સૃષ્ટીના શીશમહલના શીલ્પી ત્રણ…
ઈશ્વર, ઈન્સાન અને વીજ્ઞાન
–દીનેશ પાંચાલ
મારાં દાદીમા મર્યાં ત્યાં સુધી પૃથ્વીને ગોળ નહીં સપાટ માનતા રહેલાં. એક વાર મારી વીજ્ઞાનની નોટબુક તેમને વાંચી સંભળાવેલી અને કહેલું: ‘દાદી પૃથ્વી સપાટ નહીં ગોળ છે.’ તેમણે મારા ભોળપણ પર હસી પડતાં કહેલું: ‘ગાંડીયા, તું ભણ્યો; પણ ગણ્યો નહીં. ધરતીમાતા ગોળ નહીં; સપાટ છે અને તે શેષનાગના માથા પર ઉભેલી છે. નાગ ફેણ બદલે ત્યારે પૃથ્વી હાલી ઉઠે છે એથી ધરતીકંપ થાય છે!’ કચ્છમાં ધરતીકંપ થયેલો ત્યારે મને દાદીમાના શબ્દો યાદ આવેલા.
અમારી કામવાળીને ત્રીકોણના ત્રણ ખુણાનો સરવાળો 180 અંશ થાય તેની ખબર નથી. બાજુવાળા ગંગાકાકીને એ વાતની ખબર નથી કે સ્ત્રીને બાળકી જન્મે એમાં સ્ત્રી નહીં; પુરુષ જવાબદાર હોય છે. અરવીન્દભાઈને ત્યાં ચંચળબહેન અડધા દહાડા ફ્રીઝનો દરવાજો પુરો ઢાંકતાં નથી. અને લાઈટબીલ વધારે આવે ત્યારે લાઈટવાળા સાથે લડે છે. માણસનાં ઘણાં અજ્ઞાન બીનઝેરી સાપ જેવાં હોય છે. તે ખાસ નુકસાન નથી પહોંચાડતાં. દાદીમાને તેમનાં અજ્ઞાને છેલ્લે સુધી કોઈ હાની પહોંચાડી ન હતી.
છેલ્લાં અઢીસો વર્ષોમાં વૈજ્ઞાનીક પ્રગતીને કારણે અદ્ ભુત સંશોધનો થયાં. આજે વીજ્ઞાન વીશ્વનું વીશ્વકર્મા બની ગયું છે. વીજળીની શોધ બહુ પાછળથી થયેલી. તે પુર્વે 1769માં ઈંગ્લૅન્ડના જેમ્સ વૉટે સ્ટીમ એન્જીનની શોધ કરી હતી. કહે છે: ઉકળતા પાણીની વરાળથી વાસણ પરનું ઢાંકણ ઉથલી પડ્યું અને તેમને વીચાર આવ્યો, વરાળથી ઢાંકણ ઉથલી શકતું હોય તો એ શક્તીનો અન્ય કામોમાં પણ ઉપયોગ કરી શકાય. અને એમણે સ્ટીમ એન્જીનની શોધ કરી. ગૃહીણીઓ આજે કુકર વાપરે છે તે જેમ્સ વૉટે કરેલી શોધની લેટેસ્ટ એડીશન છે. માનવજાતને આજે ખોડીયાર માતા કરતાં વરાળ માતા વધુ ઉપયોગી છે. વર્ષો સુધી આપણી ફ્લાઈંગરાણી અને ગુજરાત એક્ષપ્રેસ સ્ટીમ એન્જીનના ઓશીયાળાં રહ્યાં હતાં. વીજળીની શોધથી માણસના ઘરમાં કોડીયાં અને ફાનસો દુર થયાં તે રીતે ટ્રેનો પણ વરાળની હૈયાવરાળમાંથી મુક્ત થઈ શકી. યુરોપમાં થયેલી ઔદ્યોગીક ક્રાન્તીમાં પૈડાંની શોધે જે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, તેવો ભાગ વીજળીએ વીશ્વના વીકાસમાં ભજવ્યો. આજે શહેરના કોઈ આલીશાન થીયેટરમાં આપણે ફીલ્મની મોજ માણીએ છીએ ત્યારે એ યાદ કરતાં નથી કે ફ્રાંસના લ્યુમીયર બંધુઓએ 1895માં ચલચીત્રની શોધ કરી હતી. વર્ષોપુર્વે વાંસદાની પ્રતાપ ટોકીઝમાં મેં પહેલી વાર ‘બહોત દીન હુએ’ નામની ફીલ્મ પાંચ આનામાં જોયેલી. મારા રોમાંચનો પાર રહ્યો ન હતો. પછી ફીલ્મોનું વ્યસન થઈ પડેલું. વાંચવા માટે મીત્રોને ત્યાં જાઉં છું, એમ કહીને તેમની જોડે ટોકીઝમાં ઘુસી જતો. ભીનાર ગામના મારા આદીવાસી લંગોટીયા મીત્રો બ્લૅક એન્ડ વ્હાઈટ ફીલ્મ જોતી વેળા મોટેથી બુમો પાડતા : ‘કલર છોડ… કલર છોડ… !’ હું પણ તેમને સાથ આપતો.
