નવસારીમાં યોજાનાર સાહીત્ય પરીષદનું અધીવેશન
August 4, 2009 by ગોવીંદ મારુ
નવસારીમાં આગામી ડીસેમ્બરમાં-’૦૯ (તારીખ-૨૫,૨૬ અને ૨૭મી દરમીયાન) ત્રણ દીવસ માટે ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્રસ્ટ’ તરફથી સાહીત્ય પરીષદનું અધીવેશન યોજાઈ રહ્યું છે. કહે છે કે ધગધગતા ઉનાળામાં તરસ્યા વટેમાર્ગુને પાણીની પરબ મળી જાય તો તેણે ભગવાનની સાથોસાથ પાણીની પરબ માંડનારનો પણ આભાર માનવો જોઈએ. નવસારીનાં પત્રકાર ચંદ્રકાંત પંડ્યાના નીધન બાદ સાહીત્યની એવી પરબ માંડવાનું પવીત્ર કામ ‘પંડ્યા પરીવારે’ કર્યું છે. નવસારી નગરી આમેય સ્વ. પંડ્યાજીની ઋણી છે. ચાળીશ વર્ષ સુધી ‘ગુજરાતમીત્ર’ માં સેવા આપનાર પંડ્યાજીએ નવસારીમાં અનેક સમાજસેવાના કામો કર્યા છે. પરંતુ મને અંગત રીતે એક વાત ઘણી ગમેલી. અને તે એ કે પંડ્યાજીના મૃત્યુ પછી એમના પરીવારે ‘રૅશનાલીઝમ’ની દીશામાં અત્યંત જીવંત ઉદાહરણ પુરું પાડ્યું હતું. પરીવારે ક્યારેય રૅશનલ હોવાનો દાવો કે હોબાળો મચાવ્યો નથી. છતાં પ્રખર રૅશનાલીસ્ટોને પણ આંબી જાય તેવું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. પંડ્યાજીના નીધન બાદ તેમણે બેસણું, બારમું તેરમું, શ્રાદ્ધ કે છમાસી–વરસી જેવો એક પણ ક્રીયાકાંડ કરાવ્યો ન હતો. એ માટે ખાસ તો સ્વ.નાં પત્ની કપીલાબહેન વીશેષ અભીનંદનના અધીકારી છે. પરીવાર આખો ભલે રૅશનલ વીચારો ધરાવતો હોય પણ મૃતકનાં પત્નીની લાગણીને ધ્યાનમાં રાખીને દીકરાઓને ના–છુટકે કર્મકાંડો કરાવવાં પડતાં હોય છે. પરંતુ કપીલાબહેન આજે ખુદ કહે છે- ‘મારા ગયા બાદ પણ તમે આવી કોઈ વીધી કરાવશો જ નહીં’.
ઘણીવાર એવું બનતું હોય છે કે આવી ઘટનાઓમાં રૅશનાલીઝમ છુપાયું છે કે પૈસા બચાવવાની તરકીબ, તે ઝટ કળી શકાતું નથી. ‘અમે એ બધામાં માનતાં નથી’- એમ કહીને કેટલાક લોકો ચાલાકીપુર્વક એક કાંકરે બે પક્ષી મારી લે છે. સુધારાવાદના ઓઠા હેઠળ ગજવાને વેતરાતું બચાવી લેવું એ વ્હાઈટ કોલર ચાલાકી ગણાય. એમાં બે ફાયદા થાય. પૈસા બચે અને પોતાના નામ પર સુધારાવાદી હોવાનો સીક્કો લાગે. પણ ઉંડી તપાસ કરો તો જાણી શકાય કે તેમને રૅશનાલીઝમ સાથે સ્નાનસુતકનો સંબંધ હોતો નથી. પરંતુ પંડ્યા પરીવારે કશા હોબાળા કે જાહેરાત કર્યા વગર રૅશનાલીઝમનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું હતું. એમણે મરણોત્તર કર્મકાંડનો ખર્ચ તો ન જ કર્યો પણ તેનાથી દસ ગણા પૈસા શાળા વગેરેમાં દાનમાં આપ્યા. આનાથી ઉત્તમ પીતૃતર્પણ બીજુ કયું હોય શકે ?
