(ફોટો: વેબ પરથી)
દીપોત્સવ એટલે અંધકારમાંથી પ્રકાશ પ્રતી પ્રયાણનું પર્વ
દીપાવલીની દીપ શીખામાંથી નીકળનારાં કીરણો
અંધશ્રદ્ધાના અંધારપટને દુર કરીને,આપના અને સૌના જીવનમાં
આનંદ, ઉત્સાહ અને ઉમંગના સથવારે,
પ્રકાશનું અજવાળું પાથરે એવી હાર્દીક શુભકામનાઓ..
નુતન વર્ષના નવલા પ્રભાતે આપણો સમાજ
અંધશ્રદ્ધા, વહેમ, કપોળ કલ્પીત માન્યતાઓરુપી અંધકારને દુર કરી
વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમ, માનવતાવાદી તેમજ
પ્રકૃતીપ્રેમના સથવારે સુખ, સમૃદ્ધીનાં અવનવાં શીખરો સર કરે
એવી હાર્દીક કામનાઓ..
– ગોવીન્દ મારુ અને પરીવાર –
http://govindmaru.wordpress.com/
October, 2009
Posted in જનરલ | 25 Comments »
લોકશાહી (ડેમોક્રસી)માં સાચું અને સમાજહીતકારી વીચારનારાઓ–બોલનારાઓની સાત્ત્વીકતા લઘુમતીમાં આવી જાય ત્યારે એ ઘટના બહુ જ ખતરનાક હોય છે, લોકશાહીનો પાયાનો આધાર જ બહુમતી અને લઘુમતી જેવું વીભાજન હોય છે. સમાજને તેનાથી ફાયદો જરુર થયો છે. આપણે બધાને જ ખબર છે કે સાચું બોલવાનો આ જમાનો નથી. તેનો મતલબ સાવ ચોખ્ખો છે. સાત્ત્વીકતા લઘુમતીમાં છે. એવાં તો કયાં કારણો છે કે સાત્ત્વીકતા લઘુમતીમાં મુકાય જાય છે ? તેનો વીચાર આપણે કરીએ છીએ ખરા ?
સત્ય ત્યાં જ બોલવાની જરુર પડે છે કે જ્યાં અસત્ય છાતી ફાડીને ઉભું હોય છે. જ્યારે અસત્ય છાતી ફાડીને ઉભું હોય તેનો અર્થ એટલો જ કે અસત્ય બહુમતીમાં છે અને તે શક્તીશાળી રાક્ષસના રુપમાં ઉભું છે. આવી પરીસ્થીતીમાં સત્ય બોલનારે, સત્ય બોલવા માટે નકારત્મક (નેગેટીવ) જ બોલવાની ફરજ પડે ને ? તો આવું નેગેટીવ બોલનારને જ સાથ મળવો જોઈએ; પણ સમાજમાં તેને તો માત્ર બેચાર લોકોનો જ સહકાર મળે છે ! તે કારણે સાત્ત્વીતા હારે છે અને સમાજમાં અસત્ય સ્થાપીત થઈ જાય છે. સાત્ત્વીકતાની આ હારની, બહુમતીની નકરી નફ્ફટાઈ તાળીઓ પાડી મજાક કરે છે. અસત્ય જ બોલનારાઓની આવી જીતને કારણે સમાજરુપી આ આંબાના વૃક્ષને સમજ્યા વીના પાણીનું સીંચન વર્ષો સુધી કર્યા બાદ પણ; મીઠી–મધુરી કેરી જેવું ફળ મળતું નથી.
આપણે તો સત્ય કરતાં આપણી પ્રશંસા–પ્રસીદ્ધી કેમ વધે તેવી રીતે જ બોલતા હોઈએ છીએ. સમાજના લાભ કરતાં વ્યક્તીગત લાભનો વધુ વીચાર કરનારાઓની સંખ્યા બહુ વધારે છે. પોતાના મનોમંથન અને સ્વચીન્તન કરતાં બીજાના બજારુ આધાર–પ્રચારને સત્યને માનીએ છીએ, જેમાં ઘણી વખત અસત્ય સીવાય કશું જ નથી હોતું. આવા અસત્યની જ્યારે આપણને ખબર પડે છે ત્યારે બહુમતી અસત્ય સાથે હોય તેને ધ્યાનમાં લઈ આપણે સત્ય જાણવા છતાં ચુપ બેસી રહીએ છીએ. આવી રીતે ચુપ રહી સમાજ માટે આપણે આડકતરી રીતે મુશ્કેલી સર્જનારા બનીએ છીએ. મોટા ભાગે સમાજના સભ્યો વીગતો તપાસવાના ઉદ્યમના અભાવને કારણે સાત્ત્વીક સત્યને, લોકશાહીના બહુમતીના નીયમોને આગળ ધરીને, ઉંડી ખીણમાં ધકેલી દે છે કે તે પછી જ્યારે પણ બહાર આવે છે ત્યારે યુગ જ આખો બદલાય ગયો હોય છે ! સત્યને ઉંડી ખીણમાં ધકેલનારાઓ તો જીવીત હોતા નથી; પરંતુ સત્ય તો બહાર આવે જ છે.
એ યાદ રહે કે સાચા અર્થમાં લોકશાહી આજે ત્યાં જ જીવીત છે કે જ્યાં સાત્ત્વીકતા બહુમતીમાં છે. જ્યાં લોકશાહીમાં સાત્ત્વીકતા લઘુમતીમાં છે ત્યાં પ્રચ્છન્નરુપે પણ સરમુખત્યારશાહી સીવાય કશું જ રહેતું નથી. ગાયની ચામડીમાં તે લોકશાહી તો વાઘણ છે. ભવીષ્યને ઉજળું બનાવવું હોય તો ભુતકાળના બનાવોના હીસાબનો અભ્યાસ કરી બરાબર ચકાસવો પડે.. આજના સમાજનો આગેવાન પ્રમુખ કોણ ? જે ગુણવાન છે તે ? કે જેના મીત્રો અને સગાં વધારે છે તે ? જો ભણતરથી પ્રમાણીકતા કે સાત્ત્વીક્તા જીવનમાં આવતી હોત તો એમ. પી. એક્સ્પેન્સ ફ્રોડ બ્રીટનમાં થયો ના હોત. લોકશાહીના બહુમતીના આધાર દ્વારા આ કૃત્ય વરસો સુધી થતું રહ્યું. આપણા મતથી ચુંટાયેલા પાર્લામેન્ટના તે સદસ્યની ફરજ હતી, આ ભાન્ડો ફોડવાની; પણ અફસોસ એટલો જ કે તે તો લુંટારાના ષડ્યંત્રમાં જોડાઈ ગયો !
