February 8, 2010 by ગોવીંદ મારુ
સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે. સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.
નાનપણમાં અમારા ઘરમાં ભગવાનની પુજાનો વારસો દાદીમાએ મારી બાને પકડાવ્યો હતો. મારા બાપા કે કાકાઓને મેં કદી મંદીરનાં પગથીયાં ચઢતાં જોયા નથી. અમારા ઘરમાં હીંદુ ધર્મનો આદર થતો તે ફ્ક્ત મારી બાની શ્રદ્ધાને લીધે જ. અમારા ઘરમાં દેવમંદીર હતું. ભગવાનની સેવાની મારી બાની તમન્ના તેણે મને પકડાવી હતી. પરીક્ષામાં પહેલા નંબરની લાલચ આપીને. રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવતી હતી. સવારે પુજા થઈ ગયા પછી આશીર્વાદ આપતી કે ભણીગણીને વીલાયત જજે. વીલાયતનું તો ન ગોઠવાયું પણ અમેરીકા આવી ગયો. મને પુજા કરવાનો જબરજસ્ત કંટાળો આવતો હતો. મીત્રો બહાર ગીલ્લીદંડા કે ક્રીકેટ રમતા ત્યારે મારે પુજાપાઠ કરવાં પડતાં. પરંતુ ભગવાનને ચોપડે ભક્તીનું ખાતું તો મારી બાના નામનું હતું. મારી બા ખુબ ભક્તીભાવવાળી હતી. સવારે ઉઠતાંવેત સ્વપ્નમાં કયા ભગવાન આવ્યા હતા તેની વાત કરે. જ્યારે હું મીત્રો સાથે સ્વપ્નમાં મધુબાલા આવી હતી કે નરગીસ તેની ચર્ચા કરતો ! અમારા ઘરમાં હીંદુ ધર્મનો ઝંડો મારી બાએ ફરકાવ્યો હતો. મેં જોયું છે કે મારા છ કાકાઓના ઘરમાં પણ બધી કાકીઓએ ધર્મના ઝંડા પક્ડ્યા હતા. અમારા કુટુંબની બધી સ્ત્રીઓ પોતે સૌથી વધુ ધાર્મીક છે એ પુરવાર કરવા હંમેશાં મથતી હતી.
એક વખત મારાં ભાનુકાકી મારી બા પાસે આવ્યાં ને કહે, ‘સુશીલા, તારે સત્યનારાયણની કથા કરાવવી પડશે અને પાંચ બ્રાહ્મણ જમાડવા પડશે, કારણ કે તારો હરનીશ માંદો પડ્યો હતો ત્યારે મેં બાધા રાખી હતી કે, ‘હે ભગવાન, સુશીલાનો હરનીશ બચી જશે તો હું સુશીલા પાસે સત્યનારાયણની કથા અને બ્રહ્મભોજન કરાવીશ.’ મારી બાને ગુસ્સો તો ચઢ્યો કે મારા વતીની તેં બાધા કેમ રાખી ? પણ હવે બાધા પ્રમાણે કથા અને બ્રહ્મભોજન ન કરે તો પોતાની ધાર્મીક વૃત્તીમાં ખામી ગણાય. એટલે એણે પાંચ નહીં પણ દસ બ્રાહ્મણ જમાડ્યા (સાથે પચાસેક સગાંવહાલાં તો ખરાં જ !) અને સત્યનારાયણનું વ્રત ધામધુમથી ઉજવ્યું.
બાધાની વાત કરીએ તો મારાં હસુભાભીએ કનુભાઈ માંદા પડ્યા હતા ત્યારે બાધા રાખી હતી કે ‘જો મારા પતી સાજા થઈ જશે તો હું આવતી શરદ પુનમે તેમને ડાકોર ચાલતા રણછોડરાયજીની સેવા કરવા મોકલીશ.’ કનુભાઈનું નસીબ નબળું તે માંદગીમાંથી તે બચી ગયા. કનુભાઈ હરતાફરતા થયા એટલે ભાભીએ એમને બાધાની વાત કરી. કનુભાઈ ભડકી ઉઠ્યા. રાજપીપળાથી ડાકોર દોઢસો-બસો કીલોમીટર દુર ! ભાઈ કહે, ‘મારા વતી તું ચાલ, તેં બાધા રાખી છે. મેં નહીં.’ સ્ત્રી પોતાની શ્રદ્ધા સાબીત કરવા બીજાને ગરદન મારતાં જરા પણ ન અચકાય.
પછી ડાકોર ચાલતા જવાનો કોયડો અમારા બાબુકાકાએ ઉકેલ્યો. ગામના લાકડાવાળા શેઠની ટ્રોલી(ટ્રક) ભાડે કરી. કનુભાઈને અંદર ઉભા રાખી અને ટ્રોલીમાં એક છેડેથી બીજે છેડે સાંકળ પકડીને ચાલવાનું સુચવ્યું. અને ટ્રોલી ભાગી ડાકોર તરફ. ચાલવાનું વ્રત પણ સચવાયું અને હસુભાભીને પુણ્ય મળ્યું. ફેર એટલો પડ્યો કે કનુભાઈએ હસુભાભીને કહ્યું કે ‘હવે જો કોઈ દીવસ તું માંદી પડે તો મારી બાધા જોજે. હું તને મથુરા સુધી ઉઘાડા પગે ચલાવીશ !’
અમારા ગામમાં ખુબ સુંદર આરસની લાદીવાળું લાકડાની ઉંચી છતવાળું ભગવાન લક્ષ્મીનારાયણનું સુંદર મંદીર હતું. છતમાંથી લટકતાં ઝુમ્મર અને દીવા સળગાવવાના રંગબેરંગી કાચના લેમ્પ અને લક્ષ્મીનારાયણની સફેદ આરસ-પહાણની મુર્તીઓ હતી. કહેવાતું કે રાજપીપળાના મહારાજા પણ દર્શન કરવા આવતા.
મુળ વાત એ કે ઉનાળામાં વાતાનુકુલ જેવી ઠંડક મંદીરમાં રહેતી. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ કથાકારની કથા ચાલતી જ હોય. સો દોઢસો માણસો બેસી શકતા. મોટા ભાગની સ્ત્રીઓ હોય. સાથે પાંચ દસ પુરુષો પણ કથામાં બેસતા. અમે છોકરાંવ ત્યાં રમવા અને પ્રસાદ ખાવા જતાં. મેં જ્યારે જોયું છે ત્યારે પુરુષો મંદીરની ઠંડકમાં ઉંઘતા જ હોય ! કથા કથાની જગ્યાએ ને મહારાજ મહારાજની જગ્યાએ ! જ્યારે પુરુષો પોતાની ઉંઘ બપોરે આરામથી પુરી કરી લેતા. મને ત્યારે લાગતું કે ધાર્મીક વૃત્તી ગઈ એને ઘેર. આ લોકો મંદીરમાં ઉંઘવા જ આવતા. જ્યારે મંદીર તરફથી શ્રોતાજનોને એક એક રકાબી ચા અને પ્રસાદ મળતો ત્યારે તેઓ આંખો ખોલતા અને કામ પતાવીને પાછી મીંચી દેતા. અમે છોકરાંઓ આ સેવા પુરી પાડતાં. કથામા જ્યારે ભજનો ગવાતાં ત્યારે બેચાર સ્ત્રીઓ હાથ ઉંચા કરીને નાચતી. ભક્તીભાવ હોય કે જુવાનીમાં નાચવાના રહી ગયેલા અભરખા હોય, જે હોય તે, પણ સ્ત્રીઓમાં ભક્તીભાવ છલકાતો હતો. એ લોકો બાકીના શ્રોતાઓનું ખાસ ધ્યાન ખેંચતાં. આપણને લાગે કે એ સ્ત્રીઓ નાચવા જ આવતી.
ધરમના ધંધા ભલે પુરુષોના હાથમાં રહ્યા. પરંતુ તેમના ગ્રાહક તો સ્ત્રીઓ જ છે. સ્ત્રીઓની ધાર્મીક ભાવનાને કારણે જ ધર્મનો વીકાસ થયો છે. હીંદુ ધર્મ સ્ત્રીઓને ગમે છે, કારણ કે એમાં આવતી દેવીઓ આગળ પુરુષોનાં ઝુકતાં માથાં જોવાની તેમને મઝા આવે છે. હીંદુ ધર્મ સ્ત્રીશક્તીને પુજે છે. શકંર ભગવાન, કહેવાય ભગવાન, પણ તેમના શેઠ (બોસ) તો પાર્વતી જ ને ! શીવપુરાણમાં ઠેર ઠેર પાર્વતીનો જ વૈભવ છે. મારા બાપુજી ઘણી વાર કહેતા કે ‘અલ્યા નારાયણને ભજ તો પતી પાછળ લક્ષ્મીજી તારે ત્યાં આવશે.’ આજે મોટો થયો ત્યારે સમજાયું કે જ્યાં જ્યાં લક્ષ્મીજી છે ત્યાં ત્યાં નારાયણ બીચારા લક્ષ્મીજીની પાછળ પાછળ ઘસડાય છે.
ગુજરાતણોમાં અંબામાતાનું ચલણ બહુ, મારી પત્નીનાં તો ખાસ પ્રીય માતા અંબામા ! એને એ ગમે છે કારણ કે મોટા વાઘને બકરી બનાવીને એના પર સવાર થાય છે. જ્યારે એ માતાજીની પુજા કરીને ઉઠે ત્યારે હું તેને રસ્તે આડો નથી આવતો, કારણ કે માતાજીની પુજા કર્યા પછી આપણને લાગે કે માતાજી સ્વયં એનામાં સમાયાં છે અને કોઈક વાઘને બકરી બનાવવા તત્પર છે !
