન્દીરમાં બાબરી ઉતરાવાની પ્રથા પહેલેથી હશે. એવી બાધા તે વખતે પણ લેવાતી હશે. સામે કાંઠે આવેલું મથુરા હજુ યાત્રાનું ધામ નહીં બન્યું હોય. ખરું પુછો તો ઉત્તરમાં એવાં ઝાઝાં યાત્રાસ્થાનો નહોતાં બન્યાં. કારણ કે ખુદ ભગવાન જ નાના હતા. હજુ જાત જાતની લીલાઓ નહોતી આદરી. આખા ભારતવર્ષના લોકોનું ધ્યાન ખેંચાય એવા ચમત્કારો તેમણે હજુ નહોતા યોજ્યા. એક રીતે એમ કહેવાય કે અમ્બા માતાજીની ખ્યાતી યશોદામૈયા અને નંદજી પાસે ગોકુળમાં પહોંચી ગઈ હતી. ત્રણ હજાર વર્ષ પહેલાં ભગવાનના વાળ કપાયા એટલે એક વાત ચોક્કસ કે કાતરની અને અસ્ત્રાની શોધ થઈ ગઈ હશે. આપણે ત્યાં એડવાન્સ ટૅકનોલોજી હતી અને આથી જ તલવાર અને તીરથી મહાભારત લડતાં ફાવ્યું.
યશોદામૈયાની અમ્બાજીમાં વાળ કપાવવાની વાત નન્દજીને ન પણ ગમી હોય; કારણ કે કંસને જેમતેમ ઉલ્લુ બનાવીને અડધી રાતે જેલમાંથી નાસી, યમુના પાર કરીને ઠેકાણે પડ્યા છીએ ત્યાં પાછું ઘોડાઓ અને રથનો રસાલો લઈને સેંકડો જોજન જવું પડે. મહીનાઓની મુસાફરી કરવી પડે અને તે પણ દીકરાના વાળ કપાવવા જ ! દીકરાનું પ્રથમ કેશકર્તન મોંઘું પડે. નન્દજીએ આ બધી તકલીફ ઉઠાવી જ હશે. શ્રદ્ધાળુ લોકો ખોટી વાત થોડી કરે ! અને કોઈ પચાસ વર્ષના ધર્મગુરુએ ત્રણ હજાર વર્ષના જુના પ્રસંગને માન્ય રાખ્યો છે. કોઈ મહારાજનો રબર સ્ટેમ્પ જરુરી હોય છે. નંદજી માટે દીકરાની બાબરી માટે અમ્બાજી આવવાનું થોડું અઘરું તો હતું. જો કોઈ માતાજીના આંગણામાં વાળ કપાવવા હોય તો ગોકુળની આજુબાજુ ઘણાં માતાજી છે અને ડુંગર પર વાળ કપાવવા હોય તો પાસે જ ગોવર્ધન પર્વત હતો. પરન્તુ પત્નીના હુકમનો અનાદર ન કરવાની તેમની હીમ્મત ન પણ હોય. એટલે પ્રભુના વાળ અહીં કપાયા જ હોવા જોઈએ. નહીં તો આટલા બધા બુદ્ધીશાળી લોકો ત્રણ હજાર વર્ષથી રોજ અહીં આવે જ નહીં ને ! કદાચ એમ પણ માન્યતા હોય કે જે બાળકની બાબરી અહીં ઉતારી હોય એને ટાલ ન પડે ! કૃષ્ણને છેલ્લે સુધી વાળ હતા. જે હોય તે પરન્તુ અમ્બાજીના ગબ્બર શીખર ઉપર કોઈ ખોટું બોર્ડ તો મારે જ નહીં ને ! સીવાય કે તે એરીયામાં કોઈ બુદ્ધીશાળી કેશકર્તન કલાકાર રહેતો હોય.
