Feeds:
Posts
Comments

Archive for February, 2009

        બાળક બે કે અઢી વર્ષનું થાય ત્યાં તો તેને અંગ્રેજી માધ્યમમાં શીક્ષણ આપવાનો ‘મેનીયા’ પ્રચલીત થયો છે. ખાસ કરીને કહેવાતા ‘નીઓરીચ’ સમાજમાં આ દેખાદેખીનો ‘મેનીયા’ અવૈજ્ઞાનીક તો છે તેટલો જ અવ્યવહારુ અને બાળકોના માનસીક વીકાસને રુંધનારો છે.

       મોટાભાગના કુટુંબોમાં ઘરોમાં અંગ્રેજીનો વપરાશ સાવ જ ઓછો હોય છે. અને કેટલાક ઘરોમાં તો કુટુંબના મોટાભાગના સભ્યો અંગ્રેજી જાણતા હોતા નથી છતાં પોતાનું બાળક પટપટ અંગ્રેજી બોલે એ જાણીને ફુલાતા હોય છે. પણ તેઓ સાથે એટલું ભુલી જાય છે કે પોતાની માતૃભાષામાં બાળક જેટલું ગ્રહણ કરી શકે- સમજી શકે તેટલું બીજી ભાષામાં નહીં.

       વૈજ્ઞાનીક ર્દષ્ટીએ પુખ્ત વયની વ્યક્તીનો જેટલો વીકાસ પહેલા છ વર્ષમાં થતો હોય છે. તે જે જુએ સાંભળે બોલે તે બધું જલ્દી ગ્રહણ કરે છે. તો આ ગ્રહણ શક્તીને અવરોધરુપે આપણે બોજો શા માટે લાદવો જોઈએ ?

       દુનીયાના મોટાભાગના દેશોમાં બાળકોને શીક્ષણ પોતાની માતૃભાષામાં જ આપવામાં આવતું હોય છે તો આપણે ત્યાં ઉલ્ટીગંગા શા માટે ? હા. બીજી ભાષા તરીકે પુખ્ત થતાં તે ભલે શીખે. બદલાતા યુગ સાથે ઘણીબધી ભાષાઓ જાણવી જરુરી ખરી પણ તે પુખ્તતા આવ્યા પછી જ.

-આર. કે. મહેતા

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૫૮

Read Full Post »

‘સ્ત્રી શક્તીનો પરચો’ (આ લખનારની પોષ્ટ તા.૧૬/૦૧/૨૦૦૯) અન્વયે ‘સખી મંડળ’ નું આંદોલન સરાહનીય હોવા સાથે મીત્ર શ્રી અનીલભાઈ મીસ્ત્રી (નવસારી)ની ઉગ્ર રજુઆતને ધ્યાને લઈ હું મનોમંથન અને ચીંતન કર્યા પછી  નીચે મુજબના તારણો પર આવ્યો છું:

મોટાભાગના રાજ્યોમાં દારુની છુટ છે- ત્યાંના  પીઠા-બારમાં લોકો પોતાની પસંદગીનો અને જરુરીયાત મુજબનો ઉચ્ચ ગુણવત્તા વાળો દારુ આશાનીથી તેમજ વાજબી કીંમતે મેળવીને ચાખણું સાથે દારુની લીજ્જત લે છે. તે રાજ્યોમાં દારુ પી ને લથડીયા ખાતા લોકો ભાગ્યે જ જોવા મળે છે. તે રાજ્યોમાં અપવાદ સીવાય દારુ પીનારાઓના ઘર બરબાદ થતાં નથી કે દારૂબંધી માટે કોઈ આંદોલન થતા નથી. આનાથી વીપરીત ગુજરાતમાં અમીરો આરોગ્યના લાયસન્સના બહાને કે ચોરી-છુપીથી દારુની બોટલના રૂપીયા ૧૦૦/- થી રૂપીયા ૫૦૦/- ચુકવીને પણ મનોરંજન માણવા દારુ પીતા હોય છે. જ્યારે આખો દીવસ કોદાળી-પાવડાથી તનતોડ મહેનત કરનાર શ્રમીક પાસે શરીરનો થાક ઉતારવા માટે મનોરંજનના સાધનો નથી. અને  સાધન હોય તો તે માણવાનો સમયના અભાવે તેઓ દારુબંધીને કારણે ઉપરોક્ત મોંઘો દારુ પી શકતા નથી.

ગંદી ગટર કે મેલું સફાઈ કરનાર સફાઈ કામદારને દુર્ગંધ દૂર કરવા કે જમવા-ઉંઘવાના ટાઈમે ગંદી ગટર-સંડાસનું ચીત્ર નજર સમક્ષ આવતું હોય તેઓ જમી કે ઉંઘી શક્તા નથી. જેને ભુલવા માટે જેવો મળે તેવો નવસાર, અખાદ્ય ગોળ, યુરીયા, બેટરીના સેલ વગેરે જીવલેણ દ્રાવણવાળો આરોગ્યને માટે હાનીકારક ગુણવત્તા વગરનો દારુ પીવાય છે. ‘દારુ ઢીંચવાવાળો ગમે ત્યાંથી અને જેવો હોય તેવો દારુ પીવાનો જ, અને પીવાય જ છે.’ આ સીધ્ધાંતને ધ્યાનમાં રાખવો જરૂરી છે.