છેલ્લે, જ્યારથી મારી પત્નીએ જાણ્યું છે કે હું નાનપણમાં મારી બાને ખુશ રાખવા મારા ઘરમાં ભગવાનની પુજા કરતો હતો ત્યારથી અમારા ઘરમાં રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવવાના પ્લાન ઘડે છે. પુજા મારે કરવાની અને ભગવાન પાસે એના નામનું ખાતું ખોલાવવાનું. તમને લાગે છે કે હું એમ કરીશ ? તમારી વાત ખરી છે. હું ભગવાનની પુજા કરીશ.
–હરનીશ જાની
♦ (‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40 વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.)
તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશક–હર્ષપ્રકાશન, 403–ઓમ દર્શન ફ્લૅટ્સ, 7–મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ–380 007, પ્રથમ આવૃત્તી– 2009, પૃષ્ઠ સંખ્યા–20+128, મુલ્ય રુપીયા– 100)ના પાન ક્રમાંક – 92-પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…
“USA અને UK માં સુશીલા મેળવવા
નીચે સંપર્ક કરો.”
Harnish Jani
4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA
Phone: 609-585-0861 Cell: 608-507-7102
♦●♦●♦ આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..
આભાર..
અક્ષરાંકન– ગોવીન્દ મારુ – નવસારી –
ફેબુઆરી 8, 2010
‘આ લેખ તમને ગમે તો મને લખજો;
પીડીએફ મારી પાસે તૈયાર જ છે,
તરત મોકલીશ.’
Posted in મીત્રોના લેખ/કવીતા | 10 Comments »
February 4, 2010 by ગોવીંદ મારુ
વાસ્તવમાં શરીરથી અલગ કોઈ આત્મા નામના તત્ત્વની કલ્પના જ બધી મુસીબતોનું મુળ છે. જીવવીજ્ઞાન (બાયોલોજી)ની શોધો થવા અગાઉ આપણા શરીરમાં કેટલી નસ-નાડીઓ છે, તેમાં કેટકેટલાં અને કયાં કયાં પ્રકારનાં જીવાણુંઓ દરેક સમયે અસ્તીત્વ ધરાવે છે તેનું આપણને જ્ઞાન ન હતું. તો પછી આધ્યત્મવાદીઓએ કયાં એક્સ-રે મશીનથી શરીરની અંદર આત્મા નામની અદૃશ્ય ચીજને જોઈ ? પદાર્થની સ્વયં સંચાલીત પ્રક્રીયાને સમજવાના અભાવે જ આત્માની કલ્પના કરવામાં આવી હશે અને કોઈક માયાવી શક્તીની સાથે જોડી દેવામાં આવેલ હશે. આમ, જ્ઞાનના અભાવે લોકોએ શોર્ટકટ શોધી કાઢ્યો. અસલમાં સ્વત: સંચાલન સમજવાને બદલે આજ્ઞાપાલન વધારે સરળ લાગે છે. એટલે જ પોતાની બહારના કોઈ નીયંતાની તલાશ કરી લે છે. એ જ તો તેઓના વ્યવહાર નીર્દીષ્ટ કરે છે. આ નાયક અથવા હીરો તેઓના આદર્શોને અમલી કરે છે. જેને લઈને તમામ જહેમત અને તવાઈથી બચી જઈ પોતાના આદર્શોનો જાતે અમલ કરવાની મહેત કરવી ન પડે. નાયકપુજા (હીરોવરશીપ)ની પાછળ આ જ મનોવૈજ્ઞાનીક નબળાઈ કામ કરે છે. એ જ માનવીની આદીમ અવસ્થાની પરીચાયક છે.
આ જ નબળાઈના કારણે વ્યક્તી પોતાના વીવેક દ્વારા નીજને સંચાલીત કરીને વર્તવાનું જોખમ ખાસ કરીને ટાળે છે. વીકલ્પના સ્વરુપે ક્યારેક તો તે પોતાના સંચાલનની જવાબદારી કોઈ ધર્મગુરુના હાથમાં સોંપી દે છે, ક્યારેક કોઈ ડીક્ટેટરના હાથોમાં સોંપે છે. ‘મૅન, મૉરલ એન્ડ સોસાયટી’ પુસ્તકના મનોવૈજ્ઞાનીક લેખક મી. ફ્લુગલે ઉંડાણમાં ઉતરી ચર્ચા કરીને નીષ્કર્ષરુપે સીદ્ધ કર્યુ છે કે, આ રીતે પોતાના વીવેકનો આધાર લઈને વ્યક્તીએ પોતાની સમીક્ષાશક્તી જ ખોઈ નાંખી છે. વ્યકતીગત દાયીત્વબોધનો પણ લોપ થઈ જાય છે. અને વ્યક્તી એવા આદીમ વ્યવહારની કક્ષામાં પહોંચી જાય છે કે જેને વીવેકની કસોટી પર કસવામાં આવે તો માનવીનું મસ્તક શરમથી ઝુકી જાય છે. પ્રતીક જો ઝંડો હોય, કોઈ રંગ હોય કે પછી આદર્શ વાક્ય હોય અથવા પથ્થરનો કોઈ ટુકડો હોય આ ઠોસ પ્રતીકમાં જ વીવેકનું પ્રલંબન થઈ જાય. આ જ મનોવૈજ્ઞાનીક નબળાઈનો અનુચીત લાભ રાજકારણીઓ અને ધર્મગુરુઓ ઉઠાવી પોતનો સ્વાર્થ સીદ્ધ કરે છે ! વળી, કોઈક ગુરુથી પણ ઉપર કોઈ પારલૌકીક કાલ્પનીક આકૃતીનું સ્થાન આવી જાય છે. કારણ કે સાંસારીક યા લૌકીક ચીજોની તો સીમા પણ હોય છે. જેને જાણીને પણ નીરાશ થઈ શકાય છે. પરંતુ અંતીમ આશરો તરીકે માની લીધેલા ભગવાનના શરણમાં પહોંચીને સુરક્ષીતતા અનુભવવાનો વહેમ ઓઢી લે છે. આ રીતે કહેવાતા ભગવાનના હાથમાં લોકો વીવેકની સત્તા સોંપીને ધાર્મીક વ્યક્તી પોતાના નૈતીક કર્તૃત્વમાંથી છુટકારો મેળવી લે છે.
– ગોવીન્દ મારુ – નવસારી
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.14 જાન્યુઆરી, 2005ના રોજ પ્રકાશીત થયેલ મારું એક ચર્ચાપત્ર …
Posted in રેશનલ | 13 Comments »
January 29, 2010 by ગોવીંદ મારુ
ડૉ. ડેવિડ ફૉલી હીન્દુસ્તાનના ઈતીહાસના અભ્યાસુ–નીષ્ણાત છે. તેમણે કહ્યું છે- ‘અમેરીકા અને જાપાન એટલા માટે સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના કોઈ વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે. મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સંપત્ત્તી છે. પણ એ દેશો ગરીબ રહ્યાં; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મપરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સમ્બન્ધે એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1998માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતનો ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કૉર્ટે બેવફા જાહેર કરીને તેને દેહાંતદંડની સજા ફરમાવી ! (આજ પર્યંત લીના જૉયે જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે.)’
મને કદી સમજાયું નથી ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ ? માણસે કષ્ટ સહન કરવા કે દુ:ખી થવા ધર્મ પાળવો જોઈએ એવું કયા ધર્મગ્રંથમાં લખ્યું છે ? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે. અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. તરસ લાગે તો કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.
ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીત્રે કહ્યું- ‘હું કયો ધર્મ પાળું છું તેની મને ખબર નથી. હું મંદીર, મસ્જીદ કે ગીરજાઘરમાં જતો નથી. ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉ છું; કોઈનું લોહી પીતો નથી. મંદીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મંદીરમાં ગવાતાં ભજનોમાં બેસવા કરતાં સાહીત્ય ગોષ્ઠીમાં બેસવાનું મને ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડાં માબાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મંદીરીયુ છે. તેમાં કયા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું.’ (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં ‘પગલાં’ ન પડે તેનું ધ્યાન રાખું છું) એથી અમારી વચ્ચે ઝઘડા થતા નથી. એને કંટોલાંનું શાક બહુ ભાવે છે. મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ ભાવે છે. તેને ભાવતું નથી. હું કદી તેને આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતા છે. પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે; છતાં થોડીક સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં પણ અનુકુલન વધુ જરુરી છે !
‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી, મંદીર વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ નથી કરતા. રોજ ગીતાના અધ્યાયોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો નથી વાંચતા. રામાયણ ભક્તીભાવે વાંચે છે; પણ રોજ દશ કલાક ધંધામાં પાપનાં પારાયણમાં બેસી લુંટાલુંટ ચલાવે છે. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોંકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાય જાય એવું હું માનતો નથી. મંદીરને બદલે લાયબ્રેરી જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરીત્ર વાંચુ છું. આજ પર્યન્ત ઘરમાં એક પણ વાર કથાકીર્તન, ભજન, યજ્ઞો કે પુજાપાઠ… કશું જ કરાવ્યું નથી. પણ મરણ બાદ દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાની ખાસ ટેવ છે. સાધુ, સંતો કે બાબા-ગુરુઓનાં ચરણોમાં પડતો નથી; પણ મોટા કવી, લેખકો, સાહીત્યકારો કે ચીન્તકો જોડે મૈત્રી કેળવી છે. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગવૉક) કરું છું. કુંભમેળામાં કદી ગયો નથી અને જવાની ઈચ્છા પણ નથી. પણ વીજ્ઞાનમેળો કે પુસ્તક્મેળો એક પણ છોડતો નથી. ગંગાનાં ગંદાં પાણીમાં નહાવાને બદલે બાથરુમમાં સ્વચ્છ પાણીના શાવર વડે સ્નાન કરવાની વાતને હું વધુ પવીત્ર ગણું છું. આવું બધું કરનારાઓનો ઘર્મ કયો કહેવાય તેની મને ખબર નથી. પણ હજી સુધી એક પણ વાર એવો વીચાર આવ્યો નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મંદીરમાં નથી જતો, દાન નથી કરતો, તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે કે કહેવાતો મોક્ષ ન મળશે તો મારું શું થશે..!’
મીત્રની આ લાંબી વાતમાં એક વાત મને ખાસ ગમી. મને એ મારા જ જીવનની વાત લાગી. હું લખતાં લખતાં બેધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તરત શબ્દો સંભળાય- ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં !’ જોવા જઈએ તો આ ‘પગલાં’ શબ્દમાં સઘળા ધર્મો અને ગીતા-ઉપનીષદનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની રહીએ તે જરુરી છે. દુનીયાના સઘળા મનુષ્યો સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે, પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખે તો સઘળાં ધર્મપુસ્તકો અપ્રસ્તુત બની જાય. રાવણ બનવાથી બચી જાઓ તો રામાયણ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન, શકુની કે ધૃતરાષ્ટ્ર બની રહો, પછી રોજ મહાભારત વાંચો તોય શો ફાયદો ? યાદ રહે, તમને તમારા જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલાં સત્યો ગીતા–કુરાનનું જ ફળકથન ન હોય છે. શ્રી શાયર દેવદાસ અમીરે કહ્યું છે- ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પાઠ તો એ છે જે જમાનો શીખવે છે !’
પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. એ આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ શું નુકસાન છે ? તરસની જેમ દુ:ખ સર્વવ્યાપી સ્થીતી છે. આપણે મંદીર ન બંધાવી શકીએ પણ મંદીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તો ઘણું. રોડ અકસ્માતમાં માણસો ઘવાયા હોય ત્યારે આજ પર્યન્ત એક પણ વાર (રીપીટ એક પણ વાર…) એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનારા માણસોએ તેમને એમ પુછ્યું હોય કે- ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ… ?’ હીન્દુ મુસ્લીમ યુવક યુવતીની આંખ મળી જાય અને બન્નેનાં હૈયામાં ઉર્મીના અવર્ણનીય હીલ્લોળ જાગે છે એને હીન્દુ પ્રેમ અને મુસ્લીમ પ્રેમમાં વહેંચી શકાશે ખરો ? યાદ રાખજો, સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે. સૌનાં આંસુ સરખાં છે. સૌનાં આનંદ સરખા છે. સૌની દેહરચના કે જન્મ અને મૃત્યુ સરખાં છે. ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હીન્દુ રંગમાં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત-જાત અને ધર્મ-કોમની મૅનમેઈડ દીવાલ શા માટે હોવી જોઈએ ?
દરેક માણસને પોતાનો (ગેટ–પાસ જેવો) ધર્મ હોય છે. આખી જીન્દગી એ માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે. પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્ત્તા નથી. મંદીર બહાર બુટ ઉતારી દેવા પડે તે રીતે, ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો કાઢી નાખવો પડે છે. મૃત્યુ આગળ હીન્દુ, મુસ્લીમ કે ધર્મ કોમના ભેદ ભુંસાઈ જાય છે. આટલું સમજાઈ ગયા પછી સમજાશે કે વીશ્વમાં માનવ ધર્મથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી.
ધુપછાંવ
રોજ અલ્લાહ કો યાદ કર….. પર કીસીકો બરબાદ ના કર
તેરી કબર ભી તૈયાર હૈ ઈસ બાત કો નજરઅંદાઝ ના કર
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 24 જાન્યુઆરી, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445
ફોન: (02637– 242 098) સેલફોન: 94281 60508
પર પોસ્ટ કર્યા તારીખ– 29–01–2010
‘આ લેખ તમને ગમે તો મને લખજો;
પીડીએફ મારી પાસે તૈયાર જ છે,
તરત મોકલીશ.’
Posted in મીત્રોના લેખ/કવીતા | 36 Comments »
January 24, 2010 by ગોવીંદ મારુ
અરવીંદવાદીઓ, થીઓસોફીસ્ટો, રામકૃષ્ણ મીશનના સ્વામીઓ, મહેશયોગીઓ વગેરે આધ્યાત્મવાદના સમર્થનમાં વીજ્ઞાનના જ્ઞાનનો બહોળો ઉપયોગ કરવા લગ્યા છે. આ સંદર્ભમાં આઈન્સ્ટાઈને જાહેરમાં નીવેદન બહાર પાડેલું કે, ‘પાદરીઓ ઈશ્વરના અસ્તીત્વના પ્રમાણરુપે મારી થીયરી ઓફ રીલેટીવીટીને ટાંકે છે તે ઉચીત નથી, મારી થીયરી ઓફ રીલેટીવીટી અને ઈશ્વરના અસ્તીત્વને કશો પણ સંબંધ નથી.’
એ જ પ્રમાણે ક્વોન્ટમ વીજ્ઞાનના અચોક્કસતાના નીયમનો (Principle of Uncertainty) સગવડીયો અર્થ તારવવામાં આવે છે કે, ‘વીજ્ઞાનની મર્યાદા છે જ્યાંથી વીજ્ઞાનનો અંત આવે છે, ત્યાંથી આધ્યાત્મવાદનો પ્રારંભ થાય છે. દૃષ્ટા, દૃષ્ટી અને દૃષ્ય એક જ છે, ઈતી ઈતી.’
ઈલેક્ટ્રોનનું સ્થાન અને ગતી બંને એકીસાથે ચોક્કસપણે જાણી શકાતા નથી. જો ચોક્કસ સ્થાન મળે તો તે જ ક્ષણે તેની ગતી ચોક્ક્સપણે મળી શકતી નથી અને ચોક્કસ ગતીની માપણી કરવામાં આવે તો તેનું ચોક્કસ સ્થાન કળી શકાતું નથી. ઈલેક્ટોનનું સ્થાન શોધવા માટે તેને પ્રકાશીત કરવું પડે. પ્રકાશના કીરણોની તરંગલંબાઈ (wavelength) ઈલેકટ્રોનના વ્યાસ કરતાં હજારોગણી મોટી છે, એટલે ઈલેક્ટ્રોન પ્રકાશના કીરણોની ઝપટમાં આવતું નથી. મોટા છીદ્રોવાળી ચાળણીમાંથી નાના કાંકરાઓ ચળાઈ જાય તેમ ઈલેક્ટ્રોન પ્રકાશના કીરણોમાંથી પસાર થઈ જાય છે, પકડાતા નથી. અર્થાત્ તેનું ચોક્કસ સ્થાન મુકરર થઈ શકતું નથી. જો અત્યંત નાની તરંગલંબાઈના કીરણોનો મારો ઈલેકટ્રોન પર કરવામાં આવે તો ઈલેક્ટ્રોનની ગતી, નાની તરંગલંબાઈના કીરણોની પ્રચંડ શક્તીથી સ્થાન મળે છે, પણ તે જ ક્ષણે તેની અસલ ગતી શી હતી, તે ચોક્કસપણે માપી શકાતી નથી.
આ મર્યાદા વીજ્ઞાનની નથી, પણ કુદરતે જ આ મર્યાદા લાદેલ છે. કારણ કે ઈલેક્ટોનનો વ્યાસ જે છે તે છે. પ્રકાશની તરંગલંબાઈ જે છે તે છે. તેમાં ઘટાડો કે વધારો થઈ શકે તેમ નથી. તો શું વીજ્ઞાનીઓએ હાથ જોડીને બેસી રહેવું ? નાજી, તેમણે Statistical Probability ના ગણીત આધારીત એક ગણીતી-સમીકરણ શોધ્યું કે જેનાથી તેઓ ઈલેક્ટ્રોનના સ્થાન અને ગતી સોએ સો ટકા ચોક્કસ તો નહીં, પણ લગભગ ચોક્કસપણે જાણી શકે છે. આવા કામચલાઉ ગણીતી સમીકરણની સહાયની વીજ્ઞાનીઓએ બસો જેટલા મુળભુત કણોની આગાહી કરી અને તેમની પ્રાયોગીક ધોરણે ભાળ પણ મેળવી અને છતાં થીયરી ઓફ રીલેટીવીટી અને ક્વોન્ટમ વીજ્ઞાન અંતીમ સત્ય છે, એવો દાવો વીજ્ઞાન કરતું નથી. હજારો પ્રયોગો એક થીયરીને સીદ્ધ ભલે કરતા હોય, પણ તેમાં એકાદ અપવાદ હાથ લાગે તો તે અપવાદ તે થીયરીનો છેદ ઉડાડવા માટે બસ છે. વીજ્ઞાનીઓ થીયરી ઓફ રીલેટીવીટી કે ક્વોન્ટમ વીજ્ઞાનમાં નાનો સરખો અપવાદ શોધવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેમને આવો અપવાદ કુદરતની પ્રયોગશાળામાં હાથ લાધશે, ત્યારે આ થીયરીઓનો છેદ ઉડાડવામાં તેઓ જરા પણ ખચકાશે નહીં. કારણ કે વીજ્ઞાન તેમના માટે બાહ્યજગતની ગતીવીધી સમજવા માટેનું સાધન છે. ફીલસુફીની ભાષામાં કહીએ તો Matter is Primary, અને Mind યાને વીચારવીશ્વ અથવા મનોવ્યાપાર Matter પર આધારીત છે.
