Feeds:
Posts
Comments

-દીનેશ પાંચાલ

એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારનાં બધાં જ માટલાં ભાંગી ગયાં હતાં. નુકસાન જોઈ કુંભારની આંખમાં આસું આવી ગયાં. આસ્તીકો અને નાસ્તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી નુકસાન ભરપાઈ કરી આપ્યું.

કુંભારે સૌનો આભાર માની જીજ્ઞાસાવશ પુછ્યું, ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્યો, ‘અમે ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા અહીં ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું, ‘પછી શું થયું ? કોઈ નીવેડો આવ્યો ?’ જવાબ મળ્યો, ‘ના…ચર્ચા હજી ચાલુ છે.’  કુંભારે જરા સંકોચ સાથે કહ્યું, ‘તમે બધા વીદ્વાનો છો. હું તો બહુ નાનો માણસ છું. મને એક પ્રશ્નનો જવાબ આપો,’ કહી કુંભારે આસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે મારી મદદે આવ્યા, તે શું વીચારીને આવ્યા ?’ આસ્તીકોએ કહ્યું, ‘અમે એવો વીચાર ર્ક્યો કે મુશ્કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્યાં શો જવાબ દઈશું ?’

કુંભારે નાસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે તો ભગવાનમાં નથી માનતા ! તમે કેમ મારી મદદે આવ્યા ?’ નાસ્તીકોએ કહ્યું, ‘અમે માનીએ છીએ કે માણસ જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે આકાશમાંથી કોઈ ભગવાન તો મદદ કરવા આવવાનો નથી ! માનવતાને નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ !’ કુંભારે આગળ કહ્યું, ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્યા, મને આર્થીક મદદ પણ કરી, હું માનું છું કે મારે માટે તો તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા પછી તમે ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારો કે નકારો, કોઈ જ ફરક પડતો નથી. ભાઈઓ, આસ્તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાનાં કામો કરવાં અને નાસ્તીક છે તેમણે ભગવાન નથી, તેથી આ તો આપણી જ ફરજ છે એમ સમજી માનવતાનાં કામો કરવાં જોઈએ !’ કહી કુંભાર તો રસ્તે પડ્યો..

કુંભારની વાત પેલા આસ્તીકો અને નાસ્તીકો સમજ્યા કે નહીં તેની જાણ નથી; પણ આપણને એક વાત સમજાય છે. ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈનાં કામો કરતા રહેવું જોઈએ. ભગવાન હશે તોય તેમને એવા જ આસ્તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાલ્લાને ધક્કો મારી બહાર કાઢી આપે અને નાસ્તીકો માટે તો તેને કોઈ ફરીયાદ જ ન રહે જો તેઓ લોકોનાં ડુબતાં વહાણ તારશે, દુખીઓનાં આંસુ લુછશે. આસ્તીકતા કે નાસ્તીકતા કરતાં માનવતા મહાન છે. માનવતા જ સાચી પ્રભુતા છે. દરેક માનવીને પેલા કુંભાર જેટલી સમજ મળી જાય તો..!

-દીનેશ પાંચાલ

લેખકના બહુ ચર્ચીત પુસ્તક ‘બોલો, ઈશ્વર છે કે નહીં ?’માંથી લેખકશ્રીના અને પ્રકાશક (ગુર્જર ગ્રંથરત્ન, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ : 200, મુલ્ય: રુપીયા 90/-) ના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી,  જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત ફોન: (02637) 242 098 સેલફોન: 94281 60508

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru405, Evaz Apparel Co-op. Housing Society, (Krishna Apparments, B Wing), Opp. Ayyappa Temple, Samata Nagar, Sectore: 12 E, BONKODE VILLAGE, Navi Mumbai 400 7009 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ24052013

 12

 

મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે

–રોહીત શાહ

 ‘નો પ્રોબ્લેમ’

મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે જ્યારે હું કોઈ મન્દીરમાં ચોરી થયાના સમાચાર સાંભળું છું કે કોઈ સન્ત–સાધુના કૌભાંડોનો ટેટો ફુટતો સાંભળું છું ત્યારે ભીતરથી ખુબ રાજી રાજી થઈ ઉઠું છું. ‘સારું થયું’ એવું ફીલ કરું છું.

મન્દીર પ્રત્યે અશ્રદ્ધા પેદા થવા માટે આપણું નાસ્તીકપણું જવાબદાર નથી હોતું; પણ આસ્તીકોની અન્ધશ્રદ્ધાનો અતીરેક જવાબદાર હોય છે. દુધ વગર ટળવળતું ગરીબ બાળક જોયા પછી આપણને છપ્પન ભોગ અને નૈવેદ્ય પ્રત્યે અશ્રદ્ધા પેદા ન થાય તો આપણી સમજણને સંકોરવાની જરુર છે એમ સમજવું પડે. ટાઢમાં ધ્રુજી રહેલા કોઈ દરીદ્ર વૃદ્ધની કાયા પર એક કામળો પણ ન હોય અને બીજી તરફ પથ્થરની પ્રતીમા સોના–ચાંદી, હીરા–માણેકના આભુષણોથી સજાવાતી હોય ત્યારે આપણું હૈયું કચવાટ ન અનુભવે તો આપણે સમ્વેદનશુન્ય થઈ ગયા છીએ એમ માનવું પડે.

આસ્તીકોને મારે એટલું જ પુછવું છે કે શું તમે જાણો છો કે ઈશ્વર જેવું કોઈ તત્ત્વ હોય તો એ કોને મળે અને ક્યારે મળે ?

ઈશ્વર હમ્મેશાં શબરી અને સુદામા પાસે સામે ચાલીને જાય છે. એ કદી શ્રીમંતોના ઘરે નથી જતો.

ઈશ્વર એઠાં બોર અને તાંદુલથી રાજી થાય છે એને છપ્પનભોગની કશી જ જરુર નથી.

મહાભારતના સંગ્રામ પહેલાં શ્રીકૃષ્ણ વીષ્ટી માટે હસ્તીનાપુર ગયેલા ત્યારે એ કૌરવો સાથે રાજમહેલમાં નહોતા રહ્યા, વીદુરજીના ઘરે રહેલા અને ખીચડી ખાઈને રાજી થયેલા. મહાવીર પણ ચંદનબાળાને ઉગારે છે અને બુદ્ધ પણ ગણીકા વાસવદત્તાને તારે છે. ઈશ્વર કદી શ્રીમંતોની ફેવર કરતો જોવા મળ્યો નથી. જો ઈશ્વરને મોંઘા ચઢાવા ગમતા હોત, સોના–ચાંદીનાં આભુષણો–આંગીઓ ગમતાં હોત તો એ શ્રીમંત માણસોની ફેવર તરફેણ કરતો હોત. ભગવાન મહાવીર જ્યારે તપશ્ચર્યા કરવા માટે વનમાં ગયા ત્યારે કેટલાક ભોળા–ઉત્સાહી લોકોએ એમના માટે ઘાસની કુટીયા બનાવી દીધી હતી. ટાઢ–તાપ અને વરસાદમાં એમને તકલીફ ન પડે એની ચીંતા ભોળા ભક્તો કરતા હતા; પરંતુ ત્યાં ચરતી–ફરતી ગાયો આવીને કુટીયાનું ઘાસ ખાવા લાગી એ જોઈને લોકોએ મહાવીરને કહેલું ધ્યાનમગ્ન ભલે બનો; પરંતુ આ કુટીયાનું ધ્યાન રાખવાનું ન ભુલો. ત્યારે મહાવીરે કહેલું કે, ‘જ્યારે મને મારી આ કાયાનું જ ધ્યાન નથી; ત્યાં કુટીયાનું ધ્યાન શી રીતે રાખું ?’

આપણાં દીમાગ ચસકી ગયાં છે કે આપણે આરસપહાણનાં મંદીરો બનાવીએ છીએ. ઈશ્વરને તો ઘાસની કુટીયાનોય ખપ નથી ! મન્દીરનો પરીગ્રહ ભલે ચોરને કામ આવતો !

એક મજબુર ઓરત બસો–પાંચસો રુપીયા માટે પોતાના ચારીત્ર્યનો સોદો કરતી હોય એવી ક્ષણે કયા ભગવાનને બાવન ગજની ધજાના ઓરતા હોય ? નક્કી, આપણને કોઈકે અવળા રવાડે ચઢાવ્યા છે. ઈશ્વરને વળી એવી શી ગરજ હોય કે એ તમારી પાસે પુનમો ભરાવે અને પ્રસાદના થાળ ચઢાવરાવે ? કોઈક ખોટી એજન્સીએ આપણને ગુમરાહ કર્યા છે.

થોડાં વર્ષ પહેલાં એક સાધ્વીજીએ વૈરાગ્ય છોડીને સંસારમાં પાછા વળવાનો નીર્ધાર કરેલો. તેમણે એ નીર્ણય સાકાર કર્યો ત્યારે મેં ‘સંસારમાં તમારું સ્વાગત કરું છું’ એવા શીર્ષકથી એક લેખ લખેલો. ઘણા લોકોએ મારા એ લેખ પ્રત્યે નારાજગી બતાવેલી; પણ એના કરતાં વધારે લોકોએ મારી વાતમાં પોતાનો સુર પુરાવ્યો હતો. સાધુવેશમાં રહીને ખાનગીમાં દુરાચર કરવા કરતાં; સાધુવેશ છોડી દેવામાં એના પ્રત્યેનો વીશેષ આદર પ્રગટ થાય છે. સાધુઓના હાથે લખાયેલા પ્રેમપત્રો મેં સગી આંખે વાંચ્યા છે. એ સાધુ અત્યારે મુમ્બઈમાં રહીને ઠેર–ઠેર પોતાની લોભામણી વાણીથી પોતાના ભક્તોને ધર્મના નામે છેતરી રહ્યા છે. એની પાસે ચમત્કારની કથાઓ અને મંત્રતંત્રના ધતીંગો છે.

સાધુને બગાડવામાં સંસારીઓ જ જવાબદાર છે. શા માટે આપણે વેવલા થઈને તેમને બીનજરુરી ચીજો અર્પણ કરી આવીએ છીએ ? શા માટે આપણે તેમના આશીર્વાદ લેવા અને વાહીયાત ઉપદેશો સાંભળવા લાઈનમાં ખડા રહી જઈએ છીએ ? વાસક્ષેપ અને ભભુતી કે કંકુની ચપટીઓ પાછળ આપણે આપણું પ્રજ્ઞાતંત્ર કેમ સ્થીર કરી દઈએ છીએ ? જે સાધુ જેટલો મોટો આડંબર કરે એને આપણે બહુ મોટા બાપજી કેમ સમજીએ છીએ ? આપણી ભોળી ભક્તી સાધુને એના ત્યાગનો રાહ ભુલાવડાવે છે અને આપણને એ પાપના અધીકારી બનાવે છે. ભક્તી અને સેવા–વૈયાવચના નામે આપણે અજાણતાં જ કેવાં ઘોર પાપ તરફ ધકેલાઈ રહ્યા છે એ સમજાય તો તો ‘નો પ્રોબ્લેમ’…..                                                  

  –રોહીત શાહ

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : 079-2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com  મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડડે’ (‘શનીવાર સ્પેશ્યલ’, 11 ફેબ્રુઆરી, 2012ની આવૃત્તી)માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર નો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

(2)

આધુનીક ધર્મસ્થાનો !

(એક ચર્ચાપત્ર)

–વીરલ વ્યાસ

        હાલ મન્દીરોમાં તસ્કરી વધી ગઈ છે. તસ્કરી ક્યાં નથી ? કામ ચોરી, નામ ચોરી, દામ ચોરી… મન્દીરોમાં ચોરી થવી જ નહીં જોઈએ. ચોરી એવા લોકોને ત્યાં થવી જોઈએ જેઓ મન્દીરમાં ધન ઓકે છે–ઠાલવે છે. પરભુ–પ્રેમી તથા બાળકો ઝુપડાંમાં રહે તેનો અફસોસ નથી. ધનવાનો, સત્તાધીશો–રાજકારણીઓ કરચોરી કરી મન્દીરોમાં ધન નાંખે છે. ચોરો તે ઉશેટી જાય છે. કેટલાક તો મન્દીરોમાં ધન નાંખી ધન પરત મેળવે છે. દુકાનદારો કરચોરીથી ધનવાન બને છે. અને રંકો કરચોરી નથી કરતા; રંક તો બાપડા ભોગ બને છે. ત્યારે મન્દીરોમાં છપ્પન ભોગ ધરાવાય છે. પાષાણની પ્રતીમાને દહાડામાં ત્રણ વાર વાઘા બદલવા મળતા હોય છે અને જીવન્ત મનુષ્ય નીર્વસ્ત્ર છે કે સાવ ઓછાં વસ્ત્રોથી ચલાવી લે છે. મન્દીરો–દેરાસરોમાં દાન કરનારાઓનો; અન્ધ, અપંગ, રક્તપીત્તીયાને બે પૈસા આપતા જીવ નીકળી જાય છે. મન્દીરોમાં પાંચસો–હજાર ની:સંકોચ નાંખી દેનારા, કામવાળી પાસે નીસાસા નંખાવે છે. અલંકારીક ભાષામાં ભગવાનને ભજનો સંભળાવનારા ઉપરોક્ત દાતાઓ, નોકરને બીભત્સ ગાળો દેતા અચકાતા નથી. કાર સાફ કરનારની ‘પેટ માટેની વેઠ’, શેઠને નહીં સમજાય. ઓફીસોમાં કામ કરતા, પાંચ આંકડામાં કમાતા કર્મચારીઓને – સેવકોને, વર્ષે એક વાર બોણી આપતા અને જરુર પડયે બસો–પાંચસો ઉછીના આપતા જીવ નીકળી જાય. આ તમામ મહાનુભવો તીરુપત્તી અથવા વૈષ્ણોદેવી ખુબ એશથી ફરી આવે છે. રીલાયન્સ કે જે હજારો પરીવારને પોશે છે તેને મંદીરનો દરજ્જો નહીં મળી શકે ? સ્ટીવ જોબ્ઝનું ‘એપલ’ દેવળમાં નહીં આવી શકે ? તાતાનું કારનું કારખાનું દેરાસરજીની પંગતમાં નહીં બેસી શકે ? પાકીસ્તાની ઉર્દુ કવી અહમદ ફરાઝની પંક્તીઓનું સ્મરણ થાય છે; ‘મૈને યહ સોચકર તસબી તોડ દી હૈ ફરાઝ, ક્યાં ગીનકર માંગુ ઉસસે જો બેહીસાબ દેતા હૈ’. ઈશ્વર કે મગન કે છગન યા ગંગા કે ભાણકી યા કમળીને પગથીયે ચડી પ્રભુ પાસે ન જઈ શકાય ?

–વીરલ વ્યાસ

લેખક–સંપર્ક: ‘સ્મીત‘ સાઘના સોસાયટી પાસે, મહાત્મા ગાંઘી રોડ, બારડોલી – 394602  ફોન: (0262) 222 3702 સેલફોન: 99792 80939 ઈમેઈલ: viralwrites@yahoo.in

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.30/04/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી મીત્ર અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Housing Co-Op. Housing Society, (Krishna Apartments, B Wing), Opp. Ayyappa Temple , Sector 12 E, Bonkode, KOPARKHAIRNENavi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 17/05/2013

 

 

 

દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી

(અપરીગ્રહની અવાસ્તવીકતા)

–મુરજી ગડા

કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે એમાં સમાવેલા બધા જ વીષયોમાં પાસ થવું જરુરી હોય છે. જેને દરેક વીષયમાં 100માંથી 40-50 માર્કસ મળે તે પાસ ગણાય છે. પછી ભલેને બીજાઓની સરખામણીમાં એનો નંબર ઘણો પાછળ હોય ! જેને એક વીષયમાં 100માંથી 100ની નજદીકના માર્કસ મળે; પણ બીજા વીષયમાં ફક્ત 2 કે 4 માર્કસ મળે તે નાપાસ ગણાય છે.

જો આ નીયમ ધાર્મીકતાને લાગુ પાડવામાં આવે તો મોટા ભાગના ધાર્મીકો એમની ધાર્મીકતાના દાવામાં નાપાસ થતા દેખાશે.

જૈન ધર્મ એક એવો ધર્મ છે જેમાં અપરીગ્રહને ખુબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એક સમુદાય તરીકે જૈનેતરની સરખામણીમાં જૈનો વધુ સાધનસમ્પન્ન (પરીગ્રહી) હોવાનું દેખાય છે. ઘણા જૈન વેપારી હોવાથી એમની વૃત્તી અને પ્રવૃત્તી સ્વાભાવીકપણે વધુ સમ્પત્તી ભેગી કરવાની હોય છે. એને જ સફળતાનો માપદંડ માનવામાં આવતો હોવાથી સમાજમાં સમ્પત્તી પ્રમાણે વ્યક્તીનું સ્થાન નક્કી થાય છે. ધનસંચય સીવાયની અન્ય સીદ્ધીઓને એટલું મહત્ત્વ નથી અપાતું. (ડૉક્ટરની કાબેલીયત કરતાં તે કેટલા પૈસા કમાય છે એની ચર્ચા વધુ થાય છે.) જે કોઈ વ્યક્તી સન્તોષ માની કે પછી પ્રામાણીકતા જાળવવા પોતાની આર્થીક પ્રવૃત્તીઓ મર્યાદીત રાખે તો તેને નીચી નજરે જોવામાં આવે છે.