અહીં એક આડ મુદ્દા તરફ વાચકમીત્રોનું ધ્યાન દોરવું છે. સમાજમાં ૯૯ ટકા લોકોની માનસીકતા એવી હોય છે કે આપણે પીતાજીનું શ્રાદ્ધ ન કરાવીશું તો સમાજ શું કહેશે ? વળી સદ્ ગતનો જીવ અવગતે જશે તો આપણા કુટુંબ પર કોઈ આફત આવશે. પણ એવી કોઈ જ ફીકર કર્યા વીના માણસ પોતાને સમજાયેલા રૅશનલ સત્યને આધારે જીવે એમાં સમાજને (લાડવા ખાવા ના મળે એ સીવાય બીજું) કોઈ નુકસાન છે ખરું ? યાદ રહે સ્વ. શ્રી ચંદ્રકાંત પંડ્યાજી પોતે આસ્તીક હતા. એમનો આખો પરીવાર સંપુર્ણ આસ્તીક છે. છતાં એમણે આવું રૅશનલ પગલુ ભર્યું. હવે જરા વીચારો, આટલું ઉત્તમ રૅશનાલીઝમ અપનાવ્યા બાદ તેઓ આજીવન ભગવાનમાં માનતા રહે તેમાં રૅશનાલીઝમને કોઈ નુકસાન છે ખરું?
મને હંમેશાં લાગ્યું છે કે ઈશ્વરને ભજવા ન ભજવા કરતાં માણસ સમાજની વચ્ચે કેવી રીતે જીવે છે. તે વાતનું મહત્ત્વ વધારે છે. સ્વ. શ્રી પંડ્યાજીએ નવસારીમાં રેડક્રૉસ સોસાયટીની બ્લડબૅન્કથી માંડી નવચેતન સાહીત્ય મંડળ કે યોગા ક્લબ વગેરેની સ્થાપના કરી હતી. નવસારીના વીકાસના દર ચોથા કામમાં પંડ્યાજીનો ફાળો હતો. વર્ષો સુધી તેઓ એક માત્ર ‘ગુજરાતમીત્ર’ના પત્રકાર રહ્યા હતા. મર્યા બાદ એમના જયેષ્ઠ પુત્ર શ્રી સતીશ પંડ્યાએ પણ જ્યોતીસમાજમાં એ જ પ્રકારની સમાજ સેવા ચાલુ રાખી છે. રોટરી ક્લબમાં પણ સાહીત્યીક ગોષ્ઠીઓના સંચાલનમાં તેમની વીશેષ ભુમીકા રહેતી હોય છે. આગામી ડીસેમ્બરમાં નવસારી ખાતે યોજાનાર ગુજરાતી સાહીત્ય પરીષદના અધીવેશનની જવાબદારી ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્ર્સ્ટે’ ઉપાડી છે. આ પુર્વે પણ બાનો ભીખુના ટ્રસ્ટ દ્વારા નવસારીમાં ગઝલસત્ર યોજાયું હતું.