અર્થાત્ વીજ્ઞાનનો પાયો જ Materialism યાને ભૌતીકવાદ છે. ભૌતીકવાદના વીરોધમાં આધ્યાત્મવાદીઓ વીજ્ઞાનનો ઉપયોગ કરે છે, ત્યારે તેમણે વીજ્ઞાનનું અવળું કે સગવડીયું અર્થઘટન કરવું પડે છે. દૃષ્ટા, દૃષ્ટી અને દૃષ્ય એક છે- એ આવા અવળા અર્થઘટનનું દૃષ્ટાંત છે. આર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વીજ્ઞાનીઓ આધ્યાત્મવાદની તરફણ કરે છે, ત્યારે તેઓ પણ વીજ્ઞાનનો અવળો અર્થ કરે છે, કરવો પડે છે, એટલે જ તો હું તેમને વીજ્ઞાની સાધુબાવાઓ કહું છું.
-આર. કે. મહેતા
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.18/11/1992ના રોજ પ્રકાશીત થયેલ ચર્ચાપત્ર …
‘ગુજરાતમીત્ર’ તેમજ આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રકાશન સમીતીના સૌજન્યથી સાભાર..
Posted in મીત્રોના ચર્ચાપત્રો | 15 Comments »
January 17, 2010 by ગોવીંદ મારુ
આવતી તા. 24મી જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનારા સામુહીક બૌદ્ધધર્મ દીક્ષાના કાર્યક્રમને કેટલાક લોકો ધર્માન્તરમાં ખપાવી રહ્યા છે, તેમની તે વાત ભુલ ભરેલી છે. વાસ્તવમાં બૌદ્ધધર્મ દીક્ષા એ આપણા અસલ ધર્મમાં પુન: પ્રવેશ છે. આપણી સમગ્ર ભારતીય પ્રજાનો સૌથી પ્રાચીન અને મુળ ધર્મ તે બૌદ્ધધર્મ, યાને બુદ્ધનો ઉપદેશ છે. આજે જેને લીધે ભારતીય પ્રજા વર્ણ અને જાત-પ્રાંતમાં વીભાજીત થઈ અપ્રામાણીકતા અને ભ્રષ્ટાચારનો શીકાર બની છે, તે વર્ણવ્યવસ્થાવાળો ધર્મ એ ભારતીય પ્રજાનો મુળ ધર્મ નથી. તેથી તે ધર્મ છોડી આપણે બધાએ બુદ્ધના ઉપદેશને શરણે જવાની જરુર છે. અત્યારે ગુજરાતમાં જે હજારો દલીતો અને અન્ય પછાત વર્ગો બુદ્ધને શરણે જવાનો સંકલ્પ ગ્રહણ કરવાના છે તે આપણી સમગ્ર ભારતીય જનતા માટે પ્રેરણાદાયક ઘટના છે.
વાસ્તવમાં 5000 વર્ષ પુરાણી મોહનજોદડો અને હડપ્પન સંસ્કૃતીનો યાને સીન્ધુઘાટીની સંસ્કૃતીનો જે ધર્મ હતો તે જ આપણો સૌથી પ્રાચીન અને મુળ ધર્મ છે. 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ અને મહાવીર બન્નેએ આપણા આ અસલ ધર્મનું જ પુન: સ્થાપન કર્યું હતું. સીન્ધુઘાટીથી ચાલતા આવેલા આ ધર્મને બુદ્ધ અને મહાવીરે વ્યવસ્થીત અને વૈજ્ઞાનીક રુપ આપ્યું હતું. તેમણે ધર્મમાં ઘુસી ગયેલા વર્ણવ્યવસ્થા, તદ્જન્ય યજ્ઞો, હોમ-હવનાદી, ક્રીયાકાંડો અને અંધશ્રદ્ધાઓને બહાર કાઢી, કાર્યકારણના નીયમ પર આધારીત ‘માનવધર્મ’નું ખરું સ્વરુપ આપ્યું હતું. વીજ્ઞાનવીરોધી વાત ખુદ બુદ્ધે કરી હોય તો પણ તેનો ઈન્કાર કરી, માત્ર પોતાની વીવેકબુદ્ધીને અનુસરવાની સલાહ બુદ્ધે આપી હતી. આ બન્ને મહામુનીઓએ આપણને એકસમાન સદાચાર(પંચશીલ)નો અને વીવેકબુદ્ધી(પ્રજ્ઞા)નો ઉપદેશ આપ્યો હતો.
હીન્દુ શબ્દ સીન્ધુ શબ્દ ઉપરથી જ ઉતરી આવ્યો છે, તેથી હીન્દુ શબ્દ ધર્મના અર્થમાં નથી; પરંતુ પ્રાદેશીક યા સામાજીક અર્થમાં છે. અર્થાત્ સીન્ધુઘાટીમાં વસનારી પ્રજા તે હીન્દુ. આપણે સીન્ધુઘાટીની પ્રજાના વારસદારો હોવાથી હીન્દુ કહેવાઈએ છીએ. ત્યાર બાદ દુષ્યન્તપુત્ર સમ્રાટ ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. તેથી આપણે હીન્દુઓ, ત્યાર બાદ ભારતીય તરીકે ઓળખાવા લાગ્યા. માટે હીન્દુસ્તાનીનો એક જ અર્થ થાય છે અને તે છે ભારતીય, અર્થાત્ નહીં કે હીન્દુધર્મ પાળે તે હીન્દુ. બલકે જે મુળનીવાસી ભારતીય છે તે હીન્દુ છે. સ્પષ્ટ રુપથી કહીએ તો હીન્દુ એટલે સીન્ધુ સંસ્કૃતીના વારસદાર મુળનીવાસી ભારતીય.
બુદ્ધ અને મહાવીરે જ નહીં; પરંતુ ત્યાર બાદ સીદ્ધપંથ અને નાથપંથના યોગીઓ, ભાગવતધર્મ, વારકરી સંપ્રદાય, મધ્યયુગના ભક્તીમાર્ગી જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ, તુકારામ, નાનક, રૈદાસ (રોહીદાસ) આદી હજારો સાધુ-સંતોએ પણ કર્મકાંડોવીહીન બનવાનો અને પંચશીલ પાળવાનો જ ઉપદેશ આપ્યો હતો. એટલું જ નહીં; પરંતુ વેદકાલીન બૃહસ્પતી ઋષીના લોકાયતદર્શનના અનુયાયી બ્રાહ્મણ ચાર્વાક, પુર્ણકાશ્યપ, મકખલી ગોસાલ, અજીત કેશકમ્બલી, સંજય પાયાસી વગેરે બ્રાહ્મણ આચાર્યોએ પણ વૈદીક કર્મકાંડો અને વર્ણવ્યવસ્થાવીહીન સમાજની વીચારધારાનો જ પ્રચાર કર્યો હતો. જે દર્શાવે છે કે બુદ્ધ અને મહાવીરનો ઉપદેશ એ જ આપણો અસલ સનાતન ધર્મ છે. તેથી બૌદ્ધધર્મ દીક્ષા એ ધર્માન્તર નહીં; પરન્તુ આપણા મુળ ધર્મમાં જ એ પુનરાગમન છે. બુદ્ધ અને રૅશનાલીઝમની વીચારધારા વચ્ચે અદ્ ભુત સામ્ય છે !
- એન. વી. ચાવડા-
(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન ચીન્તક, અને લેખક)
સંપર્ક:
શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ-૩૯૪ ૩૩૫, જી. સુરત
ફોન નંબર: (02622)–247 088
સુરતના દૈનીક ’ગુજરામીત્ર’ના તા. 9/01/2010ના અંકમાં, ‘ચર્ચાપત્ર’ વીભાગમાં પ્રસીદ્ધ થયેલ ચર્ચાપત્ર. ‘ગુજરાતમીત્ર’ તેમ જ ચર્ચાપત્રી શ્રી. ચાવડા સાહેબના સૌજન્યથી…. સાભાર.
ચલો મુલ ધર્મકી ઓર…
તારીખ: 24મી જાન્યુઆરી, 2010
સમય: સવારે 11-00 કલાકે
સ્થળ: પ્રભાકર ટેનામેન્ટના મેદાનમાં, સુમીન પાર્ક, સૈજપુર બોધા,
ડૉ. આંબેડકર સાહેબના સ્ટેચ્યુ સામે, અમદાવાદ.