અફસોસ એ વાતનો છે કે આ સર્વવ્યાપી વાસ્તવીકતાને અવગણી, અપરીગ્રહના આદર્શને આગવું સ્થાન આપી એની ફક્ત વાતો જ કર્યા કરવાનો દમ્ભ આપણે છોડતા નથી. આટલી સરળ વાતમાં પણ આપણે પ્રામાણીક નથી બની શક્યા.

ભારતીયો પશ્વીમી સંસ્કૃતીને ભોગવાદી ગણે છે. ભૌતીકતાને સંસ્કૃતી કરતાં મનોભાવના સાથે વધુ સમ્બન્ધ છે. હકીકતમાં આપણે પણ એટલા જ ભોગવાદી છીએ. આપણી પાસે ભૌતીક સગવડનાં સાધનો ઓછાં હતાં; કારણ કે તે અહીં મળતાં નહોતાં. હવે જ્યારે મળવા લાગ્યાં છે ત્યારે જેને પણ પોષાય છે એમની પાસે ભરપુર પ્રમાણમાં છે. એટલું જ નહીં; આપણી સમુદ્ધીનું પ્રદર્શન કરવામાં આપણે જરાયે પાછળ પડતા નથી. લગ્ન પ્રસંગો, ધાર્મીક તેમ જ અન્ય ઉજવણીઓના આના દાખલા છે. ખુદ ભગવાનની મુર્તી પર અલંકારો ચઢાવી એમને પરાણે પરીગ્રહી બનાવાય છે.

ભૌતીકતાની સાચી વ્યાખ્યા કોઈની પાસે કેટલી વસ્તુઓ કે સમ્પત્તી છે તે નહીં; પણ એમના માટે એનો લગાવ કેટલો છે તે છે. આપણને જરુર ન હોય; છતાં બીજા પાસે છે, માટે ભેગી કરવી; વસ્તુઓ ન હોવાનો અફસોસ કરવો વગેરે ભૌતીકવાદી માનસીકતાની નીશાની છે. આપણા આધ્યાત્મીકપણાના દાવામાં તથ્ય કરતાં દમ્ભ વધારે છે.

આપણી રોજબરોજની પ્રવૃત્તીને આસાન બનાવતાં સગવડનાં સાધનો વાપરવામાં કંઈ ખોટું નથી. એના લીધે બીજાં અગત્યનાં કામ માટે વધુ સમય ફાળવી શકાય છે. સગવડ વીરોધી વાતો અને વર્તન કરવાથી આધ્યાત્મવાદી નહીં; પણ અગવડવાદી થઈ જવાય છે. બધી બાબતોની જેમ અહીં પણ બન્ને બાજુનો અતીરેક નુકસાનકારક જ છે.

અપરીગ્રહની પ્રચલીત વ્યાખ્યા ભૌતીક સમ્પત્તી ભેગી ન કરવાની છે. ગૃહસ્થી માટે એ વ્યવહારુ નથી. આર્થીક રીતે સ્વતંત્ર (સધ્ધર) ન હોય એવી વ્યક્તીને ઘણી બાંધછોડ કરવી પડે છે. એમને વ્યક્તીગત સ્વતંત્રતાના મુળભુત હક્ક જાળવવા અઘરા પડે છે. કોઈના મતે અપરીગ્રહ એ સાંસારીક જવાબદારીમાંથી છટકી જવાનો એક પ્રકારનો પલાયનવાદ છે.

આપણે આવકનાં જે પણ સાધન વીકસાવ્યાં હોય એને આગળ વધારવામાં કંઈ ખોટું નથી. બીજા જે પણ આપણી પ્રવૃત્તી સાથે સંકળાયેલા હોય એ બધાના હીત માટે પણ એ જરુરી છે. એકમાત્ર શરત આપણા ધન્ધા–વ્યવસાયમાં સમ્પુર્ણ પ્રામાણીકતા જાળવવાની છે.

દેશમાં જેટલી સમ્પત્તી વધી રહી છે તે તો વધવાની જ છે. આપણે નહીં તો બીજા કોઈ, એ ભેગી કરી એનો દુરુપયોગ કરી શકે છે. સારા માણસોના હાથમાં પ્રામાણીકપણે આવેલી સમ્પત્તીનો કેટલો સદુપયોગ થઈ શકે એ વાત આગળ આવે છે.

કોઈ આ ભાગદોડથી દુર રહેવા માંગતા હોય તો એમાં કંઈ ખોટું નથી. એનાથી શાન્તી, સન્તોષ અને તનાવમુક્તી મળે છે. છતાં જે સાંસારીક જવાબદારીઓ સ્વીકારી છે તેને પુરી કરવાની ફરજ તો રહે જ છે.

અપરીગ્રહ ઉપદેશતા સમાજમાં (ધર્મમાં) સામાજીક અને ધાર્મીક પ્રસંગોએ ધનવાનોને (પરીગ્રહીને) આગવું મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે એમનાં જ દાનને લીધે બધી ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ અને પ્રવૃત્તીઓ ચાલતી હોય છે. આમાં પણ કંઈ ખોટું નથી. તટસ્થ રીતે જોઈએ તો દાનની વાસ્તવીકતાએ અપરીગ્રહના આદર્શને પરાજીત કરેલ છે.

આટલી લાંબી રજુઆતનો આશય અપરીગ્રહને સદન્તર ભુલી જવાનો નથી. વાસ્તવમાં આપણે અપરીગ્રહ (સમ્પુર્ણ ત્યાગ) કરતાં દાનનો (આંશીક ત્યાગ) અમલ કરીએ છીએ. આ દાન અને અપરીગ્રહ ઉપરાંત ત્રીજો વીકલ્પ પણ છે. એમાં સમ્પત્તી ભેગી કરવાનો બાધ નથી; છતાં એ ભાવનાગત રીતે પરીગ્રહ નથી થતો.

આ વીકલ્પ છે ભેગી કરેલી સમ્પત્તીના માલીક નહીં; પણ ટ્રસ્ટી બની રહેવાનું. અહીં ટ્રસ્ટીપણાનો અર્થ થોડો જુદો છે. આપણી સમ્પત્તીનો બધો વહીવટ આપણા હાથમાં હોવા છતાં; તે ફક્ત આપણા અંગત ઉપભોગ (Wants) માટે નહીં; પણ બીજા ઘણાના ઉપયોગ (Needs) માટે પણ વપરાય. આ નવું નથી.

અતી ધનાઢય લોકો એમની સમ્પત્તીને લીધે અવારનવાર સમાચારોમાં ચમકે છે. શ્રીમંતોની વાર્ષીક યાદી પ્રગટ કરવાની ફેશન થઈ ગઈ છે. જોકે દુનીયાની અતી ધનાઢ્ય બે વ્યક્તીઓ જુદા કારણસર સમાચારોમાં ચમકે છે.

બીલ ગેટસ્ અને વૉરન બફેટ, બન્નેએ પોતાની મોટા ભાગની મીલ્કતનું ટ્રસ્ટ બનાવી એને સમાજકલ્યાણ માટે વાપરવાની જાહેરાત કરી છે. (દરેકની સમ્પત્તી ત્રણ લાખ કરોડ રુપીયા જેટલી છે.) એમની પ્રવૃત્તી શીક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પુરેપુરી દુનીયાને આવરી લેવાની છે. સો વરસ પહેલાં અમેરીકાના સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા એન્ડ્ર્યુ કાર્નેગીએ પણ આવું જ કર્યું હતું. ભારતમાં અઝીમ પ્રેમજીએ આવુ કર્યાનું વાંચવામાં આવ્યું છે.

આ લોકો પાસે પુષ્કળ સમ્પત્તી હોવાથી એ સમાચાર માધ્યમોમાં ચમકે છે. બીજા પણ કેટલાક એવા હશે જેમણે આવું જ કર્યું હોય. જાહેરમાં નોંધ ન લેવાયાથી એમની ભાવના કે કાર્યનું મહત્ત્વ જરાય ઓછું થતું નથી.

આ બધી વ્યક્તીઓ સમાજ પાસેથી રળેલી સમ્પત્તી સમાજને પાછી સોંપે છે. અપરીગ્રહની ભાવનાને જાળવી રાખી એના અવ્યવહારુપણાનો આ શ્રેષ્ઠ વીકલ્પ છે. અઢળક સમ્પત્તી કમાયા પછી પણ એના માલીક મટી, ટ્રસ્ટી બનીને શું કરી શકાય તે આ વ્યક્તીઓની કરણીમાં જોઈ શકાય છે.

આ મહાનુભવોની વીશીષ્ટતા એ છે કે એમણે પોતાના બધા જ વારસદારોને મળીને મીલકતના 10 થી 15 ટકા જેટલી જ રકમ આપી છે. વંશજોને શ્રેષ્ઠ શીક્ષણ આપી, એમના વ્યવસાય માટે જરુરી મદદ કર્યા પછી, એમની કાબેલીયત પર છોડી દીધા છે. પોતે આપબળે સમૃદ્ધ થયા હોવાથી પુત્રો, પૌત્રોને સ્વાવલંબી બનવાની ફરજ પાડી છે. બીજું કંઈ નહીં તો ઘણા કીસ્સામાં બને છે તેમ, એમના વંશજો કુપાત્ર બનવાની શક્યતા ઘટે છે.

બધા વારસદાર હમ્મેશાં કાબેલ કે સુપાત્ર હોય એ જરુરી નથી. વારસાગત રીતે ચાલતા ઘણા ઉદ્યોગગૃહો અને શ્રીમંત કુટુંબો બીજી કે ત્રીજી પેઢીએ પડી ભાંગતા જોયા છે.

વૉરન બફેટ તો પહેલેથી જ સાચા અર્થમાં અપરીગ્રહી રહ્યા છે. આટલી સમ્પત્તી મેળવ્યા છતાં; તેઓ 55 વરસથી એક જ ઘરમાં (એટલે એ જ પડોશમાં) રહે છે. 75 વર્ષની ઉંમરે પોતાની ગાડી જાતે ચલાવીને ઑફીસે જાય છે.

અપરીગ્રહનો પ્રચલીત અર્થ કશું ભેગું ન કરવાનો થાય છે. ત્યાગનો અર્થ ભેગું કરેલું બધું છોડી દેવાનો કે આપી દેવાનો થાય છે. આમના કીસ્સાઓમાં સમ્પત્તીનો ત્યાગ છે; પણ જવાબદારી જાળવી રાખેલ છે. આના માટે વધુ યોગ્ય શબ્દ ન મળે ત્યાં સુધી આપણે એને પરીગ્રહ–વીચ્છેદ કહીશું.  આવો પરીગ્રહ–વીચ્છેદ એ પાછલી ઉંમરે કરેલ આંધળો નહીં; પણ જાગૃત ત્યાગ છે.

આંધળા ત્યાગમાં પાછળ શું થાય છે એની દરકાર નથી હોતી. જાગૃત ત્યાગમાં સમ્પત્તી યોગ્ય માર્ગે વપરાય એ જવાબદારી જાળવી રાખવામાં આવે છે. સત્તાની જેમ સમ્પત્તી પણ જ્યારે અયોગ્ય હાથમાં જાય છે ત્યારે ઘણું નુકસાન કરી શકે છે.

સમ્પત્તી પોતે ગુણ કે દોષ વગરની છે. એ વ્યક્તીના મુળભુત સ્વભાવમાં રહેલી સારી અને ખરાબ બન્ને ખાસીયતો બહાર લાવે છે. એ થોડા લોકોને નમ્ર અને ઉદાર બનાવે છે; જ્યારે મોટાભાગના કીસ્સામાં એ વ્યક્તીને ઘમંડી બનાવે છે. એટલે જ કદાચ જૈન વીચારધારામાં અપરીગ્રહને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું હશે. કમનસીબે એ વ્યવહારુ સાબીત નથી થયું.

આવો પરીગ્રહ–વીચ્છેદ જેની પણ ઈચ્છા હોય એના માટે શક્ય છે. પોતાની સમ્પત્તીના માલીક મટી ભાવનાગત રીતે ટ્રસ્ટી બનવું અઘરું નથી; પણ વીશાળ અર્થમાં એને નભાવવું અઘરું છે. કૌટુમ્બીક ધોરણે આપણે એનો અમલ કરીએ જ છીએ. આપણી કમાયેલી મીલકત કુટુમ્બના અન્ય સભ્યોના ઉપયોગ માટે હોય જ છે. એ સહજ છે. પરીગ્રહ–વીચ્છેદમાં કુટુમ્બનો વ્યાપ બને તેટલો વીશાળ બનાવવાનો થાય છે. આપણા સમ્પર્કમાં આવતી તેમ જ અન્ય જરુરતમન્દ વ્યક્તીઓની મદદનો એમાં સમાવેશ થાય છે. લોહીના સમ્બન્ધથી આગળ જવામાં જ ઉદારતા સમાયેલી છે. જનહીતાર્થે ચાલતી સંસ્થાઓને આપેલું દાન આનો એક પર્યાય છે. પરીગ્રહ–વીચ્છેદ એ સાંસારીક જવાબદારીઓ પુરી કર્યા પછી અપરીગ્રહી બનવાની બીજી તક છે.

ટ્રસ્ટી શબ્દ સામાન્ય રીતે સમાજની જાહેર સંસ્થાઓ અને મીલકતનું સંચાલન કરનારા માટે વપરાય છે. એ જુદી જાતનું ટ્રસ્ટીપણું છે. એમાં સમાજને ટ્રસ્ટીઓની વહીવટી કુશળતાનો લાભ મળે છે; એમની સમ્પત્તીનો નહીં.

દાનેશ્વરી તરીકે પ્રસીદ્ધી પામેલા કે લોકહીતાર્થે કાર્ય કરનારા રાજાઓ આવા સંસ્થાકીય ટ્રસ્ટીઓથી વધારે નહોતા. એમની સમ્પત્તી જાતમહેનત કે કુનેહથી મેળવેલી નહોતી. પ્રજા પાસેથી કરવેરા દ્વારા ભેગી કરેલી હતી.

ઘણી મોટી કમ્પનીઓ અને શ્રીમન્ત કુટુમ્બો પોતાની આંશીક સમ્પત્તીના ટ્રસ્ટ બનાવી ઘણાં ઉત્તમ સામાજીક કાર્યો કરે છે. આવા બધા ટ્રસ્ટ પરીગ્રહ–વીચ્છેદ નહીં; પણ દાનના વ્યાપમાં આવે છે.

ભુતકાળમાં ભામાશા, જગડુશા વગેરે નામો આપણે ત્યાં પ્રસીદ્ધી પામેલાં છે. એ મોટા દાનેશ્વેરી હતા. રાજાને કે પ્રજાને મુસીબત પ્રસંગે મોટી મદદ કરવી અને સ્વેચ્છાએ જનહીતાર્થે સંસ્થાઓ ઉભી કરવી એમાં ઘણો ફરક છે. સંસ્થાઓ સક્રીય (Pro-active) હોય છે. જ્યારે પ્રસંગોપાત્ત કરેલી મદદ પ્રતીક્રીય (Reactive) હોય છે.

બીજી બધી ધાર્મીક વીચારધારાઓમાં અપરીગ્રહની નહીં; પણ દાનની વાત કરવામાં આવી છે.

દાનનો મહીમાં વર્ણવતાં ગીતામાં કહેવાયું છે કે, ‘સો હાથે કમાઓ અને હજાર હાથે આપો’ આ કથન દાન કરતાં આપણી પરીગ્રહ–વીચ્છેદની ભાવનાને વધુ મળતું આવે છે અને વધારે વાસ્તવીક પણ છે.

દાન અને પરીગ્રહ–વીચ્છેદ વચ્ચે ભેદરેખા દોરવી અઘરી છે. એ દરેકની કૌટુમ્બીક અને આર્થીક સ્થીતી પર આધાર રાખે છે. આનો સીધો અને શ્રેષ્ઠ ઉકેલ ખ્રીસ્તી ધર્મમાં વર્ણવવામાં આવેલા દાનની માત્રામાંથી મળે છે. “GIVE UNTIL IT HURTS.” તમને પોતા માટે કમી મહેસુસ થાય ત્યાં સુધી આપો.’ આ વાત પણ દાનથી આગળ વધી પરીગ્રહ–વીચ્છેદ સુધી પહોંચી જાય છે.

ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓમાં, ગરીબના નાનકડા દાનને ધનવાનના મોટા દાન કરતાં વધારે મહત્ત્વનું ગણવામાં આવે છે. કારણ, ગરીબને દાન કરવા માટે પોતાની જરુરીયાતો પર કાપ મુકવો પડે છે. શ્રીમંતોની જીન્દગીમાં મોટા દાનથી પણ જરાય ફરક પડતો નથી.

ભુખ્યાને ખવડાવવું એ ની:શંક સત્કાર્ય છે. જ્યારે કોઈને પગભર કરવો એ વધારે મોટું સત્કાર્ય છે. એનાથી એના આખા કુટુમ્બને લાંબા સમય સુધી લાભ મળે છે. આ દૃષ્ટીએ જોઈએ તો સદાવ્રત કરતાં શીક્ષણ અને આરોગ્ય સંસ્થાઓ વધારે સારી ગણાય. આવી ધંધાદારી કે બીનધંધાદારી સંસ્થાઓનું અન્તીમ લક્ષ્ય એક હોવા છતાં એમની ભાવનામાં ઘણો ફરક હોય છે. ધંધાદારી સંસ્થા સંચાલકો માટે પરીગ્રહલક્ષી છે જ્યારે બીજી પરીગ્રહ–વીચ્છેદ લક્ષી છે.