એક પત્રકારે જ્યારે બહાદુરી બતાવી ત્યારે લોકશાહીના આ પત્રકારની કલમનો, રાક્ષસી વૃત્ત્તીવાળાઓની આ જંગી બહુમતી સામે, આ એકલવીરનો વીજય થયો. ક્યારે વીજય થયો ? જ્યારે પત્રકારે વીગત તપાસવાની કસરત શરુ કરી. પોતાની બહાદુરીને અમલમાં મુકી. બ્રીટનનો શ્રેષ્ઠ એવોર્ડ આ પત્રકારને આપવો જોઈએ. જે સમાજમાં આવા લોકોને સન્માન મળશે, આવા વીચારોની બહુમતી હશે, ત્યાં જ સાચા સ્વરુપમાં લોકશાહી હોય છે. આજના સ્વાર્થી યુગમાં માત્ર પૈસા અને કીર્તી મેળવવાની હોડમાં, સમાજનો સદસ્ય એટલો નીચે ઉતરી ગયો છે કે પાપ, અસત્ય જાણતો હોવા છતાં ચુપ રહે છે. જેના કારણે મોટાભાગની સંસ્થાઓમાં, રાજકીય પાર્ટીઓમાં અને ધાર્મીક સંસ્થાઓમાં કાવાદાવાઓ કરી, સમાજની ઉઘાડી લુંટ ચલાવાઈ રહી છે. લોકસભા સદસ્યના ખર્ચાઓ (પાર્લામેન્ટ સદસ્યના એક્સ્પેન્સ)ની તપાસ કરવા એક પત્રકારે જ્યારે હીમ્મ્ત કરી ત્યારે બ્રીટનમાં હોબાળો થઈ ગયો ! ત્રણસો વરસના ઈતીહાસમાં હાઉસના સ્પીકરને રાજીનામું આપવાની ફરજ પડી.
આપણી સામાજીક સંસ્થાઓ શું આપણને તેના ખર્ચાઓની ફાઈલ, દરેક બીલ (ઈનવોઈસ) તપાસવાની મંજુરી આપે છે ? કે સંસ્થાને મજબુત કરવાના હેતુથી આપણે એ ચકાસીએ છીએ ? આ ખર્ચાઓમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરાય છે તેની નીષ્ણાતોને પાકી જાણકારી હોય છે. ‘હાવ ટુ કુક ધ બુક’. આવી બુકને જોવા એકલ–દોકલ કોઈ જાગે તો બહુમતીના હથીયારથી તેના વીચારની ઘાતકી હત્યા કરવામાં આવે છે. આ રીતે લોકશાહીના અસાત્ત્વીક હથીયાર દ્વારા જે નુકસાન સમાજને થયું છે તે ભયંકર છે.
આ પત્ર લખનાર આવી પરીસ્થીતીમાંથી પસાર થયો છે. તેણે અવાજ બુલન્દ કરેલ છે. જેના અનુભવ ઉપરથી આ પત્ર લખવાનું તેને યોગ્ય લાગ્યું છે. સમાજના જાગૃત લોકોએ કોઈની વાતોમાં આવી વીશ્વાસ ન કરવો જોઈએ; પણ દરેક સભ્યે પોતાની જાતે પુરેપુરી ચકાસણી (વેરીફાઈ) કર્યા બાદ જ વીશ્વાસ મુકવો જોઈએ. આજના સમાજને માત્ર પ્રમાણીક વ્યક્તી જ નહીં ચાલે; પણ પ્રમાણીકતા સાથે બહાદુર અને અસત્ય, દુરાચારને પડકારવાની તેનામાં હીમ્મત હોય તે જરુરી છે. અને જે સમાજ આવી વ્યક્તીને ઓળખીને સન્માન સાથે સહકાર આપશે તે સમાજની પ્રગતીને કોઈ અટકાવી નહી શકે…
લેસ્ટરના ડેપ્યુટી લોર્ડ મેયર મંજુલા સુદે એક ક્રાન્તીકારી અભીયાન ભારતીય પ્રજા માટે આજકાલ શરુ કર્યુ છે. તેણે દોરા–ધાગા અને ધાર્મીક મનાતા અને કહેવાતા ગુરુઓને ઉઘાડા પાડવાનું અભીયાન શરુ કર્યું છે. સમાજનાં આ દુષણને ડામવાના તેમના પગલાને હું આવકારું છું.
જ્યારે તમે દોરા–ધાગા કે કુંડળી–ગ્રહો માટે આવા બદમાશ ગુરુઓ પાસે પહોંચો ત્યારે તે ગુરુને તમે વજુદ આપો છો કે તમે પોતે આવી વાતોમાં માનો છો. બસ, આ જ વાત તમને લુંટવા માટે આવા ગુરુઓ (ધુતારાઓ)ને કાફી–પુરતી થઈ પડે છે. જો કોઈ પણ વ્યક્તી આવા ગુરુઓમાં ફસાયા હોય અને છુટકારો મેળવવો હોય તો વીના મુલ્યે હું તેઓને સ્વૈચ્છીક(વોલેન્ટરી) મદદ કરીશ.. લંડનનો મારો ફોન નંબર 0044- 78 11 963 109 છે.
સ્વાર્થી, ડરપોક અને ખુશામતખોર વ્યક્તી સમાજ માટે ભારરુપ છે- અયોગ્ય છે. તમારી જાતે જે તે વીગતો તપાસ્યા બાદ જ વીશ્વાસ કરો. સાત્ત્વીકતાને ખુલ્લો સહકાર આપો. જશ અને અપજશનો વીચાર ન કરો. જો સમાજ સાત્ત્વીકતાથી–સચ્ચાઈથી મજબુત હશે તો જ તમે લોકશાહીની મોજ સાથે સમાજ સેવા કરી, સારાં ફળો મેળવી શકશો. આવા સારાં ફળો જોઈ તમને અને તમારા વડીલોને તો ભવ્યાતીભવ્ય આનન્દ મળશે જ; સાથે સાથે આગામી પેઢીને માટે પણ તમે એક સ્વસ્થ સમાજ રચી શકશો.
