Feeds:
Posts
Comments

Archive for March, 2012

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી

પ્રા. ધવલ મહેતા

 ‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુ જર્સીમાં રૅશનાલીસ્ટ મીત્રવર્તુળ ઉભું કર્યું છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.

માત્ર હારનો જ ઈતીહાસ :

‘હીન્દુ સંસ્કૃતીને જગતની શ્રેષ્ઠ સંસ્કૃતી અને હીન્દુ ધર્મને જગતનો શ્રેષ્ઠ ધર્મ’ એવું સમજનારને લેખક એક પ્રશ્ન કરે છે : ઈ.સ. 1198માં વીદેશી મુસ્લીમ (મહમ્મદ ઘોરી)ને હાથે પૃથ્વીરાજ હારી ગયા પછીનાં લગભગ 800 વર્ષ કેમ વીદેશીઓએ સતત આપણા પર રાજ કર્યું ? છેક ઈ.સ. 1947 સુધી કેમ આપણે પરદેશીઓને રાજ કરવા દીધું ? આપણને ગઝની, તૈમુર, ચંગીઝખાન, નાદીરશાહ તથા હુણો લુંટી ગયા, આપણા લોકોની કત્લેઆમ ચલાવી અને આપણે કોઈપણ પ્રતીકાર વીના બેસી રહ્યા તે શું હીન્દુ ધર્મ અને હીન્દુ કલ્ચરની શ્રેષ્ઠતા બતાવે છે ? કેમ આપણે પરદેશીઓ સામે (ઈ.સ. પુર્વે 300થી પહેલા એલેક્ઝાંડર નામના ગ્રીક સેનાપતીએ આપણને  હરાવી દીધા હતા) હમ્મેશાં માર ખાધો છે ! (અહીં એક આડ વાત કરી લઈએ કે ભારતના હજારો વર્ષના ઈતીહાસમાં માત્ર પહેલી જ વાર ઈન્દીરા ગાંધીએ વીદેશી રાષ્ટ્ર(પાકીસ્તાન)ને નીર્ણાયક પરાજય આપ્યો હતો.) હજી પણ આપણે એ સવાલ કરતા નથી કે છેલ્લાં પાંચસો વર્ષોથી ભારતે કે ચીને કેમ દુનીયાનું આર્થીક, બૌદ્ધીક કે સાંસ્કૃતીક નેતૃત્વ ગ્રહણ કર્યું નથી ? કેમ પશ્ચીમ જગતના યુરોપ અને અમેરીકાએ દુનીયાનું નેતૃત્વ લીધું છે ? યુરોપના એક દેશ પોર્ચુગલના વાસ્કો–ડી–ગામાએ કેમ ભારત ખોળ્યું અને ભારતે કેમ પોર્ચુગલ કે સ્પેન કે અમેરીકાને ના ખોળ્યા ? વળી, પશ્ચીમી જગતે મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, ડેમોક્રસી, ઉદ્યોગવાદ જેવી માનવકેન્દ્રી, સેક્યુલર વીચારસરણીઓ ખોળી અને ભારતે તે કેમ ના ખોળી ? વળી ભારતમાં આર્યભટ્ટ, વરાહમીહીર, ભાસ્કરાચાર્ય જેવા વૈજ્ઞાનીકો થઈ ગયા; પરન્તુ પશ્ચીમી જગતની જેમ ભારતે વૈજ્ઞાનીક પદ્ધતી (સાયન્ટીફીક મેથડ)ની ખોળ કેમ ના કરી ? તેણે બ્રહ્મન્, આત્મન્, જીવ, માયા, મનોભયકોષ જેવી ફીલોસોફી કેમ વાગોળ્યા કરી ? ચાર્વાક અને કણાદની તથા તેના અનુયાયીઓની વીજ્ઞાનને જન્મ આપે તેવી ભૌતીકવાદી ફીલોસોફીનો ભારતીય બ્રાહ્મણવર્ગે નાશ કર્યો. ટુંકમાં, પશ્ચીમી જગતે એશીયાને ખોળ્યું અને ખુંદ્યું; પરન્તુ ભારતે તેમ ના કર્યું. આ સવાલ આપણને ભારતીય કલ્ચરનાં મુલ્યોની ચકાસણી કરવાનું સુચવે છે. એક બાબત સ્પષ્ટ છે – જ્યારે પશ્વીમી જગત ઈ.સ. 1450 અને તે પછી રેનેસાં (પુનર્જાગરણ) અને રેફર્મેશન (એટલે કે પોપની સત્તા અને કેથલીક ધર્મ સામે પ્રચંડ વીરોધ)માંથી તથા વૈજ્ઞાનીક પદ્ધતીની સ્થાપનામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સમગ્ર ભારત ભક્તીયુગમાંથી પસાર થઈ રહ્યું હતું. સાધુ, સન્તો, પ્રાર્થના, ગુરુપુજન, ભજનો, પદો, પુજા વગેરેમાં તે લથપથ હતું. હજી પણ તે ચાલુ છે. ભારતના અને ગુજરાતના મધ્યમવર્ગમાં (ખાસ કરીને નવા ધનીક બનેલા વર્ગમાં) તો ભક્તીનું જાણે પુર ઉમટ્યું છે ! નવધનીક લોકોમાં ગુરુઓની કે સ્વામીજીઓની, કથાકારોની સેવા કરવાની કે તેમને હાથે ઉદ્ ઘાટન કરાવવાની તીવ્ર હરીફાઈ જામી છે ! આ પુસ્તકના લેખક હીન્દુ ધર્મની આલોચના કરતા કહે છે કે દુનીયાના દરેક ધર્મમાં રીતરીવાજો કે વીધીઓ (Rituals) હોય છે; પરન્તુ હીન્દુ ધર્મે વીધીઓની બાબતમાં હદ વટાવી દીધી છે. ઘરમાં, મન્દીરમાં, મેળાવડાઓમાં, (નદી પર–ધર્મસ્થળો પરના વીધી) સ્નાનવીધી, મન્ત્રોચ્ચારવીધી, પુજાવીધી, વાળ ઉતરાવવાનો વીધી, તર્પણવીધી, નદીમાં અસ્થી પધરાવવાનો વીધી, મોટા મોટા ઘાંટા પાડીને ભજનો ગાવાનો વીધી, સત્યનારાયણની કથાનો વીધી, મન્દીરોના ફેરા ફરવાનો વીધી, જનોઈવીધી, લગ્નવીધી, મૃત્યુવીધી, નાગપુજા, વડપુજા, પીપળાની પુજા વગેરે વીધીઓનો હીન્દુ ધર્મમાં પાર નથી. હવે ગુજરાતના સોફીસ્ટીકેટેડ ધનીકજનોમાં અને મધ્યમવર્ગમાં સત્યનારાયણની કથાને બદલે ‘સુન્દર કાંડ’ના પઠનનો વીધી વધુ લોકપ્રીય બન્યો છે; કારણ કે હનુમાન વધુ આક્રમક છે. વળી, ગુજરાતમાં પતીના આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત કે વીધી ન હતાં; પરંતુ હીન્દીભાષી પ્રદેશોમાંથી આયાત થયેલું કડવા ચોથનું વ્રત ગુજરાતી મહીલાઓએ ઉત્સાહપુર્વક અપનાવી લીધું છે. ચાર્વાક અને બુદ્ધ સીવાય અહીં હીન્દુ ધર્મ, તેની માન્યતાઓ તથા બ્રાહ્મણો અને પુરોહીતો સામે કદાચ રીબેલ–બળવો થયો નથી. માત્ર બાબાસાહેબ ડૉ. આમ્બેડકરે આ રીબેલ શરુ કર્યો હતો.