ધાર્મીક સ્થળોએ કે પ્રસંગોએ થતા દાન વીશે કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે જેટલું આપીએ છીએ એનાથી ઘણું વધારે મળવાનું છે. આવી ભાવના દાનને એક સોદા કે રોકાણમાં બદલી નાંખે છે. એમાં પરીગ્રહ વધારવાની ભાવના ઉપરાન્ત પોતાના ઈશ્વરને છેતરવાપણું વધારે લાગે છે. દુ:ખની વાત એ છે કે સૌથી વધુ દાન આ ક્ષેત્રે થાય છે; પણ જરુરીયાતવાળા સુધી એમાંનું સાવ ઓછું પહોંચે છે. આ બાબતમાં દેખાદેખી છોડી પોતાની વીવેકબુદ્ધી પ્રમાણેનું વર્તન બધાના હીતમાં રહેશે.

પરીગ્રહ–વીચ્છેદ એ અપરીગ્રહ નથી. એ નીષ્ક્રીય અને આંધળો ત્યાગ પણ નથી. કરેલા પરીગ્રહથી વીમુખ થવાની એ પ્રક્રીયા છે. કુદરત અને માનવ સમુદાય પાસેથી મેળવેલું પાછું આપવાની આપણને તક પુરી પાડે છે. મુખ્યત્વે પાછલી ઉમ્મરે કૌટુમ્બીક જવાબદારીઓ પુરી થયા પછી શરુ થતી આ પ્રક્રીયા છે. એ Abandonment નથી;  Detachment છે.

આ પરીગ્રહ–વીચ્છેદ સમ્પત્તી ઉપરાન્ત પ્રવૃત્તી અને સમ્બન્ધોને પણ લાગુ પડે છે. આનો અર્થ પ્રવૃત્તી કે સમ્બન્ધોને છોડી દેવાનો નથી; પણ એમને નવો વળાંક આપવાનો છે. માલીકીભાવ અને અનુરાગ છોડી કર્તવ્યભાવ અપનાવવાનો છે, અનાસક્તી કેળવવાની છે. એમાં મોટાં થયેલાં સંતાનોને સમ્પુર્ણ સ્વતંત્રતા આપવાની વાત છે. કૌટુમ્બીક તેમ જ અન્યો પરના અંકુશો અને બન્ધનો ઢીલાં કરવાનાં છે. એમાં નીષ્ક્રીયતા નહીં; પણ પ્રવૃત્તીઓ પાછળની ભાવનાને ઉમદા કરવાની વાત છે. પક્ષપાત છોડી નેકી (Fairness) અપનાવવાની વાત છે.

વૈદીક સંસ્કૃતીની વર્ણવ્યવસ્થાએ ઘણા અનર્થો સર્જ્યા છે. જ્યારે એની આશ્રમવ્યવસ્થામાં ઘણું વજુદ રહેલું છે. ગૃહસ્થાશ્રમ પછી વર્ણવાયેલ વાનપ્રસ્થાશ્રમ આ પરીગ્રહ–વીચ્છેદની ભાવનાને મળતો આવે છે. એ સમ્પત્તી, સમ્બન્ધો, સત્તા, પ્રવૃત્તી વગેરે બધાને નવી દૃષ્ટીએ જોઈ અલીપ્તતા કેળવવાનું કહે છે.

પુનર્જન્મમાં માનતા લોકો ભવના ફેરામાંથી છુટકારો મેળવવા કંઈ કેટલીયે ધાર્મીક પ્રવૃત્તીઓ કરતા હોય છે. પણ આ જનમમાં કેળવેલા અને મેળવેલા અંકુશો તેમ જ પરીગ્રહો છોડી શકતા નથી. આપણી ચારેકોર દેખાતી આ એક મોટી કરુણતા છે.

અપરીગ્રહ બાબતે આપણી પાસે ત્રણ વીકલ્પો છે: (1) પરમ્પરાથી ચાલ્યો આવતો અપરીગ્રહનો આદર્શ રાખી, કથની અને કરણીના વીરોધાભાસનો દમ્ભ ચલાવે રાખવાનો; (2) સ્વીકારી લીધેલા આદર્શનું પાલન ન થવાથી  જાત પ્રત્યે અપરાધભાવ અનુભવવાનો; કે પછી (3) વાસ્તવીકતાને સ્વીકારી, અપરીગ્રહને નવું નામ આપી નવી નજરે જોવાનું. જે આદર્શ કોઈ પાળતું નથી કે પાળવાની ઈચ્છા પણ રાખતું નથી એની વાતો કર્યા કરવાથી બીજા એક આદર્શ ‘સત્ય’નો ભંગ થાય છે.

સામાજીક સ્તરે આવી વીચારસરણી વીકસાવવા માટે સમાજના આગેવાનોની ઈચ્છા અને ઈચ્છાશક્તી જરુરી છે. સમાજના સાચા આગેવાન કથાકાર–સાધુ–સન્તગણ છે. જનમાનસ પર સૌથી વધારે પ્રભાવ એમના કહેવાનો થાય છે. એમણે પોતાના વીચાર/પ્રચારને નવી દીશા આપવાની જરુર છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ:  mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના 2006 ના નવેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

  રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Evaz Apparel Co-op. Housing Society, B Wing, Opp. Ayyappa Temple, Samata Nagar, BONKODE VILAGE, Navi Mumbai – 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 9/05/2013

11

 

- મોહમ્મદ માંકડ

હમણાં એક ફીલ્મ આવી ‘ઓ માય ગોડ !’ આજના યુવાનોને આ ફીલ્મે ઘણું ઘેલું લગાડ્યું. ફીલ્મમાં રુઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વીચારતા કરી દે એવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે.

આપણે અહીં એ ફીલ્મની વાત કરવી નથી; પરંતુ એમાંથી એક વસ્તુ એ શીખવા જેવી છે કે માનવજીવનને આગળ વધારતા રહેવા માટે જરીપુરાણા ખ્યાલોને વળગી રહેવાને બદલે, નવાં જ્ઞાન માટે જગ્યા કરતાં રહેવું જોઈએ.

જે સંસ્કારોમાં આપણે જનમ્યા હોઈએ છીએ અને ઉછર્યા હોઈએ છીએ તે નકામા છે એમ જાણતા હોવા છતાં; આપણે તેને ત્યજી શકતા નથી. સદીઓ પહેલાં આપણા પુર્વજો જે કાંઈ કરતા હતા એ એમના માટે જરુરી હશે; પરન્તુ આજે પણ આપણે એ જ રીતે જીવવું જરુરી નથી. વૃક્ષ જે રીતે જુનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ. પ્રકૃતીના નીયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે.

દુનીયા બહુ ઝડપથી આગળ ધસી રહી છે. વીજ્ઞાન-ટૅક્નોલૉજીમાં જે ઝડપથી સંશોધનો થઈ રહ્યાં છે એ અકલ્પનીય છે. ખાસ કરીને આજના યુવાનો એનાથી વંચીત ન રહે એ માટે એમને વૈજ્ઞાનીક અભીગમ કેળવતાં શીખવવું જોઈએ.

વીજ્ઞાન સત્યને જાણવા માટે છે. આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનીક આધાર વીનાનાં મનઘડંત સત્યોને સાબીત કરવા માટે નથી. મોટા ભાગના માણસો વીજ્ઞાન દ્વારા કશું નવું શીખવાને બદલે, પોતે જે કાંઈ માનતા હોય અથવા તો જુની રુઢીઓ એમના મનમાં જડ ઘાલીને બેઠી હોય, એને પુષ્ટી આપવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે.

નવી વાતને આપણે જલદી સ્વીકારી કે પચાવી શકતા નથી. બાળક જ્યારે પહેલી વાર જાણે છે કે માથા ઉપરનો આસમાની ઘુમ્મટ માત્ર ખાલી જગ્યા છે ત્યારે તે આઘાત અનુભવે છે. આકાશ-જેને તે પોતાની નજરે જુએ છે, તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે ? અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે ? પછી શું હશે ? એની સમજમાં કોઈ રીતે એ વાત ઉતરતી નથી.

એવું જ જ્ઞાન અને વીજ્ઞાનની દરેક બાબતનું છે. દરેક નવી વાતથી માણસ આઘાત અનુભવે છે; પરન્તુ સાચી વાત એના શુદ્ધ સ્વરુપે સ્વીકારવામાં જ માનવજાતનું ભલું થયું છે. સત્યનો જ્યારે આપણે સ્વીકાર કરતા નથી ત્યારે આપણને નુકસાન જ જાય છે. સત્યનો ઈનકાર કરવાથી એનું અસ્તીત્વ મટી જતું નથી.

ગેલીલીયોએ પોતાની કીમતી જીન્દગી ખરચી નાખીને અનેક સંશોધનો કરીને અનેક વખત ખાતરીઓ કર્યાં પછી જ્યારે જાહેર કર્યું કે, સુર્યમાં ડાઘ છે ત્યારે લોકો એના ઉપર ઉકળી ઉઠ્યા. સુર્યને તો લોકો દેવ માનતા હતા એમાં ડાઘ કઈ રીતે હોઈ શકે ?

ગેલીલીયોએ ઘણા માણસોને સુર્યમાં રહેલા ડાઘ બતાવ્યા; છતાં લોકો એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. સુર્ય દેવમાં ડાઘ હોઈ શકે જ નહીં; દુરબીન ખોટું. ગેલીલીયોને એમણે ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધમાં વાત કરવા બદલ જેલમાં પુરી દીધો. લોકોને ગેરરસ્તે દોરવા બદલ અને જુઠી વાતો કરવા બદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું. ગેલીલીયો શરુઆતમાં તો પોતાની વાત ઉપર અડગ રહ્યો; પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે આખરે એ ભાંગી પડ્યો અને છેવટે એણે કબુલ કરી લીધું કે, સુર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે. પોતે પાપ કરેલું છે અને એ બદલ પોતે માફી માગે છે.

જગતના મોટા ભાગના સંશોધકોની બાબતમાં આવું જ બન્યું છે. કેટલાકને મારવામાં આવ્યા છે, તો કેટલાકની કતલ પણ કરી નાખવામાં આવી છે. સાચી વાત કહેવા બદલ જગતના મહાન સંશોધકોએ, આપણે આજે તો કલ્પી પણ ન શકીએ એવાં એવાં જુલમ અને યાતનાઓ સહન કર્યાં હતાં. અને આવી યાતનાઓ આપનારા એમના સમયના મોટા પંડીતો અને વીદ્વાનો જ હતા. એવા પંડીતો કે જેમનાં મગજ જુની વાતોથી ભરાયેલાં હતાં. નવાં જ્ઞાન માટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.

અહીં એક જાપાનીઝ ઝેન સાધુની નાનકડી વાત યાદ આવી જાય છે. એક વાર ઝેન ગુરુ નાન-ઈન પાસે એક વીદ્વાન પ્રૉફેસર આવ્યા. ઝેન ગુરુ તો શાંત અને સ્વસ્થ ચીત્તે પોતાનામાં લીન હતા.

પ્રૉફેસરે કહ્યું, “ગુરુ, મને ઝેન વીશે જ્ઞાન આપો.”

નાન-ઈને કહ્યું, “ચાલો, પહેલાં આપણે થોડી ચા પીએ.”

બન્ને બેઠા. ઝેન ગુરુએ ચાની કીટલી લઈને કપમાં ચા રેડવાનું શરુ કર્યું. કપ ભરાઈ ગયો; છતાં તેમણે તો ચા રેડવાનું ચાલુ જ રાખ્યું.

એ જોઇને પ્રૉફેસરથી એકદમ બોલી જવાયું, “અરે, કપ તો ભરાઈ ગયેલો છે. ચા તો એમાંથી ઉભરાઈને બહાર ઢોળાય છે.”

“હું પણ એ જ કહું છું,” ઝેન સાધુએ કહ્યું, “જે (મગજ) ભરાઈ ગયેલું હોય, એમાં કઈ રીતે નવું કશું સમાઈ શકે ?”

જે પોતાની જાતને વીદ્વાન માને છે એનું મગજરુપી પાત્ર હમ્મેશાં છલોછલ ભરેલું જ રહે છે એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી. અને જે જુનું હોય છે એ વાસી થઈ ગયેલું હોય છે. હમ્મેશાં વાસી વસ્તુઓ કાઢતાં રહેવું જોઈએ અને તાજી વસ્તુઓ માટે જગા કરતાં રહેવું જોઈએ.

અગાઉ રાજા મહારાજાઓ માત્ર એક જ વસ્ત્ર પહેરતા. ઉપરનું શરીર ઉઘાડું રાખતા. હાથ ઉપર બાજુબંધ અને કડાં પહેરતા. શરીરે ઘરેણાંનો ઠઠારો કરતા. આજે એવું વસ્ત્ર પરીધાન કોઈ કરતું નથી-માત્ર ટીવી સીરીયલો કે નાટક, ફીલ્મમાં જ એ જોવા મળે છે. એવો પહેરવેશ પહેરીને આજે કોઈ પોતાના વેપાર-ધંધાના સ્થળે કે સરકારી કચેરીઓમાં જતું નથી અને જાય તો ?

એક વખત જે પ્રતીષ્ઠા આપનારી વસ્તુ હોય છે એ જ વસ્તુ વખત જતાં કેટલીક વાર હાસ્યાસ્પદ પણ બની જતી હોય છે. એટલે જુની માન્યતાઓ, રુઢીઓ અને અજ્ઞાનને સંગ્રહી રાખવાને બદલે એને તજી દેતાં શીખવું જોઇએ.

કેટલાક એવા વીદ્વાનો પણ હોય છે જે માહીતીનો ભંડાર હોવાનો દેખાવ કરવા માટે નવાં જ્ઞાનને પોતાના મગજના કમ્પ્યુટરમાં સંઘરી રાખે છે અને એનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કે પોતાની માન્યતાઓને સાચી સાબીત કરવા માટે એક દલીલ તરીકે જ કરે છે. આવા માણસોને વીજ્ઞાનનું જ્ઞાન હોવા છતાં; એ જ્ઞાનનો કોઈ ફાયદો મળતો નથી. બહુ ઓછા માણસો આધુનીક જ્ઞાનનો પોતાની જ્ઞાનની પ્યાસ બુઝાવવા માટે અભ્યાસ અને સ્વીકાર કરતા હોય છે.

ફીલ બોસ્મન્સનું એક પુસ્તક છે - Give happiness a chance - સુખને એક અવસર તો આપો. સત્યને પામવા માટે, હું અહીં વીજ્ઞાનને એક અવસર આપવાની વાત કરું છું. સત્યને આવકારવા માટે તમારાં મનનાં કમાડ હમ્મેશાં ખુલ્લાં રાખજો. સત્યનો સ્વીકાર કરનારને હમ્મેશાં ફાયદો થાય છે. માનવજાતે જે કાંઈ પ્રગતી કરી છે એ વીજ્ઞાન અને સત્યને આભારી છે.

બાકી તો, સત્યના પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન થયા જ કરે છે. આપણે જો એનો ઉપયોગ કરી શકીએ તો આપણાં દીલમાં દીવો થઈ શકે છે. અને જો ઉપયોગ ન કરી શકીએ તો આપણે અંધારામાં અથડાતા રહીએ છીએ. જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે, એ આપણી ઓશીયાળી નથી. જે એમાં ડુબકી મારે છે એ સ્વચ્છ થાય છે કે જે એમાંથી પાણી પીએ છે એની તરસ છીપે છે.

અહીં એક વાત યાદ રાખવાની જરૂર છે. વીજ્ઞાનની માન્યતાઓ પણ બદલાયા કરે છે. એક વ્યક્તી આજે જે સાબીત કરે છે તે વાત કાલે ખોટી પડી શકે છે. આપણે ધીરજપુર્વક સત્યનો સ્વીકાર કરવો જોઈએ; આંખો બંધ ન કરી દેવી જોઈએ. આ જગતને બાળકના કુતુહલથી જોતાં શીખવું જોઈએ.

મોહમ્મદ માંકડ

‘સંદેશ’ દૈનીકમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 12 જાન્યુઆરી, 2013ની) લોકપ્રીય કટાર કેલીડોસ્કોપ’માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  શ્રી. મોહમ્મદ માંકડ, 153-B, સેક્ટર – 20, રાજભવન સામે, ગાંધીનગર – 382 020

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE, Navi Mumbai - 400 709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 03/05/2013

13

–સુબોધ શાહ

     ઘણા બધા લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મનાં ક્ષેત્રો જુદાં છે. ‘દુન્યવી વીજ્ઞાનમાં બુદ્ધી વપરાય; પણ અધ્યાત્મમાં શ્રદ્ધા જોઈએ – એમાં બુદ્ધી ના વપરાય.’ જીવનમાં ક્યાં અને ક્યારે શ્રદ્ધાનો ઉપયોગ કરવો અને કયાં ક્ષેત્રોમાં બુદ્ધી વાપરવી, એ પેચીદો છતાં બહુ મહત્ત્વનો પ્રશ્ન છે.

         અધ્યાત્મના વીષયમાં બુદ્ધીની જરુર ખરી કે નહીં ?