-મા. બાલકૃષ્ણ આનંદ, નીવૃત્ત તાલુકા વીકાસ અધીકારી
-પ્રા. યશવંત વાઘેલા, કવી, લેખક
-બી. કેશર શીવમ્, દલીત સાહીત્યકાર
17th January 2010
Posted in મીત્રોના લેખ/કવીતા | 26 Comments »
January 6, 2010 by ગોવીંદ મારુ
ભગવાન છે એવું કોણે કહ્યું ? અને ખરેખર ભગવાન હોત તો ગલીએ ગલીએ મન્દીર, મસ્જીદ, દેરાસર ધરાવતા ભારતમાં સ્વર્ગ હોત
‘ગામમાં આવેલા મન્દીરની બહારથી વૃદ્ધ માતાના આશીર્વાદ મેળવી બે ભાઈઓ દરરોજ પોતાના કામે નીકળી જાય છે. આ બે ભાઈઓ પૈકી એક માતા સાથે ભગવાનના દર્શન કરે છે, જ્યારે બીજો મન્દીરના જ ઓટલે બેસી બન્નેની બહાર આવવાની રાહ જુએ છે. એટલે કે બીજો મન્દીરમાં પ્રવેશ કરતો જ નથી.’ આ દૃશ્ય છે બોલીવુડના બેતાજ બાદશાહ અમીતાભ બચ્ચન અને શશીકપુર અભીનીત ‘દીવાર’ ફીલ્મનું. જેમાં અમીતાભ બચ્ચનને નાસ્તીક બતાવવામાં આવે છે. આવું જ કંઈક વર્તન સુરત શહેરમાં વસતા પટેલ પરીવારનું છે. જેમાં આખો પરીવાર મન્દીર સુધી જાય છે, ભગવાનના ધામની જાત્રા પણ કરે છે; પરંતુ તેઓ કદી મન્દીરમાં પ્રવેશતા નથી. એટલું જ નહીં તેમના ઘરમાં કોઈ ભગવાનની મુર્તી–ફોટા પણ નથી અને પરીવારમાં કોઈ પણ ભગવાનના નામનો દીવો પણ કરતું નથી ! આ પરીવારના દરેક સભ્ય એવું જ કહે છે કે જેને અમે જોયા નથી તેને અમે માનતા નથી.
કહેવાય છે કે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરુર ? પણ શહેરમાં વસતો આ પરીવાર કહે છે કે જે વસ્તુ દેખાતી નથી તેને માનવું એ શ્રદ્ધા નહીં; પણ અન્ધશ્રદ્ધા છે. આ વીચારધારા છે શહેરના ઘોડદોડ રોડ પર રહેતા ધનસુખ પટેલ (સરનામું– શ્રી ધનસુખભાઈ પટેલ, 203-ધ્યાન–યોગ કૉમ્પ્લેક્સ, ઘોડદોડ રોડ, સુરત-395 001 ફોન: 0261-265 5033 સેલફોન: 97260 11147 email: binulpatel@gmail.com) અને તેમના પરીવારની. આમ તો આ પરીવાર પણ શહેરના અન્ય પરીવારો જેવો જ છે. પણ હોમ, હવન, પુજા જેવી બાબતોમાં તેઓ શહેરના અન્ય પરીવારોથી તદ્દન અલગ છે. એટલે હોમ, હવન, પુજાવીધીમાં તેઓ જરાય માનતા જ નથી. ધનસુખભાઈના પરીવારમાં તેમના પત્ની વીણાબહેન તથા પુત્ર બીનુલ અને વહુ મીતલ છે. જ્યારે તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે ખરેખર લાગ્યું કે, ભગવાન હોવું એ એક કલ્પના જ છે ! એટલે કે ભગવાન એ તો માનવા ન માનવાનો વીષય છે. શરુઆતમાં તેમના ઘરમાં ડોકીયું કર્યું તો જોયું કે, ઘરની એકેય દીવાલ પર ક્યાંય ભગવાનનો ફોટો કે મુર્તી નથી. જાણીને આશ્વર્ય લાગશે કે તેમના ઘરમાં કોઈ તીથીતોરણ કે ભગવાન જેવું કંઈક છે તેવું યાદ કરાવતી કોઈ ચીજવસ્તુ પણ નથી. આ અંગે આખા પરીવાર સાથે થયેલી ચર્ચામાં ઉંડા ઉતરીએ તો ખબર પડશે કે તેમની વીચારધારા અને અન્ય લોકોની વીચારધારામાં કેટલો ફરક છે. ધનસુખભાઈ સહીત તેમનો આખો પરીવાર આમ તો એકદમ સરળ અને ભગવાનની બાબતમાં તેઓ બધા કરતાં અલગ છે.
58 વર્ષની ઉમ્મરે પહોંચેલા ધનસુખભાઈના શબ્દોમાં કહીએ તો, તેમના માનવા મુજબ આ દુનીયામાં ભગવાન જેવું કશું જ નથી. પણ સાથે તેઓ એવું પણ કહે છે કે, જે લોકો ભગવાનમાં માને છે તેમની સામે તેમને કોઈ વાંધો પણ નથી. ઉદાહરણ ટાંકતાં ધનસુખભાઈ કહે છે કે, તેઓ પાંચ ભાઈ–બહેનોમાંથી માત્ર તેઓ જ ભગવાનમાં માનતા નથી. જ્યારે અન્ય ભાઈ-બહેનો માને છે. આ જ રીતે પુત્રના સાસરીપક્ષના સભ્યો પણ ભગવાનમાં માને છે, અને અમે સુખેથી એક બીજાને મળીએ છીએ. પરીવારોમાં તો બસ પ્રેમભાવ જળવાવો જોઈએ. પોતાની વાતને આગળ વધારતાં ધનસુખભાઈએ કહ્યું હતું કે, જો પુજા, પાઠ, હોમ, હવનથી કલ્યાણ થતું હોત તો આપણા દેશમાં સ્વર્ગ હોત. જે દેશમાં અસંખ્ય મન્દીર, મસ્જીદ કે દેરાસર હોય એવા દેશમાં ગરીબી ને ભુખમરો કેમ ? શું ભુકંપની દુર્ઘટના પહેલાં અમદાવાદ કે ભુજમાં કોઈએ વાસ્તુપુજન કર્યા વીના ગૃહપ્રવેશ કર્યો હશે ? શું કુંડળી મળી જાય પછી લગ્ન તુટતાં નથી ? આવા જ કેટલાક સામાન્ય સવાલો ભગવાનમાં માનનારાઓને પુછતા તેમણે કહ્યું હતું કે, મન્દીરમાં પણ પ્રસાદ, આરતીના ભાવ બોલાય, પૈસાદાર વધુ પૈસા ખરચી વધુ પુણ્ય ખરીદે છે ! તો શું ગરીબોને પુણ્ય નહીં મળે !
અહીં શરુઆતમાં જ ફીલ્મનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે તેમાં અમીતાભ બચ્ચન કહે છે કે, ‘ઈસ ભગવાન સે મેરી પુરાની દુશ્મની હૈ…’ આવુ જ ધનસુખભાઈ સાથે પણ બન્યું છે. ઉપરોક્ત તો ફીલ્મી સ્ટોરી છે પણ આપણા ધનસુખભાઈ ના જીવનમાં ખરેખર એવી થપાટ લાગી કે તેમનો ભગવાન પરનો વીશ્વાસ જ ઉઠી ગયો ! ધનસુખભાઈના શબ્દોમાં કહીએ તો તેઓ ભગવાનમાં માનતા હતા, અને ધાર્મીક માન્યતા મુજબ લગ્ન પણ કર્યાં હતાં. લગ્ન વખતે ગ્રહશાંતી સહીત તેમણે લગ્નની તમામ વીધી શાસ્ત્રોક્ત રીતે પુર્ણ કરી હતી. પરંતુ કોણ જાણે કેમ છ જ માસમાં તેમના લગ્નમાં ભંગાણ પડ્યું અને તેઓ પત્નીથી છુટા પડી ગયા હતા. બસ, ત્યારથી જ તેમનો ભગવાન પરથી વીશ્વાસ ઉઠી ગયો. કારણ કે તેમણે ભગવાનને સાક્ષી માનીને ગ્રહશાંતી સહીત તમામ વીધી કરીને લગ્ન કર્યાં હતાં. પરંતુ તેમ છતાં તેમને આ સમય જોવો પડ્યો હતો. આ સમય હતો વર્ષ 1975ની સાલનો. બસ 1975થી જ તેમણે ભગવાનમાં માનવાનું બન્ધ કરી દીધું છે, અને તે દીવસથી તેઓ મન્દીરમાં ગયા જ નથી ! એટલે 35 વર્ષથી તેમણે કોઈ ભગવાનની પુજા કરી નથી કે કોઈ મન્દીરમાં ભગવાનના દર્શન કર્યાં નથી !! આ કોઈ ફીલ્મી સ્ટોરી નથી પણ એક હકીકત છે. જો કે તે પછી ગણતરીના વર્ષમાં તેમના જીવનમાં નવો સુરજ ઉગ્યો અને તેમના વીણાબેન સાથે લગ્ન થઈ ગયા. જોતજોતામાં આ લગ્નને પણ આજે 30વર્ષ થઈ ગયાં, અને હાલમાં તેમને 29 વર્ષનો પુત્ર બીનુલ છે.
ધનસુખભાઈ કહે છે કે આજે છેલ્લાં 35 વર્ષથી તેઓ ભગવાનમાં માનતા નથી. પરંતુ હજુ સુધી તેમને કોઈ તકલીફ થઈ નથી. ઉલટાનું પહેલાં કરતાં હાલમાં તેમના દીવસો વધારે સારા છે. જીવનમાં એકદમ સુખ, ચેન અને શાંતી છે. આ પટેલ પરીવારમાં વીણાબહેન, પુત્ર બીનુલ તથા પુત્રવધુ મીત્ત્તલ પણ ધનસુખભાઈની નાતમાં જોડાઈ ગયાં છે. એટલે કે, તેઓ પણ ભગવાનમાં માનતાં નથી.