નર્મદા પાસે રાજપીપળા અને ઝઘડીયા વચ્ચે કડીયો ડુંગર આવેલો છે. એ ડુંગરની તળેટીમાંથી જોઈએ તો શીખર ઉપર એક નાનકડું કાળું ટપકું દેખાય છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તે મોટું થતું જાય છે. ઉપર જઈને જોઈએ તો ત્રીસ ચાલીસ માણસો બેસી શકે તેવી ગુફા છે. હવે તમે માનો કે ન માનો; પરન્તુ તેમાં હીડમ્બા રહેતી હતી. આ હીડમ્બા એટલે ભીમની રાક્ષસીણી પત્ની કે જેને ઘટોત્કચ નામે પુત્ર જનમ્યો હતો. તે વીર હતો; કારણ કે પ્રકાશ પીક્ચર્સે ‘વીર ઘટોત્કચ’ નામની ફીલ્મ બનાવી હતી. હીડમ્બા તે ગુફામાં રહેતી હશે એ વાત મારા માનવામાં આવી ગઈ. કારણ કે આટલે ઉંચે ગુફામાં રહેનાર રાક્ષસ જ હોઈ શકે. ગામના એક જાણકારે કહ્યું કે, તે આ ગુફામાં હીંચકા ખાતી હતી. આપણાથી સંશય તો થાય નહીં ! ઉપરથી એ જાણકારે નીચે તરફ હાથ કરીને કહ્યું કે, ‘અહીં રાક્ષસ પ્રજા રહેતી હતી.’ મેં કહ્યું કે, ‘આ વાત અહીં બોલ્યા તો બોલ્યા પણ નીચે ન બોલતા. નીચે બધા રાક્ષસો પેન્ટ અને શર્ટ પહેરે છે.’ આટલા ઉંચે પણ ભાવુકો ગુફામાં દીવા કરે છે. મારા મોં પર ક્યાંય સંશયની ઝલક દેખાય હશે એટલે એમણે ચાલુ રાખ્યું, ‘પાંડવો ગુપ્તવાસમાં ગયા હતા ત્યારે આ નર્મદા પટ પર આવ્યા હતા.’ મેં ખુબ ભાવથી આંખો મીંચી. તેમણે કહ્યું, ‘તમે જ્યારે નર્મદા નદી પરનો બન્ધ જોવા જાઓ ત્યારે તમને એવા લોકો મળશે કે જેમણે અશ્વત્થામાને એમની ખોપરીમાં ઠંડક પહોંચે એટલે દહીં મુકવા આપ્યું હોય.’ મારા મોઢા પરનું આશ્ચર્ય જોઈને તે બોલ્યા, ‘એ તો તમને ખબર છે ને કે અશ્વત્થામા જીવતો છે ?’ ધન્ય ભારતભુમી અને ધન્ય એની સંસ્કૃતી ! તેમણે સમજાવ્યું કે, ‘અશ્વત્થામાને અમરત્વનું વરદાન હતું. એટલે એ મરે તેમ ન હતો. ભીમે ગુરુપુત્રની માથાની ચોટલી મુળમાંથી ખેંચી કાઢી હતી. હવે તેને તે જગ્યાએ હજુ બળતરા થયા કરે છે. એટલે એ નર્મદા પટની આદીવાસી પ્રજાની પાસે દહીં માંગવા જાય છે. તે તેની ખોપરીમાં ભરે છે. તમને ડેમ પાસે કેવડીયામાં કોઈક મળી આવશે.’ મેં પુછયું, ‘ત્યાં બોર્ડ માર્યું છે ?’ ચમત્કારોને પણ બોર્ડની આવશ્યક્તા હોય છે. ‘ના હં, ત્યાં બોર્ડ નથી.’ આ ભાઈ ખરેખર જાણકાર હતા. એમને કદાચ તાજમહેલના આર્કીટેકનું નામ ખબર ન હોય, અજંતા–ઈલોરાના આર્ટીસ્ટનાં નામ પણ ન જાણતા હોય અને જયપુરના હવામહેલની ડીઝાઈન કોની હતી તેની પણ ખબર ન હોય. એવી નકામી માહીતીની ખબર ભારતમાં કોઈને હોતી નથી અને એની ખબર રાખવી જરુરી પણ નથી; કારણ કે તેમને હીડમ્બા અને અશ્વત્થામાની ખબર હોય છે. ધન્ય ભારતભુમી ! અને ધન્ય તેની સંસ્કૃતી ! જતાં જતાં મેં તેમને કહ્યું, ‘મને એક વાતની ખબર છે, જેની તમને કદાચ ખબર ન હોય કે હીડમ્બાએ પોતાના પુત્ર ઘટોત્કચની બાબરી ક્યાં ઉતરાવી હતી.’