ગુજરાતી સાહીત્ય પરીષદનું પહેલું અધીવેશન ૧૯૫૭માં નવસારીના અતીસુખશંકર ત્રીવેદીના યજમાનપદે મળ્યું હતું. બાવન વર્ષ પછી ફરી નવસારીને આંગણે સારસ્વતોનો કુંભમેળો ભરાઈ રહ્યો છે તેનો યશ ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્ર્સ્ટ’ ને ફાળે જાય છે. સ્વ. પંડ્યાજીએ નવસારીને ચરણે પોતાનું જીવન સમર્પીત કરી દીધું હતું. નવસારીમાં ગણ્યા ગણાય નહીં એટલાં કામો એમણે કર્યા છે. બસ એ જ કારણે એમના પત્ની કપીલાબહેનના નામ અગળ ગં. સ્વ. વીશેષણ લગાડવાનું ઉચીત નથી લાગતું. જેઓ સતત જાહેરજીવનમાં રહીને શહેર માટે જાત ઘસી નાખે, ચોતરફથી ભારે લોકચાહના મેળવીને ગૌરવભેર વીદાય લે, એવા પ્રતીષ્ઠીત પુરુષની પત્નીનું સૌભાગ્ય આજીવન અખંડ રહેતું હોય છે. અમારા બચુભાઈ કહે છે– ‘રામચન્દ્રજીની પત્નીના નામ આગળ કદી ગં. સ્વ. શબ્દ લગાડી શકાય ખરો ? ગં. સ્વ. કસ્તુરબા એમ બોલવાનું પરવડે ખરું ? જેઓ જીવતાં જીવત તેમનાં સદ્કર્મો દ્વારા અમર થઈ જાય તેઓ લોકહ્રદયમાં સદા અમર બની રહે છે. સ્વ. ચંદ્રકાંત પંડ્યાના સંદર્ભે ગની દહીંવાળાની પ્રસ્તુત પંક્તીનું સ્મરણ થાય છે. ‘જીન્દગીનો એ જ સાચો પડઘો છે ગની… હોય નહીં વ્યક્તી ને એનું નામ બોલાયા કરે…!’
સાહીત્ય પરીષદનું અધીવેશન નવસારીમાં યોજાઈ રહ્યું છે ત્યારે એક બીજી ચર્ચા સમયસરની ગણાશે. મા સરસ્વતીના પવીત્ર સાહીત્ય ક્ષેત્રમાં આજે સ્થીતી ખાસ ગૌરવ લઈ શકાય એવી રહી નથી. બધાં ક્ષેત્રોમાં મુલ્યોનું ધોવાણ થયું છે. તેમ સાહીત્યમાંય થયું છે. જુની પેઢીના સર્જકો પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર, ગૌવર્ધનરામ ત્રીપાઠી, રવીન્દ્રનાથ, શરદબાબુ વગેરેનું પ્રદાન સાત્ત્વીક અને ચીરસ્મરણીય રહ્યું હતું. તેમનાં સર્જનમાં જીવન ધબકતું હતું. આજના બહુધા સર્જકો વાડાબંધીનો ભોગ બન્યા છે. સાહીત્યક્ષેત્રે પૈસા લઈને કરવામાં આવતા મૈત્રીવીવેચનોનું પ્રદુષણ વધ્યું છે. રોયલ્ટી તો ઠીક, લેખકની બુદ્ધીશક્તીનું પારીશ્રમીક ગણાય એથી લેખક રોયલ્ટી ઝંખે તે અનુચીત નથી; પરંતુ એથી આગળ વધીને એવોર્ડો મેળવવા કેવા પેંતરા કરવા… પઠ્યપુસ્તકોમાં પોતાની કૃતીનો સમાવેશ કેવી રીતે કરાવવો… અથવા પોતાના પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે કેવી રીતે ઘુસાડવું એવી બધી જ મેલી વીદ્યામાં આજનો લેખક પારંગત થઈ ગયો છે.
કહેવાતા ટોચના ધુરંધર સાહીત્યકારો વીશે પણ ઘણાં ઘૃણાસ્પદ સત્યો બહાર આવે છે. સાહીત્યકારો સાથે સાધારણ માણસનો અંતરંગ સંબંધ તુટી રહ્યો છે.