ભુતકાળ વાગોળતાં ધનસુખભાઈના પત્ની વીણાબહેન કહે છે કે, જ્યારે તેઓ લગ્ન કરીને આવ્યાં ત્યારે પોતે મંગળ-વારનો ઉપવાસ કરતાં હતાં. પરંતુ જ્યારે ધનસુખભાઈને ખબર પડી કે, પત્ની વીણાએ ભગવાનનો ઉપવાસ રાખ્યો છે તો તેમણે ઉપવાસ તોડાવી નાંખ્યો અને કહ્યું કે, ‘ચીંતા ન કર હું તને ઘરમાંથી કાઢી નહીં મુકું.’ પછી જ્યારે વીણાબહેને ઘરમાં દીવો કરવાની શરુઆત કરી તો ધનસુખભાઈએ કહ્યું ‘દીવામાં ઘીનો બગાડ ન કર. ઘી પાવું હોય તો મને પા અથવા કોઈ ગરીબને આપ કે જેથી તેનું પેટ ભરાય.’ બસ, પછી તો વીણાબહેને પણ પતીના વીચારો આત્મસાત લીધા અને ભગવાન શું છે તે તેઓ પણ ભુલી ગયાં. ધનસુખભાઈની જેમ તેમનો પુત્ર પણ ભગવાનમાં જરાય માનતો નથી.
પરીવાર સાથે બેઠાં-બેઠાં વાતચીતમાં બીનુલે કહ્યું હતું કે, ‘મારી 29 વર્ષની ઉમ્મરમાં સુધી હું ક્યારેય મન્દીરમાં ગયો નથી. પણ જ્યારે કોઈ મીત્ર બળજબરીથી મન્દીરમાં લઈ જાય તો હું ભગવાનની મુર્તીથી વીરુદ્ધ જઈને ઉભો રહું છું.’ પોતે હજુ સુધી કયારેય ભગવાનને પગે ન લાગ્યો હોવાનું જણાવતાં તેણે કહ્યું હતું કે, ‘મને કોઈ નાસ્તીક કહે ત્યારે કંઈક અલગ પ્રકારનો જ આનંદ મને થાય છે !’ પુત્ર બીનુલની વાતમાં સુર પુરાવતા ધનસુખભાઈએ કહ્યું હતું કે, ‘અમે તો તેનું નામ પણ કોઈ પણ પ્રકારની રાશી કે તીથી જોયા વીના જ રાખ્યું છે. એટલું જ નહીં લગ્નમાં કે તે પછી અન્ય કોઈ વીધી કરી નથી. તેમ છતાં આજે બીનુલના લગ્ન જીવનને સાત વર્ષ પુર્ણ થઈ ગયાં છે, અને તેઓ સૌ કોઈ સુખેથી રહે છે. તો હવે, બોલો ક્યાં જરુર છે ભગવાનની.. !?
જન્મની સાથે જ મૃત્યુ તરફની ગતી શરુ થાય છે, પછી જન્મ દીવસની ઉજવણી શા માટે ?
પોતે નાસ્તીક હોવાની વાતનો સ્વીકાર કરતા ધનસુખભાઈ અને તેમના પરીવારના સભ્યો શુભ-અશુભ કે અમાસ-પુનમમાં પણ માનતા નથી. નવા વાહનની ખરીદી કરવાની હોય કે ઘરમાં કુમ્ભઘડો મુકવાનો હોય, કોઈ પણ કાર્ય કરવા માટે મુહુર્ત જોયા વીના જ કામ કરી નાંખવું અને જો કોઈ કહે કે આમ ન થાય તો તે પહેલાં કરવું !
એક ઉદાહરણ ટાંકતાં ધનસુખભાઈનાં પત્ની વીણાબહેને કહ્યું હતું કે, ‘પહેલાં તેઓ ઉધના વીસ્તારમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. જ્યાં પરીવારના સભ્યોની જીદના કારણે તેમણે ત્યાં કુમ્ભઘડો મુકવા જવું પડ્યું હતું. જો કે આ કુમ્ભઘડો તેમણે અમાસના દીવસે મુક્યો હતો. એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે, કુમ્ભઘડો મુકતી વખતે ખીચડી ન બનાવાય. તો તેમણે તે દીવસે તે જ ઘરમાં ખીચડી પણ બનાવીને ખાધી હતી. પરંતુ તે પછી આજ સુધી તેમને કશું નુકસાન થયું નથી. ઉલટાનું તેઓ હવે સુરતના ઘોડદોડ રોડ જેવા પોશ વીસ્તારમાં રહે છે. પતીની નાતમાં ભળી ગયેલાં વીણાબહેન કહે છે કે સામાન્ય રીતે શીતળા સાતમના દીવસે ચુલો સળગાવાનો હોતો નથી, અને ગૃહીણી ચુલાને હાથ પણ નથી લગાવતી ! પરંતુ તેમના ઘરમાં શીતળા સાતમના દીવસે ખાસ ભોજન બને છે અને તે દીવસે તેઓ જાતે જ સ્નાન માટેનું પાણી ચુલા પર જ ગરમ કરે છે. આ જ રીતે ધનસુખભાઈ અને તેમનો પુત્ર બીનુલ કહે છે કે, અમારે કોઈ પણ કાર્ય માટે તીથી–તારીખ–મુહુર્ત જોવાં પડતાં નથી. એટલું જ નહીં તેમણે પોતાનાં વાહનો પણ કમુરતામાં ખરીદ્યાં છે. જો કે હજુ સુધી તેમની સાથે કોઈ ઘટના કે દુર્ઘટના બની નથી. તેઓ જન્મ દીવસ મનાવવામાં પણ માનતા નથી. માટે 29 વર્ષની ઉમ્મરે પહોંચેલા બીનુલનો જન્મ દીવસ કદી મનાવ્યો નથી. તેમનું એવું માનવું છે કે માણસ જન્મે એટલે તરત જ તેની મૃત્યુ તરફની ગતી શરુ થઈ જાય છે.
પોતે ભગવાનમાં માનતા ન હોઈ તેમને મીત્ર વર્તુળમાં મજાકનો ભોગ પણ બનવું પડે છે. જો કે આ વાતને પણ હસતાં હસતાં એન્જોય કરતાં હોવાનું જણાવતાં બીનુલે કહ્યું કે, તેનાં લગ્નમાં મીત્રોએ જાણી જોઈને તેને શ્રીગણેશની મુર્તી ભેટમાં આપી હતી અને તેમને મીત્રોના માનમાં આ ભગવાનની મુર્તીનો સહર્ષ સ્વીકાર પણ કરી લીધો હતો. જે આજે પણ તેમની પાસે એક મીત્રની ભેટ તરીકે છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ પટેલ પરીવારના સભ્યોએ દેશનાં અનેક તીર્થ સ્થળોની મુલાકાત લીધી છે; પણ ત્યાં તેઓ મન્દીરમાં જતા જ નથી. ધનસુખભાઈના જ શબ્દોમાં કહીએ તો તેમણે ચારેય ધામ સહીત ગંગોત્રી, યમુના, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકા, શીરડી, અમ્બાજી, રામેશ્વરમ્, મદુરાઈ, કન્યાકુમારી વગેરે ધાર્મીક સ્થળોની મુલાકાત જરુર લીધી છે. પણ અહીં અચરજ પમાડે તેવી વાત એ છે કે તેઓ આ ધામોમાં પણ ક્યારેય મન્દીરમાં ગયા નથી. બસ, ત્યાંના વાતાવરણની મજા લેવા સાથે તેઓ ફરવાની મોજ માણે છે, અને ફરીને સલામત પરત ઘરે આવી જાય છે.
- અશ્વીન જોગડીયા (પત્રકાર)
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા.25 ડીસેમ્બર, 2009ની ‘સીટી પલ્સ’ પુર્તીમાંથી લેખક અને ‘ગુજરાત મીત્ર’ ના સૌજન્યથી સાભાર…
* * * * *
* * * * * આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. જો તમે મને govindmaru@yahoo.co.in/ પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..
– ગોવીન્દ મારુ – નવસારી 6 January 2010
Posted in મીત્રોના લેખ/કવીતા | 27 Comments »
December 31, 2009 by ગોવીંદ મારુ

પ્લાસ્ટીકનું લીંબુ અને મરચું એટલે અંધશ્રદ્ધાનું ઔધોગીકરણ
અમારા એક પરીચીતનું નામ લલ્લુભાઈ. એ રહે લાખાવાડીમાં. (નામ, ગામ અને આખો કીસ્સો કાલ્પનીક છે) કારણ શું હશે તે ખબર નહીં; પણ ગામમાં બધા એમને ‘લલ્લુ લંગોટી’ કહેતા. પણ મુશ્કેલી એ હતી કે એમને ખુદને બીજાનાં એવાં ટીખળી નામો પાડવાની આદત હતી, એથી ગુસ્સો કરી શકાય એમ હતું નહીં; પણ શીક્ષક હતા, એટલે ભુલ સુધારતા હોય એ રીતે એક વાક્ય બોલ્યા: ‘લંગોટી’ શબ્દ સુરુચીનો ભંગ કરે છે. માળાઓ…, જરા શોભે એવું તો બોલો… !’ પછી એમની વીનંતીને માન આપીને લોકોએ નામ ફેરબદલી કરીને ‘લલ્લુ લખોટી’ રાખ્યું. અખબારમાં નામ બદલ્યાની જાહેરાત પણ આપી- ’હું લાખાવાડીનો લલ્લુ, ‘લલ્લુ લંગોટી’ તરીકે ઓળખાતો હતો તે હવેથી ‘લલ્લુ લખોટી’ તરીકે ઓળખાઈશ.’