ભારતીય (હીન્દુ) સંસ્કૃતી: કશું ગમ્યું તો મર્યા જ સમજો

હીન્દુ સંસ્કૃતીનાં અનેક પાસાં છે. તે કુદરતનાં તત્ત્વોને ઉલ્લાસમય રીતે સ્વીકારે છે. તે અંગે નાચ કે નૃત્યો કરે છે, સમુહમાં એકબીજા પર રંગ છાંટે છે, પીચકારીનું પાણી છોડે છે, રાસ કરે છે વગેરે. પરન્તુ તેની બીજી બાજુ પણ છે. તમે કોઈ સાધુ, સંત, મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા તો તેમાં, ‘આ સંસાર અસાર છે, માનવીનું ખરું ધ્યેય પ્રભુની ભક્તીનું છે અને સંસારના મોહમાયાથી અળગા થવાનું છે.’ તેવા જ વ્યર્થ ઉપદેશો સાંભળવા મળશે. તમને સારું ખાવા–પીવામાં મઝા પડે છે ? ના, તેનાથી તમે  જીભને લાડ લડાવો છે અને તેનાથી શરીર બગડે, માટે દેહશુદ્ધી માટે ઉપવાસ કરો. તમને આઈસક્રીમ કે ચોકલેટ ભાવે છે ? ના ખાશો – તેનાથી દાંત બગડે. તમને ચા ભાવે છે ? ચા – કોફી છોડી દો. તમને પૈસા કમાવાનું ગમે છે ? ‘પૈસો તો હાથનો મેલ  છે’ – તેને છોડી દો. તેવું બોલતો કથાકાર, સાધુ, સન્ત કે સ્વામીજી પોતે તો પુષ્કળ ધન એકઠું કરે છે. શું તમને SEX ગમે છે ? છીછીછી… તે અધ:પતનની નીશાની છે. શું તમને શીયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું ગમે છે ? તેવું ના કરતા; કારણ કે તમે ઈન્દ્રીયસુખને વશ થઈ જશો. રેફ્રીજરેટરનું  ઠંડું પાણી પીવાનું ગમે છે ? ના પીતા; તેનાથી શરદી થઈ જશે. શું મીઠાઈઓ ખાવાની ગમે છે કે રુની પોચી પથારીમાં સુવાનું ગમે છે ? એમ ના કરતા. ઈન્દ્રીયોને વશમાં રાખો. ચટાઈ કે શેતરંજી પર સુઓ. હૉટેલમાં શું કામ ખાઓ છો ? માંદા પડશો. ચા કે કોફી ના પીતા. સીનેમા જોવા કેમ જાઓ છો ? તમારો કીમતી સમય બગડે છે. જે કોઈ પણ પ્રવૃત્તી આનન્દ પમાડે તેનાથી દુર રહો. એક વૃદ્ધ અને બહુ વંચાતા પત્રકાર દર થોડે થોડે દીવસે નવો વીષય ના જડતાં, જગતના તમામ લોકોને ખબર છે તેવી વાત લખ્યે રાખે છે: દા.ત. જંકફુડ ના ખાતા, ચરબીયુક્ત ખોરાક ના ખાતા. ફણગાવેલાં કઠોળ, ફળફળાદી, શાકભાજી અને ફળોનાં રસ ખાઓ–પીઓ. વળી શું ખાવાથી કેન્સર મટી જાય કે કેન્સર ના થાય તેની જગતના નીષ્ણાતોને  પુરેપુરી ખબર નથી; પરન્તુ કોઈપણ સાબીતીના આધાર વીના તેમને કેન્સર મટાડતાં આહાર-વીહારનું પુર્ણ અંતરજ્ઞાન કે સ્ફુરીત જ્ઞાન છે ! કોઈપણ વીધાન માટે કે દાવા માટે વૈજ્ઞાનીક સાબીતી જોઈએ તેની ભારતના લોકોને ખબર નથી. આ પ્રકારના ઈર્–રૅશનલ વલણ સામે પણ આ લેખક લાલબત્તી ધરે છે. બધું જ કુદરતી સારું અને માનવકૃત ક્રીયાઓ, ચીજો કે પદાર્થો (દવાઓ, ઈન્જેક્શન્સ, ફીલ્મો વગેરે) ખરાબ કે નુકસાનકારક એવું ગાંધીજી અને વીનોબામાં તથા તેમના અનુયાયીઓમાં વધુ જોવા મળે છે. આ વીચારધારા નેગેટીવ છે. સામાજીક કે કલ્ચરલ ક્રાન્તી માટે આવાં વળગણો (ઓબસેશન્સ)ની કોઈ જરુર નથી. અબ્રાહમ લીંકન, માર્ક્સ, એન્જલસ, કાસ્ટ્રો, માઓ, માર્ટીન લ્યુથર કીંગ, દક્ષીણ આફ્રીકાના તારણહાર મેન્ડેલા વગેરેએ જબરજસ્ત બૌદ્ધીક રાજકીય ક્રાન્તી આવાં વળગણો વીના કરી છે. જગતને બદલી નાખનાર પ્રખર વૈજ્ઞાનીકો પણ ઉપરોક્ત પ્રકારના ગાંડપણભર્યા નીષેધોમાં માનતા નથી. તેઓ વારમ્વાર ઉપવાસ કરતા નથી કે ચટાઈ પર સુતા નથી કે બ્રહ્મચર્ય પાળતા નથી. પરન્તુ જગતને બદલી નાખે તેવી જબરદસ્ત શોધો કરે છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ કે આઈનસ્ટાઈન કે ન્યુટન આનાં ઉદાહરણો છે. ઈન્દ્રીયો પર સંયમ જરુર જોઈએ; પરન્તુ તેની કોઈ આત્યન્તીક ઘેલછામાં જગતના ચીન્તકો અને ક્રાન્તીકારો જીવતા નથી. તેમનું જીવન બહુધા ‘બેલેન્સ્ડ’ (સંતુલીત) હોય છે. તમારે વહેલા સુઈને વહેલા ઉઠવું કે સ્નાન કરીને જ જમવું, સાંજ પહેલાં સાદું ભોજન લેવું, ભગવાનમાં મન પરોવવું – આ અર્થહીન ઉપદેશો છે. તેને વ્યર્થ ગણવા.

આ પુસ્તકના લેખક ગીતામાં પ્રબોધેલા નીષ્કામ કર્મ અને સ્થીતપ્રજ્ઞના વીચારોની વીરુદ્ધ છે. ફળની આશા વીના કોઈ પણ કામમાં ‘મોટીવેશન’ જ કેવી રીતે ઉભું થાય ? વળી, માણસ સુખ દુ:ખમાં સન્તુલન જાળવે તે સ્થીતપ્રજ્ઞતાનો વીચાર ઠીક છે; પરન્તુ  આનન્દમાં કે સુખમાં કે દુ:ખમાં લાગણીઓ જ ના અનુભવવી કે તેની અભીવ્યક્તી ના કરવી તેવો સ્થીતપ્રજ્ઞતાનો વીચાર અવ્યવહારુ છે. સમાજમાં આટલો બધો અન્યાય હોય અને મન ખળભળી ના ઉઠે તેવું સ્થીતપ્રજ્ઞતાનું લક્ષણ, જડત્વભર્યું ને અરુચીકર છે.

ધર્મની વીરુદ્ધ:

લેખક ધર્મની વીરુદ્ધમાં છે; કારણ કે દુનીયાનો દરેક ધર્મ એવો દાવો કરે છે કે તે સર્વશ્રેષ્ઠ છે. જો દરેક ધર્મ પોતાને શ્રેષ્ઠ માને તો ધર્મને નામે યુદ્ધો થવાનાં જ છે. દુનીયામાં અસંખ્ય ધર્મયુદ્ધો થઈ ચુક્યાં છે. દરેક ધર્મ ઈર્–રૅશનલ છે અને નાનપણથી જ વ્યક્તીનું તેના ધર્મમાં બ્રેઈનવૉશીંગ કરવામાં આવે છે; જેથી તે તેના ધર્મને શ્રેષ્ઠ માને. અમેરીકામાં સાધુ, સન્તો, મહાત્માઓ, મહન્તો, ગુરુઓની પધરામણીને તથા તેમની પધરામણીઓ કરાવનાર લોકો માટે લેખક સખત નારાજગી પ્રગટ કરે છે. લેખક કટાક્ષ કરી કહે છે કે પહેલાં એવું મનાતું જે કોઈ સાધુ, સન્ત કે યોગીએ હીમાલયમાં તપસ્યા કરી ના હોય, તેઓને સાચા યોગી કે મહાત્મા ગણવામાં આવતા ન હતા. હવે ભારતના લોકો, જે યોગીઓ, સન્તો કે સ્વામીઓના, પશ્ચીમ જગતની ધોળી પ્રજાના ભક્તજનો ના હોય તેમને સાચા સન્ત કે મહાત્મા ગણતા નથી. એવું જણાય છે કે આવતા સો કે બસો વર્ષ પછી હીન્દુ ધર્મના વ્રતો, ફીલોસોફી અને રીતરીવાજો માત્ર પશ્ચીમ જગતમાં જ બચ્યા હશે !! લેખક આ પુસ્તકના સાર રુપે મુદ્દાને રજુ કરતા કહે છે કે જ્યાં સુધી ભારતમાં હીન્દુ ધર્મ અને તેની ફીલોસોફી તથા સાધુસન્તોની સત્તા સામે રીબેલ–બળવો નહીં થાય ત્યાં સુધી આપણે પછાત જ રહીશું.

શોધોનો વીરોધ:

     ભારતનું કલ્ચર નવી ચીજવસ્તુઓ કે નવા વીચારોની શોધ (ઈનોવેશન્સ) અને સ્વતંત્ર વીચારશક્તીને રુંધે છે. અંગ્રેજ પ્રજાએ જગતને બદલી નાખનાર નવી નવી શોધો દ્વારા ઔદ્યોગીક ક્રાન્તી કરી. ઈંગ્લેંડના જેમ્સ વૉટે સ્ટીમ એન્જીન ખોળ્યું. આપણે કેમ ના ખોળ્યું ? આપણે તો માત્ર ઈન્દ્રીયજન્ય સુખો પર કાબુ મેળવવામાં  જ આપણી તાકાત વેડફી નાંખી. હીન્દુ રાજા પુષ્યમીત્ર શૃંગે (ઈ.સ. પુર્વે 187 થી ઈ.સ. પુર્વે 157) જે કોઈ બૌદ્ધ ધર્મના અનુયાયીનું માથું રજુ કરે તેને સોનું આપવાની જાહેરાત કરી હતી. બૌદ્ધ ધર્મ શું કોઈ હીંસા વીના એકાએક ભારતમાંથી અદૃશ્ય થઈ ગયો ? વળી, લેખક કહે છે કે આપણે બહુ બધી વીદેશી પ્રજાઓને હાથે પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને તેવી હારેલી પ્રજાએ તો સહીષ્ણુ બનવું જ પડે છે. (જેમ અત્યાર સુધી દલીતોને ગામડાઓમાં ફરજીયાત સહીષ્ણુ બનવું પડ્યું હતું અને બનવું પડે છે.)

ટુંકમાં, લેખકના મતે ધાર્મીક માન્યતાઓ પ્રજાના પગની બેડીઓ છે. વળી હીન્દુધર્મીઓ હીન્દુ–મુસ્લીમ હુલ્લડો દરમીયાન  બહુ સહીષ્ણુ હોય તેમ જણાતું નથી. બન્ને પક્ષો અસહીષ્ણુ હોય છે. ‘હીન્દુ ધર્મ શ્રેષ્ઠ છે અને જગતે તેના શરણે આવવું પડશે’ તેવી કપોળ કલ્પના હેઠળ ઘણા લોકો જીવે છે. લેખક ભારપુર્વક માને છે કે આપણી ગરીબીનું  કારણ બાહ્ય પરીબળો નથી. આપણે બહારના વીલનો એટલે કે ખલનાયકો (બ્રીટન, અમેરીકા, પાકીસ્તાન)ને શોધવાની જરુર નથી. અંગ્રેજોની હકુમત પહેલાં પણ આપણે ગરીબ હતા. આપણો અંદરોઅંદરનો કુસંપ અને ધાર્મીક માન્યતાઓ તથા તદ્દન નબળું રાજ્ય (સોફ્ટ સ્ટેટ) આપણી ગરીબી માટે જવાબદાર છે.

-પ્રા. ધવલ મહેતા

(બે હપ્તે આ લખાણ અહીં સમાપ્ત થાય છે.. ગયા સપ્તાહનો આગલો ભાગ અને તેને મળેલા વાચકોના રસપ્રદ પ્રતીભાવો માણવા  http://govindmaru.wordpress.com/2012/03/22/dhawal-mehta-3/ આ લીંક પર ક્લીક કરશો. ગોવીન્દ મારુ)

તા. 21 ડીસેમ્બર, 2011 ના ગુજરાત સમાચાર દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નવું વાચન–નવા વીચાર’માંથી, લેખક અને ’ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

પુસ્તકલેખક–સંપર્ક :

Subodh Shah,

7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Ph : 001-636-240-5230   eMailssubodh@yahoo.com

પુસ્તકમાહીતી:

The title of the book is ‘Culture Can Kill’.  It is divided in 27 Chapters  & has 167 Pages. The Book is Published BY  http://www.authorhouse.com/  Price 12 dollars.

Books are available at http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586   Price 18 dollars.

The book is also published in INDIA  by Lokvangmaya Grih, 85- Sayani Road, Prabhadevi, Mumbai – 400 025. But now there is no stock so these books are not available in India.

પુસ્તકપરીચય આપનાર:

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: (079) 2675 4549 ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

@@@

રૅશનાલીઝમ – મુક્તકો

(૧)

અર્થ વગરના રીતરીવાજો સ્વીકારો છો શા માટે ?

