Feeds:
Posts
Comments

Archive for December, 2008

       ગુજરાતી સાહીત્ય પરીષદનું ૨૫મું રજતજયંતી જ્ઞાનસત્ર આજે ૨૬, ૨૭ અને ૨૮મી ડીસેમ્બર, ૨૦૦૮ દરમીયાન  શ્રી નારાયણભાઇ દેસાઇના પ્રમુખસ્થાને કીમ (જી.સુરત) મુકામે મળનાર છે. આ અવસરે ‘સાહીત્ય અને વીજ્ઞાન’ શીર્ષકસ્થ આર. કે. મહેતા સાહેબનું તા.૨૯/૦૨/૧૯૯૧ ના રોજ ગુજરાતમીત્રમાં પ્રગટ થયેલ ચર્ચાપત્ર પ્રસ્તુત છે.

      વધુમાં ઉક્ત ચર્ચાપત્રના અનુસંધાને ‘સાહીત્ય અને વીજ્ઞાન વીશે વીશેષ’ શીર્ષકસ્થ ગુજરાતી સાહીત્ય પરીષદના તે સમયના પ્રમુખશ્રી ડૉ. જયંતભાઇ પાઠકનો પ્રતીભાવ  તા. ૯/૦૧/૨૦૦૯ ના રોજ ‘અભીવ્યક્તી’ બ્લોગ ઉપર ઉપલબ્ધ થશે.

_______________________________________________

 

સાહીત્ય અને વીજ્ઞાન

 

      પ્રતીવર્ષ ગુજરાતી સાહીત્યની પરીષદ ભરાય છે. સાહીત્યકારો નવલકથા, નવલીકા, કાવ્ય અને નાટકના વીષયોની ચર્ચા કરે છે. વીજ્ઞાન પણ સાહીત્યનું એક અંગ છે અને હોવું જોઇએ એવું જ્ઞાન આપણા સાહીત્યકારોને હોય તેમ જણાતું નથી. સાહીત્ય પરીષદોની કાર્યવાહી આ વાતની પ્રતીતી આપે છે.

      આલ્બર્ટ આઇન્સ્ટાઇન કીશોરાવસ્થામાં હતા, ત્યારથી સાપેક્ષવાદ (Theory of Relativity) ની રુપરેખા તેમના મનમાં રમતી હતી. જો હું પ્રકાશની ગતીએ વીચરું તો જગત કેવું ભાસે ! એવી કલ્પનામાં તેઓ રાચતા. આવી કલ્પના તેમના જગતમાં કીશોરાવસ્થામાં ઉદભવી શી રીતે ? જર્મનભાષામાં આધુનીક વીજ્ઞાનના દરેક પાસાંને ચર્ચતા સરળ અને સુગમ પુસ્તકો વીપુલ પ્રમાણમાં હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કીશોરાવસ્થામાં આવાં પુસ્તકોનું અધ્યયન કર્યું અને જર્મન સાહીત્યે જગતને સર્વશ્રેષ્ઠ વીજ્ઞાનીની ભેટ ધરી.

      ગુજરાતમાં સાંપ્રદાયીક પરીબળો બળવત્તર થતાં જાય છે, એમ ગત ચુંટણીના પરીણામો સીદ્ધ કરે છે. જેટલા પ્રમાણમાં વીજ્ઞાનનું જ્ઞાન, વૈજ્ઞાનીક ર્દષ્ટી અને બુદ્ધીવાદ ગુજરાતમાં ફાલશે, તેટલા પ્રમાણમાં સાંપ્રદાયીક અને પ્રત્યાધાતી પરીબળોની લોકમાનસ પરની પકડ ઢીલી પડશે. આ પરીબળોનું ચલણ બંગાળ અને દક્ષીણ ભારતમાં નહીવત છે, કારણ કે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રમાણમાં વીજ્ઞાનનું જ્ઞાન, વૈજ્ઞાનીક ર્દષ્ટી અને બુદ્ધીવાદનું પ્રમાણ વીશેષ છે. જો આપણે ગુજરાતની ઉગતી પ્રજાને જ્ઞાનવીજ્ઞાનમાં આગળ લાવવા ઈચ્છતા હોઈએ, તો વીજ્ઞાનને સાહીત્યમાં પ્રાધાન્ય આપવું પડશે.