ઉપરની કાલ્પનીક ઘટના વાંચી તમને થશે કે હું કોઈ હાસ્યલેખ લખવાની ચેષ્ટા કરી રહ્યો છું. પણ ના, વાત અંધશ્રદ્ધાની કરવી છે. એથી ગમ્ભીરપણે જો એમ કહું કે ‘લાખાવાડીનો લલ્લુ લખોટી લંડન જાય તો ત્યાં પણ બારસાખે લીંબુ અને મરચું લટકાવે…’ તો કોઈને આશ્વર્ય નહીં થાય. કેમ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે રીતે ‘લીંબુ અને મરચું’ ને આપણે આપણી અન્ધશ્રદ્ધાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારી લીધું છે. હમણાં મુમ્બઈ જવાનું બન્યું. ત્યાં પણ મેં દુકાનમાં, કે ઘરોમાં લીંબુ અને મરચું લટકતાં જોયા ! (મી મુમ્બઈત અંધશ્રદ્ધા ચા ભાંડા ફોડુન ટાકલા… !)
શોધવા નીકળો તો દર દશમાંથી એક ઘરે અને દુકાને (અરે… હૉસ્પીટલોમાં અને સાયન્સની લેબોરેટરીના દરવાજે સુધ્ધાં..!) લીંબુ અને મરચું લટકતું જોવા મળશે. આ લખાય છે ત્યારે યોગાનુયોગ ‘ગુજરાતમીત્ર’ માં પ્રેમ સુમેસરા એક ચર્ચાપત્રમાં લખે છે- સુરત મહાનગરપાલીકાએ પચાસ કરોડ રુપીયાના ખર્ચે અત્યાધુનીક સાયન્સ સેન્ટરનું નીર્માણ કર્યું. એક અખબારી અહેવાલ અનુસાર એનું બાંધકામ સમ્પુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે. આ જાણ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે બારાખડીમાં જ જોડણીની ભુલ કરવામાં આવી હોય.
હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે ! પલાસ્ટીકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વીચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએ; તો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ. (આળસુ ભીખારી અબજોપતી બની જાય તો કારમાં ભીખ માંગવા નીકળે તેવો આ મામલો છે. આપણને કમ્પ્યુટર મળ્યું તો તેનો ઉપયોગ પણ આપણે અન્ધશ્રદ્ધાના ફેલાવા માટે કરી રહ્યા છીએ) વીજ્ઞાન અને ટૅકનોલૉજીમાં આપણે અદ્ ભુત પ્રગતી કરી છે. ભગવાનની આરતીનાં નગારાં હવે ઈલેક્ટ્રીક ઉપકરણ દ્વારા વાગે છે. મંદીરમાં દીવા હવે તેલ-ઘીને બદલે ઈલેક્ટ્રોનીક સીસ્ટમથી થાય છે. અન્ધશ્રદ્ધાને પણ આપણા વૈજ્ઞાનીક વીકાસનો લાભ મળી રહ્યો છે. આપણે એવો વીકાસ કર્યો કે અન્ધશ્રદ્ધાનું પણ પુનર્વસન થઈ શક્યું. ગમે તેમ, પણ પ્લાસ્ટીકનાં લીંબુને મરચાંથી નુકસાનના વેપલામાં પણ થોડો ફાયદો થાય છે. સાચાં લીંબુ અને મરચાં માનવીય આહારમાં કામમાં લેવાતી ઉપયોગી શાકભાજી છે. કરોડો રુપીયાના શાકભાજી નીરર્થક બારસાખે લટકીને કમોતે મરે તેનાં કરતાં પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં શાં ખોટાં ? એઈડ્સની કોઈ રામબાણ દવા ન જડી આવે ત્યાં સુધી નીરોધનો વીકલ્પ સ્વીકારવામાં સમજદારી છે. લીંબુ–મરચાં છાપ અન્ધશ્રદ્ધા નાબુદ જ ન થઈ શકવાની હોય તો એમ વીચારીને રાજી રહો કે દેવને બલી ચઢાવવા માટે જીવતાં મરઘાં કરતાં પ્લાસ્ટીકનો મરઘો શું ખોટો ? તેમાં કોઈ ઝંઝટ નહીં. પૈસા આપો, તૈયાર લીંબુનાં લટકણીયાં ખરીદો અને બારસાખે લટકાવી દો. બસ, આટલું કરો એટલે તમારા 84 લાખ અવતાર સફળ…! તમને કોઈની નજર ના લાગે… કોઈ નુકસાન ન થાય… કોઈ તમારું કાઈ બગાડી ના શકે… ધંધામાં બરકત રહે… દુર્ભાગ્ય સદ્ ભાગ્યમાં ફેરવાઈ જાય…! (પેલાં લીંબુ મરચાં સીવાય) જગતમાં સૌનું કલ્યાણ થઈ જાય… અમારા બચુભાઈએ ત્સુનામી વખતે કહેલું- ‘અટલબીહારી બાજપેયીની ભુલને કારણે આખો દેશ મુશ્કેલીમાં આવી પડ્યો. આપણા રાષ્ટ્રધ્વજની સાથે લીંબુ ને મરચાંનું માત્ર એક લટકણીયું લટકાવી દીધું હોત તો આખો દેશ ત્સુનામીમાંથી ઉગરી ગયો હોત…’
લીંબુ મરચાંની વાત છોડી માણસની અન્ય માન્યતાઓની થોડી ચર્ચા કરીએ. આપણે ત્યાં સોમનાથ સહીતના ઘણાં મંદીરોના દરવાજા બારથી ત્રણ સુધી બન્ધ રાખવામાં આવે છે. એક સ્થળે મન્દીરમાં મુર્તીને માથે પંખો ફરતો જોઈ મને નવાઈ લાગી. મેં કારણ પુછ્યું. તો પુજારીએ મારા અજ્ઞાન પર હસી કાઢતાં કહ્યું- ‘માણસને પંખાની જરુર હોય તો ભગવાનને નહીં…? એમને પણ તાપ તો લાગે જ ને, એને પણ જીવ છે.. !’ (એ વૃદ્ધ પુજારીને ન આપી શકાયેલો જવાબ આ રહ્યો. હું જાણું છું ત્યાં સુધી વનસ્પતીમાં જીવ છે એવું ડૉ. જગદીશચન્દ્ર બોઝે શોધેલું. પણ મુર્તીમાં જીવ છે એવી શોધ હજી સુધી થઈ નથી. વળી જેને પોતાને તાપ દુર કરવા માટે મેનમેઈડ પંખાની જરુર પડતી હોય તેવો ભગવાન માણસને સંસારના તાપમાંથી શી રીતે ઉગારી શકે ? તમે પ્રભુને માથે પંખો લટકાવીને તેમના અસામર્થ્યની પોલ ખોલી રહ્યાં છો).
એક શ્રદ્ધાળુ વૃદ્ધે ધાર્મીક યાત્રા ગોઠવી હતી. તેમને ખબર પડી કે પુરા સાડાત્રણ કલાક પછી મન્દીરના દરવાજા ખુલશે. જો ભગવાનના દર્શન કરવા હોય તો પ્રવાસનો એક દીવસ લમ્બાવવો પડશે. વૃદ્ધ સમ્પુર્ણ શ્રદ્ધાળુ હતા; છતાં તેમના મોઢામાંથી શબ્દો નીકળી ગયા- ‘ભગવાનને વળી આરામની શી જરુર… ?’ પછી તપાસ કરતાં ખરું કારણ જાણવા મળ્યું. પુજારીને જમ્યા બાદ આરામ કરવાની ટેવ હતી. એથી રોજ બપોરે મન્દીર બન્ધ કરી દઈ આરામ ફરમાવતા. આ જાણ્યા પછી કાકા શ્રદ્ધાળુ મટી વ્યવહારુ બની ગયા. ખીસ્સામાંથી સોની પાંચ નોટ કાઢીને (જાણે ભગવાનનો પ્રસાદ હથેળીમાં મુકતા હોય એવા શ્રદ્ધાભાવે) પુજારીના હાથમાં મુકી. પુજારીએ પ્રસન્ન થઈ દરવાજો ખોલી આપ્યો. અને ‘વ્હાઈટ’માં જે દર્શન શક્ય ન બની શક્યા તે ‘બ્લેક’માં કરીને એમણે મુસાફરીનો એક દીવસ બચાવ્યો. એમ કહો કે પાંચેક હજાર જેટલો વધારાનો ખર્ચ થનાર હતો તે એમણે પાંચસો રુપીયામાં પતાવ્યો (શુળીનું વીઘન સોયથી પતાવ્યું..!).