સમજ વગરની વાત હૃદયમાં ઉતારો છો શા માટે ?

સાચુ શું ને ખોટું શું છે ? આધારોથી શોધ કરો–

બીજાના મત મુજબ કાયમ વીચારો છો શા માટે ?

(૨)

હજુ કેમ લોકો કથા સાંભળે છે !

વીતેલા સમયની વ્યથા સાંભળે છે.

ગયું તે ભુલી જા, થયું તે ભુલી જા.

જીવન તો વહેતા સમયમાં મળે છે.

– મનસુખ નારીયા,

આચાર્ય, એમ.વી. પટેલ હાઈ સ્કુલ, માતા વાડી, વર્ષા સોસાયટી, વરાછા રોડ, સુરત– 395 006

ફોન: (0261) 254 5772 મોબાઈલ: 94268 12273

ઈ–મેઈલ: vu2mnariya@gmail.com

@@@@@

 

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર –  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29–03–2012

@@@@@

Read Full Post »

અમેરીકાના લેખક શ્રી. સુબોધ શાહ લીખીત પુસ્તક ‘Culture Can Kill’નો

પરીચય : સમીક્ષકપ્રા. ધવલ મહેતા

@@@

તસ્વીરસૌજન્ય:  મીત્ર આચાર્ય શ્રી. સુનીલ શાહ – સુરત

તસ્વીરસૌજન્ય:  http://www.amazon.com

     અમેરીકામાં વર્ષોથી રહેતા ભારતીઓને વતનનો ઝુરાપો તથા આઈડેન્ટીટી–પ્રશ્ન સતાવતો હોવાથી તેમાં ઘણાં ઝનુની હીન્દુત્વનો ભોગ બનતા રહે છે. પરન્તુ અમેરીકામાં વર્ષોથી સ્થાયી થયેલા સુબોધ શાહનું આ પુસ્તક કલ્ચર કેન કીલ રૅશનાલીઝમ અને રૅશનાલીસ્ટ થીંકીંગની દીશામાં એક તાજગીભરી વસંતઋતુનો અનુભવ કરાવે છે. 167 પાનાંના આ પુસ્તકમાં લેખકે ભારતીય પ્રગતીને બાધક એવા સામાજીક અને સાંસ્કૃતીક અવરોધોને ખુબ જ સરળ અને સચોટ ભાષામાં રજુ કર્યાં છે. લેખકે ભારતીય સમાજ અને સંસ્કૃતી પર ખુબ ઉંડું ચીન્તન કર્યું છે અને લેખકનું એવું દૃઢ માનવું છે કે ભારતે જો હજી વધુ પ્રગતી કરવી હશે તો તેણે સામાજીક અને સાંસ્કૃતીક બાબતોમાં રૅશનાલીસ્ટ દૃષ્ટીબીન્દુ અપનાવ્યા વીના છુટકો નથી. આ બાધક પરીબળો કયાં કયાં છે ?

     ‘જગદગુરુ ભારતે’, જગતને આધ્યાત્મીક સંદેશો આપવાનો છે અને જગતને મુક્ત થવા માટે તેને ‘અહીંસક’ ભારતને જ શરણે જવું પડશે તેવી હીન્દુત્વ અને ગાંધીજનોની તથા સર્વોદયવાળાઓની ગાંડી ગાંડી વાતોને લેખક ભાવ આપતા નથી. તેઓ તો પ્રથમ એ જ સવાલ પુછે છે કે આપણે છેલ્લાં હજાર વર્ષથી વીદેશીઓના હાથે કેમ પરાજીત થતા રહ્યા ? મહમ્મદ ગઝની લગભગ હજાર વર્ષ પહેલાં ભારતમાં આવ્યો અને એવું તે શું બન્યું કે તેણે 17 વખત ભારતમાં ચઢાઈ કરી અને ઈ.સ. 1024માં પ્રભાસ–પાટણ લુંટ્યું ? ત્યાર પછી મહમ્મદ ઘોરીએ નાલંદા વીશ્વવીદ્યાલયનો નાશ કર્યો અને ઈ.સ. 1198માં ભારતના પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીલ્હીની ગાદી પર કુત્બુદ્દીન ઐબકને મુક્યો. ઈ.સ. 1311માં અલાઉદ્દીન ખીલજીએ લગભગ આખા હીન્દુસ્તાનને જીતી લીધું. ચંગીઝખાન (1221), તૈમુર (1398), નાદીર શાહ (1739) અને અહમદશાહ અબ્દાલ્લી (1761)એ લુંટ્યું. બે સદી સુધી મુઘલોએ રાજ્ય કર્યું અને પછી લગભગ બસ્સો વર્ષ અંગ્રેજોએ રાજ્ય કર્યું ભારતની એવી કઈ કઈ નબળાઈઓ હતી કે તે સતત હારતું રહ્યું ?

       આના જવાબરુપે ભારતના ચુસ્ત રાષ્ટ્રવાદીઓ એવો જવાબ આપે છે કે (1) જ્યારે આખું જગત જંગલી અવસ્થામાં હતું ત્યારે ભારતમાં અજોડ સંસ્કૃતી હતી. (2) બીજી સંસ્કૃતીઓ કે પ્રજા નાશ પામી ત્યારે આપણી પ્રજા ટકી રહી. આમાં ત્રીજો મુદ્દો પણ ઉમેરવામાં આવે છે કે ભારતની તમામ સમૃદ્ધી વીદેશીઓ (મુસ્લીમો અને અંગ્રજો) લુંટી ગયા તેથી આપણે ગરીબ રહ્યા છીએ. તો પછી સ્વતંત્રતાના 60 વર્ષ બાદ ભારતમાં આટલી દારુણ ગરીબી કેમ છે ? કેમ સમાજમાં આટલી બધી અરાજકતા છે ? જગતના સૌથી વધુ દારુણ ગરીબોની સંખ્યા કેમ ભારતમાં છે ? કેમ આટલી બધી ગંદકી અને પારાવાર અવ્યવસ્થા છે ? હવે તો ભારતને લુંટવા કોઈ આવ્યું નથી ને ? ખરેખર તો ભારતની ગંદકી, ગરીબી અને અવ્યવસ્થા માટે આપણે આંતરીક દર્શન (ઈન્સ્ટ્રોસ્પેક્ શન) કરવાની જરુર છે. ભારતનો ભવ્ય ભુતકાળ તો હજાર વર્ષ પહેલાં ખતમ થઈ ગયો; તેનું હવે શું છે ? ભારતમાં ઓરીજીનલ ચીન્તન પરમ્પરા હતી; પણ હવે તેનું શું છે ? ભુતકાળની મુડી પર જીવી શકાય તેમ જ નથી. મીથ્યા રાષ્ટ્રાભીમાન– જેનો હકીકતનો પાયો તદ્દન નીર્બળ છે– તેનાથી ‘પાનો’ તો ચઢે; પણ ‘આભાસી’. મહાનતાના આધારે રાષ્ટ્રની ગરીબી દુર ના થાય દા.ત. અત્યારે શોધાયેલા તમામ વૈજ્ઞાનીક નીયમો ભારતના ઋષીઓ દ્વારા ખોળાઈ ચુક્યા હતા અને તેઓ હજી પણ આપણા ધર્મગ્રંથોની ભાષાકીય સંજ્ઞામાં તથા સંકેતો(કોડવર્ડ)માં છુપાયેલા છે; તે માન્યતાને હકીકતનો કોઈ આધાર નથી. આ એક જુઠાણું છે. આ ગ્રંથના લેખક ભારતીય સંસ્કૃતી અને સમાજને બાધક પરીબળોમાં; પુષ્કળ અન્ધશ્રદ્ધાઓ, ખોટી માન્યતાઓ અને ખોટી રુઢીઓનો ઉલ્લેખ કરે છે. તેમાંની કેટલીક અન્ધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓ કે વ્યવહારોને જોઈએ. (1) ભારતના ઘણા લોકો પુષ્કળ પદાર્થોને પવીત્ર માનીને તેની પુજા કરે છે. નદીઓ, વૃક્ષો (વડ–પીપળો), ગાય, હાથી, કપીરાજ (વાંદરું), ગરુડ, ઉંદર, મુર્તીઓ, શંખ, તુલસી વગેરે… આ યાદી ઘણી લમ્બાવી શકાય. ઘણા હીન્દુ ધર્મરક્ષકો એમ કહે છે કે આ બધી ચીજોને પવીત્ર માનવાથી આપણે કુદરતના પદાર્થો અને પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ અને દરેક પદાર્થમાં ઈશ્વર જોઈએ છીએ. આ વાત સાચી જણાતી નથી.

       ઉપરની બધી બાબતો પવીત્ર હોય તો આપણી નદીઓ કેમ આટલી ગંદી છે ? આપણી ગાયો કેમ શહેરમાં છુટથી ફરે છે અને કાગળો તેમ જ પ્લાસ્ટીકની થેલીઓ ખાઈને મરી જાય છે ? આપણાં વાંદરાં કેમ લોકોને આટલા બધા પજવે છે ? આપણે છોડવાઓ કે વૃક્ષોની કેમ માવજત કરતા નથી ? ઉલટાની જે પ્રજા આ બધાને પવીત્ર માનતી નથી તે, પોતાનાં વૃક્ષો, નદીઓ, ગાયો વગેરેની વધારે સારી સમ્ભાળ લે છે. લેખક નીરાશ થઈને કહે છે કે ભારતીય લોકોના માનસમાં રૅશનાલીટીના દર્શન કરવા તે ન્યુયોર્કના ટાપુ પર રોબીન્સન ક્રુઝોને ખોળવા જેવું છે. (2) આપણી માન્યતાઓ અને આપણે પોતે પણ વીરોધોથી ભરપુર છીએ. આપણો ધર્મ ત્યાગ, વૈરાગ્ય, ઈન્દ્રીય–નીગ્રહ, સંયમ વગેરેની વાતો કરે છે. આપણો ધર્મ આપણે ચુસ્ત રીતે પાળીએ તો આપણને સમૃદ્ધી, સુખ, સત્ત્તા તથા સન્તાનોની પ્રાપ્તી થશે તેવાં આશીર્વચનો આપવામાં આવે છે. ભારત જગતના સૌથી ભ્રષ્ટ દેશોમાંનો એક છે. ટુંકમાં, આપણા ધર્મપાલનની પાછળ લાભ અને લોભની આપણી વૃત્ત્તીઓ રહેલી છે ત્યાગની નહીં.

     લેખક જણાવે છે કે આપણી માન્યતાઓ અને કલ્ચરલ મુલ્યોને ધરમુળથી બદલ્યા વીના આપણી પ્રગતી શક્ય નથી પશ્ચીમના દેશોની પ્રગતીનું રહસ્ય તેમના કલ્ચરમાં છે.