-વીનુ સચાણીયા
લંડન
ID – VINookumar@aol.com ફોન નંબર – 07811963109
લખ્યા તા. ૬/૦૯/૨૦૦૯
બ્રીટનમાં દોરા–ધાગા કરતા બાબાઓ અને મેલીવીદ્યાના જાણકારો વીરુદ્ધ કડક કાર્યવાહી થશે:
લેસ્ટરના મેયર મંજુલા સુદ સહીતના અધીકારીઓ ઝુંબેશમાં જોડાશે
લંડન: બ્રીટનમાં વસતા એશીયન સમુદાયના લોકોને રોગોના ઉપચાર અને સમૃદ્ધી આપવાનાં ખોટાં વચનો આપીને, તેમની ઈચ્છા અને ડરનો ગેરલાભ ઉઠાવીને લોકોને લુંટતા બાબાઓ, તાંત્રીકો અને મેલીવીદ્યાના જાણકારો સામે કડક કાર્યવાહી માટે બ્રીટીશ સત્ત્તાવાળાઓ કમર કસી રહ્યા છે.
બ્રીટનમાં ભારતના પ્રાદેશીક ભાષાઓના પ્રકાશીત થતાં ઘણાં અખબારોમાં આવા ‘બાબા’ અને તાન્ત્રીકોની જાહેરખબરોની ભરમાર હોય છે. તેઓ પ્રેમી– પંખીડાંઓને કે ધનીક બનવા ઈચ્છતા લોકોને ‘કામ થવાની 100 ટકા ગેરેન્ટી’ આપતા હોય છે અને કેન્સર જેવા રોગોથી મુક્તીનાં તેમ જ અનીષ્ટ નીવારવા વચનો પણ આપતાં હોય છે.
બ્રીટનમાં જ્યોતીષીઓ માટે વરસ દહાડે 317 કરોડ રુપીયા (ચાર કરોડ પાઉન્ડ)નું બજાર છે. ‘લીટલ ઈન્ડીયા’ તરીકે ઓળખાતા ઈસ્ટ મીડલેન્ડ્સના લેસ્ટર ટાઉનના સત્ત્તાવાળાઓએ હવે આવા ‘બાબા’ અને ‘તાન્ત્રીકો’ સામે ઝુંબેશ હાથ ધરી છે જેમાંથી મોટા ભાગના ‘બાબા’ અને ‘તાન્ત્રીકો’ મુળે ભારતીય ઉપખન્ડના છે.
લેસ્ટરના નાયબ મેયર મંજુલા સુદે જણાવ્યું હતું કે “મેં સાંભળ્યું છે કે આવા તાન્ત્રીકો તેમની જે તે વીધી કરવાના બદલામાં લોકો પાસેથી 500 પાઉન્ડ કે તેનાથી પણ વધુ રકમ પડાવતા હોય છે. લોકો એમ માનતા હોય છે કે તેઓ વીધી કરવાનો જો ઈનકાર કરશે તો તેમણે વળી બીજાં કોઈ મોટાં અનીષ્ટનો સામનો કરવો પડશે. તાજેતરમાં એક મહીલા ‘તાન્ત્રીક’ લેસ્ટર આવી હતી અને એક હૉટલમાં રોકાઈ હતી, જ્યાં ‘કલાયન્ટ’ સાથે 10 મીનીટની વાતચીતની સેશનના, 500 પાઉન્ડ વસુલ્યા હતા.”
શીખ વેલ્ફેર એન્ડ કલ્ચરલ સોસાયટીના રેશમસીંહ સન્ધુએ કહ્યું હતું કે અખબારોમાં આવા ‘તાન્ત્રીકો’ની જાહેરખબરો છપાતી અટકાવવા શીખ સમુદાય પણ લોબીઈન્ગ કરી રહ્યું છે.
(લંડનથી પ્રકાશીત થતા ‘ગુજરાત સમાચાર’ના તા. ૧૫ ઓગસ્ટ ૨૦૦૯ ને શનીવારના અંકમાંથી સાભાર.. પ્રેષક –વીનુભાઈ સચાણીયા..)
-વીનુ સચાણીયા
લંડન
ID – VINookumar@aol.com ફોન નંબર – 07811963109
Posted in મીત્રોના લેખ/કવીતા | 22 Comments »
માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ કે બ્રીટનવાસીઓ 13ના આંકડાને શુભ માને છે; જ્યારે 87ના સ્કોરને તેઓ અશુભ ગણે છે. જાપાનમાં લોકો યાત્રા પર જતાં પહેલાં નખ નથી કાપતા. ક્યુબા નીવાસીઓ ચાંદનીને ખરાબ માને છે અને તેથી ચાંદની રાતોમાં ખુલ્લાં માથે નથી નીકળતા. એસ્કીમો હવાની દીશા બદલવા માટે ઢોલ વગાડે છે. પેરુમાં વરસાદ લાવવા માટે કાળા ઘેટાને મેદાનમાં ઉભું રાખી દેવાય છે અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ઘેટાને ખોરાક આપવામાં નથી આવતો… વગેરે વગેરે.
શુકન-અપશુકન માટે મુહુર્ત જોવામાં આવે છે. પુરોહીતો અપશુકન નીવારણ માટે વીધી કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે. શુકન-અપશુકનના ખ્યાલને લીધે વીધવા સ્ત્રીઓ, દલીતો વગેરેને સામાજીક તીરસ્કાર મળે છે. અંધશ્રદ્ધાળુઓ સારા શુકન માટે દીવસો સુધી તકના ભોગે રાહ જોઈ બેસી રહે છે. શુકન-મુહુર્ત કે અન્ય ધાર્મીક વીધીઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાઓ દેશની વીકટ સમસ્યાઓ નીવારવાને બદલે તેમાં વધારો જ કરે છે. આમ આર્થીક, સામાજીક, શારીરીક શક્તીઓનો દુર્વ્યય થવાને કારણે છેવટે તો માનવ સમાજનો સર્વાંગી વીકાસ અવરોધાય છે.
જે વસ્તુ પ્રીય લાગે તે શુકન અને જે વસ્તુ અપ્રીય લાગે તેને અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચડાવવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહીયાત છે. માનવ સમાજમાં આ પ્રકારનો અંધવીશ્વાસ આદીકાળથી જ પ્રચલીત છે. જેને જડમુળથી ઉખેડી કાઢવા માટે અવીરત પ્રયત્નો કરવા જરુરી છે.