      ગુજરાતી સાહીત્ય પરીષદના પ્રમુખશ્રી જયંતભાઇ પાઠક વીચારશે કે ?

 

ગુજરાતમીત્ર તા.૨૯-૦૨-૧૯૯૧

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૫૪-૫૫

Read Full Post »

આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા ફેલાવવામાં પાછા પડતા નથી ..લખે કે ‘દસને ફોરવર્ડ કરો તો આ લાભ અને ન કરશો તો ફલાણો ગેરલાભ !!!’

સને ૧૯૯૨માં પોતાના પાંચ મીત્રોનાં નામ-સરનામાં ટાઈપ કરી, નીચે પોતાની સહી કરી નવા પાંચ પત્રો વૈશ્વીક સ્તરે ‘ગુડલક’ મેળવવા મોકલવામાં આવતા હતા. આ પત્રમાં એક સુચના આવતી કે, ‘આ પત્ર નેધરલેન્ડથી શરુ થયો છે અને આખા વીશ્વમાં લગભગ ૨૦ વાર તો તે ફરી ચુક્યો છે ! જ્યાં પણ પહોંચ્યો છે તેમને સૌને ‘ગુડલુક’ પ્રાપ્ત થયું છે. જે જે વ્યક્તીએ આ ચેઈન તોડીને પત્ર નથી લખ્યો તેનું ધનોત-પનોત નીકળી ગયું છે. આ પત્ર સાચવીને રાખશો નહીં, કોઈ પૈસા મોકલશો નહીં. તમારા સેક્રેટરી પાસે આની ચાર વધુ નકલો બનાવડાવી, તેને તમારા પાંચ મીત્રોનાં સરનામે પોસ્ટ કરી દો. જે મીત્રને આ પત્ર મળશે તેનું નસીબ ખુલી જશે તથા આજથી ચાર દીવસમાં તેમને ‘ગુડલક’ પ્રાપ્ત થશે.’ આ કોઈ ગમ્મત (Joke) નથી. તે સમયે– અર્થાત્ દોઢ દાયકા પહેલાના– સીએટ ટાયરના પ્રમુખ, સીટી બેંકના ઉપ-પ્રમુખ અને ભારત, શ્રીલંકા, નેપાળ તથા બાંગ્લાદેશના એરીયા હેડ વગેરે મોટાં માથાંઓ આવી હારમાળાને પોષવામાં તેઓનો સુર પુરાવીને સંદેશો પાઠવતાં કે, (૧) ‘હું અંધશ્રદ્ધાળુ નથી; પણ દેશની આ પરીસ્થીતીમાં આવા સારા ‘લક’નો જરુર ઉપયોગ થઈ શકે.’ (૨) ‘હું અંધશ્રદ્ધાળુ નથી, પણ ગલ્ફનું યુદ્ધ તથા ભારતના રાજકારણમાં અનીશ્ચીતતાવાળા વરસમાં આવો ચેઈન-પત્ર તોડીને મારી જાત પર ‘બેડ-લક’ આવવા નહીં દઉં.’ આમ- નસીબને સુધારવા સારુ,  હામ ભીડીને પુરુષાર્થ કરવાને બદલે નાહકના પત્રો લખવાની પ્રથા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુર્ખામીનો જ વ્યાપ હતો.