(બે ભાગમાં પ્રકાશીત થયેલી પુસ્તકસમીક્ષાનો આ પહેલો ભાગ છે. બીજો ભાગ આવતા સપ્તાહે. –ગોવીન્દ મારુ)

-પ્રા. ધવલ મહેતા

@@@

તા.11 માર્ચ, 2009ના ગુજરાત સમાચાર દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નવું વાચન–નવા વીચાર’માંથી, લેખક અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

પુસ્તકલેખક–સંપર્ક :

SUBODH SHAH,

7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Phone : 001-636-240-5230

eMail : ssubodh@yahoo.com

પુસ્તકમાહીતી:

The title of the book is ‘Culture Can Kill’.  It is divided in 27 Chapters  & has 167 Pages. The Book is Published BY  http://www.authorhouse.com/  Price 12 dollars.

Books are also available at http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586   Price 18 dollars.

The book is also published in INDIA  by Lokvangmaya Grih, 85- Sayani Road, Prabhadevi, Mumbai - 400 025. But now there is no stock. So the book is not available in India.

પુસ્તકપરીચયકાર–સમ્પર્ક:

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: 079 2675 4549  ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

‘વીચાર–પુર્તી’

વરસાદ પર આપણો અંકુશ નથી. સમુદ્ર ભરપુર લહેરાય છે; પણ માણસે ઠાલવેલી ગંદકી અને રસાયણોનાં પ્રદુષણ, માણસ જાતને ક્યાં પહોંચાડશે તે કહી શકાય નહીં. ભારતમાં અને ખાસ કરીને શહેરી વીસ્તારોમાં પાણીનો ભયંકર બગાડ થાય છે. વપરાયેલાં પાણીને શુદ્ધ કરીને ફરી ફરી વાપરવાની જેટલી સગવડ અને સમ્ભાળ અમેરીકા જેવા સમૃદ્ધ દેશોમાં લેવાય છે તેમાંથી દસમાં ભાગનું કામ આપણે ત્યાં થતું નથી.

પરદેશનાં દુષણ અપનાવી લેવામાં શુરાપુરા આપણા ભણેશરીઓ અને ભદ્રવર્ગ તેમના સદ્ ગુણોનું અનુકરણ કદી કરતા નથી. પરદેશીઓની પ્રામાણીકતા અને કાર્યનીષ્ઠા આપણી નજરે ચડતાં નથી. આધ્યાત્મીક અને પવીત્ર હોવાનો અહંકાર આપણા સમાજને પછાત પાડી દે છે. મહમ્મદ ગઝની જોડે આવેલા આરબ મહાપંડીત અલ બરુનીએ નોંધ્યું છે તેમ ‘આ હીન્દુઓ એવા અહંકારી છે કે પરદેશીઓમાં પણ વીદ્વતા, પવીત્રતા અને તત્ત્વજ્ઞાન હોય છે તેવું માનવા તૈયાર નથી.’

અલ બરુની એક હજાર વરસ પહેલાં થઈ ગયા; પણ આપણે હજુ એ જ ઠેકાણે ઠેરના ઠેર ઉભા છીએ, એમાં લેશમાત્ર પરીવર્તન આવ્યું નથી.

 (તા.14 માર્ચ, 2012ના દીવ્ય ભાસ્કર દૈનીકની બુધવારીય પુર્તી ‘કળશ’માં પ્રકાશીત થયેલી, શ્રી. નગીનદાસ સંઘવી [ nagingujarat@gmail.com ]ની અતીલોકપ્રીય કટાર ‘તડ ને ફડ’માંથી, લેખક અને દીવ્ય ભાસ્કરના સૌજન્યથી સાભાર.. ..ગોવીન્દ મારુ)

@@@

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચાર માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ: 22–03–2012

Read Full Post »

(નૈતીક મુલ્યોનું મુળ કયું? એવો સવાલ થોડા વખત પહેલાં અમે ડૉ. પ્રો. મધુસુદન રાજને પુછ્યો હતો. તેનો પ્રો. રાજે આપેલો વીગતવાર અને મુદ્દાસર જવાબ આ સાથે આપ્યો છે : તંત્રી શ્રી. બીપીન શ્રોફ ‘વૈશ્વીક માનવવાદ’)

નૈતીક મુલ્યો અને ઉત્ક્રાન્તીવાદ

           નૈતીક મુલ્યોનું મુળ ઉત્ક્રાન્તીમાં જ રહેલું છે. ઉત્ક્રાન્તીમાં વીકસીત થયેલા મગજમાં નૈતીક મુલ્યોનું સીંચન થયેલું છે. માનવીના જીવનમાં બનતી બધી જ ઘટનાઓ, જેમ કે વાસના, પ્રેમ, લગ્ન, તરસ, ઈચ્છાઓ કે પછી નૈતીક મુલ્યો એ બધાંની પાછળ માત્ર અને માત્ર ઉત્ક્રાન્તી જ જવાબદાર છે.

              ડાર્વીનનો ઉત્ક્રાન્તીવાદ એ કહે છે કે પૃથ્વી પરની દરેકે દરેક જીવન્ત વસ્તુઓ પોતાની જાતને જીવન સંઘર્ષમાં ટકાવી રાખવા માટે કુદરતની સાથે તાલમેળ બેસાડવાની કોશીશ કરતી હોય છે. જે જાતી કે પ્રજાતી આ સંઘર્ષમાં કુદરતની સાથે સારી રીતે તાલમેળ સાધી શકે ફ્ક્ત એ જ જાતી કે પ્રજાતી પોતાને ટકાવીને તેની પેઢીઓને આગળ લઈ જઈ શકે છે. કુદરત દ્વારા પસન્દગી પામેલા જ આ સંઘર્ષમાં સફળ રહે છે અને તાલમેળ નહીં સાધનારાઓનો છેવટે નાશ થાય છે.

             આમ, આ સીદ્ધાન્ત માણસની ઉત્પત્તી અને તેના વીકાસને બહુ જ સારી રીતે સમજાવે છે. વીચારવાનું રહ્યું કે માનવીના નૈતીક મુલ્યોને કઈ રીતે ડાર્વીનનો આ ઉત્ક્રાન્તીવાદ સમજાવી શકે ?

           જવાબ છે : નૈતીક મુલ્યો માનવીના મગજમાં એટલા માટે પેદા થયાં છે કેમ કે એ તેને વીકાસક્ર્મમાં ટકી રહેવામાં મદદ કરે છે. બીજી રીતે જો કહીએ તો, આ મુલ્યો કુદરત દ્વારા પસન્દગી પામ્યાં છે. આ મુલ્યોને લીધે જ માનવજાતીને ક્રમીક વીકાસમાં ફાયદો થાય છે અને તેથી જ આ મુલ્યોનો ઉદ્ ભવ થયો છે તથા પેઢી દર પેઢીએ તેમાં સતત વીકાસ અને બદલાવ થઈ રહ્યો છે.

            પ્રશ્ન એ થાય કે : આ મુલ્યોના ક્રમવીકાસમાં એવા તો કયા ફાયદાઓ છે કે જેને લીધે એની કુદરત દ્વારા પસન્દગી થાય છે ?

              હેલન ફીશરે કહ્યું છે કે, માનવીના જીવનનું એક મુખ્ય ધ્યેય  રીપ્રોડક્શન(Reproduction)નું –વંશવેલો આગળ વધારવાનું– જ છે. (તેમાં અપવાદ હોય છે; પણ આ એક સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને કહેવાયેલી સર્વસામાન્ય વાત છે.) દરેક મનુષ્ય પોતાના જીન્સ(genes)ને અથવા એમ કહું કે દરેક માનવીમાં રહેલ જીન્સ પોતાની જાતને, આગળની પેઢીઓ સુધી લઈ જવા માટે રીપ્રોડક્શન–પ્રજનનનો સહારો લે છે. રીપ્રોડક્શન અને જીન્સ સીલેક્શન દ્વારા જ માનવી અને તેના જીન્સ ઉત્ક્રાન્તીની પ્રક્રીયામાં ટકી શકે. કુદરતની સામે ટકી રહેવાના આ સંઘર્ષના 44 લાખ વર્ષના આ સમયગાળા દરમીયાન માણસના મગજમાં મુખ્ય ચાર ચાલક પરીબળોનો ધીરે ધીરે ઉદ્ ભવ અને વીકાસ થયો. આ ચારેય ચાલક પરીબળો (કે જેને અંગ્રેજીમાં ડ્રાઈવ(Drive) કહે છે) એ નીચે મુજબના છે :

1. ડ્રાઈવ ટુ એક્વાયર (Drive to acquire): વસ્તુ, સેવા, પૈસા, પ્રેમ, સીદ્ધી, નામના, સફળતા વગેરે મેળવવાની કદી ન સંતોષાતી વૃત્તી.

2. ડ્રાઈવ ટુ બોન્ડ (Drive to bond): બીજી વ્યક્તીઓ સાથે ગાઢ સમ્બન્ધ બાંધવાની અને બધાં સાથે રહેવાની વૃત્તી કે જેના કારણે માનવીને આપણે ‘એક સામાજીક પ્રાણી’ કહીએ છીએ.

3. ડ્રાઈવ ટુ લર્ન (Drive to learn): જુદી જુદી વસ્તુઓ શીખવાની, દુનીયા, લોકો, સમાજ વીશે નવું નવું જાણવાની માનવીની વૃત્તી.

4. ડ્રાઈવ ટુ ડીફેન્ડ (Drive to defend): પોતાની ચીજવસ્તુઓ, પોતાની જાત અને પોતાના પ્રીયજનો–સ્વજનોની રક્ષા કરવાની માનવીની અદ્મ્ય વૃત્તી.

           આ ચારેય ચાલક પરીબળો કુદરતનાં સંઘર્ષમાં ટકી રહેવામાં માનવીને ખુબ જ સફળ બનાવે છે. ચાલક પરીબળો પાછળ રહેલી અલગ અલગ વૃત્તીઓ જ નૈતીક મુલ્યોનાં જન્મ અને વીકાસ માટે જવાબદાર છે.

           મુખ્યત્વે જવાબદાર ચાલક પરીબળ છે : ડ્રાઈવ ટુ બોન્ડ. આપણે જાણીએ છીએ કે નૈતીક મુલ્યો એ એક સામાજીક ઘટના છે. જો આ પૃથ્વી પર ફકત એક જ માનવી રહેતો હોય તો તેને નૈતીક મુલ્યોની કોઈ ખાસ જરૂર ન હોત. નૈતીક મુલ્યો સમાજમાં એકબીજા સાથે વ્યવહાર કરતા સામાજીક જીવોને જ વધારે કામમાં આવી શકે. આપણે એ જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. તેથી જ સમાજમાં એક બીજા સાથે કેવી રીતે વર્તન કરવું તે માટેનું માર્ગદર્શન આપતાં નૈતીક મુલ્યોનો માનવીના મગજમાં વીકાસ થયો.