         મનુષ્યની બુદ્ધી અત્યંત મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો આપણને બધાને ખબર છે. બીજી બાજુ, સમ્પુર્ણ તો આ દુનીયામાં કશું જ નથી. જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય અને અપુર્ણ હોય તે બધું બાજુ પર મુકી દેવાય, એવું શા માટે ? બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાઓનો આશરો શોધવો ? રોકેટ શક્ય ન જ હોય, તો હાથવગી કાર વાપરવી કે ઘોડો શોધવા નીકળવું? અથવા તો, પોતાને સંત-મહંત માનતા-મનાવતા હોય, તેવાઓમાં શ્રદ્ધા રાખી તેઓ જે કહે તે બધું માની લેવું ?

          આજ સુધીમાં ઈશ્વરનો, આત્માનો કે દેવદુતોનો સાક્ષાત્કાર પોતાને થયો છે, એવા દાવા પ્રામાણીકપણે સેંકડો વ્યક્તીઓએ કે તેમના ભક્તોએ કર્યા છે. એક વીદ્વાન હીન્દુ સ્વામીજીએ થોડા સમય પહેલાં જ મને મોટું આશ્ચર્ય આપ્યું: એમણે કહ્યું કે તેમણે પોતે ઈશુ ખ્રીસ્તને જોયા. ફલાણા સંતને ‘આત્મ સાક્ષાત્કાર થયેલ છે.’ દાદા ભગવાનને ‘જ્ઞાન થઈ ગયું’. ‘સ્વામી રામકૃષ્ણ પરમહંસે બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું.’ આવું આવું આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ. દરેક સંતની ભાષા ને શૈલી જુદી હોય છે; દરેકની કલ્પના જુદી, દરેકનું વર્ણન ને તારણ જુદું. તેથી બધાયને માની લેવાનું તો શક્ય જ નથી. મારા મનમાં એ બધાય માટે આદર હોય તો પણ; કોની વાત મારે સાચી માનવી ? સામાન્ય બુદ્ધી વાપર્યા વીના એ બાબત કેમ નક્કી કરાય ? રામ કે રહીમ ? મહમદ કે મહાવીર ? જેવી છે તેવી પણ બુદ્ધીને વાપર્યા વીના માણસ જાતને છુટકો જ નથી.

         અધ્યાત્મના જ્ઞાનીઓ અને પ્રચારકોએ પણ બુદ્ધી કે તર્ક (Logic)નો ભરપુર ઉપયોગ કર્યો છે. ભગવાન શંકરાચાર્ય (ઈ.સ. 788-820) મહાન તર્કશાસ્ત્રી વીદ્વાન હતા. ખ્રીસ્તી ધર્મના સંત થોમસ અકીનાસ (ઈ.સ. 1225-1274)ની તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં બહુ મોટી નામના છે. રજનીશ અને કૃષ્ણમુર્તીને આપણે સાંભળ્યા છે. એમના સીવાયના પણ બીજા અનેક સંતો બુદ્ધીનો ઉપયોગ કરીને રજુઆત કરે છે. તો પછી બુદ્ધી પર બંધન શા માટે ? સામાન્ય સમજનો અવીશ્વાસ શા માટે ? પ્રજ્ઞા પર પ્રતીબંધ શાથી ?

         બુદ્ધી જેમ અપુર્ણ છે, તેમ શ્રદ્ધા આંધળી હોઈ શકે; અનુભવ એકપક્ષી અને તુક્કાઓ બનાવટી હોઈ શકે. માનો કે આપણે કોન્ક્રીટની જાડી તોતીંગ દીવાલ સામે ઉભા છીએ. એની આરપાર પેલી બાજુ શું છે એ જોવાનો કે જાણવાનો કોઈ માર્ગ જ નથી. તો પછી એના વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. એ દીવાલની પેલે પાર માણસ હોય, મર્કટ હોય, મચ્છર હોય, કે કશુંય ના હોય, એવુંય બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ. અજ્ઞાનને જ્ઞાન માની લેવા કરતાં, અજ્ઞાનને અજ્ઞાન તરીકે જ સ્વીકારવું શું ખોટું ?

         કુતુહલ કે જીજ્ઞાસા જરુર, પણ પ્રજ્ઞા એ જ પુરાવો હોય; સામાન્ય સમજ એ જ વીવેક હોય. બુદ્ધી નામની સન્નારીને બે સુપુત્રીઓ છે: જીજ્ઞાસા અને પ્રશ્નશીલતા. શ્રદ્ધા એ કોઈ વાર ગતાનુગતીકતા હોય, કોઈવાર વીચાર કરવાની અનીચ્છા કે અશક્તી હોય; પણ મોટા ભાગે તો એ ચીલાચાલુ રુઢી કે શૈશવના સંસ્કાર માત્ર જ હોય છે.

          અધ્યાત્મની બાબતમાં વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન હોઈ શકે એ વાત સાવ સાચી છે. પણ સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ તો હોવાં જોઈએ કે નહીં ? એમાં વીરોધાભાસ કે તર્કની વીસંગતતા (Inconsistency) ચલાવી લેવાય ખરી ? ગૌતમ ૠષીનું ન્યાયશાસ્ત્ર અને કણાદ ૠષીનું વૈશેષીક શાસ્ત્ર, એ બન્ને સહીતનાં આપણાં મહાન છ દર્શનશાસ્ત્રો અત્યંત પ્રાચીન હોવા છતાં; બુદ્ધીની કોઈ વીસંગતતા ચલાવી લેવા તૈયાર ન હતાં. વીજ્ઞાનમાં જેમ ગણીતશાસ્ત્ર છે, તેમ ફીલસુફીમાં તર્કશાસ્ત્ર (Logic) હોય છે. એના ઉપર જ તે દર્શનશાસ્ત્રો આધારીત હતાં. (તર્કશાસ્ત્ર એટલે કલ્પના નહીં, પણ બુદ્ધીયુક્ત દલીલનું શાસ્ત્ર).

          ‘બુદ્ધીથી પર, એનાથી પેલે પાર, એવું કંઈક છે’ એમ કહેવાય છે, તે માન્યતા છે. એ સાચી પણ હોય, ખોટી પણ હોય; તોય એ પુર્વધારણા (Assumption) જ છે, સાબીતી નથી કે તર્કશુદ્ધ હકીકત પણ નથી. અધ્યાત્મનો વીષય બુદ્ધીથી પર હોય તો પણ આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે, બીજું કંઈ નથી. તો પછી એને વાપરવી કેમ નહીં ?

        ઉત્ક્રાંતીના ક્રમમાં મનુષ્ય તદ્દન નવો છે. એનું મગજ લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. બુદ્ધીનું કેન્દ્રસ્થાન એવો આપણા મગજનો Cerebral Cortex કે Neo-cortex નામનો અગ્રભાગ એથીય વધુ નવો છે. તે વીકાસ પામી શકે છે અને હજી પણ વીકસી રહ્યો છે. પહેલાં નહોતી સમજાતી એવી અનેક ચીજો આજના વીજ્ઞાને બુદ્ધીનો ઉપયોગ કરીને શોધી કાઢી છે. તેમ છતાં, જીવનના કેટલાક પ્રશ્નોને સમજી શકવા આપણે તદ્દન અસમર્થ છીએ એ પણ સર્વમાન્ય હકીકત છે. પામર માનવ પ્રાણીનાં ટચુકડાં મગજની એ અનીવાર્ય અશક્તીનો નમ્રતાપુર્વક સ્વીકાર કરીને, તુક્કાઓ દોડાવ્યા વીના, એ પ્રશ્નોને આપણે જરુરથી બાજુએ રાખી શકીએ. સમય વીતશે, વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર પ્રગતી કરશે, તેમ તેમ જ્ઞાનના રણદ્વીપો વીસ્તરતા જશે ને અજ્ઞાનનાં રણને આંબશે. આજ સુધી આમ જ થતું આવ્યું છે. દુનીયાની બધી પ્રજાઓ સુર્યને દેવ માનતી. આજે એ સુર્યદેવનું ઉષ્ણતામાન, અંતર ને કદ, બધુંય માણસે માપી લીધું છે. વરુણદેવ પર વહાણો ચાલે છે. અને વાયુદેવ પવનચક્કીઓ ચલાવે છે. Quantum Theory નો પ્રખર વૈજ્ઞાનીક રીચાર્ડ ફેઈન્મેન લખે છે: ‘ખોટા જવાબોમાં રાચવા કરતાં અજ્ઞાનમાં રહેવું વધારે સારું.’  હું જાણતો ના હોઉં, ને છતાં ‘જાણતો નથી’ એમ કહેતાં શરમાઉં, તો એ મારી અપરીપક્વતાનું લક્ષણ છે.

           ઉપર વર્ણવી તેવી એક અભેદ્ય દીવાલ તે મૃત્યુ છે. એની પાછળ શું છે તે (અનેકના દાવાઓ છતાં) કોઈને ખબર નથી. જન્મ, જરા અને મૃત્યુને જાણવા, એમનો ઉપાય શોધવા, ઉપનીષદ્‌ યુગમાં નચીકેતા મથ્યો; ગૌતમ બુદ્ધે પણ સર્વસ્વ છોડ્યું. ભગવાન બુદ્ધને સુદ્ધાં એ જ્ઞાન મળી શક્યું નથી. તો પછી મારા કે તમારા જેવાનું શું ગજું ? દાવો તો બધાય કરે છે; પણ ખરેખર કોઈને જાણવા મળ્યું ? ઉપાય મળ્યો ? ના. રડતી કીસા ગોતમીને ભગવાન બુદ્ધે સમજાવ્યું તેમ, કોઈ ઉપાય નથી. કોઈ રસ્તો નથી. મૃત્યુ અભેદ્ય છે, અનીવાર્ય છે; એને સ્વીકારો. જીવનને સ્વીકારો. વૃદ્ધત્વ અને મૃત્યુને સ્વીકારી લઈ બની શકે તેટલી સારી રીતે જીન્દગી જીવો. બધી શોધના અંતમાં શોધની નીરર્થકતા સમજાય. બધા જ્ઞાનના અંતમાં જણાય કે તમે કેટલું ઓછું જાણો છો; કેટલું ઓછું જાણી શકો છો; સારું જીવવા ખાતર તો કેટલું ઓછું જાણવાની જરુર હોય છે!

        વીજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, બન્નેની ગમે તેટલી પ્રગતી થાય, કેટલાક પ્રશ્નો હંમેશાં ઉભા જ રહેવાના. માત્ર એ કારણે જ નહીં કે આ બન્ને અધુરાં છે; એ પ્રશ્નોનું સ્વરુપ અને પુછવાની રીતના કારણે સુધ્ધાં પ્રશ્નો તો રહેવાના જ. જીવન શું, ચેતન શું, આત્મા શું, એવું એવું આપણે જ્યારે પુછીએ છીએ, ત્યારે ભુલી જઈએ છીએ કે આપણે ઘણીબધી ધારણાઓ (Axioms) સ્વીકારી લઈને બોલીએ છીએ:

૧. કે જીવન અને મૃત્યુ વચ્ચેની લાઈન સ્પષ્ટ ને સુરેખ હોય છે; (એ નથી)

૨. કે મગજ, મન અને આત્મા, ત્રણેય એકમેકથી તદ્દન જુદાં ને સ્વતંત્ર છે; (એમ પણ નથી)

૩. કે મુશ્કેલ પ્રશ્નોના સરળ ઉત્ત્તરો હોય છે ને એ હાથવગા છે. (એમ પણ નથી.)

         ઉપરની ત્રણેય ધારણાઓ બાંધવા માટે કોઈ જ આધાર નથી.

         એ જ રીતે, જ્યારે આપણે પુછીએ છીએ કે જીવનનો અર્થ શો કે પ્રયોજન શું, ત્યારે આપણે અકારણ માની લીધેલું (Assumed) હોય છે કે દરેક ચીજનો અર્થ હોવો જ જોઈએ. વળી એ પણ આપણે ભુલી જઈએ છીએ કે દરેક બાબતનો અર્થ તો એ જ હોય છે કે જે ખુદ આપણે જ એને અર્પેલો હોય છે. જીવનનો અર્થ પુછવો એટલે પ્રશ્નના સ્વરુપમાં એનો ઉત્તર સ્વયં ગૃહીત ધરવો.

        સારમાં સાર એક જ છે : ઉટપટાંગ વાતોને છોડો. શ્રદ્ધાને બાજુએ રાખો; બુદ્ધીને અપનાવો. શ્રદ્ધાને કીનારો નથી, બુદ્ધી વીના આરો નથી.

–સુબોધ શાહ

 લેખક શ્રી. સુબોધ શાહનું એક અંગ્રેજી પુસ્તક ’Culture Can Kill - How Beliefs Blocked India’s Advancement’ એ શીર્ષકથી અમેરીકાથી પ્રકાશીત થયું છે. એના કેટલાક અંશોનો, મુળ લેખક શ્રી. સુબોધ શાહ દ્વારા જ થયેલો આ ભાવાનુવાદ, અહીં લેખકની અનુમતીથી રજુ કર્યો છે. તે પુસ્તક મેળવવા માટે લેખકનો સંપર્ક કરવા વીનંતી.

–ગોવીન્દ મારુ

લેખક સમ્પર્ક:

Subodh Shah, 7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Ph : 001-636-240-5230   eMail : ssubodh@yahoo.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel (Krishna) Apartments, B Wing, Opp. Balaji Garden, Bonkode village, KOPARKHAIRNENavi Mumbai – 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 26/04/2013

10

–મુરજી ગડા

     વીજ્ઞાન અને ધર્મ ક્યારેય પણ પરસ્પર વીરોધી નહોતા અને આજે પણ નથી. એમના માર્ગો અલગ છે, કાર્યક્ષેત્ર જુદાં છે, કાર્યપદ્ધતી અલગ છે; પણ બન્નેનું અંતીમ ધ્યેય એક છે. એમની વચ્ચે સ્પર્ધા જરુરી નથી. છતાંયે એ એકબીજાના વીરોધી હોવાનો ભરપુર પ્રચાર થયો છે અને થઈ રહ્યો છે. કોઈ એક ખાસ ધર્મ નહીં; પણ બધા જ ધર્મોને આ લાગુ પડે છે.

      વીજ્ઞાન અને ધર્મ બન્ને સનાતન છે. આપણા પુર્વજોએ જ્યારથી બુદ્ધીનો ઉપયોગ કરવાનું શરુ કર્યું ત્યારથી બન્ને અસ્તીત્વમાં આવ્યા છે. આદી માનવે શીકાર કરવા લાકડી અને પથ્થર (શસ્ત્ર અને અસ્ત્ર)નો કરેલો ઉપયોગ તે વીજ્ઞાનની શરુઆત હતી. કોઈ કાર્ય કરતાં પહેલાં માનવી જ્યારથી સારા નરસાનો વીચાર કરવા લાગ્યો ત્યારથી આપોઆપ નીતી અને ધર્મની શરુઆત થઈ.

       દરેક પ્રવર્તમાન પરીસ્થીતી એક ચોક્કસ વર્ગ માટે ફાયદાકારક હોય છે. એમાં થતો કોઈપણ ફેરફાર એમના હીતની આડે આવે છે. વીજ્ઞાનના વીકાસ અને સ્વીકાર સાથે જેમને પોતાનું મહત્ત્વ ઓછું થતું લાગ્યું એમણે લોકસમુદાય પર પોતાનું પ્રભુત્વ ટકાવી રાખવા વીજ્ઞાનનો વીરોધ કરવાનું શરુ કર્યું. હકીકતમાં જે લોકો વીજ્ઞાનનો વીરોધ કરે છે એમને વીજ્ઞાન શું છે એ તો ખબર નથી જ; પણ સાચા અર્થમાં ધર્મ શું છે એની પણ ખબર નથી ! ક્રીયાકાંડને ધર્મ માનનારા ધર્માંધ લોકો જ વીજ્ઞાનનો વીરોધ કરે છે. સાચા અર્થમાં ધાર્મીક વ્યક્તીને વીજ્ઞાનના વીકાસ સામે વાંધો ન હોઈ શકે.

       વીજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે કુદરતનાં રહસ્યો ઉકેલવાનું અને મળેલી નવી માહીતીનો ઉપયોગ કરીને આપણું જીવન વધુ સગવડભર્યું બનાવવાનું. એને આપણી વાસ્તવીક દુનીયા સાથે સમ્બન્ધ છે. આદી માનવે જો વૈજ્ઞાનીક વીચારસરણી અપનાવી ન હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહીને પ્રાણીઓનો શીકાર કરતા હોત. ધર્મનું અસ્તીત્વ ના હોત. અહીંસાની વાતો આપણને ના પરવડત.

   વીજ્ઞાનને માત્ર આધુનીક શોધખોળોમાંથી નથી જોવાનું. આપણી આજુબાજુ માનવસર્જીત જે પણ કંઈ દેખાય છે તેમાંથી મોટાભાગનું વીજ્ઞાનને આભારી છે. આપણા ઘર, કપડાં, અનાજ વગેરે બધું જ વૈજ્ઞાનીક શોધોનું ફળ છે. ઘઉં, ચોખા વગેરે જંગલમાં નહોતા ઉગતા, મનુષ્યે વીકસાવ્યા છે. એ શોધો જુની થઈ એટલે વીજ્ઞાનની ભેટ મટી નથી જતી. દુરના ટાપુઓ પર વસતી આદી જાતીઓ સીવાયના બધા જે પણ વીજ્ઞાનનો વીરોધ કરે છે તે નાસમજ કે સરાસર દંભી ગણાય.