ગૌવર્ધનરામ ત્રીપાઠીના સરસ્વતીચંદ્રનો લોકજીવન પર એવો ગાઢ પ્રભાવ હતો કે લોકો તેમની નવલકથાનાં પાત્રોનાં નામ પરથી પોતાનાં સંતાનોનાં નામ રાખતા. આજે લેખકની કલમ અને કલ્પનામાં એવું કૌવત રહ્યું નથી. મા સરસ્વતીનું ક્ષેત્ર ‘લીયા… દીયા’ જેવું સ્ટોક એક્સચેંજ બની ચુક્યું છે. માતબર અખબારો અથવા મેગેઝીનો પુરસ્કારનું પ્રપંચયુદ્ધ ખેલી સારસ્વતોને ખરીદે છે અને લેખકો પણ વફાદારી નેવે મુકી અહીંથી તહીં દોડાદોડી કરે છે. પોલીટીક્સમાં રાજકારણીઓ વેચાય છે. સાહીત્યક્ષેત્રમાં સાહીત્યકારો વેચાય છે. સાહીત્ય ક્ષેત્રમાં સરસ્વતીની સંપુર્ણ આણ પ્રવર્તવી જોઈએ. તેને બદલે સરસ્વતીનો સુરજ લક્ષ્મીજીના ગાઢ વાદળ ઓથે ઢંકાઈ ગયો છે. સાહીત્ય પરીષદમાં ભેગા થનારા લેખકો કેવળ સાહીત્યની ક્વૉલીટીની જ નહીં આજના લેખકોની ક્વૉલીટીની પણ ચર્ચા કરે તે જરુરી છે.
: ધુપછાંવ :
એકવાર ચંદ્રકાંત પંડ્યાજીએ ‘ગુજરાતમીત્ર’ને લખ્યું મારી વયવૃદ્ધીને કારણે હું આપને પત્રકાર તરીકેની સેવા આપી શકતો નથી. એથી હવે મને પુરસ્કાર મોકલવાનું બંધ કરો. ‘ગુજરાતમીત્રે’ ઉત્તર વાળ્યો- ‘તમે આખુ જીવન અમારે ત્યાં સેવા આપી છે. અમે અમારા સ્ટાફને અમારા સ્વજન ગણીએ છીએ. એથી આપની સેવાની કદર રુપે આપને નીયમીત પુરસ્કાર મોકલવો એ અમારી ફરજ બને છે!’
શ્રી પંડ્યા પરીવારે જણાવ્યું કે અંત સુધી ગુજરાતમીત્રે એ ફરજ બજાવી હતી. અખબાર અને પત્રકાર પરસ્પર માટે કેવું પવીત્ર સૌજન્ય દાખવી શકે છે તેનું આ વીરલ ઉદાહરણ છે.
- દીનેશ પાંચાલ ‘જીવન સરીતના તીરે’ કોલમ
તા 2 ઓગસ્ટ, 2009ના સુરતના ‘ગુજરાતમીત્ર’, દૈનીકની રવીવારીય પુર્તી માં વર્ષોથી પ્રગટતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતના તીરે’ ના સૌજન્યથી સાભાર…..
સંપર્ક:
શ્રી. દીનેશ પાંચાલ, સી-૧૨, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : (02637) 242 098 Mobile-94281 60508
Posted in મીત્રોના લેખ/કવીતા | 18 Comments
Leave a Reply
સુંદર લેખ… અધિવેશનની તારીખ ?
” નવસારીમાં આગામી ડીસેમ્બરમાં-’૦૯ (તારીખ-૨૫,૨૬ અને ૨૭મી દરમીયાન) ત્રણ દીવસ માટે ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્રસ્ટ’ તરફથી સાહીત્ય પરીષદનું અધીવેશન યોજાઈ રહ્યું છે. ”
લેખની શરુઆતમાં તારીખ નીર્દેશ કરેલ છે જ. જે વંચાણે લેવા વીનંતી છે.
આભાર.
આખો લેખ સડસડાટ વાંચી ગઈ એમાં પહેલી જ લીટી વાંચી હશે તોયે ધ્યાન બહાર રહી ગઈ…
આભાર ગોવિંદભાઈ.