અમે મધ્યપ્રદેશમાં સતના શહેર ગયા હતા. ત્યાંથી કાર રસ્તે ખજુરાહો જવાનું હતું. અમારા ગાઈડે ખજુરાહોનાં નગ્ન શીલ્પોથી પણ વધુ અદ્ ભુત વસ્તુ બતાવી. શ્રી રામચન્દ્રજીની પાદુકાઓ. હવે એ મન્દીરમાં ભરતે સ્વયમ્ આ પાદુકાઓ સાચવીને રાખી હતી. રામજીનો કાળ તો કૃષ્ણથી પણ દોઢ બે હજાર વર્ષ જુનો. જો કૃષ્ણજીની બાબરીની જગ્યા મળતી હોય તો એક–બે હજાર વર્ષ આમ કે તેમ, રામજીની વસ્તુઓ પણ મળી જ શકે ! આપણે હવે શંકા કરવાનું છોડી દીધું છે. રામ ભગવાન ચાંદીની પાવડીઓ પહેરતા હશે. આ ચાંદીની હતી. ભારેખમ હતી. ભગવાનને શું ? એ પહેરે તો પાદુકાઓ હલકી ફુલ બની જાય ! મારું માનવું હતું કે ભરતે રામજીને પાદુકાઓ જ્યારે એ વનમાંથી પાછા આવ્યા હતા ત્યારે પાછી આપી દીધી હતી. કદાચ રામજીના ભક્તોએ એ પાદુકાઓ સાચવી રાખી હોય. આજથી પાંચસો કે હજાર વર્ષ પછી પણ ગાંધીબાપુના ચંપલ જોવા મળશે જ એ વાત જેટલી ચોક્ક્સ છે, એટલી જ ચોક્ક્સ વાત રામજીની પાદુકાઓની છે. એક–બે હજાર વર્ષ આમ કે તેમ, શો ફેર પડે છે ! બધું અમર રહી શકે. પાદુકાની આજુબાજુ મંદીર બન્ધાયું છે; એટલે તે પાદુકાઓ ભગવાનની જ ગણાય ને ! મન્દીરના પુજારીએ અમારી પાસે પ્રેમથી પુજા કરાવી. પુજા પછી તો મારો વીશ્વાસ વધી ગયો હતો. પત્નીએ એક હજાર અને એકની દક્ષીણા મુકી. તેમ છતાં મારાં પત્નીના મોં પર થોડી ગુંચવણ હતી. તેણે પુજારીને પુછયું, ‘અમે રામજીની પાદુકાઓ દક્ષીણમાં પણ જોઈ હતી તે કેવી ? તે સાચી કે આ સાચી ?’ પુજારીને આ સવાલ હજારો લોકોએ પુછયો હશે. તે જવાબ જાણતા હતા. ‘આ જ ખરી પાદુકાઓ ને તેની સાબીતી જો તમારે જોવી હોય તો તમને શ્રીમદ્ શંકરાચાર્યનું સર્ટીફીકેટ બતાવીએ.’ મેં પત્નીને ધીરા અવાજે કહ્યું, ‘હવે આ સર્ટીફીકેટ શંકરાચાર્યજીએ ક્યાં છપાવ્યું હતું એમ ન પુછવું. આ તો 2020 સુધીમાં ભારત આખા વીશ્વમાં સુપર પાવર બનવાનું છે તેની પુર્વ તૈયારી છે.’