ગુજરાતમાં વધુ NRI હોવા છતાં દારુ બંધીને કારણે જ ગુજરાતનો પ્રવાસન વીભાગ વધુ વીકસીત થઈ શક્યો નથી. ભારતભરમાં ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો હોવા છતાં અને દરેક NRI પોતાની સાથે ફક્ત એક વીદેશી પ્રવાસીને સાથે લાવે તેવા પ્રયાસો થઈ શકે તેમ હોવા છતાં દારુબંધીને કારણે ગુજરાત પ્રવાસન કરતાં ગોવા પ્રવાસન ખુબ જ આગળ છે. દારુબંધીને કારણે ગુજરાત સરકાર કરોડોની આવક ગુમાવે છે. કારણ કે પકડાયેલ દારૂની બોટલો રોલર નીચે કચડી નાખેં છે. તેને બદલે આ દારૂનો જથ્થો અન્ય રાજ્યોમાં વેચીને થનાર કરોડો રૂપિયાની આવક દ્વારા ગરીબ પ્રજાના હીતકારી આયોજનો કરી શકાય છે.

ચાર્વાક ઋષીએ ‘ચાર્વાક સંહીંતા’ માં ફળના રસનો દારુ(આસવ)ના સેવનથી થતાં ફાયદાઓનું સુંદર વર્ણન કરીને ખુબ જ તંદુરસ્ત ચર્ચા કરી છે. દારૂના સેવનથી અખબારોમાં આવતા વૈજ્ઞાનીક તારણો મુજબ જો યોગ્ય માત્રામાં દવા તરીકે દારુ પીવાથી આરોગ્યમાં ફાયદા થાય છે. જેને ધ્યાનમાં રાખી સરકાર અસરકારક પ્રયત્નોથી પ્રજા સમક્ષ પોસ્ટરો, બેનરો, ચલચીત્રો કે અન્ય કાર્યક્ર્મો દ્વારા આરોગ્ય શીક્ષણ(Health Education) થકી દારુના લાભા-લાભ અંગેની વૈજ્ઞાનીક સમજ આપવાની જરૂર છે. દારુબંધી દુર કરવા ‘સખી મંડળે’ પોતાના આંદોલનનું સ્વરૂપ બદલીને ‘સખી મંડળ’ની બહેનો ઘરના સભ્યો સાથે Counseling તથા Picketing (સરકારી દારુના પીઠાઓ ઉપર મહાત્મા ગાંધીજીએ બહેનો પાસે પીકેટીંગ કરાવેલ) કરવાની જરૂર છે. જો ‘સખી મંડળ’ની બહેનો તેમ કરશે તો યુવાન બહેનોના સેંથાના સીંદુર નહીં ભુંસાય ! સંસાર ઉજડશે નહીં !! વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાશે નહીં !!!

ગોવીન્દ મારુ


Read Full Post »

kirlian1           ’સારેગમપધનીસા’ (ગુજરાતમીત્ર ૮/૦૯/૧૯૯૦) ના કટાર લેખકે ક્રીલીયન ફોટોગ્રાફીના આધાર પર દરેક વ્યક્તીને તેની આસપાસ આભામંડળ હોય છે તેમ સીદ્ધ કરવાનો જે પ્રયાસ કર્યો છે, તે તેમની ક્રીલીયન ફોર્ટોગ્રાફીની પદ્ધતી વીશેની ગેરસમજ નીર્દેશે છે.

        આ પદ્ધતીમાં જે વસ્તુ(દા.ત. પાંદડું)નો ફોટો પાડવાનો હોય તેની આસપાસ ૧૫૦૦૦-૧૬૦૦૦ વોલ્ટ અને અતીશય માત્રાના આંદોલનો (Very High Frequency) ધરાવતો વીદ્યુત-પ્રવાહ વહેતો કરવામાં આવે છે. આ વસ્તુ(એટલે કે પાંદડું)નો જમીન સાથે સંપર્ક હોય છે. એટલે આ વસ્તુની આસપાસની હવામાં આ વીદ્યુત-પ્રવાહ વીજળીની જેમ ચમકે છે, અને તે વસ્તુના ફોટામાં તે ‘આભા’ તરીકે દેખાય છે. આ પરથી એવો નીષ્કર્ષ કાઢવો કે આપણા દૈવી પુરુષોની આસપાસ આભામંડળ હતું, એવી આપણા ધર્મગ્રંથોના કથનને આધુનીક વીજ્ઞાન પણ પુષ્ટી આપે છે, તે વધુ પડતું છે, બલ્કે Wishful thinking છે. નીર્જીવ વસ્તુની આસપાસ પણ ક્રીલીયન ફોટોગ્રફી આભા સર્જી શકે છે. વીશેષ અભ્યાસ માટે જુઓ Science, Nonscience and Paranormal પુસ્તકનું પાનું ૬૪. આ પુસ્તક ‘Banglore Science Forum‘ નામક સંસ્થાએ પ્રકાશીત કરેલ છે.