હાલમાં પણ કેટલાક ન્યુમરોલોજીસ્ટ-એસ્ટ્રોલોજર મીત્રો ઇ-મેઇલ દ્વારા 9-11 ની તારીખે બનેલ આતંકવાદી ઘટના તેમ જ તે 11 ના આંકડાના વીવીધ અર્થઘટનો કરી તેઓની સુચનાને અનુસરવા જણાવે છે. તમારા પરીચીત વધારેમાં વધારે વ્યક્તીઓને આવા મેઈલ મોકલશો તો 11 મીનીટમાં તમને આશ્ચર્યજનક ફાયદો થશે, જો તેમ નહીં કરો તો 11 મીનીટમાં આઘાતજનક નુકસાન થશે- તેવું જણાવીને  ધમકાવે છે. ગુજરાતી સાહીત્યને ઈન્ટરનેટ જગતમાં ગૌરવ અપાવનાર વડીલ મીત્ર સુરતના ઉત્તમ ગજ્જર પર પણ એકાદ મીત્રે આવી  મેઈલ મોકલેલ. તેને આપણા લાડીલા વડીલે પ્રત્યુત્તર પાઠવેલ કે, વહેમો અને અંધશ્રદ્ધાનાં આવાં જંગલોને ભેદવા... પ્રકારની કોઈ પણ મેઈલ હું તેના મોકલનાર સીવાય કોઈને મોકલતો નથી... તે રીતે માત્ર તમને પરત મોકલું છું અને 11 દીવસમાં કે કલાકમાં કે મીનીટમાં મને શું નુકસાન થાય તેની રાહ જોઈ બેસું છું... હવે પછી આવી મેઈલ મને મોકલો તો મને ગમશે...’ આમ અમે બન્નેને 11 મીનીટ, 11 કલાક કે 11 દીવસમાં કોઇ નુકસાન થયું નથી. ૨૧મી સદીના આ આઈટી યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સ્વતંત્ર અને નીર્ભય વીચાર–વીવેક શક્તીનો કારમો દુકાળ અને મુર્ખામીનો વ્યાપ અકબંધ છે…

સમાજમાં સફેદ લીબાશમાં અંધશ્રદ્ધા ફેલાવતા સફેદ ઠગ કે ધંધાદારી લોકોથી સાવધ રહેવાની બહુજન સમાજને જરુર છે. મનથી મજબુત રહેનારને આવા કોઇ સફેદ ધુતારા કે ઠગ ઠગી શકતા નથી.

ગોવીન્દ મારુ


Read Full Post »

raman-pathak1

પ્રા. રમણભાઇ પાઠક

‘વાચસ્પતી’

 

       શ્રી રમણીકભાઇ મહેતા આર. કે. મહેતા તરીકે એક Shooting Star જેમ, અરે ધુમકેતુની જેમ, અમારી દક્ષીણ ગુજરાતની વૈચારીક આલમમાં પ્રવેશ્યા અને વળી એમ જ એકાએક અર્દશ્ય થઇ ગયા. 521એથી અમને તો ગંભીર, ન પુરાય એવી ખોટ પડી જ. દક્ષીણ ગુજરાતે એક સમર્થ પ્રગતીશીલ વૈજ્ઞાનીક વીચારક ગુમાવ્યો. વીજ્ઞાનના પ્રકાંડ જ્ઞાતા હોવું અને સાથે સાથે સંપુર્ણ વૈજ્ઞાનીક અભીગમ સેવવો ને પાળવો એવું સુભગ સંયોજન વીરલ હોય છે. રમણીકભાઇનું જીવન તથા ચીંતન આવા સજાગ સંયોજનમાંથી ઘડાયેલું હતું. માટે જ તે એટલું સમાજોપયોગી પણ હતું.