1895માં જ ઈટલીના માર્કોનીએ રેડીયો સીગ્નલ મોકલવામાં સફળતા મેળવેલી. અને તેને પગલે આપણને રેડીયો મળ્યો. આજે રેડીયો મીર્ચીની મજા માટે આપણે માર્કોનીના ઋણી છીએ. રેડીયોથી કેવળ મનોરંજન જ નહીં; માહીતીની દુનીયામાં પણ જબરજસ્ત ક્રાન્તી થઈ. 1927માં ફ્રેશ વર્થે ટીવીની શોધ કરી. તે કારણે રેડીયોનો જાણે મૃત્યુઘંટ વાગી ગયો. ટ્યુબલાઈટો આવતાં ફાનસો ખુણામાં જઈ પડ્યાં હતાં; તેમ ટીવીએ રેડીયોને ખુણામાં હડસેલી દીધો. પરન્તુ એ શોધનું વૈજ્ઞાનીક મુલ્ય જરા ઓછું ન હતું. પ્રત્યેક પ્રાથમીક સંશોધન નીસરણીના પહેલા પગથીયા જેટલું મહત્ત્વ ધરાવે છે. માણસ સીધો નીસરણીના છેલ્લે પગથીયે પહોંચી શકતો નથી.
આઈસ્ક્રીમ ઉનાળાનું અમૃત કહેવાય. હવે એ ઘરે બનાવી શકાય છે. એ અમૃતમન્થન ઈ.સ. 1850માં ફ્રીઝની શોધથી શક્ય બન્યું હતું. આપણે આઈસક્રીમ ખાતી વેળા પત્નીને ધન્યવાદ આપીએ છીએ; પણ ફ્રીઝના શોધકનો વીચાર આવતો નથી. માણસ ગણતરીના કલાકોમાં વીમાન દ્વારા મુમ્બઈથી લંડન પહોંચી જાય છે. લંડનના એરપોર્ટ પર ઉતર્યા પછી પહેલો આભાર ભગવાનનો માને છે; પણ રાઈટ બ્રધર્સને કોઈ યાદ કરતું નથી. 1930માં રાઈટ બ્રધર્સને ઉડતાં પક્ષીઓને જોઈ વીચાર આવ્યો : પક્ષીઓ ઉડી શકે છે તે રીતે માણસો કેમ ઉડી શકતાં નથી ? એ પ્રશ્નને પગલે થયેલા અનેક પ્રયોગો બાદ વીમાનની શોધ થઈ. અરવીન્દભાઈનો દીકરો અમેરીકામાં છે. એથી તેઓ જમ્બોજેટમાં ઘણીવાર બેઠા છે. તેઓ કહે છે : ‘પીટ્મૅન’ નામના માણસે શોર્ટહૅન્ડ લીપીની શોધ કરી હતી, તેથી શોર્ટહૅન્ડને ‘પીટ્મૅન શોર્ટહૅન્ડ’ કહેવાય છે. બ્રેઈલ નામના માણસે અન્ધજનોની લીપી શોધી હતી, તેથી તેને ‘બ્રેઈલ લીપી’ના નામથી ઓળખવામાં આવે છે. એ રીતે રાઈટ બ્રધર્સની પુણ્યસ્મૃતીને ચીરંજીવ રાખવા સરકારે જમ્બોજેટનું નામ ‘જમ્બો રાઈટ’ રાખવું જોઈએ. એવું થઈ શકે તો તે રાઈટ બ્રધર્સનું શ્રાદ્ધ કરવા જેવી પવીત્ર બાબત બની રહે. હવે એ પ્રશ્ન પર વીચારો કે જે વીજ્ઞાની, માણસોને પક્ષી કરતાંય વધુ ઉંચાઈએ ઉડવાની સીદ્ધી અપાવે તેનું શ્રાદ્ધ કરવાની જરુર રહે ખરી ? મોરારીબાપુને કદીક મળવાનું બને તો શીષ્યભાવે પુછવું છે : ‘રામાયણમાં પુષ્પક વીમાનનો ઉલ્લેખ આવે છે. તો રાઈટ બ્રધર્સ રામાયણ પહેલાં જન્મ્યા હતા કે પુષ્પક વીમાનની શોધ રાઈટ બ્રધર્સ પુર્વે કો’ક બીજા કરી ચુક્યા હતા ?’
1955માં રશીયાએ સ્પુટનીકની શોધ કરીને અવકાશયુગનાં દ્વાર ખોલી આપ્યાં. એ શોધને કારણે માનવી બ્રહ્માંડને બારણે ટકોરા મારતો થયો. 1971માં થયેલી માઈક્રોચીપ્સની શોધે છેલ્લાં 39 વર્ષમાં માહીતીની દુનીયામાં ક્રાન્તી સર્જી. કમ્પ્યુટર, ટેલીકૉમ્યુનીકેશન અને સેટેલાઈટ સંદેશાવ્યવહારનો ઘણો વીકાસ થયો. 1990ના દાયકામાં અર્થાત્ છેલ્લાં 20 વર્ષમાં વર્લ્ડવાઈડ વેબ બ્રાઉઝર આવતાં ઈન્ટરનેટમાં તહેલકા મચાવી દેતી શોધ થઈ. કમ્પ્યુટર અને ઈન્ટરનેટ એ વીજ્ઞાનદેવતાનાં અનન્ય આશીર્વાદ સમાં છે.