       એક વ્યાખ્યા પ્રમાણે ધર્મ એ નીતીશાસ્ત્ર અને ભક્તીશાસ્ત્ર છે. નીતીપુર્ણ જીવન જીવવા માટેના આદેશ અને એ સમુદાયના ઈષ્ટદેવની ભક્તી એ ધર્મનો વ્યાપ છે. ઈશ્વરનો સ્વીકાર એ શ્રદ્ધા છે. એની આરાધના એ ભક્તી છે. ધર્મના આદેશોનું સાચા અર્થમાં કરેલું પાલન એ નીતી છે. આ ધર્મનો વ્યાપ અને કાર્યક્ષેત્ર છે. તે સીવાય ધર્મના નામે જે પણ કહેવામાં અને કરવામાં આવે છે એમાંથી મોટા ભાગનું પોતાની વીચારધારા ફેલાવવા માટેનો કે પછી અંગત લાભ મેળવવા માટે ધર્મના નામનો કરેલો ઉપયોગ છે.

       ધર્મ એ પણ એક વીચારધારા છે. દરેક ધર્મની શરુઆત વખતે એ પ્રદેશની ત્યારની સામાજીક સ્થીતી અને એ ધર્મની શાખની સરખામણી કરીએ તો આ વાતની પુષ્ટી મળે છે. વીચારધારા એ નદીના પ્રવાહ જેવી હોય છે. શરુઆતમાં એ નાની અને સરળ હોય છે. આગળ જતાં એમાં બીજા પ્રવાહો ભળીને એને વીશાળ અને વીસ્તૃત કરે છે. ક્યારેક મુળ ધારા કરતા એ ઘણી બદલાઈ જાય છે.

       ધર્મને લગતી બાબતો શ્રદ્ધા આધારીત છે. એ આપણી આંતરીક દુનીયાને પ્રભાવીત કરે છે. શ્રદ્ધા એ શક્ય અને અશક્ય વચ્ચેની સ્થીતી છે. એ સાચી યા ખોટી સાબીત કરી શકાય નહીં. ધાર્મીક માન્યતાઓ આપણી પાસેથી સમ્પુર્ણ સ્વીકારની અપેક્ષા રાખે છે. એમની સામે પ્રશ્ન ઉઠાવવો એ ગુનો ગણાય છે. એમનું કામ સ્વતંત્ર વીચાર અને તર્કને દાબી દેવાનું રહ્યું છે. જે પણ આપણા સાંભળવામાં કે વાંચવામાં આવે તેને સાચું માની લેવું એ શ્રદ્ધા નથી. શું અને કેટલું સાચું માનવું એમાં બુદ્ધીનો ઉપયોગ કરવો પડે છે. જે બાબતો કુદરતી નીયમો અને આપણા અનુભવોની વીરુદ્ધ જાય છે એનો સ્વીકાર એ શ્રદ્ધા નહીં; પણ અંધશ્રદ્ધા છે. ઘણા લોકો અંધશ્રદ્ધાને શ્રદ્ધામાં ખપાવવામાં સફળ થાય છે; કારણ કે એમને સાબીતીની જરુર હોતી નથી. એ ભોળા લોકોમાં રહેલ લાલચ અને ડરનો લાભ ઉઠાવે છે. પ્રચલીત અંધશ્રદ્ધાની વાતો માટે એક લેખ તો શું, પુસ્તક પણ નાનું પડે.

       આજે જેને ધર્મ કહેવામાં આવે તે સંગઠીત કે સંસ્થાકીય ધર્મ છે. એ ઘણા પાછળથી અસ્તીત્વમાં આવ્યા છે. આ સંસ્થાકીયપણું મહત્ત્વાકાંક્ષી લોકો દ્વારા પોતાનું મહત્ત્વ વધારવાના પ્રયાસનું પરીણામ છે. એમાં નીતી અને આદર્શ ઓછા અને વીધીવીધાન વધારે છે. એટલે જ બધા મુળ ધર્મના આટલા બધા પંથ છે. સમ્પ્રદાયને જ ધર્મ માનવામાં આવે છે. એનો પ્રચાર એ જ એમનો મુખ્ય હેતુ હોય છે.

      રાજાશાહીના જમાનામાં કાયદા નહીંવત્ હતા. રાજા પોતાની મરજી મુજબ કાયદા બનાવી અને બદલી શકતા હતા. રાજા બદલાય એની સાથે કાયદા પણ બદલાતા રહેતા. એવા વાતાવરણમાં ધાર્મીક નીતીનીયમોએ લોકસમુદાયને શાંતીથી રહેવામાં અને વ્યવસ્થા જાળવવામાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ધર્મનું એ એક મહત્ત્વનું કાર્ય હતું. હવે જ્યારે રાજ્યવ્યવસ્થા સ્થીર થઈ છે, કાયદા ચોકસાઈથી બનાવવામાં આવે છે ત્યારે ધર્મની એ જવાબદારી સીમીત થઈ જાય છે. ઉલટાનું બહુધર્મીય રાષ્ટ્રોમાં ઘણીવાર ધાર્મીક મતભેદો શાંતીના બદલે અશાંતી ફેલાવે છે.

       સામ્યવાદી અને વીકસીત દેશોમાં, જ્યાં કાયદાપાલનનું પ્રમાણ ઉચું છે ત્યાં, ધર્મનો વ્યાપ આપોઆપ પોતાના મુળ કાર્યક્ષેત્રમાં સીમીત થઈ રહ્યો છે. ધાર્મીક પ્રસંગની ઉજવણીઓ બહોળા સામાજીક પ્રસંગ કરતાં મર્યાદીત સમુદાયમાં સમાઈ રહી છે. આ ભાવનાનો સર્વત્ર સ્વીકાર થાય તો ધાર્મીક ઝઘડા અવશ્ય ઘટી જશે. ભારત જેવા કાચી લોકશાહીવાળા દેશમાં ઘણી ભીન્નતાને લીધે કાયદાપાલન અઘરું છે. એટલે ધાર્મીક સમ્પ્રદાયોની પકડ વધુ મજબુત રહેવા પામી છે.

       વીજ્ઞાનના વીરોધીઓની મુખ્ય દલીલ એ છે કે ધર્મ અપરીવર્તનશીલ સનાતન સત્ય છે જ્યારે વીજ્ઞાન સતત બદલાયા કરે છે. બન્ને ખ્યાલ ગેરસમજ ભરેલા છે. જો ધર્મ સનાતન સત્ય હોત તો દુનીયામાં એક જ ધર્મ હોત. જુદી જુદી વીચારસરણીવાળા આટલા ધર્મો અને દરેક ધર્મના આટલા પંથની વાસ્તવીકતાનો ઉપરોક્ત કથન સાથે મેળ ખાતો નથી. ધર્મનો વ્યાપ પણ સમય અને સ્થળ પ્રમાણે બદલાતો રહ્યો છે. એમાં સમયાંતરે થતા ફેરફાર જરુરી પણ છે. કોઈપણ ધાર્મીક વીચારધારા કુદરતી નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. બધા ધર્મોનું હાર્દ આની સાથે સહમત થાય છે. ધર્મ જો આ મર્યાદામાં રહ્યા હોત તો કોઈને ધર્મ પ્રત્યે વાંધો ન હોત.

       વીજ્ઞાન વીકસે છે નીતનવી શોધોને લીધે. એ વીસ્તાર પામે છે. એને બદલાય છે એમ ન કહેવાય. એના નીયમો સનાતન છે અને બધે જ લાગુ પડે છે. એમાં સ્ત્રી–પુરુષના ભેદ નથી, ઉંચ–નીચની ભાવના નથી, કાળા–ગોરાનો ફર્ક નથી. કોઈ પણ વ્યક્તી એમાં જંપલાવી બુદ્ધી અને મહેનતથી પોતાનું યોગદાન આપી શકે છે.

       વીજ્ઞાન એ કુતુહલમાંથી નીપજતું સત્ય છે. એનું કાર્યક્ષેત્ર અને ધ્યેય કુદરતનાં છુપાયેલાં રહસ્યોને શોધી કાઢવાનું છે. જે સાબીત થઈ શકે તેને અને ફક્ત તેને જ સ્વીકારવાનું વૈજ્ઞાનીક વીચારસરણીના મુળમાં છે. એના માટે ફક્ત શ્રદ્ધા પુરતી નથી. વૈજ્ઞાનીક વીચારસરણી સતત સવાલો કરે છે અને એના ઉત્તરો શોધી પોતાની અધુરપો સુધારી વધુ ચોક્કસ બનાવે છે. એનો કોઈ અંત નથી. એ કોઈ એક લક્ષ્યાંક પાછળ નથી કે જે મેળવ્યા પછી એનું કાર્ય સમાપ્ત થઈ જાય. એ વહેતા પાણી સમાન છે. ધર્મો બંધીયાર પાણી જેવા બની ગયા છે. કુદરતી રીતે વહેતું પાણી બંધીયાર પાણી કરતાં હંમેશાં વધુ સ્વચ્છ હોય છે.

       જનસમુદાયની પ્રચલીત માન્યતા જ્યાં સુધી સાબીત ન થઈ શકે ત્યાં સુધી વીજ્ઞાન એને ‘શક્યતા’થી વધારે નથી ગણતું. સાથે સાથે એમાં કુદરતના નીયમોનું ઉલ્લંધન ન થતું હોય તો નકારી પણ નથી કાઢતું. બધાં જ ક્ષેત્રોની જેમ પાખંડીઓ વીજ્ઞાનનો પણ ગેરલાભ ઉઠાવે છે. જાદુના કે એવા બીજા પ્રયોગો જ્યારે મનોરંજનથી આગળ વધીને લોકોને છેતરવા માટે વપરાય છે ત્યારે વીજ્ઞાનનો ગેરલાભ ઉઠાવ્યો કહેવાય.

       વીજ્ઞાન પાસે હજી ઘણા પ્રશ્નોના જવાબ નથી. કુદરતનાં રહસ્યોનો તો હજી સાવ નાનો સરખો ભાગ ઉકેલાયો છે. એનો મતલબ એવો નથી કે અણઉકલ્યા પ્રશ્નોના ગમે તે જવાબ આપીએ તે સાચા થઈ જાય. અવારનવાર છાપામાં આવતી નવી શોધો વીશે, ‘શાસ્ત્રોમાં આ બધું લખેલું છે’ કહી, ગમે તેવો સમ્બન્ધ જોડી દેતા કહેવાતા વીદ્વાનો ઉમટી પડ્યા છે. આ આત્મશ્લાઘાની પરાકાષ્ટા છે.

       વીજ્ઞાનના વીરોધીઓ વાતવાતમાં શાસ્ત્રોનો આધાર આપે છે. શાસ્રો કોણે, ક્યારે અને કેવા સંજોગોમાં લખ્યા એની ચોક્કસ માહીતી મળવી મુશ્કેલ છે. એમની અસલીયત વીશે પણ પ્રશ્નો ઉઠે છે. મોટા ભાગના ધર્મોનો ફેલાવો રાજ્યાશ્રયમાં થયો છે. એમનાં લખાણો માટે રાજાની સંમતી જરુરી હતી. એટલે જ કદાચ રાજાઓને દૈવી કુળના ગણાવવામાં આવતા. જુના જમાનામાં સાવ ઓછા લોકોને લેખનકળા સીદ્ધ હતી. કાગળ મર્યાદીત હતા. છાપખાનાં શોધાયાં નહોતાં. દરેક પ્રત હાથે લખાતી હતી. એવામાં શબ્દફેર કે ભાવફેર થઈ જવો અથવા સ્વેચ્છાએ કરવો આસાન હતો. કેટલાયે લહીયાઓએ પોતાની સલામતી અને/અથવા સુખ સગવડ ખાતર તત્કાલીન રાજાને કે પરીસ્થીતીને અનુકુળ ફેરફારો કર્યા હોય એ સંભવીત છે. કોઈએ પોતાની અંગત વીચારસરણી ફેલાવવા માટે પણ ફેરફારો કર્યા હોય (આજે પણ બદલાતી સરકારો ઈતીહાસમાં પોતાને અનુકુળ ફેરફારો કરે જ છે) આજે જે શાસ્ત્રોનો આધાર આપવામાં આવે છે તે મુળ ધર્મ સંસ્થાપકની વાણી સાથે બીજા ઘણાની વીચારસરણીનો સમન્વય હોવાની ઘણી શક્યતા છે.

       ઈતીહાસ, ભુગોળ, ખગોળ, સ્થાપત્ય, ભુસ્તર, ચીકીત્સાશાસ્ત્ર વગેરે ધર્મથી તદ્દન સ્વતંત્ર વીષયો છે. જે જુજ લોકોને લખતા આવડતું, એમાંના મોટા ભાગના ધર્મલેખન સાથે સંકળાયેલા હતા. એમના હાથમાંથી જે પણ પસાર થતું અથવા બીજું જે પણ લખાતું તે બધું ધર્મનો જ એક ભાગ ગણાવા લાગ્યું. ત્યારથી આ સ્વતંત્ર વીષયોને ધર્મ સાથે જોડીને ધર્મને નામે પ્રસારવામાં આવ્યા છે. પોતાના મુળ કાર્યક્ષેત્રથી આગળ વધીને ધર્મના રખેવાળોએ આ વીષયોમાં કરેલા નીવેદનોમાંથી ઘણા ખોટા સાબીત થયા છે અને સતત ખોટા સાબીત થઈ રહ્યા છે. ધર્મના આવરણમાંથી એમની મુક્તી અત્યંત આવશ્યક છે. એ ન થાય ત્યાં સુધી આવા સ્વતંત્ર વીષયો પરનાં મંતવ્યોનું પ્રસારસ્થાન ખ્યાલમાં રાખી, એ સ્વીકારવામાં વીવેક જાળવવાનું શાણપણ રાખવું જરુરી છે.

       વીજ્ઞાન હોય કે ધર્મ, બન્નેનું અંતીમ લક્ષ્ય છે સત્યની શોધ અને સ્વીકાર. ક્યાંક વાંચેલું કે સાંભળેલું, પરમ્પરાથી ચાલ્યું આવતું બધું જ સાચું માની ને એને વળગી રહેવામાં સત્યનો અસ્વીકાર અને ધર્મનું અ–પાલન છે.

       રામના નામે ત્યારે પથ્થરો તર્યા હતા કે નહીં એ રામ જાણે ! સદીઓથી રામના નામે ઘણા લોકો પોતાના સ્વાર્થને તારતા આવ્યા છે અને તારી રહ્યા છે. વર્તમાનમાં રાજકારણીઓ એમાં સૌથી મોખરે છે. રામની જેમ જ બીજા યુગપુરુષોના નામે શું શું નહીં તર્યું હોય ?

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના ૨૦૦૭ ના ઓક્ટોબર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Evaz Apparel Housing Co-op.Society, B Wing, Opp. Ayyappa Temple, Samata Nagar, BONKODE VIAGE, Navi Mumbai – 400709  સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 19/04/2013

9

-યાસીન દલાલ

- જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અન્ધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે !

Mid-day

રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લાનાં ગંગાપુર ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. ત્યાં કંચનસીંહ રાજપુતનું કુટુમ્બ રહેતું હતું. કુટુમ્બમાં નવ સભ્યો હતા. કંચનસીંહને આપણાં પૌરાણીક પાત્રો રામ અને શંકરમાં અપાર શ્રદ્ધા હતી. આમ તો આપણા દેશમાં મોટાભાગના લોકો શ્રદ્ધાળુ છે; પણ શ્રદ્ધા ક્યારેક અન્ધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. તેઓ રાત દીવસ શંકર ભગવાનને મળવાનાં સ્વપ્નાં જોતા હતા. આ સ્વપ્નું ધીમે ધીમે દીવાસ્વપ્ન બની ગયું અને દીવસના પણ જાગૃત અવસ્થામાં કંચનસીંહ શંકર ભગવાનને જોતા થઈ ગયા. એમના કુટુમ્બ સમક્ષ એ આખો દીવસ શંકર-પાર્વતીની જ વાતો કરતા. એવામાં ટી.વી. ઉપર ‘મહાદેવ’ ટી.વી. શ્રેણી શરુ થઈ અને કંચનસીંહને ભાવતું મળી ગયું, એમનું આખું કુટુમ્બ દરરોજ રાત્રે આ સીરીયલ જોવા માંડ્યા. સીરીયલમાં પાર્વતી શંકરને આજીજી કરે છે. શંકર પહેલાં તો પાર્વતીને ધુત્કારી કાઢે છે; પણ પાર્વતી સાચા દીલથી શંકર ભગવાનની આરાધના કરે છે અને તપ કરે છે. અન્તે શંકર ભગવાન પ્રસન્ન થયા અને પાર્વતીને અપનાવી લીધી. બન્નેનાં લગ્ન થાય છે.