             માનવી સામાજીક પ્રાણી એટલા માટે છે કેમ કે સમાજમાં એક સાથે રહેવાથી તે દરેક વ્યક્તીની લાંબા સમય સુધી જીવતા રહી શક્વાની અને તેના જીન્સને આગળ લઈ જવાની સમ્ભાવના વધી જાય છે. એકલા માનવી માટે કુદરત સાથેના સંઘર્ષમાં ટકવું બહુ મુશ્કેલ છે. દરેક વ્યક્તીએ સમાજમાં ટકી રહેવું હોય તો તેમાંથી સમાજને નુકસાન નહીં કરે તેવી વૃત્તીઓનો ઉદ્ ભવ અને વીકાસ થાય એ જરુરી અને સ્વાભાવીક છે. અને આ જ વૃત્તીઓ એ આપણાં નૈતીક મુલ્યો. બીજાઓને નુકસાન નહીં પહોંચાડવાનું (અને તે માટે સાચાખોટાની ઓળખ), પોતે બીજાને આપેલાં વચનોનું પાલન કરવું જેથી બીજામાં પોતાના વીશે વીશ્વાસ કેળવી શકાય, બીજાઓને મદદ કરવી કે જેથી કરીને જ્યારે આપણને બીજાની જરુર હોય ત્યારે તેમની મદદ મેળવી શકાય, બધા સાથે હળીમળીને રહેવું, સમાજના નીયમોનું પાલન કરવું… વગેરે નૈતીક મુલ્યો માણસની ડ્રાઈવ ટુ બોન્ડનું જ પરીણામ છે[1].

              ચારે ચાર ડ્રાઈવ દરેકે દરેક માનવીમાં અલગ અલગ પ્રમાણમાં, ઘણી વાર એક સાથે તો ઘણી વખત જુદી જુદી રીતે કામ કરતા હોય છે. તે પ્રમાણ મુજબ દરેક વ્યક્તી ઓછાવત્તા અંશે નૈતીકતા ધરાવતી હોય છે. દા. ત. જો કોઈ વ્યક્તીમાં પૈસા કમાવવાની વૃત્તી (ડ્રાઈવ ટુ એક્વાયર) બહુ વધારે પ્રમાણમાં કામ કરતી હોય તો તેના માટે બીજા બધા ડ્રાઈવ ઓછા મહત્ત્વના બની જ્શે. તેથી તે પોતાની નૈતીકતા છોડીને ખોટાં કામ માટે પ્રેરાશે.

             જ્યારે બીજા સમુહની સામે પોતાના સમુહનું રક્ષણ કરવાનું હશે (ડ્રાઈવ ટુ ડીફેન્ડ) અથવા તો સમાજના જ બીજા સભ્યો સામે પોતાના સ્વજનોનું રક્ષણ કરવાનું હશે ત્યારે પણ વ્યક્તી નૈતીક્તાને બાજુ પર મુકી દેશે. કઈ વ્યક્તીમાં આ ડ્રાઈવ કેટલા પ્રમાણમાં કામ કરતા હોય છે એ કહેવું મુશ્કેલ છે; પણ આપણે આ ડ્રાઈવને બધાની અંદર કામ કરતા જોઈ જ શકીએ છીએ. એનો અર્થ એ પણ થયો કે આપણી દુનીયામાં દરેક પ્રકારના માણસો જોવા મળશે. કોઈ માણસ એકદમ નૈતીક હોઈ શકે અને કોઈ એકદમ અનૈતીક.

             નૈતીક મુલ્યો આપણને પ્રાણીજગતમાંથી સાવ પ્રાથમીક સ્વરુપે મળ્યાં છે. પ્રાણીજગતમાં પણ આ મુલ્યોના પુરાવાઓ જોવા મળે છે. ખાસ કરીને ચીમ્પાંઝી વગેરે વાનર પ્રજાતીમાં[2]. આ બાબતો અને મળતા પુરાવાઓ એ વાત સાબીત કરે છે કે માનવી પણ એક પ્રાણી જ છે અને તેને મળેલી નૈતીકતા પણ પ્રાણીજગતમાંથી જ ધીરે ધીરે વીકાસ પામી છે. જેમ માનવીનું મગજ વીકસતું ગયું તેમ આ મુલ્યો પણ વીકસતાં ગયાં. હજી પણ તેમાં વીકાસ અને બદલાવ ચાલુ જ છે, ચાલુ જ રહેશે.

             દરેક મનુષ્યને આ નૈતીક્તા બાળપણથી જ તેના જીન્સ સાથે મળતી હોય છે. યેલ યુનીવર્સીટીના પ્રોફેસર પોલ બ્લુમના સંશોધનોએ આ વાતની સાબીતી આપી છે. તેમણે લખ્યું છે, ‘વધુ ને વધુ પુરાવા સુચવી રહ્યા છે કે માણસના જીવનના સાવ પ્રારંભથી તેનામાં આરમ્ભીક કક્ષાની નૈતીકતા/રુડીમેન્ટરી મોરલ સેન્સ હોય છે… યોગ્ય સજ્જતા સાથે થયેલા પ્રયોગો થકી જીવનના પહેલા જ વર્ષે નૈતીક વીચારસરણી, નૈતીક નીર્ણય અને નૈતીક લાગણીની ઝલક જોવા મળી શકે છે… સારાનરસાની કેટલીક સમજ હાડમાં જ ભળેલી હોય એમ લાગે છે.’[3]

ધર્મ શા માટે નૈતીક મુલ્યોનું મુળ નથી ?

                ધર્મ નૈતીક મુલ્યોનું મુળ નથી; કારણ કે ધર્મ પોતે પણ ઉત્ક્રાન્તીની જ એક આડ પેદાશ છે.

            વૈજ્ઞાનીક સાબીતીઓના આધારે એ સત્ય સ્થાપીત થયું છે કે માનવીનાં મગજમાં પહેલાં નૈતીક મુલ્યો અને ત્યાર પછી જે રીતે આપણું મગજ કામ કરે છે તેના લીધે ધર્મનો એક આડપેદાશ તરીકે ઉદ્ ભવ થયો. હવે એ સમજવાનું રહ્યું કે આપણું મગજ એવી તો કઈ રીતે કામ કરે છે કે જેને લીધે તેમાં ધર્મનો જન્મ થયો ! તેની પાછળ ઘણાં બધાં પરીબળો જવાબદાર છે. તેમાનાં એક મુખ્ય પરીબળની હવે ચર્ચા કરીએ.

              પ્રો. રીચાર્ડ ડોકીન્સે સમજાવ્યું છે એ મુજબ, માનવીમાં નાના બાળકનું મગજ ઉત્ક્રાન્તીમાં એ રીતે વીકાસ પામ્યું છે કે તે તેના વડીલ (મા-બાપ, ભાઈ-બહેન, શીક્ષકો વગેરે) અથવા તો બીજી કોઈ પણ સત્તાકીય છબી ધરાવતી વ્યક્તી– જેમ કે કોઈ ધાર્મીક વડા કે રાજકીય નેતા– વગેરેની વાતો કોઈ પણ જાતના વીચાર વગર માની લે છે. આ રીતે પ્રોગ્રામ્ડ થયેલું મગજ ઉત્ક્રાન્તીમાં સફળ રહ્યું છે. કેમ કે નાના બાળક પાસે તાર્કીક વીચાર કરવાનો સમય હોતો નથી કે તેની સજ્જતાયે હોતી નથી. દા.ત., જો બાળકનાં માતા-પીતા એને એમ કહે કે, ‘આગમાં હાથ ન નંખાય’ અથવા તો ‘પહાડ પરથી નીચે ન કુદાય’ તો આ વાત માની લેવામાં જ બાળકની ભલાઈ છે અને તો જ તે બાળક જીવીત રહી શકે અને પોતાના જીન્સ આગળ લઈ જઈ શકે. પણ આ રીતે પ્રોગ્રામ્ડ થયેલું મગજ જે રીતે સાચી વાતો માની લે છે એવી જ રીતે ખોટી વાતો પણ એટલી જ સહેલાઈથી માની લે છે. તેનું ઉદાહરણ છે ખોટી ધાર્મીક માન્યતાઓ, અન્ધશ્રદ્ધા, અને બીજી અનેક અવૈજ્ઞાનીક વાહીયાત વાતો. આ રીતે પેઢી દર પેઢી ધર્મ અને બીજી અવૈજ્ઞાનીક વાતો–વહેમોનો ફેલાવો અને વીકાસ થતો જાય છે. નાનાં બાળકોની આ નબળાઈ ધાર્મીક અને રાજકીય નેતાઓ સારી રીતે જાણે છે. તેથી તેમનું બ્રેઈનવોશ નાની ઉમ્મરથી જ સરકારી અને ધાર્મીક સ્કુલોમાં શરુ કરી દેવાય છે.

      આ સીવાય ઉત્ક્રાન્તીમાં પેદા થયેલ માનવીનો ડ્યુઆલીસ્ટીક/દ્વંદ્વવાદી સ્વભાવ, તેનો ઈન્ટેશનલ સ્ટાન્સ/ઈરાદાપ્રેરીત વલણ વગેરે પણ ધર્મની ઉત્પત્તી અને વીકાસ માટે જવાબદાર છે.[4].

              આમ, ધર્મ તો માત્ર અને માત્ર ઉત્ક્રાન્તીની એક આડપેદાશ જ છે અને નૈતીક મુલ્યોની સાથે તેને કોઈ લેવાદેવા નથી.

સમાપ્તી

                આમ આપણા નૈતીક મુલ્યો ઉત્ક્રાન્તીની જ દેન છે. તેમાં સતત વીકાસ અને બદલાવ થયો છે – થતો જ રહેશે. જે મુલ્યો માનવીને તેના જીન્સ આગળ લઈ જવામાં મદદ કરશે, તે મુલ્યો ક્રમવીકાસમાં ટકી રહેશે અને બાકીનાંનો નાશ થશે. આ વાત આપણને એક મહત્ત્વનો એ સંદેશ આપે છે કે આ દુનીયામાં બધી વ્યક્તીઓ કોઈ દીવસ પુરેપુરી નૈતીકતાવાળી થવાની નથી અને એવી કોઈ આશા રાખવી એ શેખચલ્લીની એક કપોળ કલ્પના માત્ર જ છે.