ભારતમાં પણ કેટલીક શોધો થઈ હતી. સદીઓ પુર્વે નગરરચના, આયુર્વેદ, નક્ષત્રોનું ગણીતશાસ્ત્ર, શઢવાળાં વહાણો વગેરેની શોધ થઈ હતી. શુન્યની શોધ ભારતમાં આર્યભટ્ટે કરી હતી. બચુભાઈ કહે છે : ‘શુન્યની શોધનો સૌથી મોટો ગેરલાભ અભ્યાસકાળ દરમીયાન મેં માર્કશીટમાં વેઠ્યો હતો !’
આ બધી તવારીખો પરથી ફલીત થાય છે કે માનવ ઈતીહાસનાં વીતેલાં હજાર વર્ષોમાં, મોટા ભાગની શોધો છેલ્લાં 250 વર્ષમાં થઈ છે. વીસમી સદી વીજ્ઞાનનો સુવર્ણયુગ બની ગઈ હતી. વીજ્ઞાને માણસને સુખી કરવામાં પાછું વળીને જોયું નથી; પણ અફસોસ એ વાતનો છે કે આપણા કેટલાક કહેવાતા ધર્મગુરુઓ વીજ્ઞાનને પેટ ભરીને ગાળો દે છે ! એક કથામાં એક સન્ત બોલ્યા હતા : ‘વીજ્ઞાને સર્જેલાં ભૌતીક સુખોથી માણસ ઈશ્વરવીમુખ થઈ ગયો છે. વીજ્ઞાને માણસને માણસ નહીં; મશીન બનાવી દીધો છે. વીજ્ઞાન જેવી ખરાબ બાબત બીજી એકે નથી. વીજ્ઞાન કળીયુગનો જીન છે !’ સ્થીતી એ હતી કે સન્તની કથા માઈક દ્વારા લાખો માણસોને સંભળાઈ રહી હતી, ક્લોઝ સર્કીટ ટીવી દ્વારા હજારો માણસો જોઈ રહ્યા હતા અને કેબલના લાઈવ ટેલીકાસ્ટ દ્વારા ઘરેઘર પહોંચી રહી હતી. વીજ્ઞાનનો ભરપુર ઉપયોગ કરવા છતાં એ સન્ત મહાશય વીજ્ઞાનને ભાંડી રહ્યા હતા તે હાસ્યાસ્પદ લાગતું હતું. જાણે પાણીમાંથી ડોકું ઉંચું કરીને માછલી કહેતી હોય : પાણી જેવી નકામી ચીજ બીજી એકે નથી. માણસે કૃત્રીમ હાથ બનાવ્યા. પગ બનાવ્યા. આંખ, કાન, નખ બનાવ્યાં. ત્યાં સુધી કે હૃદયનું પ્રત્યારોપણ પણ હવે શક્ય બન્યું છે. તે માટે આપણે મુળ તો આલમના અસલી આર્કીટૅક્ટ(સાયન્સ અને ટેકનૉલોજી)ના ઋણી છીએ.
ઈશ્વર ક્યાં હશે… કેવો હશે… આપણે કદી જોયો નથી. પરન્તુ ભગવાન વીજ્ઞાનીઓના સ્વરુપમાં માણસને મળી જાય છે. ઈશ્વરને પામવાની રીતમાં થોડું મૉડીફીકેશન લાવવાની જરુર છે. પ્રભુને પામવાના ધમપછાડાઓ હવે બદલાવા જોઈએ. રામાયણ અને મહાભારતની સીરીયલોમાં માથે મુકુટવાળા દેવતાઓને આપણે સદીઓથી ભગવાન માનતા આવ્યા છીએ. પરન્તુ ઈશ્વરને શોધવા માટે મન્દીર, મસ્જીદ, ચર્ચ કે ગીરજાઘરોમાં ફાંફાં મારવાને બદલે આપણી આસપાસ જ નજર કરવી રહી. ‘न जाने कीस वेशमें नारायण मील जाय… !’
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોક્પ્રીય કટાર ‘જીવન–સરીતાના તીરે’માં, ‘વ્યક્તી, સંસ્થા અને સમાજ’ વીશે પ્રેરક નીબન્ધો લખીને લોકપ્રીય થયેલા આ સર્જક– વીચારકના નવા પુસ્તક‘તનકતારા’ (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380 001 – ફોન: 079-2214 4663 ઈ-મેઈલ: goorjar@yahoo.com પૃષ્ઠઃ 14 + 164; મુલ્યઃ 100/- રુપીયા)માંથી આ લેખ, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508
♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/
♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ– 27–05–2011
●♦●♦●♦●