કંચનસીંહનું કુટુમ્બ પણ અન્ધશ્રદ્ધાળુ છે એનાં વૃદ્ધા બાથી માંડીને એની પત્ની તથા બાળકો એનો પડ્યો બોલ ઝીલે છે. એના બા કહે છે કે હું મરી જાઉં તો શંકર ભગવાનની સાથે તારા પીતાને પણ મળી શકું. એટલે આ નીર્વાણમાં મનેય સાથે રાખજે. પુત્રી પણ કહે છે કે મારે પણ પાર્વતીજીનાં દર્શન કરવાં છે; એટલે આપણે સામુહીક રીતે સ્વર્ગે સીધાવવાનું છે. કંચનસીંહ કહે છે કે મેં ત્રણ વખત આપઘાતની કોશીશ કરી; પણ એમાં નીષ્ફળ ગયો. એક વખત તો શંકરના મન્દીરમાં જઈને શીવલીંગ ઉપર મારા રક્તનો અભીષેક કર્યો; પણ તોય હું જીવતો રહ્યો. એકવાર મેં ઈન્જેક્શનમાં હવા ભેળવી લીધી; છતાં હું મર્યો નહીં. હવે નક્કી આપણે સૌએ સામુહીક પુરુષાર્થ કરવો જ પડશે. આમ તો દરરોજ સ્વપ્નામાં હું શંકર-પાર્વતીને જોતો જ હોઉં છું. હવે આપણે એમના પ્રત્યક્ષ દર્શન કરવા છે. કંચનસીંહે સ્વપ્નામાં શંકર ભગવાન સાથે થયેલી વાતચીતનું વર્ણન પણ કર્યું.

આ પછી કુટુમ્બે હવન શરુ કર્યો. એમાં ઘી, જવ, તલ ઉપરાન્ત જાતજાતની વસ્તુઓ હોમી દીધી. કંચનસીંહ ક્યાંકથી તાન્ત્રીક વીધી શીખી આવેલા. એ પણ અજમાવી જોઈ; પણ એની પણ કોઈ અસર ન થઈ. અન્તે એમણે તૈયાર કરાવેલા લાડુ લાવવાનું કહ્યું એમણે ખુલાસો કર્યો કે આ લાડુમાં સાઈનાઈડ ભેળવ્યું છે, એ ખાઈને જરુર આપણે મોક્ષ મેળવીશું. લાડુ પીરસાયા, બધાએ એ ખાધા અને એક પછી એક પાંચેય જણાં ઢળી પડ્યાં. ત્રણ જણાં બચી ગયાં. એમણે ત્રણેયને તાત્કાલીક હૉસ્પીટલમાં ખસેડ્યા. અત્યારે એ ત્રણેય જણા હૉસ્પીટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. દરમ્યાન કંચનસીંહનો મનસુબો પામી ગયેલો એનો ભાઈ ઘરેથી ભાગી ગયો. કંચનસીંહ એને સ્ટેશને ગાડીમાં બેસાડીને પાછા આવી ગયા.

આ સમગ્ર કીસ્સો ચોંકાવનારો છે. આ કીસ્સો ટી.વી. ઉપરની સીરીયલ જોઈને બન્યો. મતલબ કે ટી.વી. ૨૧મી સદીનું પ્રબળ અસરકારક માધ્યમ છે. તો પછી પ્રશ્ન એ છે કે અન્ધકાર યુગને યાદ કરાવે એવો આ કીસ્સો કેમ બન્યો ? પડોશીઓના કહેવા મુજબ કંચનસીંહ છેલ્લા કેટલાક સમયથી અલુફ એટલે કે એકલા પડી ગયેલા. સમાજ સાથેનો સમ્બન્ધ એમણે તોડી નાંખેલો. આખો દીવસ કુટુંબ સાથે જ ગાળતા. આ સમગ્ર ઘટના એટલા માટે બહાર આવી કે એમણે પોતે એક વીડીયો કૅમેરો મુકીને એનું રેકૉર્ડીંગ કરેલું. ઘટના પછી આ રેકૉર્ડીંગ પોલીસના હાથમાં આવ્યું અને પોલીસના હાથમાંથી એક ટી.વી. ચેનલના હાથમાં આવી ગયું. ટી.વી. ચેનલે આ રેકૉર્ડીંગ સતત બે કલાક બતાવ્યું અને પરીણામે દેશભરમાં એની ખબર પડી ગઈ. એ દીવસે તો બીજી કોઈ ચેનલ ઉપર એની નોંધ ન લેવાઈ; પણ બીજે દીવસે બધી ચેનલોએ એ સમાચારને ચમકાવ્યા.

ચેનલે બે કલાક ચર્ચા ચલાવી એમાં ચાર સાધુસન્તોને હાજર રાખેલા. ઉપરાન્ત જબલપુરના દેશમુખ નામના એક રૅશનાલીસ્ટ મીત્રનો પણ વારંવાર અભીપ્રાય લેતા. દેશમુખે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે : ‘આવી ઘટનાઓ ધર્મને લીધે જ બને છે. આપણા દેશમાંથી ધર્મ નાબુદ થાય અને આપણે વૈજ્ઞાનીક અભીગમ અપનાવીએ તો આવું બને જ નહીં.’ સાધુઓનું કહેવું હતું કે : ‘આવી ઘટનાઓ ધર્મને લીધે નહીં; પણ ધર્મના ખોટા અર્થઘટનને કારણે બનતી હોય છે.’ એક સાધુએ તો ત્યાં સુધી કહ્યું કે : ‘આજના કેટલાક કથાકારો પોતાની કથાઓમાં ચમત્કારને જોડી દે છે.’ એક સાધુએ તો કથામાં ત્યાં સુધી કહેલું કે : ‘શંકર-પાર્વતીના વીવાહ વખતે હું ત્યાં હાજર હતો.’ દરેક વખતે રૅશનાલીસ્ટ મીત્રનું કહેવું હતું કે : ‘ધાર્મીક કથાઓ થાય છે એટલે જ એના સાચા કે ખોટા અર્થઘટનનો પ્રશ્ન ઉદ્ ભવે છે. ટી.વી. ઉપર પણ આવી ધાર્મીક સીરીયલો બંધ કરવી જોઈએ અને કથાકારોને પણ ફરજ પાડવી જોઈએ કે ધાર્મીક કથાઓમાં વૈજ્ઞાનીક અભીગમ અપનાવો.’ મોરારીબાપુ છેલ્લે છેલ્લે આમ કરતા થયા છે એની પણ નોંધ લેવી ઘટે.

પાછળથી પોલીસે જણાવ્યું હતું કે પરીવારના વડા કંચનસીંહ અન્ધશ્રદ્ધામાં ખુબ જ વીશ્વાસ ધરાવતા હતા. ગંગાપુરમાં નાગીયા કોલોની ખાતે એમનું મકાન છે. કંચનસીંહ અવારનવાર પોતાના ઘરમાં હવન કરાવતા હતા. એમને શીવજીમાં અતુટ શ્રદ્ધા હતી. મહાદેવ સીરીયલ જોઈને એમની શ્રદ્ધા મજબુત બની. એમણે બધાએ શીવજી પ્રગટ થાય એ માટે લોહીથી સ્નાન પણ કર્યું હતું અને ભગવાનને આહુતી આપી હતી. એમણે લોહીથી પાંચસો વાર અભીષેક કર્યો અને એકત્રીસસો તીલક કર્યાં; છતાં શીવજી પ્રગટ ન થયા એટલે ઝેર ગટગટાવ્યું. હવનમાં એમનાં પત્ની નીલમ, માતા ભગવતીદેવી, પુત્ર પ્રદ્યુમ્ન, દીપસીંહ અને દીપસીંહના પુત્ર લવસીંહનો ભોગ લેવાઈ ગયો. દીપસીંહ દીલ્હીથી હવનમાં ભાગ લેવા ખાસ આવેલા. તેઓ દીલ્હી એમ.એન.સી.માં નોકરી કરે છે. રશ્મી પોતે દીલ્હીમાં બી.એ.માં ભણે છે; પણ આવી અન્ધશ્રદ્ધામાં માનતી ન હોવાથી હવનના થોડા દીવસ પહેલાં જ દીલ્હી જતી રહી હતી એની સાથે એનો ભાઈ પ્રદીપ પણ દીલ્હી જતો રહ્યો.

છેલ્લાં ઘણાં વરસોથી આપણે ત્યાં ધાર્મીક કથાકારો પણ વધી ગયા છે. આ કથાકારો જાહેરમાં સરકારને પડકાર ફેંકે છે. અત્યારે મહારાષ્ટ્રમાં મરાઠવાડા વીસ્તારમાં ભીષણ દુષ્કાળ પ્રવર્તે છે અને પાણીની કારમી તંગી વર્તાય છે. આમ છતાં આશારામ બાપુએ નાગપુરમાં હજારો લીટર પાણીથી હોળી ખેલી. જ્યારે મહારાષ્ટ્ર સરકારે આની સામે લાલ આંખ કરી ત્યારે આશારામ બાપુએ ગર્જના કરી કે હું ગમે ત્યારે અને ગમે ત્યાં ચમત્કાર કરીને ભારે વરસાદ વરસાવી શકું છું. આપણે એમને પુછી શકીએ કે જો આમ જ હોય તો તમે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની કારમી તંગી છે ત્યાં વરસાદ કેમ વરસાવતા નથી ?

 ન્યુટન ઉપરાંત આઈનસ્ટાઈન જેવા વૈજ્ઞાનીકોએ કરેલા પુરુષાર્થને પરીણામે પશ્ચીમની પ્રજામાં વૈજ્ઞાનીક અભીગમ આવી ગયો છે. એની શરુઆત ગેલીલીયો, કોપરનીક્સ, સ્પીનોઝા જેવા વૈજ્ઞાનીકોએ કરેલી એમણે અનેક મહાન સત્યો શોધી કાઢ્યાં અને દર્શાવ્યું કે પૃથ્વી ચોરસ નહીં; પણ ગોળ છે. બીજુ સત્ય એ બહાર આવ્યું કે સુર્ય પૃથ્વીની આસપાસ નહીં; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. આ નવાં સત્યો શોધવા બદલ આ વૈજ્ઞાનીકોને જેલમાં પુરવામાં આવ્યા. કોઈની આંખો ફોડી નાંખવામાં આવી, તો કોઈને જીવતાં બાળી નાંખવામાં આવ્યા; પણ યુરોપની પ્રજાની ખુબી જુઓ કે પોપ પોલે અનેક વખત એ વૈજ્ઞાનીકો ઉપર થયેલાં જુલમો બદલ પ્રજાની માફી માંગી છે. ગ્રહો અને ઉપગ્રહોની તથા આકાશગંગાની શોધખોળ પણ ચાલુ જ છે. નેપચ્યુન અને પ્લુટો પછી બીજા અનેક ગ્રહો શોધાઈ ચુક્યા છે. આમ જ્યોતીષશાસ્ત્રનો પાયો જ ખળભળી ઉઠ્યો છે. છતાં આપણે બધાં કામ મુહુર્ત જોઈને જ કરીએ છીએ. મોટાભાગનાં લગ્નો પણ કુંડળી અને ગ્રહો મુજબ થાય છે. કોઈને સુઝતું નથી કે જો કુંડળી મુજબ લગ્નો થતાં હોય અને સાચી રીતે થતાં હોય તો દેશમાં એક પણ છુટાછેડાનો કીસ્સો બનવો જ ન જોઈએ; પણ આપણે ત્યાં આવા કીસ્સા બને છે. આપણે સમજવું જોઈએ કે સુર્ય, ચંદ્ર અને બીજા ગ્રહો અને ઉપગ્રહો ધુળ અને ખડકો સીવાય કાંઈ નથી. એમની ગતી અને પરીભ્રમણ ગુરુત્વાકર્ષણના આધારે ચાલે છે. આપણા ભવીષ્ય ઉપર એની કોઈ અસર નથી. લગ્નના રીવાજ દેશે દેશે જુદા જુદા હોય છે. પશ્ચીમના દેશોમાં છુટાછેડાનું ચલણ સામાન્ય થઈ ગયું છે. ત્યારે આપણે ત્યાં એવું નથી. આમાં ગ્રહોનો પ્રશ્ન ક્યાં આવ્યો ? આપણે ગ્રહોને દૈવીક તત્ત્વ સાથે જોડી દઈએ છીએ. હજારો વર્ષ પહેલાં આ સાચું હતું; પણ આજના જમાનામાં નાગને દેવ માનીને એની પુજા કરીએ એ એક જાતનો વહેમ જ છે.

બ્રહ્માંડમાં દીશા નથી કે સમય પણ નથી. આ બધું પૃથ્વી, ચંદ્ર અને સુર્યની ગતી મુજબ નક્કી થાય છે. ભારતમાં દીવસ હોય છે ત્યારે અમેરીકામાં રાત હોય છે. સમય અને દીશા તો માણસે પોતાની અનુકુળતા માટે શોધી કાઢ્યાં છે.
જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અન્ધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે. પૌરાણીક કથાઓમાંથી પણ એનો મર્મ સમજીને ચમત્કારો કાઢી નાખવા જોઈએ. ચમત્કારો એ પ્રતીક છે. શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર હોય કે શ્રીરામનું બાણ હોય; આ બધાં એમની શક્તીનાં પ્રતીક હતાં. એને એ રીતે જ સમજવાં જોઈએ. ગુલઝારે મીરાંબાઈના જીવન ઉપરથી ‘મીરાં’ નામનું ચલચીત્ર બનાવ્યું ત્યારે સીફતથી મીરાંના જીવનના બધા ચમત્કારોને કાઢી નાખ્યા હતા. મોટાભાગની ગુજરાતી ફીલ્મો ચમત્કારોથી ભરેલી હોય છે. એને લીધે સૌરાષ્ટ્રનો સમાજ અન્ધશ્રદ્ધામાં વીશ્વાસ રાખતો થઈ ગયો છે. સૌરાષ્ટ્રની અઢળક લોકકથાઓમાં ચમત્કારોના અનેક પ્રસંગો પડેલા છે. એને રૅશનાલીઝમની ચાળણીમાંથી ચાળીને પથ્ય બનાવવી જોઈએ. અત્યારે આપણો મહાપ્રશ્ન વીજ્ઞાન અને ટેકનૉલૉજીની પ્રગતીનો છે. દેશના ૭૦ ટકા લોકો ગામડાંમાં વસે છે. ગામડાંની પ્રજામાં જાગૃતી લાવીએ તો અનેક જીન્દગીઓ બચી જાય.

-યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.06 એપ્રીલ, 2013ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ - 360 007 ફોન: (0281-257 5327) .મેઈલ: yasindalal@gmail.com

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel (Krishna) Apartments, B Wing, Opp. Ayyappa Temple, Sector 12 A, Bonkode, KOPARKHAIRNE. Navi Mumbai - 400709 સેલફોન: 8097 550 222 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 12042013

વહાલા વાચકમીત્રો,

          પ્રા. રમણભાઈ પાઠકનો લેખ ‘રેશનાલાઝમ: થ્રી–ડી જીવનકલા’, 4 એપ્રીલ, 2013ના રોજ પોસ્ટ કર્યો હતો. અને આજે 5 એપ્રીલ, 2013ના ‘ગુજરાતમીત્ર’માં તેઓના દર્દભર્યા અંતીમ શબ્દો : ‘આ પછીનું ‘રમણભ્રમણ’ કદાચ હું ન પણ લખી શકું.’ સાથે પ્રસીદ્ધ થયેલા ‘રમણભ્રમણ’ કૉલમની જેપીજી, ‘અભીવ્યક્તી’ના સુજ્ઞ વાચકમીત્રોની જાણ માટે….

2013-04-06-Ramanbhraman

2013-04-06-Ramanbhraman

–ગોવીન્દ  મારુ

રેશનાલાઝમ: થ્રી–ડી જીવનકલા

–   પ્રા. રમણપાઠક (વાચસ્પતી)

રેશનાલીસ્ટ તથા રેશનાલીઝમ એટલે

થ્રી–ડી વ્યક્તીત્વ અને થ્રી–ડી જીવન !   –રમાનાથ પંડીત

ભાઈશ્રી ધીરુ મીસ્ત્રીને મેં કહ્યું કે, ગઈ કાલે વડોદરામાં મારા પુસ્તકનું જે વીમોચન થયું, એ કૃતી આત્મકથાત્મક છે. એટલે રમુજમાં હસતાં તેમણે પ્રશ્ન કર્યો કે, ‘‘એમાં ‘પેલું બધું’ આવે છે કે ?’’

મેં કહ્યું કહ્યું કે, ‘‘ના, આ જરા જુદા પ્રકારની કથા છે; એટલે એમાં આ ‘પેલું બધું’ ન આવે.’’

આ ‘પેલું બધું’ના લેખન તથા જાહેરાતની સમસ્યા છેક નર્મદના વખતથી જીવનકથાત્મક લેખકોને પડી રહી છે: કદાચ આપ સૌ એ વાત જાણતા જ હશો કે, નર્મદ એની આત્મકથા ‘મારી હકીકત’માં એની સ્વાભાવીક નર્મદીય ખુમારીપુર્વક જાહેર કરે છે કે, ‘અહીં હું જે કાંઈ લખીશ તે સાચું જ લખીશ, અને જે સત્ય લખવાથી અન્ય વ્યક્તીને હાની પહોંચે તેમ હોય, તે નહીં લખું; પરન્તુ કદાપી, ક્યાંય એક શબ્દમાંય જુઠ તો નહીં જ લખું  !’

આ ધીરુ મીસ્ત્રી અમારા વડોદરાવાસી એવા એક વીલક્ષણ રૅશનાલીસ્ટ છે. તેઓ કહે,  ‘‘મેં તો ‘પેલું બધું’ સાચું જ લખેલું; પરન્તુ મારી પત્નીએ સખત વીરોધ કર્યો અને એ લખાણના કાગળો છીનવી લઈ, કબજે કરી લીધા. તે કહે, ‘આવું બધું જાહેર નથી કરવાનું !…’ મેં આગ્રહ–દબાણ કર્યાં, તો કહે, ‘મારા મૃત્યુ પછી ભલે છપાવજો !’… આમ હાલ તો આ યોજના ખોરંભે પડી ગઈ છે.’’