              આપણા સમાજમાં સારી અને ખરાબ બન્ને જાતની વ્યક્તીઓ રહેવાની છે. કોઈ ધર્મ બધાને નૈતીક બનાવવાનો નથી. ખરેખર જોઈએ તો મોટા ભાગના ધાર્મીક લોકો જ જેને આપણે અનૈતીક કામો કહીએ છીએ એ કરતા હોય છે અને ઘણા બધા નાસ્તીક લોકો નૈતીકતાનું જીવન જીવતા હોય છે. પણ નૈતીકતાને ધર્મ કે અધર્મ સાથે કોઈ સમ્બન્ધ નથી. એ તો ઉત્ક્રાન્તીનું એક પરીણામ માત્ર છે.


[1] આ વીષય વીશે વધુ જાણકારી માટે મહેરબાની કરીને તમે આ લેખ વાંચો -

Lawrence, Paul R. 2004. “The Biological Base of Morality?” Business, Science and Ethics 59-79.

[2] આ વાતના પુરાવા સ્વરૂપે તમે New York Timesમાં પ્રકાશીત થયેલ આ લેખ જુઓ – http://www.nytimes.com/2007/03/20/science/20moral.html?_r=1&pagewanted=all

[3] આ વીશે વધુ માહીતી માટે આ લેખ વાંચો -
http://www.dailymail.co.uk/news/article-1275574/Babies-know-difference-good-evil-months-study-reveals.html#ixzz0oYUVKWps

[4] આ વીશે વધારે માહીતી માટે તમે આ ચોપડી વાંચો -

Dawkins, Richard. 2008. The God Delusion. Mariner Books.

–પ્રો. મધુસુદન રાજ

‘વૈશ્વીક માનવવાદ’વર્ષઃ 21 – અંકઃ 07 – જુલાઈ, 2010નો આ લેખ વૈશ્વીક માનવવાદના તંત્રીશ્રી તેમ જ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર

આજ લેખ તેમ વૈશ્વીક માનવવાદના અન્ય લેખ માટે નીચે લીન્ક આપી છે તેના પર ક્લીક કરો:

https://docs.google.com/viewer?a=v&pid=sites&srcid=ZGVmYXVsdGRvbWFpbnxyYXRpb25hbGlzdHNvY2lldHl8Z3g6NWVhMjc3NzdhYTJhZjVlNg&pli=1

લેખક–સંપર્ક:  

Prof. Madhusadhan Raj

B/ 103. White House Apartment, Near Pragatinagar,

Vesu (Piplod)  Surat -395 007

Phone: 0261-225 6482, Mobile: 95372 36920.

E-mail:  madhusudan_raj@yahoo.com 

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  http://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ: 15–03–2012

Read Full Post »

માનવ વીકાસમાં ધર્મનો ફાળો કેટલો ?

નાનપણમાં અમને શાળામાં ભણાવવામાં આવ્યું હતું કે રાજકુમાર સીદ્ધાર્થે જીન્દગીમાં પહેલીવાર રોગી, વૃદ્ધ અને મૃતદેહ જોયા ત્યારે એમનું મન ખળભળી ઉઠ્યું. તેઓ ખુબ અસ્વસ્થ થઈ ગયા. આ લાગણીઓના પ્રવાહ હેઠળ એમણે માનવીની આવી દુ:ખદાયક દશાઓનાં કારણ જાણવા અને ઉપાય શોધવાનું નક્કી કર્યું. એ માટે એમને માતા–પીતા, પત્ની– પુત્ર, ભાવી રાજપાટ વગેરે બધું જ ત્યાગી જંગલમાં જવું જરુરી લાગ્યું.

એક પ્રતીભાવાન રાજકુમાર, જેને જાણીજોઈને – સમજપુર્વક  માનવોનાં દુ:ખ–દર્દ જેવી સંસારની વાસ્તવીકતાઓથી અજાણ રાખવામાં આવ્યો હતો; જેણે યુવાન થયા ત્યાં સુધી પોતાના સમ્પર્કમાં આવતી એક પણ વ્યક્તીને માંદી પડતી, ધોળાવાળવાળી, કરચલીવાળી ત્વચા રુપે વૃદ્ધ થતી કે (હમ્મેશને માટે જતી રહેલી) મૃત્યુ પામેલી જોઈ ન હોય; એના વીશે ક્યારેય કોઈને પ્રશ્ન પણ ન કર્યો હોય, એ માનવું અધરું લાગે છે. છતાં જે માન્યતા પ્રચલીત છે એને સત્ય તરીકે સ્વીકારીને આ લેખ આગળ વધે છે.

રાજકુમાર સીદ્ધાર્થ, ગૃહત્યાગ કરી (મહાભીનીષ્ક્રમણ કરી) જંગલના એકાન્તમાં, ખુબ લાંબા સમય સુધી ધ્યાન ધરે છે – વીચાર કરે છે. શરીરને ભુખ્યું–તરસ્યું રાખી, વર્ષોની લાંબી વીચાર–પ્રક્રીયામાંથી પસાર થઈને (ધ્યાન દ્વારા) એમને જે જ્ઞાન થાય છે એના લીધે તેઓ ‘બુદ્ધ’ કહેવાયા છે.

એકાન્તમાં લાંબો સમય ધ્યાન ધરવાની વાત માત્ર ગૌતમ બુદ્ધ પુરતી મર્યાદીત નથી. મહાવીર, ઈસુ ખ્રીસ્ત, મહમ્મદ પયગમ્બર વગેરે બધાએ જંગલમાં, ટેકરી પર કે ગુફામાં લાંબો સમય ગાળ્યાનું ભણાવવામાં આવે છે. સંસારના પ્રશ્નોનું નીરાકરણ શોધવા, આ બધાનું સંસારથી દુર અકાન્તમાં જવું જરુરી હતું કે આ માત્ર યોગાનુયોગ છે કે પછી એનું બીજું કંઈ સ્પષ્ટીકરણ હોઈ શકે ? (ગંભીર વીચાર–પ્રક્રીયા કે સર્જન, એકાન્તમાં વધુ સારી રીતે થઈ શકે એ સાચી વાત છે. એકાન્ત રાજમહેલમાં કે ઘરમાં પણ મળી શકે છે. જંગલનું એકાન્ત જ શા માટે ?)

ગૌતમ બુદ્ધના ગૃહત્યાગનાં કારણો જાણીતાં હોવાથી એ સન્દર્ભે ચર્ચા કરી છે. જો કે આ ચર્ચા બધી ધાર્મીક વીચારધારાઓને એટલી જ અને એવી જ રીતે લાગુ પડે છે.

પહેલી વાત છે રોગનીવારણની. માનવજાતનાં દુ:ખ દુર કરવા હોય તો રોગનીવારણ અગ્રસ્થાને હોવું જ જોઈએ. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે કાંઈ અમસ્તું જ નથી કહેવાતું. રોગનીવારણ માટે એનાં કારણ અને ઉપચાર જાણવા જરુરી છે. ઉપચાર શોધવા અઘરા છે; પણ કારણ જાણવા એટલું અઘરું નથી. સૌથી પાયાનું કારણ છે અંગત ને જાહેર સ્વચ્છતાનો અભાવ.

વર્તમાન પહેલાંના મોટા ભાગના રોગ ચેપીરોગ હતા જે મુખ્યત્વે સ્વછતાના અભાવથી થતા ને ફેલાતા હતા. પ્રાચીન કાળમાં પુરી દુનીયા ખેતીપ્રધાન હતી. ખેતી અને પ્રાણીઓ સાથે કામ કરનારને ગંદકીમાં કામ કરવાનું હોવાથી સ્વચ્છતાનું મહત્ત્વ વીશેષ હોવું જોઈએ. ભારતના સન્દર્ભમાં કહીએ તો જાહેર સ્વચ્છતાની બાબતમાં ભદ્રવર્ગ પણ પછાત કહી શકાય એટલો બેદરકાર છે.

સમાજને નીરોગી રાખવા માટે અંગત ને જાહેર સ્વછતા એટલી જરુરી છે કે દરેક ધર્મના ઉપદેશમાં જે ચારપાંચ મુખ્ય બાબતો ગણવામાં આવે છે એમાં સ્વચ્છતાનું સ્થાન હોવું જોઈતું હતું. વાસ્તવીકતા એ છે કે અગ્રસ્થાન તો દુર રહ્યું; એનો ઉલ્લેખ પણ ધર્મગ્રન્થોમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. (ગાંધીજીને બાદ કરતાં) કોઈપણ ધર્મપુરુષને એનું મહત્ત્વ જણાયું નહીં !

 આજે આપણે રોગોનાં કારણ, નીવારણ અને ઉપચાર વીશે ઘણું જાણીએ છે. દરેક રોગના ઉપચાર માટેની ખાસ દવાઓ શોધાઈ છે, શોધાઈ રહી છે. આ બધું ધાર્મીક ક્ષેત્રના નહીં પણ અન્ય ક્ષેત્રના લોકોએ કર્યું છે. માત્ર ધ્યાન ધરવાથી દવાઓ શોધી શકાતી નથી. એના માટે પ્રયોગ કરવા પડે છે.

બીજી વાત વૃદ્ધત્ત્વ અને મૃત્યુની હતી. આ બન્ને કુદરતી ઘટનાઓ છે જેને ટાળવી અશક્ય છે. છતાં અકાળે આવતાં વૃદ્ધત્વ અને મૃત્યુને અમુક અંશે ખાળી શકાય છે. જે આજે આપણે જાણીએ છીએ. આ પણ ધર્મ નહીં; પણ મેડીકલ સાયંસના પ્રતાપે શક્ય બન્યું છે.

પ્રાચીન સમયનું જીવન અભાવો, કઠણાઈઓ અને હાડમારીનું હતું. કુદરતના નીયમો અને બનાવોના અજ્ઞાનને લીધે માણસ ઘણી રીતે લાચાર હતો. આવી બધી કઠણાઈના ઉકેલ પણ માણસ વીજ્ઞાનની મદદથી ઘીરે ઘીરે શોધતો આવ્યો છે. રોજબરોજનાં કામ આસાન બનાવી સગવડો વધારી શક્યો છે.

રોગનીવારણ હોય, લાંબી આવરદા હોય, જીવન આસાન બનાવનાર સાધનો હોય કે પછી જીવનને આનન્દમય બનાવનાર કળા, સાહીત્ય, રમતગમત જેવી પ્રવૃત્તીઓ હોય, આ બધું સમાજના અલગ વર્ગના લોકોએ કર્યું છે. એમણે સંસારમાં રહી પ્રયોગો વડે, ટ્રાયલ એન્ડ એરર મેથડથી બધું કર્યું છે. કોઈપણ ધર્મપુરુષે આ બધાં ક્ષેત્રોમાં કશું નોંધપાત્ર કર્યું નથી.