ગોવિંદભાઈ દરેક લેખની જેમ જ સુંદર લેખ. સાહિત્ય અને એની પવિત્રતા પ્રત્યેની તમારી લાગણીને વંદન. લોભી અને દંભી સાહિત્યકારોની નામ લીધા સિવાય સારી જાટકણી કરી છે. સાહિત્ય-સર્જન આવકનું સાધન હોઈ શકે પણ ધનપ્રાપ્તીનું વાહન ન હોઈ શકે.
બહુ જ ઉપયોગી લેખ. હાર્દીક અભીનંદન.
દયાળભાઈ કેસરીના “આઝાદીની ગૌરવગાથા” પુસ્તકમાં નીચે મુજબ નવસારીમાં ભરાયેલી સાહીત્ય પરીષદનો ઉલ્લેખ છે, પણ એ કયા વર્ષમાં ભરાયેલી તે જણાવ્યું નથી.
“ખાદીનાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલાં યુવકયુવતીઓ સરઘસમાં નીકળતાં ત્યારે આકર્ષક લાગતાં. નવસારીમાં સાહિત્ય પરિષદ ભરાયેલી ત્યારે ઉમાશંકરભાઈએ એની સરસ નોંધ લીધી છે. ખાદી પહેરનારાઓમાં દેશાભિમાન કળાતું.”
આ નોંધ નવસારી કાંઠાવીભાગમાં ખાદીના વપરાશ સંદર્ભે કરવામાં આવી છે. પણ કયા સમયે તેનો કોઈ અણસાર મળતો નથી. જો કે હું ૧૯૭૪માં અહીં ન્યુઝીલેન્ડ આવ્યો ત્યાં સુધી મારી જાતે કાંતેલી ખાદી વાપરતો. આથી આ ઉલ્લેખ કદાચ ૧૯૫૭માં ભરાયેલી પરીષદ સમયનો હોઈ શકે.
સરસ લેખ . ગમ્યો.
વધતા જતા નેટના ઉપયોગ જોતાં મારા તમારા જેવા સામાન્ય માણસો માટે ઈ-પુસ્તક એ સૌથી સરળ માર્ગ છે. લખનાર, વાંચનારને કોઈ જ ખર્ચ નહીં અને આખી દુનીયામાં મફત અને તાત્કાલીક વીતરણ
We must appreciate the family& specially Kapilaben for this rational & uniqe step .Everybody must follow this type activitis for society & should not follow rituals which are useless & unproductive .
પંડ્યાજી તથા તેમના પરિવારને ધન્યવાદ.
Pandya family has followed / is following an exemplary path. VANDANS to them.
Ganga Swarup is not appropriate to any widow whether rational or otherwise.
It is difficult to judge why someone is going after blind faith. Man has to live in a society and many a times personal circumstances forces someone to act against his/her wish. We wish many people become brave and fearless.
મને હંમેશાં લાગ્યું છે કે ઈશ્વરને ભજવા ન ભજવા કરતાં માણસ સમાજની વચ્ચે કેવી રીતે જીવે છે. તે વાતનું મહત્ત્વ વધારે છે………
સ્વ. શ્રી પંડ્યાજીએ નવસારીમાં રેડક્રૉસ સોસાયટીની બ્લડબૅન્કથી માંડી નવચેતન સાહીત્ય મંડળ કે યોગા ક્લબ વગેરેની સ્થાપના કરી હતી. નવસારીના વીકાસના દર ચોથા કામમાં પંડ્યાજીનો ફાળો હતો. વર્ષો સુધી તેઓ એક માત્ર ‘ગુજરાતમીત્ર’ના પત્રકાર ….. હતા……..
Govindbhai, bu publishing this article, you had brought light to the Life of Late Pandiyaji..a person who was involved in JANSEVA…& performed his Duties as a Journalist..& died with a message of the REFORM in the Hindu Society..a message boldly executed by his wife. My salutations to the Entire Pandiya Parivar !
My village, Vesma, is close to Navsari & I am HAPPY that the Sahitya Parisad will be in NAVSARI.