       ‘ગુજરાતમીત્ર’ માં શ્રી આર. કે. મહેતાના ચર્ચાપત્રો પ્રગટ થવા લાગ્યાં અને તત્કાળ તેઓએ સર્વ જાગ્રત શહેરીજનો-વાચકોનું ધ્યાન આકર્ષ્યું. કારણ કે એ નક્કર સત્યજ્ઞાનથી ઘટ્ટ હતાં, પ્રગતીશીલ, ક્રાંતીકારી વીચારધારાવાળા હતા અને સાથે સાથે જ એમાંથી મીશનરી ધગશ-જીવનકાર્યના ઉત્સાહનો રંગ પ્રગટતો હતો. લેખો લખવા કે ચર્ચાપત્રો પ્રગટાવવા- એ કાંઇ  આર. કે. મહેતા સાહેબ માટે કોઇ શોખ કે કીર્તીક્ષુધા, પ્રસીદ્ધી મોહ નહોતાં, એ તો એમનું જીવનકાર્ય હતું, મીશન-જીવનધ્યેય હતું, જેને માટે તેઓએ અંગત જીવનની ઘણી પ્રાપ્તીઓનો ભોગ આપ્યો હતો. તેઓ માનતા કે સંપુર્ણ વૈજ્ઞાનીક જીવનાભીગમવાળી માર્કસવાદી-સમાજવાદી જીવનવ્યવસ્થા સ્થાપીત થાય, તો માનવ જીવન સુખી, શાંત અને સમૃદ્ધ બને. રશીયાની સામ્યવાદી વ્યવસ્થા તુટી પડ્યા પછી પણ, શ્રી આર. કે. મહેતા ની માર્કસવાદમાંની શ્રદ્ધા ડગી નહોતી, કારણકે મુડીવાદ ખાનગીકરણ તથા માર્કેટ ઇકોનોમી આદી વ્યવસ્થાઓનાં ભયંકર જોખમોથી તેઓ પુરા જ્ઞાત હતા; અને તેઓ સદાય સાચા જ છે: ગરીબ, પછાત, વસતીથી ખદબદતા દેશોમાં ‘લેઝ ફેર’ નીતીથી કે વ્યવસ્થાથી નીચલા વર્ગોને સોસવાનું અને શોષાવાનું જ આવે. સોવીયેત સંઘના પતન પછી પણ, માર્કસવાદનું મહત્વ સમજાવતાં ઘણા લેખો ચર્ચાપત્રો તેઓએ લખેલાં.

       ‘ગુજરાતમીત્ર’ ની આંતરીક વાત કરું તો, તંત્રીવીભાગમાં  શ્રી આર. કે. મહેતાના ચર્ચાપત્રો ખુબ આદરણીય તથા મુલ્યવાન ગણાતાં. ગુજરાતી વર્તમાનપત્રોમાં બેત્રણ જ દૈનીકો એવાં છે, જે ચર્ચાપત્ર વીભાગને આટલું સજાગ તથા સભાન મહત્વ આપે છે, જેમાનું એક તે ‘ગુજરાતમીત્ર’ તંત્રીવીભાગ તથા વ્યવસ્થાવીભાગના એક સીનીયર-મોસ્ટ અને પીઢ સભ્યશ્રી ચંદ્રકાંત પુરોહીત જાતે જ ચર્ચાપત્ર વીભાગ સંભાળે, બધાં જ ચર્ચાપત્રો વાંચી જાય અને પોતે જ સુધારા વધારા વીચારે, કરે-કરાવે. તેઓએ મને એક વાર કહેલું કે,  ‘આર. કે. મહેતાના ચર્ચાપત્રો બહુ જ સરસ પરફેક્ટ આવે છે, હું એમાં કદી સુધારા કે કાપકુપ કરતો નથી. માણસ વીદ્વાન લાગે છે.’ જવાબમાં મેં ખ્યું કે, ‘મારા મૃત્યુબાદ જો “રમણભ્રમણ” કોલમ તમારે ચાલુ રાખવું હશે, તો હું ભલામણ કરું કે, એ શ્રી આર. કે. મહેતાને સોંપજો ! યોગનુયોગએ અમારાં નામ પણ મળતાં આવે છે. પરંતુ હું રહ્યો, ‘રમણભ્રમણ’ પણ ચાલે છે, જ્યારે મહેતાસાહેબ જ ઉપડી ગયા(તા.૧૩મી ડીસેમ્બર,૧૯૯૩ ના રોજ દેહવીલય); એય કેવી કરુણ વીધીવક્રતા ! છેલ્લા વીસ વર્ષથી (આજની તારીખે ૩૫ વર્ષથી) ‘ગુજરાતમીત્ર’ માં હું ‘રમણભ્રમણ’ નામની કોલમ લખું છું, જેના વીચારો પણ એકંદરે શ્રી મહેતાના વીચારોને જ મળતા છે: સમાજવાદ તરફી, ગરીબો પ્રત્યેની હમદર્દીવાળા, રેશનાલીઝમના પ્રચારક અને તદ્દનુસાર જીવનની પ્રત્યેક સમસ્યાને જોનારા-મુલવનારા એવા માનવતાવાદી.