જે કારણોસર બુદ્ધે ગૃહત્યાગ કર્યો હતો તે ભલે હાંસલ કરી શક્યા નહીં; છતાં તેઓ અને તેમના જેવા બીજાઓ માનવસમાજને ઉત્તમ વારસો આપતા ગયા છે એ પણ હકીકત છે. મુળભુત રીતે બધા ધર્મપ્રવર્તકોના ઉપદેશનો ઝોક માનવજીવનના પ્રશ્નો ઉકેલવા કરતાં, એમને સહજ ભાવે સ્વીકારવા તરફ રહ્યો છે. માંદગી, મૃત્યુ તેમ જ બીજી અણધારી આપત્તીઓને સહજભાવે સ્વીકારવાથી એનું દુ:ખ ઓછું થાય છે. મનને સ્વસ્થ રાખી જીવનને અટકાવ્યા વગર ચાલતું રાખી શકાય છે.

ધર્મનું એક અગત્યનું યોગદાન સમુહજીવનમાં શાન્તી જાળવી રાખવાનું મનાય છે. ધર્મ દ્વારા ઉપદેશાતા પ્રેમ, કરુણા, ભાઈચારો, પ્રામાણીકતા, ઉદારતા, સહનશીલતા, સહાનુભુતી જેવા ભાવ કેળવવાથી તે શક્ય બને છે. આને ધર્મને બદલે ‘નીતીમત્તા’ કહેવું વધારે વાસ્તવીક અને વ્યવહારુ લાગે છે.

ધર્મના યોગદાનનો આ દાવો પણ એટલો મજબુત નથી. કોઈપણ ધર્મના ઉદયનાં હજારો વરસ પહેલાં માનવ સમુહમાં રહેતો થયો હતો. સમુહજીવન માટે જરુરી સહકાર, ઉદારતા, ક્ષમા વગેરે ભાવ એણે કેળવ્યા હતા. ટોળામાં રહેતાં પ્રાણીઓમાં પણ આવા ભાવ જોવા મળે છે. એટલે એ માનવોનો જૈવીક વારસો પણ ગણાય.

સામાન્ય રીતે માનવોમાં આ ભાવ પોતાના સમુહ પુરતા મર્યાદીત હતા. બીજા સમુહો પ્રત્યે માણસ ખાસ ઉદાર નહોતો. નૈતીકતાનાં આ મુલ્યોને બહોળા માનવસમાજ સુધી વીસ્તારવામાં ધર્મોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. પરીણામે એક ચોક્કસ ધર્મના નેજા હેઠળ આવતા બધા સમાજો સુધી એ વીસ્તર્યો ખરો; પણ અન્ય ધર્મો સુધી એ વીસ્તરી શક્યો નહીં. ધર્મો વચ્ચેની અથડામણો હજી પણ ચાલુ છે.

ધર્મનું એક વધારાનું પાસું ભક્તીનું છે જે માણસને નમ્ર બનાવે છે. સાથે સાથે તે ઘણાને કેટલેક અંશે પરાવલમ્બી અને પલાયનવાદી પણ બનાવે છે. આ ભક્તીવાદ ધર્મપ્રણેતાઓ દ્વારા નહીં; પણ એમના નામે પોતાનો હેતુ સાધતા એમના અનુયાયીઓ દ્વારા ફેલાવવામાં આવ્યો છે. વધુ પડતી ભક્તી કે તપની ઉપયોગીતા અલગ ચર્ચાનો વીષય છે.

માનવવીકાસમાં ધર્મનું યોગદાન ઓછું આંકવાનો આ લેખનો ઉદ્દેશ નથી; બલકે એને વાજબી મહત્ત્વ આપવાનો પ્રયાસ છે. ધર્મે માનવજાતને જે આપ્યું છે તે તત્કાલીન સમાજવ્યવસ્થા માટે ખુબ જરુરી હતું. માનવ– વીકાસનાં અન્ય ક્ષેત્રો હજી ખીલ્યાં નહોતાં. નબળી રાજસત્તાના સમયમાં ધર્મસત્તાએ સમાજને એકજુટ અને શાન્તીમય રાખવામાં ઘણો ભાગ ભજવ્યો છે. આજે પરીસ્થીતી બદલાઈ છે. ધર્મના યોગદાન સાથે એ જાણવું પણ એટલું જ અગત્યનું છે કે ધર્મનું સમાજ પર સદીઓથી એકચક્રી શાસન હોવા છતાં; લોકમાનસમાં નીતીમત્તા સ્થાપવામાં દરેક ધર્મ માત્ર આંશીક રીતે જ સફળ થયો છે. વ્રત, જપ, તપ વગેરે પ્રકારની ભક્તીની ફલશ્રુતી, આગળ લખ્યું છે તેમ, ચર્ચાસ્પદ છે.

આજસુધી માનવસમાજે જે પણ પ્રગતી સાધી છે એમાં જુદાં જુદાં ક્ષેત્રના જે લોકોનું યોગદાન છે એમને એમના પ્રદાન પ્રમાણે અન્યાય કહી શકાય એટલું ઓછું મહત્ત્વ અને યશ મળ્યાં છે. જ્યારે નીતીમત્તા શીખવનાર વર્ગને અન્યોની સરખામણીએ ઘણું જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે સુધી કે તેઓ સર્વત્ર પુજાય છે. ધાર્મીક ક્ષેત્રે પ્રવૃત્ત વ્યક્તીઓને અલૌકીક શક્તીવાળી માનવાને બદલે એક પ્રકારના સમાજસુધારકના રુપમાં જોવું વધુ વાજબી છે. (એની ચર્ચા અલગ લેખમાં કરાઈ છે.) આ સત્યને સ્વીકારવું સૌ માટે, ખાસ કરીને આસ્તીકો માટે જરુરી છે.

ધર્મપુરુષોને મળતા વધારે પડતા મહત્ત્વનો રૅશનાલીસ્ટોને વાંધો હોય તે સમજી શકાય છે. પણ એટલા માટે એમના આજસુધીના યોગદાનને સમુળગું નજરઅન્દાજ ન કરાય, એમને સદન્તર અવગણી ન શકાય. આગળ વર્ણવેલ સમુહજીવનને ઉપયોગી ભાવ, ભલે આપણો જૈવીક વારસો હોય તો પણ; સત્ય, અહીંસા, શાકાહાર, અપરીગ્રહ જેવા ગુણ ખીલવવાનો ઉપદેશ ધર્મપુરુષો પાસેથી જ મળ્યો છે. માનવસમાજ આવી વાતો માટે હજી તૈયાર નથી એ જુદી વાત છે. જ્યારે માનવસમાજ અશીક્ષીત અને અજ્ઞાની હતો ત્યારે, સાચાં–ખોટાં જે પણ હોય, પાપ–પુણ્ય, સ્વર્ગ–નરક, ભગવાન–શેતાન જેવાં ધર્મનાં ભય–લાલચ રુપી હથીયારોએ ઘણા લોકોને ખોટાં કામો કરતા રોક્યા છે.

જ્યાં સુધી લોકો જ્ઞાતી, ધર્મ, દેશ વગેરેની વાડાબંધીથી ઉપર ઉઠી માનવવાદ સમજતા અને સ્વીકારતા ન થાય ત્યાં સુધી ધર્મ સાથે સંકળાયેલા સાચા–ખોટા ધર્મપુરુષોનું અસ્તીત્વ રહેવાનું છે. એમનો આંધળો વીરોધ કરી લોકોને આપણાથી દુર ભગાડવાને બદલે; રેશનાલીઝમની લીટી લાંબી બનાવવામાં આપણાં સમય, શક્તી અને સમ્પત્તીને વાપરવાં વધારે વ્યવહારુ છે. રેશનાલીઝમનો મતલબ ‘રૅશનલ’ થવાનું છે; આત્યન્તીક થવાનું નથી. બન્ને પક્ષે વીચારવા જેવું છે.  

મુરજી ગડા

લેખક શ્રી મુરજી ગડાની વીનન્તીથી એક સુચના મારે આપવાની થાય છે કે, કોઈ પણ સામયીક આ લેખ પુન: પ્રગટ કરે તેમાં એમને કોઈ જ વાંધો નથી; પણ બે વીનન્તી છે :

1. આ મુળ લેખમાં કશોયે ફેરફાર ન કરવો અને 2. છપાયે તેની એક નકલ, નીચે આપેલા લેખકશ્રીને સરનામે તેમને અવશ્ય મોકલવી.. આશા છે કે એનું પાલન થાય..

–ગોવીન્દ મારુ

લેખકસમ્પર્ક: 

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર મંગલ મન્દીર’ માસીકના ૨૦૧૨ના માર્ચ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમપેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી govindmaru@yahoo.co.in  મેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખી, તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  http://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ , 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08–03–2012

Read Full Post »

હમણાં થોડા સમય પુર્વે ભત્રીજીના લગ્ન અંગે થોડા મુરતીયાને મળવાનું થયેલું. દશમાંથી નવ નમુનાઓ જન્માક્ષરમાં માનતા હતા. એકબેએ તો ગળામાં માદળીયાં પણ પહેર્યાં હતાં. ન પુછવું જોઈએ; પણ પુછાઈ ગયું: ‘આ માદળીયું કોઈ દેવનું છે ? ’ જવાબ મળેલો– ‘ના ના દેવનું શાનું…? એ તો અમારા ફલાણા ઢીંકણા ગુરુદેવે કરી આપ્યું છે !’ ‘એનાથી શું થાય ?’ એમ પુછ્યું તો તેમણે શ્રદ્ધાપુર્વક જણાવ્યું– ‘ઘરમાં અને જીવનમાં સુખશાન્તી રહે… ઘારેલાં કામ થાય…!’ એ માદળીયા–માસ્તરને મારે પુછવું હતું– ભઈલા, ગળામાં બોતેર મણનું માદળીયું લટકાવ્યું છે; તોય બાર બાર વર્ષથી કન્યા માટે કેમ ભટકો છો ?’ પણ આસપાસ બધા બેઠા હતા. છતાં એટલું તો પુછ્યું જ– ‘ધારો કે કન્યા ગમે અને કુંડળી ન મળે તો શું કરશો ?’ યુવાન ઉવાચ– ‘તો તો ન જ થાયને વળી…!’ એ યુવાન મારા તરફ એવી રીતે જોઈ રહ્યો જાણે કહેતો હોય– જન્માક્ષર ન મળે તો લગ્ન ન થઈ શકે એ વાતની પણ તમને ખબર નથી…? તમે સોળમી સદીમાં જીવો છો કે શું ? (એકવાર એક વડીલે તો સ્પષ્ટ કહી દીધું હતું– ‘છોકરી જોવાની જરુર નથી. પહેલાં બન્નેના જન્માક્ષર મેળવો… મળે તો જ જોવાનું ગોઠવીએ !’) ત્યાં બેઠાં બેઠાં જ થોડાક વીચારો જનમ્યા અને ભીતર જ સમી ગયા : કુંડળી મેળવીને પરણેલાઓ પણ કુવો–તળાવ કરીને મરી જાય છે; ત્યાં કુંડળીનો આવો દુરાગ્રહ શા માટે રાખવામાં આવે છે ? લગ્નજીવનની સફળતા માટે જન્માક્ષરનો નહીં; મનનો મેળ જરુરી છે. પણ આપણું કોણ સાંભળે…? બ્રાહ્મણો સાંભળવા દે પણ ખરા કે?