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.19/12/1992ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …
Posted in રેશનલ | 22 Comments »
છેંતાળીસ વર્ષીય આપણા યુવાન વીજ્ઞાનશીક્ષક અને ઉગતા ગઝલકાર (કવીતાનો ‘ક’) મીત્ર, શ્રી. સુનીલ શાહ એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતમાં સેવા કરતા હતા, તે જ હાઈ સ્કુલમાં તા. ૬ અક્ટોબર ૨૦૦૯ને મંગળવારથી આચાર્યનો હોદ્દો સ્વીકારશે.. આપણા સૌના એમને ખુબ ખુબ અભીનન્દન..
આજની આ પોષ્ટ આચાર્ય શ્રી સુનીલભાઈ શાહને અર્પણ કરું છું.
-ગોવીન્દ મારુ
અતીધાર્મીકતા અને અતીહીંસા
‘દીકરા, તું ચેતન તરીકે ઓળખાતો હતો અને અનેક આસુરી તત્ત્વોને મારવાને બદલે, માતાજીના આ ભક્તોએ તને જ મારી નાંખ્યો…! અરેરેરે…!!’ કોઈ એક નામ માત્રથી ઓળખાવા બદલ, કોઈ પણ વાંકગુના વીના પાલરોડ, સુરતના એક કૉલેજ યુવાનનું ઢીમ ઢાળી દીધું. થોડા મહીના પહેલાં સીટીલાઈટ રોડ, સુરત પર અભણ, ગરીબ વૉચમેનનો, શીક્ષીત-સંસ્કારી ગણાતા ઘોડદોડ રોડ, સુરતના નબીરાઓ કથીત અપમાન બદલ જીવ કાઢીને જ જંપ્યા ! શરમ, સંસ્કાર, પોલીસ અને કાયદા-વ્યવસ્થાની ઐસીકી તૈસી…!!
કોઈનો લાડકવાયો ચાલ્યો ગયો, કેટકેટલી આશા-અપેક્ષાએ ઉછેરેલાં સંતાનો !… આ સંસ્કારી-શીક્ષીત નગરી, જ્યાં મુલ્યો, વ્રતો, ઉપવાસો, વરઘોડા અને આધ્યાત્મીકતાની વાતો કરતા કોઈ થાકતું નથી. એક ખુબ મોટી યુનીવર્સીટી અને સેંકડો સ્કુલો-કૉલેજો, સંસ્કારભવનો અહીં છે; છતાં આ શું ?!
હમણાં જ તો શ્રાવણ-રમઝાન માસમાં ધાર્મીકતાનું પુર આવી ગયું. મળસ્કેથી જ અલ્લાહની સાથે ડાયરેક્ટ સંપર્ક કરતા અવાજોએ બધાની ઉંઘ હરામ કરી. ઉપવાસ કરવાના, વળી આત્મા અને મોક્ષ માટે અપાસરા ગમી દોડાદોડી અને પવીત્ર થવા ઉપવાસની, યાચનાના ફોટાઓ, દશેરાને દીવસે રામાયણના દૃશ્યો ભજવાયાં અને શૈતાન ગણાતા રાવણનું પુતળાદહન ટોળેટોળાંની હાજરીમાં જ થયું ! ‘અવેરે જ શમે વેર’ની રામાયણની શીખ તો પોથીમાંનાં રીંગણાં જ ને ! મારા, મારા મહોલ્લાના, મારી જ્ઞાતી-પેટા જ્ઞાતીના, મારા ધર્મના કહેવાતા અપમાન બદલ, ચામડાના પટ્ટા, દોરડાં, ચપ્પાં, દંડા અને તલવારો લઈને યુવકો બહાર નીકળી પડે અને કોઈને મોતથી જરા પણ ઓછી સજા તેઓ કરતા નથી ! ચપટી વગાડતાં જ બધા તૈયાર ! હીંસા આચરવામાં કોઈ પાછું વળીને જોતું નથી.
અરે, સુધારાવાદી વીર નર્મદના ઘરની નજીક જ, ચાર દીવસ પર, ગોપીપરા, સુરતમાં એક ટોળામાંથી પુરુષો પોતે આગળ આવી, કેડ પર દોરડા વીંઝાવી પોતાની બાધા મુકે છે !
સવાલ એ થાય છે કે અતીધાર્મીકતા અને અતીહીંસા આટલી બધી જોડાજોડ કેવી રીતે નભતી હશે ? આખા ગુજરાતની બધી બહેનો નવરાત્રી દરમીયાન ઉપવાસ કરીને માતાજીની ભક્તી કરવા હીલોળે ચડે છે, તો બીજી તરફ એ જ ગુજરાતમાં વધતા જતા બળત્કાર, સ્ત્રીઓનાં અગ્નીસ્નાન, આપઘાત, કૌટુંબીક હીંસા અને વીવીધ પ્રકારની અવમાનના ! આ અતીશક્તીમાન માતાજીના આટલા બધા ભક્તીભાવ પછી પણ હીંસા સામે સ્ત્રી સાવ ની:સહાય કેમ?
આપણા જાહેર અને સામાજીક જીવનમાં હીંસા રગેરગમાં પેસી ગયેલી જણાય છે. સંસ્કાર, નીતી, શીક્ષણ, મુલ્યો વગેરેની બધી વાતો બકવાસ પુરવાર થઈ રહી છે. માનવતાનો સહેજ પણ છાંટો હોત તો ચેતન ઉર્ફે દીનેશ કે પેલા વૉચમેનભાઈ કે પૈસા વાંકે પોલીસે ન છોડેલા પાંડેસરા, સુરતના રાજેશ પાટીલ જીવ ગુમાવત નહીં, અને આ સમાચાર વાંચી સાવ મુંગામંતર, ચુપ, નીષ્ઠુર અને સંવેદનશુન્ય શીક્ષીતોને અને કટારલેખકોને શું કહીશું ?!
-પ્રા. બાબુભાઈ ધી. દેસાઈ, સુરત
(અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોનો પર્દાફાશ કરતી સંસ્થા ‘સત્યશોધક સભા’, સુરતના મંત્રી અને નીવૃત્ત પ્રાધ્યાપક છે. આ જ સંસ્થાનું રૅશનલ સામયીક ‘સત્યાન્વેષણ’ ના સહતંત્રી/સહસંપાદક પણ.)