       વાસ્તવમાં, અમારો પ્રત્યક્ષ પરીચય થાય, એ અગાઉ વર્ષો સુધી ‘રમણભ્રમણ’ તથા સમાન વીચારની ભુમીકા પર જ મીત્રો બની રહ્યા. મહેતાસાહેબ ભારે જાગ્રત પુરુષ, મારા લખાણમાં ક્યાંક પણ વીચારદોષ લાગે કે લાંબો પત્ર આવ્યો જ છે. એમાં પછે કશી ખોટી શેહશરમ કે બાંધછોડની વાત નહીં. ઉપરાંત પણ તેઓ લાંબા-લાંબા પત્રો પાઠવી મને માર્ગદર્શન આપે, એમ એઓ વીજ્ઞાન તથા વૈજ્ઞાનીક માર્કસવાદ પરત્વે મારા ગુરુ. મે તેમના પત્રોનો આધાર લઇ, ઘણા લેખો લખ્યા હશે. નમ્રતાપુર્વક કહું કે, કેટલીક બાબતો પરત્વે હું પણ તેઓને જાણકારી અર્પણ કરતો, કારણ કે આપણાં શાસ્ત્રો તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતી-ફીલસુફી વીશેનો તેમનો અભ્યાસ પ્રમાણમાં ઓછો, વળી ભારતવીષયક રશીયન પુસ્તકોને આધારે તેઓ પ્રાચીન ભારતીય સીદ્ધીઓને મુલવે. દા.ત. એક વાર મેં તેઓને કહ્યું કે, ‘પંચાંગ રચવા બાબતે આપણા પુર્વજો કદાચ ત્યારે વીશ્વભરમાં સૌથી વધુ જાણકાર હતા…. ગ્રહો-નક્ષત્રો આદીની ગતીવીધી બાબતે એવી ઝીણીઝીણી, સુક્ષ્મ ગણતરીઓ તેઓએ કરી છે !’ 

       એટલે મહેતાસાહેબ કહે, ‘હું તો માનું છું કે ગ્રેગોરીયન પંચાગને આધારે આ લોકો આપણું પંચાગ પ્રતીવર્ષ બનાવે છે.’

       મેં કહું, ‘ના સાહેબ, એવું નથી જ, શુભ-અશુભ ચોઘડીયા, કાલયોગ, પનોતી, વીંછુડો, તીથીની ગણતરી, પંચક, હોરા આદી ગણતરીઓ ભારતીય ખગોળવીદોની છે, જેનો ઉલ્લેખ સુદ્ધા ગ્રેગરીના પંચાગમાં ક્યાંય નથી.’

       અને એમના સ્વભાવ મુજબ મારી વાત સાચી લાગતાં, મહેતાસાહેબે એ સ્વીકારી લીધી.

       અમારી મૈત્રી ગાઢ અને જીવનભર તેવી જ રહી, બાકી અમારી વચ્ચે મતભેદોય તીવ્ર, કારણકે મારી વીચારસરણી ચુસ્ત વૈજ્ઞાનીક નહીં, અર્થાત્ હું મારી પોતાની મૌલીક વીચારણાને આધારે નવાં નવા તારણો પ્રસ્તુત કર્યા જ કરું, જે મહેતાસાહેબ જેવા વીજ્ઞાનનીષ્ઠ પુરુષને સ્વાભાવીક જ ના રુચે. તેઓ ઉગ્ર પ્રત્યાઘાત આપે જ કે, ‘તમારી માન્યતા વ્યક્તીગત કહેવાય. આવી અવૈજ્ઞાનીક વાતો જાહેરમાં ના મુકો ! એથી જનતાને નુકસાન થવા સંભવ છે. તમે સેમ્પલ સર્વે કર્યો છે ? એ ના કરો, ત્યાં સુધી આ તમારો અંગત કે થોડા માણસોનો છુટક અનુભવ ગણાય, માટે મહેરબાની કરીને એનો પ્રચાર ના કરો ! “

       દા.ત. યોગનાં આસનો, પ્રાણાયામ આદી બાબતે પણ અમારી વચ્ચે આવો ઉગ્ર મતભેદ ચાલેલો, હું આજેય આવા અવૈજ્ઞાનીક વ્યાયામોને હીતાવહ નથી માનતો. શ્રી મહેતાએ લખ્યું કે, હું તો આસનો કરું છું, એથી શરીર હળવું અને સ્ફુર્તીમંત રહે છે.’