હું તેઓને એ મારી હકીકત કહેવાનો ચુકી ગયો કે, મારાં તો ‘પ્રેમકાવ્યો અને પ્રેમપત્રો’ય પ્રગટ થઈ ચુક્યાં છે – પુસ્તકાકારે ! ઝીંદાદીલ રૅશનાલીસ્ટ પ્રકાશક એવા જમનાદાસે જ્યારે મારી ખાનગી નોંધપોથી વાંચી અને કહ્યું કે, ‘આ તો બહુ જ સરસ છે, એનું પુસ્તક પ્રગટ થવું જોઈએ અને હું એ કરવા ઈચ્છું છું… તમે મંજુરી આપો તો !’

અને એની ‘હા’ પાડતાં, મેં પેલી નર્મદવાળી શરત જ મુકી કે, જરુર છાપો; પણ એથી કોઈ ત્રીજી વ્યક્તીને કશી હાની ના પહોંચવી જોઈએ’… અને એમ ‘રમણ પાઠકના પ્રેમકાવ્યો અને પ્રેમપત્રો’ પુસ્તક પ્રગટ થયું પણ ખરું ! (એ વીશે લેખક શ્રી દીનેશ પાંચાલનો ‘અભીવ્યક્તી’માં પ્રકાશીત થયેલો લેખ વાંચવા http://govindmaru.wordpress.com/2009/08/27/dinesh-panchal-6/   લીંક ઉપર ક્લીક કરશો)

આ ધીરુ મીસ્ત્રીના જીવનના બહુવીધ ભાતીગળ પ્રસંગો જાણીને જ મેં ઉપરનું પંડીત રામનાથનું વીધાન ટાંક્યું છે. જેનો ભાવાર્થ છે: સામાન્ય માણસોના જીવન ‘ટુ–ડી’ જ હોય છે; અરે મહાપુરુષો લેખાતી વ્યક્તીઓ પણ એવાં જ સપાટ ‘ટુ–ડી’ જીવન જીવી જાય છે. સવાલ જીવન–મુલ્યોનો છે. આ સંદર્ભે કદાચ ઉપર્યુક્ત વીધાનનો અર્થ એવો ઘટાવી શકાય કે સામાન્ય જન, મહાપુરુષો સહીતની વ્યક્તીઓ એવાં પ્રચલીત મુલ્યો સ્વીકારીને પોતાનું જીવન વીતાવે છે કે, સત્ય, અહીંસા, પ્રામાણીકતા વગેરે. જ્યારે રૅશનાલીસ્ટ માને છે કે જેટલું સત્ય મુલ્યવાન છે; એટલું જ મુલ્યવાન અસત્ય પણ છે. અહીંસા જેટલી આવશ્યક છે; એટલી જ આવશ્યકતા હીંસાની પણ સ્વીકારવી જ જોઈએ. એવું જ પ્રામાણીકતાનું પણ ગણાય: ખરું મુલ્ય વીવેકબુદ્ધીનું છે. કોઈ પ્રસંગે અપ્રામાણીક વ્યવહારથી કોઈ અનીવાર્ય જરુરીયાતમંદને મદદ થતી હોય અને કોઈને જ કશી હાની ન હોય અથવા તો જેને હાની થતી કહેવાય એ જ ખરેખર તો ‘અપ્રામાણીક હાની’ હોય; તો એવો વ્યવહાર ભલે પ્રચલીત મુલ્યોની વ્યાખ્યામાં અનુચીત લેખાતો હોય; પણ એમ વર્તવામાં કશું જ ખોટું નથી. દા.ત. એક વાર સ્વ. ન્યાયમુર્તી, મારા સ્નેહીમીત્ર મનુભાઈ ઠક્કરે કહેલું કે, ‘કાયદો કેવો વીચીત્ર છે: કરોડોની ચોરી કરનારો શેઠીયો સમાજમાં પ્રતીષ્ઠીત તેમ જ આદરણીય વ્યક્તી તરીકેનાં માનપાન પામે છે; જ્યારે બીચારો કોઈ ભુખ્યો ગરીબ માણસ એના બાલબચ્ચાંને ટળવળતાં ન જોઈ શકતાં, પાંચશેર દાણા ચોરે, તેય તેને ચોર ઠરાવી સજા કરવામાં આવે છે !’

ત્યારે મેં કહ્યું, એવાં ભુખ્યાજન તથા એનાં બાળકોનો જઠરાગ્ની ઠારવા તો હું પોતેય પાંચશેર તો શું, શક્ય હોય તો પાંચ મણ અનાજની ચોરી કરું… એ પાપ નથી, પુણ્ય છે. એમ અમે રૅશનાલીસ્ટો માનીએ !

રૅશનાલીસ્ટ બીરાદર ધીરુ મીસ્ત્રીની જીવનલીલા જાણીએ તો આવી અનેક વીલક્ષણતાઓ જાણવા મળે; તેઓએ એક ગરીબ મુસ્લીમને ‘જીવી જવામાં’ જીવનભર મદદ કરેલી; એની કથા આ સ્થળેથી વર્ષો પુર્વે આલેખવામાં આવેલી. એ સાથે અન્ય એક નોંધપાત્ર પ્રસંગ પણ થોડાં વર્ષ પુર્વે જાણવા મળેલો કે કોઈ ગરીબ બાઈને તેની માંદગીમાં સારવાર કરવા  માટે, ધીરુભાઈ બધી જ રીતે તત્પર બનેલા. એ બહેનને હૉસ્પીટલમાં પણ એમણે જ દાખલ કર્યાં ને પોતાનાં કામકાજ ખોરવીને પણ તેની ખડે પગે સેવા કરી– એવું કંઈક આછું આછું યાદ છે. વીચક્ષણ ધીરુ મીસ્ત્રીનું જીવન તો એવાં અનેક અપ્રચલીત કાર્યોના ઈતીહાસ જેવું છે. તેઓ જણાવે છે તેમ, એ સર્વ કામગીરીનું પ્રેરકબળ રૅશનાલીઝમ છે. ધીરુ મીસ્ત્રીનો જીવનભરનો વ્યવસાય પણ મારા રૅશનાલીસ્ટ જુથમાં તો અસામાન્ય કહી શકાય એવો છે; કારણ કે તેઓ દસ્તાવેજી ફીલ્મો ઉતારવાનો વ્યવસાય કરે છે અને એવી પ્રવૃત્તીમાં પણ અવકાશ હોય ત્યાં અને ત્યારે તેઓ રૅશનાલીસ્ટ અભીગમને સીફતપુર્વક વણી લે છે. વધુમાં વળી તેઓ એક સાહસીક પ્રારંભક છે અને એમના એવાં સાહસ પણ સદાય વીવેકનીષ્ઠ હોઈ, બહુધા સફળ જ નીવડે છે. તો અહીં અંતમાં તેઓના આવા ‘પરાક્રમ’નું એક પ્રકરણ ટુંકમાં આલેખી, આ લેખ પુરો કરું: એનું કારણ એ જ કે, પ્રારંભે યોજાયેલા ‘થ્રી–ડી’ શબ્દનું મુળ તો આ પ્રસંગ જ છે:

હમણાં જ ગુજરાતમાં થઈ ગયેલી ચુંટણીઓમાં, મુખ્યપ્રધાન શ્રી. નરેન્દ મોદીએ પ્રચારાર્થે થ્રી–ડી અને એલ.સી.ડી. જેવી એકદમ આધુનીક ટૅકનોલૉજી પ્રયોજી, ત્યારે એણે લોકોમાં જબરદસ્ત કુતુહલ તથા આશ્ચર્ય– તારીફ જન્માવ્યાં; કારણ કે આવી હાઈ–ટૅક પ્રયુક્તી જમાવનાર શ્રી. મોદી પ્રથમ ગણાયા. પરંતુ એ દરમીયાન એક સમાચાર વાચવામાં આવ્યા કે, ચુંટણી પ્રચારમાં અદ્યતન ટૅકનોલૉજીનો ઉપયોગ કરનારા શ્રી. મોદી તે બાબતમાં આપણે ત્યાં સર્વપ્રથમ નથી. બલકે આજથી બરાબર 41 (એકતાલીસ) વર્ષ પુર્વે ચુંટણી પ્રચારમાં તે જમાનાની હાઈ–ટૅક ટૅકનોલૉજીનો વીનીયોગ થયેલો, અને એ કરનાર પ્રથમ પુરુષ આપણા આ પીઢ રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રી જ હતા. ત્યારે આ અભીનવ દાસ્તાને પણ એવાં જ કુતુહલ – પ્રશંસા જગાડેલાં અને ધીરુભાઈનું આ સાહસ સમ્પુર્ણ સફળ નીવડેલું. ધીરુ મીસ્ત્રી ઘણી વાર કહે છે કે, રૅશનાલીસ્ટને મન ‘પરમધર્મ’ જ વીજ્ઞાન છે, અને હું તો રૅશનાલીઝમની સફળતાનો મોટામાં મોટો આધાર વીજ્ઞાનની અભીનવ અને અદ્ ભુત શોધોને જ ગણાવું છું.

બનેલું એવું કે, વડોદરાના મહારાજા ફતેહસીંહરાવ ગાયકવાડ ત્યારે પાર્લામેન્ટની ચુંટણીમાં સંસ્થા કોંગ્રેસ તરફથી ઉમેદવાર રહ્યા હતા. ત્યારે તાજામાજા જ ઈંગ્લેંડથી આવેલા, અને તેઓની પાસે ચુંટણી પ્રચાર માટે ફક્ત વીસ જ દીવસ સીલકમાં રહ્યા હતા. એ પરીસ્થીતી ધ્યાનમાં આવતા શ્રી. ધીરુ મીસ્ત્રી ગાયકવાડશ્રીને મળ્યા અને કહ્યું કે, ‘એક જ રસ્તો છે, આધુનીક ટૅકનોલૉજીનો ઉપયોગ કરો અને ચુંટણી જીતો !’ એટલે ફતેહસીંહરાવ ગાયકવાડ પુછે કે, ‘એ કેવી રીતે ?’ તો ધીરુભાઈએ કહ્યું કે, ‘ચુંટણી પ્રચારની એક ફીલ્મ બનાવી દો, અને ગામેગામ એ પ્રદર્શીત કરો !’ અને એમ ધીરુ મીસ્ત્રીએ જ ત્યારની ઉપલબ્ધ ‘હાઈ–ટૅક ટૅકનોલૉજી’નો ઉપયોગ કરી, ચુંટણી પ્રચારની ફીલ્મ બનાવી. પરીણામે મહારાજા ફતેહસીંહરાવ ગાયકવાડ પ્રચંડ બહુમતીથી જીતી ગયા ! આમ રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રી આપણા પ્રથમ દસ્તાવેજી ફીલ્મ બનાવનાર બન્યા. એ પછી તો તેઓએ ચુંટણી પ્રચારની પણ અનેક દસ્તાવેજી ફીલ્મો બનાવી.

ભરતવાક્ય

વીસમી – એકવીસમી સદીમાં

વીજ્ઞાનની અદ્ ભુત અને અપરમ્પાર આગેકુચે

ભગવાનને પદભ્રષ્ટ કરી દીધો છે.

–રમાનાથ પંડીત

 

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 9 ફેબ્રુઆરી, 2013ની) લોકપ્રીય કટાર રમણભ્રમણ’માંથી.. લેખના અને ગુજરાતમીત્ર ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક (વાચસ્પતી), એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 ફોન(02622) 222 176 સેલફોન: 99258 62606

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE. Navi Mumbai 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જ  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 05–04–2013

6

 

રોહીત શાહ

 એક વાત તો તમારે માનવી જ પડશે બૉસ, કે આ જગતને નાસ્તીક લોકો કરતાં આસ્તીક લોકો વધારે ત્રાસ આપે છે – વધુ નુકસાન કરાવે છે.

પહેલી વાત તો એ કે નાસ્તીક લોકો ધર્મના નામે ઝનુની-આક્રમક નથી બનતા. ઈશ્વર-અલ્લાહના નામે પરસ્પરની હીંસા નથી કરતા. નાસ્તીક લોકો પરસ્પરનાં ધર્મસ્થાનકો તોડી પાડવા નથી જતા કે તેઓ કદીયે અન્ય ધર્મના લોકોનું ઈન્સલ્ટ/અપમાન કે અનાદર નથી કરતા. એ બધું તો આસ્તીક લોકોને જ પરવડે. અહીંસા અને ભાઈચારાનો ઉપદેશ ચરક્યા કરતા અને કહેવાતા ધર્મગુરુઓ સ્વયં પંથભેદ-સંપ્રદાયભેદ પેદા કરીને વૈમનસ્યના અગ્નીમાં નફરતનું ઈંધણ પુરતા રહે છે. જો સૌ સંપીને રહેવા માંડે, સૌ પરસ્પરને સહયોગ આપીને સ્નેહસભર વ્યવહાર કરવા માંડે તો ધર્મગુરુઓની પછી કશી જરુર જ ન રહેને. ધર્મગુરુઓ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા અને પોતાનો પ્રભાવ પુરવાર કરવા ભક્તોને ભરમાવે છે – ભટકાવે છે. મારું સ્પષ્ટ મન્તવ્ય છે કે જો ધર્મગુરુઓ ન હોય તો સંસારમાં ધર્મના નામે થતા અત્યાચારો, ભેદભાવો અને ટકરામણો સદન્તર બન્ધ થઈ જાય.

નાસ્તીક લોકો કદી બીજાને નડતા નથી એ વાતનો વધારે એક પુરાવો એ પણ છે કે વહેલી સવારે કે મોડી રાત સુધી લાઉડસ્પીકર દ્વારા ભજનો-ભક્તીગીતોની ઉલટીઓ કરીને તેઓ કોઈને પજવતા નથી. આસ્તીક લોકો કદીયે એટલું નથી સમજતા કે સાચી ભક્તી તો હૃદયમાં અને મનમાં જ થાય. લાઉડસ્પીકરમાં તો માત્ર પ્રદર્શન થાય, માત્ર દમ્ભ અને દેખાડો થાય. આપણને ભક્તીનું ભુત વળગ્યું છે એની જાહેરમાં અભીવ્યક્તી કરવા માટે લાઉડસ્પીકર જરુરી ખરી, ખાસ પ્રકારની વેશભુષા, માળાઓ અને ટીલા-ટપકાં પણ જરુરી છે. બાકી શુદ્ધ હૈયે હરીસ્મરણ જ કરવું હોય તો આ બધાં તુત કરવાની શી આવશ્યકતા છે ? તમે જોજો, જ્યાં ભજન અને ભક્તીના ઉભરાનાં ભવ્યાતીભવ્ય ભપકા-પ્રદર્શનો થતાં હશે ત્યાં ઘોંઘાટ અને અશાન્તી અને ધક્કામુક્કી વ્યાપક જ હશે. આપણને જે રસ્તો અહીં પણ શાન્તી અને સલામતી નથી આપતો એ રસ્તો આપણો પરલોક સુધારી નાખશે એવી ભ્રાન્તીમાં જે ભોટને આળોટવું હોય તે ભલે આળોટે. આવા છીછરા લોકોને ભક્તીના નામનો એવો નશો ચઢેલો હોય છે કે, તમે જો તેમના જેવું બીહેવીયર ન કરો તો તમે અજ્ઞાની અને પાપીમાં ખપી જાવ. તમે પ્રસાદ લેવાની ના પાડો, તમે ખાસ પ્રકારના ક્રીયાકાંડ ન કરો તો તેમના ઈશ્વરનું એમાં ઈન્સલ્ટ/અપમાન થઈ જાય. તે લોકો ગળાં ફાડી-ફાડીને આપણને ઉંઘવા ન દે તો તેમનો ઈશ્વર કેમ ક્રોધીત નહીં થતો હોય ?

ઘણા લોકો એવું માને છે કે લાઉડસ્પીકરમાં ભક્તી કરવાથી ઘણા લોકોના કાન સુધી ભગવાનનું નામ પહોંચાડવાનું પુણ્ય મળે છે. અલ્યા મુરખ, પહેલી વાત તો એ છે કે કોઈને પરાણે કોઈ કામ કરવા મજબુર કરીએ તો એ બળાત્કાર કહેવાય. એ પાપકૃત્ય કહેવાય. કોઈ વ્યભીચારી વ્યક્તી એમ કહે કે હું ફલાણી વ્યક્તીને માતા બનાવવાના હેતુથી તેની સાથે પરાણે સેક્સ કરીશ, તો શું એ વાજબી ગણાશે ? માતા બનવું એ સ્ત્રીનું પુર્ણત્વ છે, સદ્ ભાગ્ય છે… પણ એ કંઈ બળાત્કારથી તો ન બનાવાયને ! વળી તમે જે સ્થળેથી લાઉડસ્પીકરમાં તમારી ભક્તી ઉલેચી રહ્યા છો એ સ્થળની આસપાસમાં અન્ય ધર્મ-સમ્પ્રદાયના લોકો વસે છે તો તેમને તમારા ભગવાનમાં શેનો રસ પડે ? તેમની પાસે તેમના આગવા ભગવાન છે, તેમનાં આગવાં દેવ-દેવીઓ છે.