         ટેલીપથી, વીચારશક્તીથી વસ્તુનું હલનચલન, ઈત્યાદીની ભીતરમાં ખરી વસ્તુ શી છે, તેની વૈજ્ઞાનીક સમજણ આ પુસ્તક આપે છે.

-         આર. કે. મહેતા

ગુજરાત મીત્ર ૧૨-૦૯-૧૯૯૦

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૫૭


    

          

Read Full Post »

આજકાલ કેટલાંક લોકો કહે છે કે, સત્તા પરીવર્તનથી જ વ્યવસ્થા પરીવર્તન થશે. વળી કેટલાંક વ્યવસ્થા પરીવર્તનથી જ સત્તા પરીવર્તન થશે એવું કહે છે. એક જ વાતને બે મોઢે ઉચ્ચારવામાં આવે ત્યારે બોલનારા કરતાં સાંભળનારાએ નીર્ણાયક ભુમીકા ભજવવી જોઈએ. બહુજન સમાજે આ બાબત સમજી લેવાની ખાસ જરુર છે. વ્યવસ્થા પરીવર્તન પહેલાં કે સત્તા પરીવર્તન પહેલાં? આ વીતંડાવાદમાં ફસાવાને બદલે બહુજન સમાજે સ્વમાનભેર જીવન જીવવું જોઈએ. બહુજન સમાજને બન્ને પરીવર્તનોની જરુર છે. વ્યવસ્થા પરીવર્તન વીના સત્તા પરીવર્તન સ્થીર થઈ શકે નહીં. સત્તા પરીવર્તનને સ્થીર કરીને જ સાધ્યનું સાધન બની શકે છે. ફક્ત સત્તા પરીવર્તન કેટલાંક લોકોને એશોઆરામની જીંદગી જીવવાનો સ્વાર્થ પ્રાપ્ત કરવાનું સાધન બની રહેવાની સંભાવના છે. સત્તા પરીવર્તન વ્યક્તીલક્ષી હોય છે. જ્યારે વ્યવસ્થા પરીવર્તન સમાજલક્ષી હોય છે. જો વ્યવ્સ્થા પરીવર્તનથી સત્તા પરીવર્તન થાય તો તે સત્તા સમજોપયોગી હોય છે. એથી જ તો આ સત્તાને સ્થીર રાખવાની જવાબદારી સમાજની હોય છે.

વ્યક્તી વીકાસ માટે જેમ વીભીન્ન અંગ હોય છે. એવી જ રીતે સમાજ વીકાસના પણ વીભીન્ન અંગ હોય છે, આ તમામ અંગોને પોતપોતાનું કાર્યક્ષેત્ર હોય છે. આ તમામ અંગોનો સંતુલીત વીકાસ થાય ત્યારે જ સમાજસુર્દઢ થાય. જો કોઈ એકાદ અંગનો જ વીકાસ થાય અને અન્ય અંગ અવીકસીત રહે તો આ અસંતુલનથી પંગુતા આવી જાય. સામાજીક, સાંસ્કૃતીક, શૈક્ષણીક, આર્થીક, રાજનૈતીક ઈત્યાદી ક્ષેત્રોમાં સમાજનો સર્વાંગી વીકાસ થવો અત્યંત આવશ્યક છે. આ તમામ ક્ષેત્રોનો એક્મેકમાં આવશ્યક સંતુલન પણ હોવું જરુરી છે. એ જ રીતે વ્યવસ્થા અને સત્તા પરીવર્તનનું સંતુલન પણ આવશ્યક છે. આ બન્નેનાં ક્ષેત્રો અલગ અલગ હોવા છતાં સમાજના વ્યવસ્થા પરીવર્તન માટે સામાજીક આંદોલનની તાતી જરુર છે. આમ બન્નેના કાર્યક્ષેત્રો વીભીન્ન હોય એકમેકમાં થતો ટકરાવ અનાવશ્યક અને ગેરવાજબી છે. બહુજન સમાજે પોતાના સ્વમાન પ્રાપ્તીના ધ્યેય માટે પોતાના જ બુધ્ધીજીવીઓને કાર્યરત કરી યોજનાઓ બનાવીને સંતુલીત ગતીવીધીથી શક્તીશાળી બનાવવાની ખુબ જ જરુર છે.

ગોવીન્દ મારુ

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 878 other followers