આપણી અન્ધશ્રદ્ધાના વૉલ્ટેજ ધીમે ધીમે વધતા જાય છે. નરેન્દ્ર મોદીને પુછવાનું મન થાય છે : ‘સાહેબ, જરા સર્વે કરાવી જુઓ, ‘વાંચે ગુજરાત’ અભીયાન પછી કેટલો ફરક પડ્યો ?’ મોટા ભાગના વાલીઓ તેમનાં બાળકોને ધાર્મીક પુસ્તકો વંચાવે છે. અત્રે નામ નહીં લખીએ પણ સાવ અવૈજ્ઞાનીક વીચારસરણી ધરાવતા પાખંડી સાધુ બાવાઓનાં પુસ્તકો આજના મોટા ભાગનાં બાળકો વાંચે છે. જેમના સેક્સ અને જમીન–કૌભાંડો અંગે કોર્ટમાં કેસ ચાલતા હોય એવા બની બેઠેલા ‘બાપુ’ઓની અવૈજ્ઞાનીક અને વાહીયાત વાતો આજનું બાળક વાંચે  છે.  એવા એક બાપુએ યુવાનો અંગેના પુસ્તકમાં સલાહ આપી છે : ‘લગ્ન બાદ કેવળ સન્તાન પ્રાપ્તી માટે જ સમ્બન્ધ કરવો. સન્તાન થયા પછીનો પ્રત્યેક શરીરસમ્બન્ધ પાપ છે !’ હવે આ ઉપદેશની વીરુદ્ધની વાસ્તવીકતા શી છે તે પણ જોઈ લો. એમના આશ્રમમાં ચાલતાં સેક્સસ્કેન્ડલો પકડાયાં… કેસ થયો… અને સાબીત થઈ ગયું કે સંયમનો અંકુશ નબળો હોય તો તમારા હવસનો હાથી ભગવા ધોતીયાં ફાડીને દમ્ભના ચુરેચુરા કરી નાખે છે. વધારામાં એ પણ સાબીત થઈ જાય છે કે સંસાર માંડ્યા પછી બ્રહ્મચર્ય પાળવાની વાત તો દુર રહી; પણ સંસાર છોડ્યા પછી જ્યાં ખરેખર બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, ત્યારે પણ તેઓ બ્રહ્મચર્ય પાળી શકતા નથી. એનો અર્થ એ થયો કે તમારા ખોખલા મેનમેઈડ નીયમો કરતાં કુદરતનો કાનુન વધુ પ્રબળ હોય છે. તો ભાઈસાહેબ, શા માટે લોકોને ઉંધે પાટે ચઢાવો છો ? દુ:ખની વાત એ છે કે ઈશ્વરને પામવા નીકળેલા માણસો ખુદ ઈશ્વરના જ કાનુનને સમજી શકતા નથી !

બાપુઓની આવી અવળવાણીને ઈશ્વરાજ્ઞા સમજીને લોકો તેનું પાલન કરે છે. ભરયુવાનીમાં પતીપત્ની ગુરુઆજ્ઞા અનુસાર બ્રહ્મચર્ય પાળે છે. પછી થાય છે એવું કે એવી (અતૃપ્ત) ભક્તાણીને કોઈ લમ્પટ બાવો મળી જાય તો આગ અને પેટ્રોલ મળ્યા જેવો ભડકો થાય છે. હમણાં સુરતની ‘સત્યશોધક સભા’ના જાણીતા કાર્યકર શ્રી મધુભાઈ કાકડીયા મળ્યા. તેમણે સ્વામીઓના ભક્તાણીઓ સાથેના નગ્ન ફોટા બતાવ્યા. ગુરુભક્તી કે શ્રદ્ધાના સ્વાંગમાં કેવાં સેક્સસ્કેન્ડલો ચાલતાં હોય છે તે જોઈને સ્તબ્ધ થઈ જવાયું ! માધુભાઈએ કહ્યું, ‘સાહેબ, આ તો કાંઈ નથી. હજી તમે એ સ્વામીઓની સીડી જુઓ તો ચક્કર ખાઈ જાઓ…!’

બ્રહ્મચર્ય અને ભક્તીના નામે કુદરતના દૈહીક કાનુનને અવગણવાની બહુ મોટી સજા આ દેશ ભોગવી રહ્યો છે. જુઓ, કેવી અદૃશ્ય જુગલબંધીથી કામ થાય છે ! થોડાક બાવાઓ સંસારીઓને બ્રહ્મચર્યનું પાલન કરી કેવળ ઈશ્વરભક્તીમાં રચ્યાપચ્યા રહેવાનું કહે છે. બાકીના થોડાક બાવાઓ આશ્રમ સ્થાપીને (એમ કહો કે છટકું ગોઠવીને) બેસી જાય છે. પેલા એક નમ્બરના બાવાઓ સંસારીઓને ખદેડીને આ તરફ હાંકી લાવે છે અને આ તરફના બે નમ્બરના બાવાઓ આશ્રમના છટકામાં તેમને સપડાવી તેમનું જાતીય શોષણ કરે છે ! એવી ભક્તાણીઓના અન્ધશ્રદ્ધાળુ પતીઓને એટલું જ કહી શકાય કે બુદ્ધીપુર્વક નહીં જીવશો તો જગતનો કોઈ બાવો તમારું કલ્યાણ કરી શકવાનો નથી. તમારી બકરીને શ્રદ્ધાભાવે વાઘની બોડમાં મોકલશો તો પણ; તે હલાલ થયા વીના નહીં રહે. એક ચીન્તકે કહ્યું કે પોતાના દેહને ‘અર્ધ્ય’ની જેમ ગુરુઓની સેવામાં સમર્પીત કરી દેનારી ભક્તાણીઓ ગમે તેટલી અબુધ હોય તો પણ તેમને એટલો ખ્યાલ તો હોય જ છે કે તેમની સાથે શું થઈ રહ્યું છે. કારણ કે પોતાના શીયળ સમ્બન્ધે સ્ત્રીઓ કુદરતી રીતે જ સાવધ, સતેજ અને ચંચળ હોય છે. એથી તેમની મુક સમ્મતી વીના કોઈ બાવો ફાવી શકે નહીં. એ જે હોય તે; પણ ભોગ બનનાર સ્ત્રી (અને તેના પતી વગેરેનો પણ)નો પણ આમાં ઓછો વાંક નથી હોતો. બાવાઓ પ્રત્યેની આંધળી શ્રદ્ધામાંથી જ આવા સેક્સસ્કેન્ડલો રચાતાં હોય છે. સમાજના થોડાક અન્ધશ્રદ્ધાળુ સ્ત્રીપુરુષો ભેગા મળીને ભક્તીના નામે બાવાઓને બગાડે છે. લોકો મદદ ના કરે તો બાવાઓ એકલે હાથે બગડી જ ના શકે.

આ બધું હમણાં હમણાંથી બહું ફુલ્યુંફાલ્યું છે. બાકી ભુતકાળમાં નજર દોડાવો તો સમજાશે કે નર્મદના જમાનામાં અન્ધશ્રદ્ધા હતી; પણ ભાગ્યે જ બાવાઓના આવા આટલાં બધાં બખડજન્તર થતાં. તે જમાનામાં પણ લોકોમાં  અજ્ઞાન, અન્ધશ્રદ્ધા વહેમ, જડતા, કુરીવાજો વગેરે બધું જ હતું; પણ તે આટલી વીસ્ફોટક રીતે સમાજમાં ફેલાઈ નહોતું ગયું. આજે એક જણ વાત વહેતી કરે છે કે ગણપતીએ દુધ પીધું; એટલે લોકો બાટલી લઈને દોડ્યા જ સમજો, એક જણ વાત વહેતી કરે કે રાખડી બાંધવાથી ભાઈનું મૃત્યુ થાય છે; એથી હજારો ભાઈલાઓ પોતાના હાથ પરની રાખડી છોડીને ફેંકી દે છે. (ખરેખર તો તેમણે તેમની એમ. એસસી. ડીસ્ટીક્ન્શનવાળી ડીગ્રીનું સર્ટીફીકેટ ફેંકી દેવું જોઈએ !) કો’કને વેંગણ, બટાકા કે શક્કરીયાંમાં ‘ઓમ’ નો આકાર દેખાય તો દોઢસો સ્ત્રીઓ હાથમાં થાળી, દીવડો, કંકુ, ચોખા વગેરે લઈને લાઈન લગાડી દે છે.

વીચારો જોઉં…! નર્મદના જમાનામાં સન્તોષીમા હતાં ? દશામા હતાં ? વૈભવલક્ષ્મી હતાં ? વાસ્તુશાસ્ત્ર હતું ? રામકથાઓ થતી ? કદાચ ત્યારે અશીક્ષીત માણસ માદળીયું પહેરતો હશે; પણ આજે ડબલ ગ્રેજ્યુએટ થયેલો સાયન્સનો પ્રૉફેસર પણ ગળામાં માદળીયું અને કાંડા પર ‘રક્ષા–પોટલી’ બાંધીને ફરે છે ! ડૉક્ટરોના દવાખાને લીંબુ અને મરચું લટકે છે ! એકવીસમી સદીમાં ઉપગ્રહ છોડવામાં પણ શુભ ચોઘડીયાં જોવાનું આપણે ચુકતા નથી. વીકાસની પ્રક્રીયા જેમ જેમ આગળ વધતી જાય તેમ સમાજે નવા વીચારોનું સ્વાગત કરવું જોઈએ. તેને સ્થાને સમાજ દીનપ્રતીદીન વધુને વધુ અન્ધશ્રદ્ધાળુ બનતો જાય છે. આવું કેમ ? કોણ જવાબદાર છે એ માટે ?

ધુપછાંવ

આપણે અમેરીકાને પેટ ભરીને ગાળ દઈએ છીએ; પણ આપણા કહેવાતા ધંધાધારી ધધુપપુઓ ધર્મને નામે જે કુટણખાનાં અહીં ચલાવે છે તેના કરતાં અમેરીકાની સેક્સવર્કરો વધુ પવીત્ર ગણાય.

-દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 22 મે, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરેમાંથી.. લેખકના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર

સંપર્ક:

-દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગhttp://govindmaru.wordpress.com/

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ– 1–03–2012

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 874 other followers