એક ડૉક્ટર મીત્ર અમેરીકાથી ભારત ફરવા ગયા હતા. તેમણે જણાવ્યું કે વૃન્દાવનમાં એક વૃક્ષ ઉપર કૃષ્ણ ભગવાને લીલા કરી અને યમુનામાં નહાતી ગોપીઓનાં વસ્ત્રો ચોરી લીધાં હતાં. તે વસ્ત્રો આજે પણ એ કદમ્બના વૃક્ષ પર લટકે છે. દર્શન કરવા જેવું છે. મેં તેમને જણાવ્યું કે મને સરનામું આપજો. હું પણ ત્યાં જઈશ. વૃક્ષ પરનાં વસ્ત્રોનાં દર્શન માટે નહીં; પરન્તુ કદાચ આજુબાજુ વસ્ત્રવીહીન કોઈ ગોપી ફરતી દેખાય તો તેનાં દર્શન કરવા.
આપણો દેશ સુપર પાવર કેમ ન બને ! આપણા જેટલું આધ્યાત્મીક જ્ઞાન કયા દેશ પાસે છે ? આપણા જેટલી જુની સંસ્કૃતી શોધી ન જડે. આપણી ક્રીકેટ ટીમને વર્લ્ડ ચેમ્પીયન આપણા ખેલાડીઓ નથી બનાવતા; પરન્તુ આપણા હોમ–હવન બનાવે છે. ઓસ્ટ્રેલીયા સામે જીતવા ગામેગામ પુજાઓ અને હવનો કરવા જરુરી છે. વરુણદેવને ધુણાવો, એટલે વરસાદ તુટી પડે અને આપણી હારની બાજી ડ્રોમાં પરીણમે. વરસાદ એ તો આપણો બારમો ખેલાડી છે ! અને આ સેટૅલાઈટના જમાનામાં ક્યારે અને ક્યાં વરસાદ પડશે એ પણ આ યજ્ઞો નક્કી કરી શકે છે. ક્રીકેટની મેચ જીતવા માટે કે વરસાદ પાડવા માટે આપણી પાસે વીજ્ઞાન ઉપરાન્ત આપણી જુની સંસ્કૃતી છે. આપણે તો વર્ષોથી સુપર પાવર જ છીએ. કોઈ આપણને ગણે કે ન ગણે, શો ફેર પડે છે ?
[જાન્યુઆરી, 2008]
–હરનીશ જાની
♦ (‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર અમેરીકાના પ્રસીદ્ધ હાસ્યલેખક હરનીશ જાની રાજપીપળાના વતની અને સુરતની એમટીબી કૉલેજના ભુતપુર્વ વીદ્યાર્થી છે. ૧૯૬૯થી તેઓ અમેરીકામાં છે. પ્લાસ્ટીક ઈજનેરની અમેરીકાની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે અને અમેરીકામાં સ્થાયી થયા છે …ગોવીન્દ મારુ…)
‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ (અમદાવાદ)દ્વારા દર બે વર્ષે અપાતું હાસ્યરચનાઓ માટેનું, સને ૨૦૦૯–૨૦૧૦નું સર્વોચ્ચ ‘જ્યોતીન્દ્ર દવે પરીતોષીક’ જેને પ્રાપ્ત થયું છે તેવા તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશક–હર્ષ પ્રકાશન, 403–ઓમ્ દર્શન ફ્લૅટ્સ, 7,મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ–380 007, પ્રથમ આવૃત્તી– 2009, પૃષ્ઠ સંખ્યા–20+128, મુલ્ય રુપીયા– 100)ના પાન ક્રમાંક – 75 પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…
“USA અને UK માં‘સુશીલા’ મેળવવા નીચે સંપર્ક કરો.”
Harnish Jani, 4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA Phone: 609-585-0861 Cell: 608-507-7102
E-mail: harnish5@yahoo.com
♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/
♦●♦●♦ આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલોબનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન– ગોવીન્દ મારુ – નવસારી.
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com