સંપર્ક: 3–અભીનવ પાર્ક, ઘોડદોડ રોડ, સુરત– 395 001
Mobile – 92279 06656 ઈ મેઈલ: professorbddesai@yahoo.com
સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.3/10/09ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખક તેમ જ ‘ગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…
Posted in રેશનલ | 13 Comments »
‘ભગવાન કેવો દયાળુ છે કે તેણે પૃથ્વીને સુર્યથી બરાબર સાડા આઠ કરોડ માઈલ દુર ગોઠવી છે. જો થોડીક નજીક હોત તો આપણે બળીને ભસ્મ થઈ ગયા હોત’ એમ કોઈ સ્વામીજીએ તેમના પ્રવચનમાં ભાવીકજનોને કહ્યું, અને પ્રા. રમણભાઈ પાઠકે કાનોકાન સાંભળ્યું. (સંદર્ભ: ‘રમણભ્રમણ’ “ગુજરાતમીત્ર” દૈનીક, સુરત તા. ૧/૦૮/૧૯૯૨) આ સ્વામીજીને વીજ્ઞાનનો કક્કો કદાચ નહીં આવડતો હોય, પણ નામાંકીત વીજ્ઞાનીઓ પણ આવી વાતો કરે ત્યારે તેમને શું કહેવું ?
બ્રીટીશ વીજ્ઞાનીઓ પૌલ ડેવીસ (જેનો ઉલ્લેખ ડૉ. ગુણવંત શાહે તેમના પુસ્તક ‘અસ્તીત્વનો ઉત્સવ’માં કરેલો છે) તેમના પુસ્તક ‘એક્સીડન્ટ યુનીવર્સ’માં લખે છે કે, ‘‘જો ગુરુત્વાકર્ષણનો આંક જરા ઓછો વત્તો હોત તો વીશ્વનું સર્જન જ ન થયું હોત. એ જ રીતે બીજા ભૌતીક આંકો (Physical Constants- આવા આંકો 25 જેટલાં છે. તેમનું મુલ્ય વીશ્વની ઉત્પત્તી થઈ ત્યારે જે હતું, તે આજે પણ છે- અને ભવીષ્યમાં પણ તે જ રહેશે- એટલે આ અંકો અચળ- Constants કહેવાય છે)નાં મુલ્યોમાં જરા સરખી વધઘટ થઈ હોત, તો વીશ્વનું સર્જન જ ન થયું હોત’’ તેમની ગણતરી સાંગોપાંગ સત્ય છે; પણ છેવટે જ્યારે તે વીજ્ઞાની મટી ફીલસુફી કરવા બેસે છે ત્યારે તે આવું તારણ કાઢે છે કે, “ભગવાન કેટલો બુદ્ધીશાળી છે કે તેણે આ બધા આંકોનું ગણતરીપુર્વક નીર્માણ કર્યું છે કે જેથી વીશ્વની ઉત્પત્તી થાય” (ઉપરોક્ત સ્વામીજીની જેમ)
વીશ્વની ઉત્પત્તી થઈ ત્યાર પછી ગુરુત્વાકર્ષણ અસ્તીત્વમાં આવ્યું, એટલે તેના આંકનું નીર્માણ વીશ્વના અસ્તીત્વની સાથે સુસંગત હોવું જોઈએ. ધારો કે તેનું મુલ્ય ‘ક્ષ’ છે- તો ‘ક્ષ’ના મુલ્યમાં જરાસરખી વધઘટ થાય તો વીશ્વનું સર્જન ન થાય એ દેખીતું છે. એ જ પ્રમાણે સઘળા ભૌતીક આંકો વીશે કહી શકાય.
જેમ્સ જીન્સ બહુ મોટા ગજાનો બ્રીટીશ ખગોળવીજ્ઞાની હતો. તેમણે તેમના પુસ્તક “Mysterious Universe” ના છેલ્લા પ્રકરણમાં એવું તાત્ત્વીક (Philosophical) તારણ કાઢ્યું કે ‘ભગવાન સર્વ શ્રેષ્ઠ ગણીતજ્ઞ છે. શા માટે ? ૧૯મી સદીના વીજ્ઞાનીઓ તેમની થીયરી સમજાવવા માટે Physical Models રજુ કરી શકતા; પણ વીસમી સદીના વીજ્ઞાનને સમજાવવા આવા Physical Models શક્ય નથી. સમય અને અવકાશ સંકલીત છે, પ્રકાશ તરંગમય અને કણમય છે, ઈલેક્ટ્રોન કણમય છે તો તરંગમય પણ છે.’ આવી આધુનીક વીજ્ઞાનની વાતો ઉચ્ચતમ ગણીતથી જ સમજી શકાય. એટલે જેમ્સ જીન્સ કહે છે કે, વીશ્વની ગતીવીધીનું સંચાલન સર્વશ્રેષ્ઠ ગણીતજ્ઞ કરતો હોવો જોઈએ.
વીજ્ઞાનમાં પુર્વગ્રથીત માન્યતાને કોઈ સ્થાન નથી. કારણ કે વીજ્ઞાન જ્ઞાતના આધાર પરથી ‘અજ્ઞાત’ને પામવા મથે છે. તે ‘અજ્ઞાત’ને કોઈપણ પાયા વગર સ્વીકારી લેતા નથી. હા, તેઓ ’Hypothesis’ અવશ્ય ઘડે છે, તેની ચકાસણી કરે છે, તેમાં જરા સરખો અપવાદ નીકળે તો તેઓ તરત જ એ ‘Hypothesis’ને તીલાંજલી આપે છે.
પૌલ ડેવીસ કે જેમ્સ જીન્સ આ બધું જાણવા છતાં શા માટે ભગવાન સર્વ શ્રેષ્ઠ બુદ્ધીશાળી છે, ગણીતજ્ઞ છે એવી પાયા વગરની વાતો કરતા હશે ? આર્થર એડીંગટન, વ્હાઈટહેડ, ટયલર કે કાપ્રાનાં લખાણોનું વીશ્લેષણ કરવામાં આવે તો તેમનાં લખાણોમાં કાં તો આવી પુર્વગ્રથીત માન્યતા હોય છે, અથવા વીજ્ઞાનનું પ્રયત્નપુર્વક અવળું અર્થઘટન કરવામાં આવેલ હોય છે. દા.ત.: કાપ્રાએ અણુ પરમાણુમાં Consciousness સભાનતા છે, એવી વાતો કરેલ છે, જેનું કોઈ પ્રમાણ નથી એટલે કે આ પ્રમાણ વગરની વાત થઈ- અર્થાત્ વીજ્ઞાનનું અવળું અર્થઘટન છે.