       મેં લખ્યું કે, ‘મહેરબાની કરીને છોડી દો !’

       આખર હું જ સાચો ઠર્યો, પરંતુ તે એટલી બધી દુ:ખદ રીતે કે મને થાય છે કે હું જુઠો ઠર્યો હોત, તો જ ઉત્તમ નીવડત. જુઠો ઠર્યાના આંસું સારવાનું ને પશ્ચાતાપ કરવાનું એક ઉત્તમ સ્થળ તો રહેત. આ તો કેવળ નીરાધાર આંસું સારવાનું જ ભાગ્યમાં આવ્યું.

       અમે આમ જાહેરમાં જ ઝઘડતા. વચમાં અમુક વ્યવહારદક્ષ પુરુષોએ સલાહ આપી કે, ‘આપણે રેશનાલીસ્ટો સંખ્યામાં ખુબ થોડા જ છીએ. માટે જાહેરમાં અંદરઅંદર ઝગડો નહીં, એથી આપણું આંદોલન નબળું પડે.’

       મહેતાસાહેબ તો માની ગયા. એમણે મારા અમુક લખાણનો વીરોધ કરતો લાંબો પત્ર મને લખ્યો. મેં એમને સમજાવ્યું કે, ‘તમારો વીરોધ જાહેરમાં પ્રગટ કરો ! લોકોને સત્ય વીચારવા દો ને જાણવા દો ! આપણે લોકહીતાર્થે વીચારીએ તથા લખીએ છીએ. પછી  અંગત પત્રવ્યવહારથી શો લાભ ? હું તો તમારા વીચારો જાણું જ છું….. વાદવીવાદ એ ઝગડો નથી અને એથી કશી બદનામી થતી નથી. છતાં થાય તો રેશનાલીસ્ટ-વૈજ્ઞાનીક વીચારક એવી પરવા ન જ કરવી જોઈએ….. અને અંગત રીતે મને કદી ખોટું તો લાગતું જ નથી.’

       મહેતાસાહેબને મારી વાત એકદમ સાચી લાગી ને એમણે તે સ્વીકારી લીધી. પછી મારી વીરુદ્ધ ઉગ્ર ચર્ચાપત્રો ફટકારવા માંડ્યા.

       આવા સત્યનીષ્ઠ, વીવેકનીષ્ઠ(રેશનાલીસ્ટ), તટસ્થ તથા ગહન વીચારક હતા, શ્રી  આર. કે. મહેતા; જેઓ વળી અંગત જીવનમાં એકદમ પ્રેમાળ અને મળતાવડા હતા. એમની આગ્રહી ચુસ્તામાંય નમ્રતા હતી. ‘ ના સાહેબ…’ એમ કહી, શાંતીથી, આદરથી, સૌજ્ન્યપુર્ણ ઢબે તેઓ પોતાનો મત સમજાવતા. વ્યાખ્યાનો તથા લખાણોમાં એટલા જ આખાબોલા અને ઉગ્ર બની શકતા. આવા વીરલ લેખક-વીચારક હતા. શ્રી રમણીકભાઇ મહેતા; જેઓની મોટી ખોટ ગુજરાતમાં હવે કોણ પુરી શકશે ? ન જાને !

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૭-૧૯


Read Full Post »

         કુદરતમાં જે  ઘટના બને છે, તે ‘કારણ’ વીના થતી નથી. કારણ કે કુદરત જ કાર્ય-કારણના અફર નીયમથી સંપુર્ણપણે બદ્ધ છે. ક્યારેક એક ઘટના માટે અનેક કારણો હોઇ શકે છે. દા.ત. બાંગલાદેશમાં પ્રચંડ વંટોળીયો ફુંકાય છે. આવા પ્રચંડ વંટોળીયાની પાછળ હવામાનના અનેક પરીબળો જવાબદાર હોય છે. ક્યારેક એક જ કારણ- અનેક ઘટનાઓને જન્માવે છે. દા.ત. સુર્ય પર જ્વાળાઓ ફાટે છે ત્યારે પૃથ્વી પર ક્યાંક અતીવૃષ્ટી થાય છે, ક્યાંક ભુકંપો થાય છે, તો ક્યાંક જ્વાળામુખીઓ ફાટે છે. આ ઘટનાઓનું મુળ કારણ સુર્યની જ્વાળા હોય છે, જે દર અગીયાર વર્ષે થાય છે.