નાસ્તીક લોકો મને હમ્મેશાં વધારે ગમે છે એનું એક કારણ એ પણ છે કે નાસ્તીક માણસ કદી બીજા આસ્તીક માણસને નાસ્તીક બનાવવા નથી ઝંખતો. આસ્તીક માણસો ધર્મના સેલ્સમેન જેવા બની જાય છે અને ધર્મગુરુઓ મોક્ષ-વૈકુંઠના એજન્ટો બની જાય છે. નાસ્તીક લોકો રસ્તા વચ્ચે મન્દીર-મસ્જીદ ઉભાં કરીને ટ્રાફીકને કનડતા નથી. નાસ્તીક લોકો ગાયોને રસ્તા વચ્ચે રખડવા દઈને એમને ઘાસ ખવડાવવાનું પુણ્ય કમાવા દોડી જતા નથી. નાસ્તીક લોકો પોતે કદી કોઈ કષ્ટ વેઠવા રઘવાયા નથી થતા અને કદી કોઈને કષ્ટ વેઠવાના માર્ગે નથી દોરી જતા. ઉઘાડા પગે ચાલવાથી જ મોક્ષ મળી જતો હોય તો માણસ સીવાયનાં તમામ પશુઓ ઉઘાડા પગે જ ચાલે છે ને ! પશુઓ કદી વાહનનો ઉપયોગ નથી કરતાં. નથી કશો પરીગ્રહ કરતાં. ઠેર-ઠેર ફરીને જાતમહેનત કરીને જે ગોચરી મળે એ ખાય છે.

પશુઓ પૈસાની પળોજણ નથી કરતાં. અણીશુદ્ધ પ્રાકૃતીક જીવન જીવે છે. નાસ્તીકોની અનેક ખુબીઓ તમને સમજાય તો નો-પ્રૉબ્લેમ..

–રોહીત શાહ

લેખક–સંપર્ક : ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : (079) 2747 3207  ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (શનીવાર સ્પેશ્યલ, 11 ફેબ્રુઆરી, 2012ની)માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટારનો પ્રૉબ્લેમ’ http://www.gujaratimidday.com/features/saturaday-special/saturday-special-17 માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel (Krishna) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 A, Bonkode, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 28/03/2013

7

–મુરજી ગડા

બધાનાં બે પેરન્ટ્સ (માતા + પીતા) હોય છે અને ચાર ગ્રાંડપેરન્ટ્સ હોય છે. દર પેઢીએ આ સંખ્યા બમણી થાય છે. ત્રીસ વર્ષે પેઢી બદલાય છે, એ હીસાબે સવા સો વરસમાં ચાર પેઢી બદલાઈ જાય. આનો અર્થ એ થયો કે આપણાથી સવા સો વર્ષ મોટા 16 પુર્વજોના જનીન (genes) કે અંશ આપણામાં આવેલા છે. આ ચાર પેઢીની ત્રીસ વ્યક્તીઓનાં નામ ભાગ્યે જ કોઈને યાદ હશે. ખાસ કરીને માતૃપક્ષનાં અને સ્ત્રી સમુદાયનાં. એમનાં જીવન વીશેની વાત તો દુર રહી.

આ ગણતરીને વધુ ભુતકાળમાં લઈ જઈએ તો દસ પેઢી પહેલાંની એક હજાર વ્યક્તીઓ, વીસ પેઢી પહેલાંની દસ લાખ વ્યક્તીઓ અને ત્રીસ પેઢી પહેલાંની એક અબજ વ્યક્તીઓ આપણી પુર્વજ થાય. જેમના જનીન કે અંશ આપણામાં હોઈ શકે છે. એમના પહેલાંની દર પેઢીએ આ સંખ્યા બમણી તો થાય જ છે.

ત્રીસ પેઢી એટલે આશરે 900 વરસ થયા. ત્યારે દુનીયાની વસ્તી અબજોમાં નહોતી. એક અંદાજ પ્રમાણે ત્યારની દુનીયાની વસ્તી દસ કરોડ જેટલી હતી અને સમસ્ત ભારતની વસ્તી બે કરોડથી પણ ઓછી હતી. માત્ર આજના મુમ્બઈ શહેર જેટલી.

આપણા બધા પુર્વજોનાં નામ પેઢી પ્રમાણે કાગળ પર લખીએ તો ઉંધો ત્રીકોણ બને. આ જ રીતે જો કોઈ એક વ્યક્તીના વંશજોનાં નામ લખીએ તો સીધો ત્રીકોણ બને. જો કે આ બે ત્રીકોણોમાં એક મોટો તફાવત છે. દરેક વ્યક્તીનાં પેરન્ટ્સ બે હોય છે. જ્યારે એનાં સંતાનો ઘણાં હોઈ શકે કે એક પણ ન હોય. જો દરેક પેઢીનાં સરેરાશ બે સંતાન ગણીએ તોય 900  વરસમાં એક જ વ્યક્તીના જનીન ધરાવનાર કરોડો વ્યક્તીઓ હોઈ શકે છે.

આજની જેમ રાજાશાહીમાં એક પત્નીનો કાયદો નહોતો. પુરુષ ઈચ્છે એટલી અને પોસાય એટલી પત્નીઓ રાખી શકતો. ખાસ કરીને રાજાઓને ઘણી રાણીઓ હોતી અને રખાતો પણ હોતી. જીન્દગીને સમ્પુર્ણપણે માણવાનો તેઓ પોતાનો હક્ક ગણતા. એટલું જ નહીં; આને પુરુષત્વનું  પ્રતીક ગણાતું. રાજાઓ ઉપરાન્ત અન્ય સત્તાધીશો, જમીનદારો વગેરે ઘણા પોતાની શક્તી મુજબ આ પ્રણાલીકાનો લાભ ઉઠાવતા. સમાજને એ સ્વીકાર્ય હતું.

ચીન, યુરોપ અને મુસ્લીમ સામ્રાજ્યોમાં આ ખુલ્લેઆમ થતું. ભારતના કેટલાક પ્રદેશોમાં પણ આ ચાલતું, જ્યારે અન્ય પ્રદેશોમાં અનૌરસ સમ્બન્ધોને સમાજની નજરથી છુપાવવામાં આવતા હતા. વર્ણવ્યવસ્થા આધારીત આભડછેટને લીધે તેમ જ ભારતની ધાર્મીક/ સામાજીક મર્યાદાઓએ આ પ્રકારની પોલીગેમીને (બહુપત્નીત્વને) મર્યાદામાં રાખી હતી.

રાજાઓ તેમ જ અન્ય શક્તીશાળી પુરુષોના અનૌરસ સમ્બન્ધોનાં આટલાં ઉંડાણમાં જવા પાછળનો હેતુ એ છે કે સામાન્ય માણસના હોય એના કરતાં રાજાના કેટલાયે વધારે વંશજ થતા. તે ઉપરાંત એ બધા રાજ્યાશ્રયમાં ઉછેરાતા હોવાથી એમનું જીવનધોરણ સામાન્ય પ્રજાજન કરતાં સારું રહેતું. આ બાબત અનૌરસ વંશજોને પણ લાગુ પડે છે. એ સમયમાં ભુખમરો, કુપોષણ અને ચેપી રોગોને કારણે ઘણાનાં અકાળે મોત થતાં હોવાથી સરેરાશ આયુષ્ય ત્રીસ વરસથી ઓછું હોવાનું મનાય છે. આવા સંજોગોમાં રાજાના વંશજો પ્રમાણમાં લાંબું જીવતા.

જે માણસનું આયુષ્ય લાંબું હોય અને ઘણી પત્નીઓ હોય એનો વંશવેલો લાંબો હોવાની શક્યતા વધતી જાય છે. છેલ્લાં બે–અઢી હજાર વરસમાં લાખોની સંખ્યામાં થઈ ગયેલા રાજાઓના અંશ દુનીયાની મોટા ભાગની વસ્તીમાં હોવાની શક્યતા છે. ત્યારે ગર્ભનીરોધક સાધનો ઉપલબ્ધ નહોતાં.

અહીં ડાર્વીનના ઉત્ક્રાન્તીવાદનો એક સીદ્ધાન્ત, ‘સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ કામ કરતો દેખાય છે. એ સીદ્ધાન્ત પ્રમાણે જે જીવ પોતાની આસપાસના વાતાવરણ સાથે અનુકુળ થઈ શકે છે, તે ટકી રહે છે. જે અનુકુળ નથી થઈ શકતા એમનો અંત આવે છે. એને ‘નેચરલ સીલેક્શન’ પણ કહેવાય છે. માનવીના કીસ્સામાં કુદરતી નહીં; પણ માનવસર્જીત પરીબળોએ ભાગ ભજવ્યો છે અને હજી પણ ભજવી રહ્યો છે.

આપણી વંશાવળીની નોંધ ભટ્ટ (ભોગળ–ભટ્ટ, બારોટ) રાખતા હતા. રાજાઓના ઔરસ વંશાવળીની વ્યવસ્થીત નોંધ ઈતીહાસકારોએ રાખી છે. એમના અનૌરસ વંશજોની નોંધ કેટલેક ઠેકાણે મળે છે. વીદેશમાં જીનોલૉજીના વીશેષજ્ઞ આવી વંશવેલી પ્રમાણ સાથે શોધી આપે છે. આવા જીનોલૉજીસ્ટની સંસ્થાઓ પણ છે.

માણસના ગુણ – અવગુણ અમુક અંશે એના વંશજોમાં ઉતરે છે. એના પરથી ‘બાપ તેવા બેટા’ જેવી કહેવતો પડી છે. ગુણથી વીશેષ શરીરની રચના અને સ્વાસ્થ્ય પર કેટલીયે પેઢી સુધી વારસાગત અસર જળવાઈ રહેવાના પુરાવા છે. અલબત્ત દર પેઢીએ વારસામાં નવા જનીન ઉમેરાતા હોવાથી કોઈ એક જનીનની અસર એટલી ઓછી થતી જાય છે; છતાં વાળ અને આંખના રંગ જેવાં લક્ષણ કેટલીયે પેઢી પછી દેખા દેતાં હોય છે.

ઘણા રાજાઓ પોતાનામાં દેવતાઈ અંશ હોવાનું માનતા હતા કે પછી એમના ખુશામતીયા એવો પ્રચાર કરતા હતા. તોય રાજ્યના વડા હોવાને નાતે એમનામાં હીમ્મ્ત, શૌર્ય, નીર્ણયશક્તી, શાણપણ વગેરે ગુણ તેમ જ અભીમાન, અક્ક્ડપણું વગેરે અવગુણ અન્યના પ્રમાણમાં વધારે હોય તે સ્વાભાવીક છે.

પ્રાચીન તેમ જ મધ્યકાલીન ભારતમાં શીક્ષણ બ્રાહ્મણો પુરતું મર્યાદીત હતું. બ્રાહ્મણોની સંખ્યા અન્ય વર્ણો કરતાં ઘણી ઓછી હતી. એમનો વંશવેલો મર્યાદીત રહેતો. એમની સરખામણીએ અન્ય વર્ણોની સંખ્યા ઘણી વધતી ગઈ. સતત સંકોચાતા શીક્ષીત વર્ગની દેશના સાંસ્કૃતીક અને આર્થીક વીકાસ પર કેટલી અસર થઈ તે એક સંશોધનનો વીષય છે. બે હજાર વરસની આપણી પીછેહઠ પાછળ, આવાં કારણોએ કેટલો ભાગ ભજવ્યો હશે ?

બીજી એક કરુણ વાસ્તવીકતા એ છે કે  સાધનસમ્પન્ન અને સત્તાધારી પુરુષો દુરાચાર દ્વારા પોતાનો અનૌરસ વંશવેલો વધારતા જાય, સદાચારી ગૃહસ્થનો વંશવેલો મર્યાદીત હોય તેમ જ ધાર્મીક સમાજમાં વંદનીય ગણાતા આજીવન બ્રહ્મચારીના સદ્ ગુણી જનીનના લાભથી દુનીયા વંચીત રહી જાય – આને માનવસમાજની સેવા કહેવાય કે અવહેલના ?

હીટલરે કરાવેલી યહુદીઓની સામુહીક કતલ જગજાહેર છે. જે ખાસ જાહેર નથી થયું તે છે એની શુદ્ધ નૉરડીક – આર્યન જાતી માટેની ઘેલછા. એના માટે એણે ઘડેલી વીસ્તૃત યોજના હેઠળ ચુનંદા યુવક – યુવતીઓ માટે ખાસ સંસ્થા ઉભી કરી હતી. જેનું મુખ્ય કામ હતું શુદ્ધ જાતીની પ્રજોત્પતીનું. બીજા વીશ્વયુદ્ધમાં જો હીટલરની જીત થઈ હોત તો આજની દુનીયા કેવી હોત એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

હીન્દુ દન્તકથા પ્રમાણે આપણે બધા લાખો વરસ પહેલાં થઈ ગયેલ મનુના વંશજ છીએ. ખ્રીસ્તી વીચારધારા પ્રમાણે બધા જ માનવી સાત હજાર વરસ પહેલાં થઈ ગયેલા આદમ – ઈવના વંશજ છે. નૃવંશશાસ્ત્ર પ્રમાણે સમસ્ત માનવજાતી દોઢ–બે લાખ વરસ પહેલાંના પુર્વ આફ્રીકાના નાનકડા આદી માનવસમુદાયની વંશજ છે. આ લેખક છેલ્લા વીધાનમાં સમ્પુર્ણપણે માને છે.

આટલા દુરના ભુતકાળમાં ન જતાં નજીકના ભુતકાળની એવી થોડી વ્યક્તીઓ શોધવી અઘરી નથી જેમના જનીન વીશાળ જનસમુદાયમાં હોય. લાંબો સમય સત્તા ભોગવતા ‘રંગીલા’ રાજાઓ અને સરમુખત્યારોનો એમાં સમાવેશ થાય છે. ભારતની પ્રાચીન દન્તકથાનું પાત્ર રાજા યયાતી આવું એક ઉદાહરણ છે.

આવી યાદીમાં સૌથી મોખરાનું નામ હશે ચંગીઝખાનનું (1162 – 1227). આઠસો વરસ પહેલાં થઈ ગયેલા મંગોલીયાના આ વતનીએ દુનીયાનો સૌથી વધુ પ્રદેશ જીત્યો હતો. એમ કહેવાય છે કે એ જ્યાં પણ જતો ત્યાં પોતાના ‘જનીન’ મુકતો જતો હતો. ચંગીઝખાને ચીન, મધ્ય એશીયાનાં મુસ્લીમ અને આરબ રાજ્યો, પુર્વ યુરોપ તેમ જ દક્ષીણપુર્વ એશીયાનાં કેટલાંક રાજ્યો જીતી ત્યાં પોતાના પુત્રો અને પૌત્રોને ગાદીએ બેસાડ્યા હતા. એના વંશજોએ લાંબો સમય રાજ કરી પોતાનો વંશવેલો આગળ વધારવામાં જરાય કચાશ નહોતી રાખી.

ચંગીઝખાનનો એક પૌત્ર કુબલાઈખાન ચીનનો અતી શક્તીશાળી અને પ્રખ્યાત રાજા થઈ ગયો છે. ચીનના રાજાઓની હજારો કન્ક્યુબાઈન રાખવાની પ્રથા જાણીતી છે. ભારતના શક્તીશાળી મોગલ સમ્રાટો પણ ચંગીઝખાનના વંશજ હતા. એમનામાંથી કેટલાકના જનાનખાનાંમાં સેંકડો સ્ત્રીઓ હોવાનું કહેવાય છે.

મોટાભાગનું એશીયા, પુર્વ યુરોપ તેમજ ભારતના કેટલાક ભાગની પ્રજાનાં ઘણાં નવજાત શીશુઓનાં શરીર પર ‘લસણ’ કહેવાતા ઘેરા રંગનાં ચાંઠાં હોય છે જે મેડીકલ ભાષામાં ‘મંગોલીયન સ્પોટ’ કહેવાય છે. આ ચાંઠાં ચંગીઝખાન અને એના સૈનીકોને આભારી હોવાનું કેટલાક નૃવંશશાસ્ત્રીઓનું માનવું છે. જો આમાં તથ્ય હોય તો પચ્ચીસ–ત્રીસ પેઢી પછી પણ જેનેટીક અસર દેખા દેતી હોય છે એ સાબીત થાય છે.

નેશનલ જીઓગ્રાફીક સોસાયટી અને અમેરીકાની આઈ.બી.એમ. કમ્પનીએ થોડાં વરસ પહેલાં દુનીયાના દુર દુરના પ્રદેશોમાં માણસો મોકલી ત્યાંના લોકોના જનીન એકઠા કરી એકબીજા વચ્ચેના જૈવીક સમ્બન્ધ શોધે છે. ડી.એન.એ.ની નવી ટૅકનોલૉજીને લીધે આ શક્ય બન્યું છે. આ સર્વેક્ષણનાં તારણો રસપ્રદ હશે.

દુનીયાની મોટાભાગની પ્રજાઓ જૈવીક રીતે (બાયોલૉજીકલી) એકબીજાની ઘણી જ નજીક છે. આપણા જાતીય વારસાનું કોઈએ બહુ ગુમાન ન કરાય. ગમે ત્યાંથી ગમે તે નીકળી શકે છે. દેશ, જાતી કે ધર્મના નામે થતાં યુદ્ધો અન્તે તો પીતરાઈઓ વચ્ચેની જ લડાઈ છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009  ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્ર ‘પગદંડી’ માસીકના ૨૦૦૮ના ડીસેમ્બર માસના અંકમાં અને  કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના ૨૦૧૨ ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru405, Krishna (Evaz Apparel) Appartments, B Wing, Opp. Balaji Garden, Sector 12, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23/03/2013  

2 

Follow

Get every new post delivered to your Inbox.

Join 876 other followers