સંસ્કૃતીના ઉદયકાળથી તે આજ સુધી બહુજન સમાજને ઈશ્વર, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, જ્યોતીષ જેવી તદ્દન કપોળકલ્પીત વાતોથી ઘેનમાં રાખવાનો પ્રયાસ એક યા બીજા સ્વરુપે કરવામાં આવે છે. આ વીજ્ઞાનનો યુગ છે. વીજ્ઞાનીઓ પણ જાણ્યે–અજાણ્યે બહુજન સમાજનએ ‘ઈશ્વર’ની વાતો વીજ્ઞાન દ્વારા ઠસાવવાનો પ્રયત્ન કરે છે. આપણા બૌદ્ધીકો પણ તેમના પ્રચારથી ભરમાઈ જાય છે. બૌદ્ધીકો વીચારશે ખરા ???
-આર. કે. મહેતા અને ગોવીન્દ મારુ
સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૪/૦૮/ ૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલો આ એક ચર્ચાપત્ર.
Posted in રેશનલ | 23 Comments »
અમેરીકાથી શ્રી દીપકભાઈ લલ્લુભાઈ પટેલ ( મુળ આફવા ગામ, તાલુકો બારડોલી )નો પત્ર છે; જે અત્રે હું, વ્યવસ્થીત લખાણના સંદર્ભે જરુરી સુધારા-વધારા સાથે, લગભગ શબ્દશ: પ્રસ્તુત કરું છું- ભાવકોની જાણ માટે તથા સંબંધીતોની આવશ્યક નોંધ અર્થે શ્રી દીપક પટેલ લખે છે:
હવે ‘ગુજરાતમીત્ર’ અખબાર અમે તમારા કરતાંય પહેલાં- અહીંના દીવસના લગભગ બપોર બાદ જ વાંચી શકીએ છીએ, અને એથી ખુબ ખુશ છીએ; કારણ કે, દાયકાઓથી ‘ગુજરાતમીત્ર’ અમારું માનીતું અખબાર રહ્યું છે. આવી વ્યવસ્થા બદલ અમે તંત્રીશ્રીના ખરેખર ઋણી છીએ.
એ મુજબ, ગયા શુક્રવારની સાંજે અમે શનીવાર તા.૧૨, સપ્ટેમ્બરના અંકમાં એક સમાચાર વાંચ્યા, અને આનંદ, આશ્વર્ય તથા કુતુહલ-જીજ્ઞાસાથી અમે રોમાંચીત થયા. એ સાથે જ અમને થયું કે, આ બાબતે કંઈક સક્રીય આગળ કરવું જોઈએ; કારણ કે, આવી ઘટના જો સત્ય હોય તો, એ ખરેખર જ અમારા વહાલા વતન ભારતની પ્રાચીન સંસ્કૃતીની અને એના યોગશાસ્ત્રની મહાનતા છે અને આજનું ગૌરવ છે. માટે પ્રસ્તુત સમાચાર દુનીયા આખીએ જાણવા જ જોઈએ. સમાચાર છે:
“…..આબુ-અંબાજી સ્થીત ગબ્બર પાસેની ગુફામાં રહેતા ૮૨ વર્ષીય પ્રહલાદભાઈની જાની (ચુંદડીવાળા માતાજી) છેલ્લાં ૭૨ વર્ષથી અન્ન-જળનો ત્યાગ કરી, સ્ત્રીવેશે અંબાજી માતાની ભક્તી કરી રહ્યા છે. શ્રી જાનીની આ રહસ્યમય અને અલૌકીક શક્તીએ વીજ્ઞાન અને મેડીકલ સાયન્સને પણ માથું ખંજવાળતા કરી મુક્યા છે… ‘હું કઈ રીતે જીવન જીવી રહ્યો છું?- એની તબીબી ચકાસણી અત્યાર સુધી ૨૫ વખત થઈ છે…’ અને આગળ તેઓ કહે છે; ‘માતાજી’ જ્યારે અગીયાર વર્ષનાં હતાં, ત્યારે ત્રણ દેવીઓ અને ત્રણ દેવતાઓએ એમને ક્રમશ: દર્શન આપ્યાં… તેમના એક સ્પર્શથી હંમેશ માટે ભુખ-તરસ લાગતી બંધ થઈ ગઈ અને મુખમાંથી અમૃત ઝરવા લાગ્યું.”
એ પછી, પોતાના તરફ્થી ટીપ્પણ કરતાં, શ્રી પટેલ લખે છે કે, જો અમારા અમેરીકામાં આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી હોય તો, પત્રકારો અને વીજ્ઞાનીઓ બધા જરુર દોડાદોડ મચાવી મુકે ! કયા તબીબો તથા કયા વીજ્ઞાનીઓએ આ ‘માતાજી’ની અલૌકીક શક્તીની ચકાસણી કરી, એમને શોધે, મળે, પુછે અને તેઓનો વીગતે ઈન્ટરવ્યુ લે, અને જાણવા જેવું કે જે સત્ય લાગે તે વ્યાપક રીતે પ્રગટ કરે ! આપણા ભારતીય પત્રકારો કેમ આવા ફરજપરસ્ત કે સક્રીય નથી, એમ અમે વીમાસણ કરીએ છીએ. આવો કોઈ ઈન્ટરવ્યુ કે ચકાસણી કરનારા વીજ્ઞાનીઓ કે તબીબોના અભીપ્રાય તો શું, નામઠામ પણ ક્યાંય વાચવા મળ્યાં નથી ! આમ કેમ ? જો આ હકીકત સત્ય હોય તો, અમને લાગે છે કે, ભારતનું નામ જગતભરમાં રોશન કરનારી આ મહાન સીદ્ધી છે.
હવે બીજી વાત: તે જ દીવસે, એ સમાચાર સાથે જ, પ્રસ્તુત અલૌકીક ઘટનાનું રહસ્ય જણાવતી એક નોંધ પણ પ્રગટ કરવામાં આવી છે; જે જણાવે છે કે, ‘કુંડલીનીના ઉત્થાન અને યૌગીક શક્તીથી પ્રાપ્ત થતી આવી સીદ્ધીને વીજ્ઞાન પણ ઉકેલી શકતું નથી !’