Besr Wishes !>>>>CHANDRAVADAN. ( CHANDRAPUKAR )
http://www.chandrapukar.wordpress.com
ગોંવિદભાઈ,
ખુબ જ સરસ લેખ !!
હું તમારી એક વાત સાથે સહમત છું અને મેં નોંધયું છે સાહિત્યકારો પણ રાજકારણ ખેલતાં થઈ ગયા છે ! એવોર્ડ મેળવવા માટે તો તેવો પુરેપુરું રાજકારણ ખેલે છે. પાઠયપુસ્તક માં પોતાનો પાઠ ઘુસાડવા અવનવાં અખતરાં કરે છે, તે પણ સાવ સાચી વાત છે.
અરે, પ્રકાશકો નવા ઊગતાં સાહિત્યકારો ને પોતાની ઓફિસમાં ઘૂસવાં દેતાં નથી, તેમની લખેલ કૃતિઓનો ટેબલ પર ઘા કરી દે છે, તેમને પ્રોત્સાહન આપતાં નથી. અરે મેં ત્યાં સુધી જોયું છે કે કેટલાંક સાહિત્યકારો આ પ્રકાશકો ને પોતાનાં પુસ્તક છાપવાં માટે નો તમામ ખર્ચો ઉપરાંત લેખક-કવિ પોતે ઉલ્ટાં સામે થી પ્રકાશક ને પુરસ્કાર આપે છે, કામ માત્ર – ખાલી તે પ્રકાશન સંસ્થા નું પ્રકાશક તેરીકે નામ અને પુસ્તક નું વિતરણ કરવાનું !! આમાં ઊગતાં સર્જકો શું કરે કયાં જાય?!
કેટલાંક અખબારો-મેગેઝિન નાં તંત્રીઓ અને પ્રકાશકો એમ માને છે કે જાણીતા સર્જકની કૃતિઓ છાપવાંથી તેમનું વેચાણ ખુબ સરસ થશે, પણ ભાઈ નવિદિતને પણ થોડીક જગ્યાં ફાળવી દોને?!
sundar lekh ..
navsari ma yojanar aa prasang vishe jaani ne aanand thayo..
Dear Maruji,
Good newws..and happy to about Pandyaji”s family.
thanks..
Prakash shukla
માહિતી આપવા બદલ આભાર.
સુંદર માહિતી સભર લેખ…….. નવસારીની સાહ્રિત્ય પ્રેમી જનતા માટે ખુશીના સમાચાર
નવસારીનાં પત્રકાર ચંદ્રકાંત પંડ્યા વિશેની માહિતી વાંચી અને તેમની ૫તિભા જાની
સુંદર લેખ વાંચવાનું ગમે અને અંદરથી કાઇ મેળવવાનું ગમે તેવો માહિતી સભર લેખ
મલેક ફેમીલી તરફથી અભિનંદન
dear maruji,
nice informative article:સાહીત્યક્ષેત્રે પૈસા લઈને કરવામાં આવતા મૈત્રીવીવેચનોનું પ્રદુષણ વધ્યું છે….અથવા પોતાના પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે કેવી રીતે ઘુસાડવું એવી બધી જ મેલી વીદ્યામાં આજનો લેખક પારંગત થઈ ગયો છે..real gujatati literaty scene, isn’t it?
himanshupatel555.wordpress.com
નવસારીમાં યોજાનાર સાહિત્ય પરિષદનાં અધિવેશન અન્વયે શુભકામાનાઓ.
જ્યારે નવસારી હતો ત્યારે વારંવાર પંડ્યા સાહેબને મળવાનું થતું.
હું ખેતીવાડી કોલેજમાં એન એસ એસનું સંભાળતો હતો. એટલે પણ મળતો.
હવે એક વિનંતી.
સયાજી લાયબ્રેરી વિશે પણ માહિતી આપવા જેવી છે. નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીનો વૈભવશાળી ઈતિહાસથી બ્લોગ જગત પરિચિત થાય તો મજા આવે.