        સમાજમાં જે ઘટનાઓ થાય છે, તે અકારણ થતી હોય, તો આપણે એટલું જ કહેવું પડે કે ‘વહી હોતા હૈ જો મંજુરે ખુદા હોતા હૈ’- અથવા ‘ઇશ્વરેચ્છા બલીયસી’ પણ આવું આશ્વાસન લેવાથી પ્રશ્નનો ઉકેલ આવતો નથી. દા.ત. પહેલું વીશ્વયુદ્ધ થયું એ એક ઐતીહાસીક ઘટના હતી. શા માટે થયું ? ઇતીહાસકારો કહે છે કે ‘સાર્બીયાના પાટવીકુંવરની હત્યા થઇ અને વીશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ કારણ ‘Immediate cause’  કહેવાય પણ મુળ કારણ એ હતું કે બ્રીટન અને ફ્રાંસે દુનીયાભરમાં તેમના સંસ્થાનો સ્થાપી દીધાં હતા. જર્મની મોડુ પડ્યું, તેને પણ તેના તૈયાર માલ માટે ‘માર્કેટ’ની આવશ્યકતા હતી, એટલે તેણે દુનીયાની માર્કેટમાં ભાગ પડાવવા પહેલું વીશ્વયુદ્ધ છેડ્યું. જો  કદાચ સર્બીયાના પાટવીકુંવરનું ખુન ન થયું હોત, તો જર્મની એવું કોઇ બીજું કારણ શોધી યુદ્ધ છેડત જ. અર્થાત્  મુળ કારણને અવગણીને માત્ર ‘Immediate cause’  ને જ વળગી રહેવામાં યુદ્ધ નીવારી શકાત જ નહી. આ મુળ કારણે યથાવત્ રહ્યું અને ત જ કારણસર બીજું વીશ્વયુદ્ધ થયું, જેનું  ‘Immediate cause’ એ હતું કે હીટલરને પોલેન્ડની ડેન્ઝીંગની માત્ર નાની સરખી પટ્ટી જોઇતી હતી, જે પોલેન્ડે આપી નહીં.. જો પોલેન્ડે ડેન્ઝીંગની પટ્ટી ‘કજીયાનું મો કાળુ’ એમ કહીને આપી દીધી હોત, તો શું બીજું વીશ્વયુદ્ધ થયું ન હોત ? ઇતીહાસ નોંધે છે કે હીટલરે ડેન્ઝીંગની પટ્ટી તો શું, પણ આખું પોલેન્ડ લઇ લીધું, અને છતાં તેણે યુદ્ધ બંધ નહોતું કર્યું. 

        આપણા દેશમાં કોમી રમખાણો અવારનવાર છેલ્લા છ દાયકાઓથી થયા કરે છે. આ રમખાણોના ‘Immediate cause’ દરેક વખતે, દરેક સ્થળે જુદા જુદા હોય છે. આ રમખાણોના આધાર પર સમજાવટ અને પતાવટથી રમખાણો શાંત થતા હોય, તો તેવા પગલાં અવશ્ય લેવા જોઇએ પણ સમાજ-ચીંતકો રમખાણોનું મુળકારણ અથવા મુળ કારણોને અવગણી શકે નહીં.

        સમાજની ઘટનાઓ એકલી અટુલી અને વીના કારણ થતી નથી. આ ઘટનાઓની પાછળ રાજકીય, આર્થીક, સામાજીક, સાંસ્કૃતીક અને વૈચારીક પરીબળો કાર્યરત હોય છે, એટલે રમખાણોના મુળકારણ- કે કારણો આ પરીબળોના પરીપ્રેક્ષ્યમાં મળી શકે.

        શ્રી રમણભાઇ પાઠક જેવા માનવ-વાદી અને સમાજચીંતક કોમી-રમખાણનો કાયમી ઉકેલ શોધશે?

ગુજરાત મીત્ર ૨૩-૦૩-૧૯૯૩

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૯૯


Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 874 other followers