અહીં નમ્રતાપુર્વક જણાવવાની રજા લઉં કે, હું વીજ્ઞાનરસીયો છું અને મારો જીવનવ્યવહાર બધો એકંદરે હું વૈજ્ઞાનીક અભીગમથી જ ચલાવું છું. પરીણામે આ બીજા સમાચાર અને એની વીજ્ઞાન વીષયક ટકોરથી મારી જીજ્ઞાસા સળવળી ઉઠી. બીજું કે, યોગવીદ્યા તથા એવાં ભારતીય દર્શનોમાં પણ મને રસ છે, લગાવ છે અને એની અમુક બાબતો પ્રત્યે મને પુરો આદર પણ છે. એથી આ ‘માતાજી’ના સમાચાર વાંચ્યા, એ પહેલાં પણ યૌગીક વીદ્યાના ચમત્કારો, એનું શાસ્ત્ર, એના હેતુ અને એથી મળતી સીદ્ધીઓ વીશે ચર્ચાવીચારણા, ચકાસણી કે જે ગણો તે, એ માટે અહીંના પ્રતીષ્ઠીત વીદ્વાનો, વીજ્ઞાનીઓ તેમજ ખાસ તો જ્ઞાની તબીબોને મેં પુછપરછ કરી જ હતી. ત્યારે તબીબો અને વીજ્ઞાનીઓનો તો ભારપુર્વકનો એકંદર જવાબ એવો જ હતો કે, અમે હજારો માનવદેહ જોયા છે, ચીર્યા છે, કાપ્યા છે, એનાં અંગપ્રત્યંગ અને સુક્ષ્મ કોશો સઘળું જ ઝીણવટથી, પાકું અને પુરું જોયું છે, બરાબર તપાસ્યું છે. પરંતુ માનવશરીરમાં ક્યાંય અમને ‘કુંડલીની’ જેવો કોઈ અવયવ, એવી ઉર્જા કે એવી કોઈ શક્તી બીલકુલ જોવા મળી નથી ! એ જ રીતે, શરીરમાં જુદા જુદા સ્થાને અમુક જે ‘ચક્રો’ હોવાની વાત યોગમાં આવે છે, એ મુલાધારચક્ર, અનાહતચક્ર, આજ્ઞાચક્ર કે સહસ્ત્રદળચક્ર અર્થાત્ બ્રહ્મરંધ્ર જેવાં કશાં અંગો, એવી કોઈ વીશીષ્ટ રચના કે કાણાં (રંધ્ર) મુદ્દલેય જોવા મળ્યાં નથી. અરે, એવો કોઈ અણસાર સુધ્ધાં મળ્યો નથી ! બીજી બાજુ, ‘માતાજી’વાળી અલૌકીક ઘટના બાબત એમ જણાવવામાં આવે છે કે, મુલાધારચક્રમાંથી વીદ્યુત્ વેગે નીકળતી કુંડલીનીની ઉર્જા તાળવામાંથી બ્રહ્મરંધ્રને ભેદી શકે છે.
‘માતાજી’ના તાળવામાં કાણું છે, જ્યાંથી બ્રહ્મરંધ્રમાંથી નીકળતું કોઈ પ્રવાહી તેઓને નવજીવન આપતું રહે છે. આ પ્રમાણે ઝરતું પ્રવાહી ‘અમૃત’ છે, એમ પણ જણાવવામાં આવ્યું છે…
વીજ્ઞાનીઓ અને તબીબો સાથે આ બાબતે જે તાત્કાલીક અને તાત્ત્વીક ચર્ચા થઈ, એમાં તેઓનું કહેવું છે કે, દેહની અંદર જ આવું કોઈ જીવનદાયી પ્રવાહી વર્ષો સુધી આપોઆપ ઉત્પન્ન થઈ શકે જ નહીં. માનવદેહના સંચાલનમાં અમુક ઉર્જા વપરાઈ જાય છે, અને વીજ્ઞાનના નીયમ મુજબ, આ પ્રમાણે વપરાઈ જતી ઉર્જા માટે બહારનો ઉર્જા સપ્લાય અનીવાર્ય જ બની રહે છે. દેહમાં ક્યાંય એવા ઉર્જાના અખુટ ભંડારો ભરેલા કદીય જોવા મળ્યા નથી વગેરે… વીદ્વાનો વળી એમ કહે કે, યોગવીદ્યાના કેટલાક દાવા શંકાસ્પદ હોય છે: દા. ત. અહીં વસતા મહેશ યોગી હવામાં અધ્ધર થવાની યોગસીદ્ધીની વાત કરે છે ખરા; પરંતુ ક્યારેય એનો વીશ્વાસપાત્ર પ્રયોગ બતાવી શક્યા નથી. મેં સ્વામી આનંદનું એવું લખાણ વાંચ્યાનું પણ યાદ છે કે, ‘હું હીમાલયમાં ૩૦-૪૦ વર્ષ(કે જે આંકડો તેઓએ લખ્યો હોય તે યાદ નથી) રહ્યો, પણ કેવળ હવા ખાઈને જીવતો યા એવી કોઈ દૈવી શક્તી ધરાવતો એક પણ યોગી મેં જોયો નથી !’
તો, ‘માતાજી’ની અલૌકીક શક્તીના સમાચાર વાંચતાં, અમને અહીંના બુદ્ધીનીષ્ઠોને એક વીચાર આવ્યો છે કે, જો ‘માતાજી’ને અહીં અમેરીકાના તબીબો તેમજ વીજ્ઞાનીઓ સમક્ષ રજુ કરીએ અને સાક્ષાત્ દાખલો બતાવીએ કે, ‘જુઓ, ભારતીય યોગવીદ્યાનો આ ચમત્કાર !’ તો વીજ્ઞાન સમક્ષ એક અભુતપુર્વ પડકાર ભારતીય સંસ્કૃતી તથા એની પ્રાચીન વીદ્યાઓની વીશ્વમાં અજોડ એવી શક્તીઓ અને સીદ્ધીઓ દ્વારા રજુ કરી શકાય; જેથી ભારતની મોટી નામના થાય, એનું અમે ગૌરવ અનુભવીએ. એટલું જ નહીં, દુનીયાના વીજ્ઞાન માટે પણ એક નવી જ દીશા ખુલે. અમારો હેતુ ફક્ત માદરે વતન-ભારતની શાન બઢાવવાનો જ છે.
તો આ સાથે, અમે ‘માતાજી’ને અહીં અમેરીકા પધારવાનું હાર્દીક નીમંત્રણ પાઠવીએ છીએ.
તેઓશ્રી અહીં આવીને, બેત્રણ અઠવાડીયાં કે એકાદ મહીનો રહી જાય, એનો તમામ ખર્ચ તેમ જ બધી જવાબદારી અમારે માથે ! તો આ દીશામાં સક્રીય વીચારણા કરવા લાગતાવળગતા સૌ અગ્રણીઓને અમારી વીનંતી છે… આ વચન અમે ગંભીરતાથી, સચ્ચાઈપુર્વક આપી રહ્યા છીએ.
:ભરત વાક્ય:
આ નીમંત્રણ કે એ બાબતે કોઈ પણ વ્યક્તી જો કોઈ પણ મુદ્દે વાતચીત કે ચર્ચા કરવા ઈચ્છતી હોય, તો તેણે શ્રી દીપક એલ. પટેલનો સીધો સંપર્ક (અમેરીકા) સાધવો. સરનામું નીચે મુજબ છે:
Deepak Patel,
4577–HWY, 20E. NICEVILIE, FL. 32578- USA.
Ph. (001) 850-685-4878
–પ્રા. રમણ પાઠક
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૯ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માંથી સાભાર..
સૌજન્ય–’ગુજરાતમીત્ર’, સુરત..
સંપર્ક:
પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી - 394 641 ફોન: (02622- 222 176)
Posted in મીત્રોના લેખ/કવીતા | 32 Comments »
તા. ૯/૦૮/૨૦૦૯ના ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્રી ‘ધાર્મીક માણસની અગ્ની પરીક્ષા‘માં વીણા પટેલે ખુબ જ સુંદર ચર્ચા કરી છે અને ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા અને તે પંથ(વાડા)ને માનનારાં પણ જુદા જુદા ! આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી શકાય અને વ્યક્તીને આ ષડ્ રીપુ ધીમે ધીમે ઓછાં કરવાની સમજ આપી શકાય. પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો-સંતો ! આ બધાં પાછાં ‘મેં ભી ડીચ !’ કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ–પંથ માને છે અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી. ધર્મની હાટડીઓવાળા સંતો પોતાના અહંકાર પ્રમાણે જ બધાને દોરે છે, માર્ગદર્શન આપે છે. એમાં સાચો ધર્મ અલોપ થઈ જાય છે. પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં ફરવું, રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો. બધી જાતનાં ભૌતીક ભોગો-ઐયાશી-ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી, સમજાતું નથી એટલે પોતે જ કામ, ક્રોધ, મોહ વગેરે ષડ્ રીપુ છોડી શકતા નથી તો સામાન્ય વ્યક્તી તો માર્ગદર્શન વગર અટવાઈ તેમાં નવાઈ નહીં ! માનવી બીજા માનવીને મનુષ્ય તરીકે જોતાં શીખે અને વર્તે તો પણ ઘણું કહેવાય ! માનવીને જ માનવીની કીંમત નથી, પછી ષડ્ રીપુ ક્યાંથી છુટે ? ઉલટા વધારે ઉંડા ઘુસી જાય ! અને આમાં જ ધર્મની અધોગતી થાય છે. ‘ધર્મ એટલે તો ફરજ’ ! ઈશ્વરે મનુષ્યને ભૌતીક જીવનમાં જે ફરજો બજાવવાની આપી છે તે પ્રમાણે માનવી ચાલે તે જ ધર્મ ! ધર્મ કાંઈ વાડામાં બંધાય ?
–ડૉ. કે. ટી. સોની, (લેખક સુરતના બહુ જ સેવાભાવી ડૉક્ટર છે અને સુરતના એક પ્રબુદ્ધ–સજાગ નાગરીક પણ છે.)
સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૫/૦૮/૨૦૦૯ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર, લેખકશ્રી અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…..
Posted in મીત્રોના ચર્ચાપત્રો | 15 Comments »
એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!’
એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીઝ છે; પણ એમને સોશીયો બહુ ભાવે છે. હું એમને માટે સોશીયો હંમેશાં ફ્રીઝમાં રાખું છું. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્માં જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માનાં ચશ્માં સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !’
મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ–દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું; પણ યાદ રહે ગાય – કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.
એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.
હમણાં જાણીતા શાયર દેવદાસ – ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !’
વારંવાર એક વાત સમજાય છે. ઘરડાં માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાનાં હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે ! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જો કે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)
માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોનાં વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુંપડીમાં કોઈ દી’ સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!
અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘અંતવેળા જેના માબાપ ના ઠર્યાં… સાત જનમ તેના બુરા ઠર્યા…!
ધુંપછાંવ
દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યા છે. તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય !’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસ મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…!
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’,દૈનીક, સુરતની તા.6 સપ્ટેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતના તીરે’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ,
સી-12, મજુર મહાજન સોસાયટી,
ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445
ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508
Posted in મીત્રોના લેખ/કવીતા | 30 Comments »
પ્રીય પવન,
Happy Birthday
તારા જીવનની અધુરપ
અને તરસ સંતોષાય
તેમ જ
આ વર્ષે સંસારનું વર્તુળ શરુ કરો
એવી, ૨૭મા જન્મ દીવસે
અમારી હાર્દીક અભીલાષા છે.
તારાથી ઘણા દુર છતાં
તારી નજીક જ સદાનાં
તારાં,
મમ્મી – પપ્પા
સપ્ટેમ્બર ૯, ૨૦૦૯
ï ô ï ó ï
જીન્દગી તમ ફોરમ સમી મહેંકી રહે,
ને રાત સ્નેહ–સ્વપ્ને સજતી રહે.
વહે કદી ના તુજ નયનથી અશ્રુસ્રોત,
વીલસતા મુખને ના પડે સ્મીતનીય ખોટ.
ઝળહળતું રહે જીવન પ્રસીદ્ધીના વ્યોમમાં,
ગુંજન થયા કરે, પ્રકૃતીની ભોમમાં.
મળે તને ઉમંગોની હરેક પળ,
જેમ અમૃત બની વરસે ઉર્મી–વાદળ
આજ ‘ તું ’ લાગે, પુનીત સમ મુર્તી
માંગું હું આજ તુજ કામના પુર્તી
–સંકલીત
Posted in જનરલ | 25 Comments »