શ્રદ્ધાના કાળા બજાર પણ થઈ શકે. ખરીદતાં આવડે તો બધું જ ખરીદી શકાય. અને ઉઠાડતાં આવડે તો કુમ્ભકરણને શું ભગવાનને પણ ઉઠાડી શકાય ! શરત એટલી તમારા દીલમાં શ્રદ્ધા (?!) હોવી જોઈએ અને દીમાગમાં બુદ્ધી. શ્રદ્ધા બુદ્ધીના રૅપરમાં વીંટળાયેલી હોય તો જ તે ઉપયોગી નીવડી શકે. કો’કે એસ.એમ.એસ. મોકલ્યો હતો. ‘સારો સ્વભાવ શુન્ય જેવો હોય છે. આમ તો એની કશી કીંમત નહીં; પણ એ જેની સાથે હોય તેની કીંમત વધી જાય છે.’ ચલણી નોટની ચાવીથી પુજારી મન્દીરનો દરવાજો ખોલી આપે એમાં વપરાતી બુદ્ધી શુન્ય જેવી ગણાય. બુદ્ધીનું સ્વતંત્ર અસ્તીત્વ શુન્ય જેવું હોય છે. પણ એ જેને સાથ આપે છે તેને માટે ભગવાનના દરવાજા પણ ખુલી જાય છે.
ધુંપછાંવ
એક ખેડુત પોતાની વાડીમાં લીંબુ અને મરચાંની ખેતી કરે છે. એમ. એસ. સી. થયેલા એ ખેડુતે એની વાડીના ઝાંપે લીંબુ અને મરચું લટકાવ્યું છે. બોલો શું કહેવું છે…? લીંબુ અને મરચાંની આખેઆખી વાડીને ઝાંપે પણ લીંબુ અને મરચું…??? !!! (ભીમની સુરક્ષા માટે બોડી ગાર્ડ ગોઠવવા જેવી આ વાત થઈ કે નહીં ?)
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 13 ડીસેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508
ઈશ્વરની ખાનદાની
ઈશ્વર છે કે નહીં તેની ખબર નથી; પણ જો હોય જ તો એક વાત ચોક્કસ. એનામાં નહીં માનનાર પ્રત્યે પણ દયાળુ બની શકવા જેટલી ખાનદાની એની પાસે છે.
નાસ્તીક માણસ જો કોઈકને પ્રેમ કરી શકતો હોય તો ઈશ્વરના અસ્તીત્વ અંગે આગ્રહ રાખવાની જરુર હું જોતો નથી. એવા પ્રેમને ઈશ્વર ન કહીએ તેથી કંઈ ખાટુંમોળુ થતું નથી. મુળ વાત સત્યશોધનની છે. સત્ય હાથ લાગી જાય તો અને ત્યારે એને ઈશ્વર જ કહેવાનું કોઈને માટે ફરજીયાત નથી.
પ્રેષક–શ્રી વીજય ધારીયા– vdharia@hotmail.com/ – શીકાગો – અમેરીકા લેખકનો અને પ્રેષકનો દીલથી આભાર..
ગોવીન્દ મારુ તારીખ – 31-12-2009
Posted in મીત્રોના લેખ/કવીતા | 27 Comments »
December 24, 2009 by ગોવીંદ મારુ
અતીતને વાગોળવામાં શો ભલીવાર ?
‘જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવી’- એ ન્યાયે મહર્ષી વાલ્મીકી અને વ્યાસે અનુક્રમે રામાયણ તથા મહાભારતની રચના કરેલી. રામાયણ તથા મહાભારતની રચના કરવામાં તેઓએ કલ્પનાને બહેલાવી છુટો દોર આપ્યો. પૌરાણીક પરી–કથાઓમાં કલ્પીત વાતોનું પ્રમાણ સવીશેષ હોય તે સ્વાભાવીક છે. હા, સાહીત્યની દૃષ્ટીએ મહાભારત અને રામાયણ ઉત્ત્તમોત્ત્તમ મહાગ્રંથો છે, તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી; પરંતુ આ આધાર પર એમ તારવવું કે, એ જમાનામાં આપણી પાસે આજના જેવાં જ શસ્ત્રો તથા વીમાનો હતાં અને તેનાં ઉડ્ડયનો/નીર્માણ આપણે કરી શકતા હતા, તે તો કેવળ મનને મનાવવાનું અને પોરસાવાનું બહાનું માત્ર જ છે. આ પ્રામાણીક/ વાસ્તવીક હકીકત નથી.
વળી કેટલાક તો લુલો બચાવ પણ કરે છે કે, ‘અંગ્રેજો અને જર્મનોએ આપણાં શાસ્ત્રો અહીંથી લઈ જઈ, તેનો અભ્યાસ કરીને તેઓએ આધુનીક વૈજ્ઞાનીક શોધો કરેલી છે, જે અસલમાં આપણી જ છે.’ ત્યારે પુછવાનું મન થાય છે કે, જે શાસ્ત્રો આપણી પાસે હજારો વર્ષથી હતાં, તો તે શાસ્ત્રોમાંથી આપણે કેમ કંઈ જ કરી ન શક્યા ? તે જ શાસ્ત્રોમાંથી અંગ્રેજ/જર્મન વગેરે પ્રજાએ ફક્ત બસો વર્ષમાં માનવને રાહતપુર્ણ જીવન બક્ષનારી સેંકડો/હજારો આધુનીક શોધો કરી જગતને ખોળે કેવી રીતે ધરી ? આ વાતે આપણે ગૌરવ લેવું જોઈએ કે શરમાવું જોઈએ ? હજારો વર્ષથી આપણી પાસે જો આજના જેવાં જ વીમાનો અને શસ્ત્રો આપણી પાસે હતાં પછી આપણે આ વીમાનો અને તે શસ્ત્રોનો ઉપયોગ કરીને, દેશ આખાને સદીઓ સુધી ગુલામ બનાવનાર પ્રજાઓ સામે ઝઝુમ્યા કેમ નહીં ? બસો વર્ષ સુધી મુઠ્ઠીભર અંગ્રેજોની ગુલામી આપણે શા માટે વેઠી હતી ? આપણા સાહીત્યમાં નીરુપાયેલા કલ્પનાના તોખાર સમું કશુંક નક્કર સ્વરુપનું આપણી પાસે હોત તો આજે આપણે ‘સુપર પાવર’ તરીકે દુનીયા પર આધીપત્ય ભોગવતા ના હોત ?
– ગોવીન્દ મારુ – નવસારી
24 December 2009
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.5/10/1992ના રોજ પ્રકાશીત થયેલ મારું એક ચર્ચાપત્ર …
Posted in રેશનલ | 27 Comments »
December 17, 2009 by ગોવીંદ મારુ
વીશીષ્ટ અમૃતોત્સવ- વીશીષ્ટ પુસ્તક
અંધશ્રદ્ધાથી છલોછલ એવી અસંખ્ય તથા બહુવીધ માન્યતાઓ સદીઓથી આપણા બહુજન સમાજ ઉપર છવાઈ ગઈ છે; જેથી આપણી વૈજ્ઞાનીક પ્રગતી રુંધાઈ છે અને સર્વદેશીય વીકાસ અટકી પડ્યો છે. વધુમાં આવી માનસીકતાએ આપણા માનસીક સ્વાસ્થ્યને પ્રદુષીત કરીને હણી નાંખ્યું છે. આવી વાહીયાત, નીરાધાર માન્યતાઓને જડમુળથી ઉખેડીને પ્રજામાનસને પ્રદુષણમુક્ત તથા સ્વસ્થ બનાવવામાં મારા આ લેખો અવશ્ય મદદરુપ થશે જ, એવી શ્રદ્ધાથી, અને આવા કીસ્સાઓના આલેખન અને પછી વાચનથી રેશનાલીસ્ટ (વીવેકબુદ્ધીવાદી) વીચારોનો બહોળો ફેલાવો થતો રહે, એવા શુભ આશયથી આ સંગ્રહ પ્રગટ કરું છું. એટલું જ નહીં, અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તક પણ વીનામુલ્યે આપને પહોંચતું કરું છું. ત્યારે મારો આ નમ્ર પ્રયાસ તથા હેતુ સાકાર-સફળ થશે, એવી આ પંચોતેરમે વર્ષે મારી આખરી ઈચ્છા પ્રગટ કરું છું.
- જમનાદાસ કોટેચા
(‘જમનાદાસ કોટેચા અને રૅશનાલીઝમ’ નામક પુસ્તકની પ્રસ્તાવનામાંથી સાભાર; અલ્પ શાબ્દીક ફેરફારો બદલ ક્ષમાયાચના સાથે.)
અત્રે આરંભે જ વાચક મીત્રોને જાણ કરું કે, જોરાવરનગરના જવાંમર્દ જમનાદાસ દાયકાઓથી ‘માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર’ નામે રૅશનાલીઝમ પ્રચાર–સંસ્થા એકલે હાથે બરાબર ચલાવે છે, તેના ઉપક્રમે સ્વલીખીત તથા અન્ય સમાન વીચારના લેખકોનાં પુસ્તકો પ્રગટ કરે છે અને ખાસ નોંધપાત્ર તથા અભીનંદનીય હકીકત તો એ કે તેઓના આવા પ્રકાશનો બહુધા તેઓ યોગ્ય સંસ્થાઓ તેમજ વ્યક્તીઓને વીનામુલ્યે જ ભેટ પાઠવે છે. આ સંસ્થાનું એવું કોઈ મોટું ભંડોળ નથી, તેમ જમનાદાસ કરોડપતીય નથી, અને છતાં આ પુણ્યકાર્યનો જે અઢળક વીકાસ થઈ રહ્યો છે, એનાં બે કારણો મારી દૃષ્ટીએ નીચે મુજબ ગણાવી શકાય: (1) જમનાદાસની ધગશ તથા નીષ્ઠા, (2) દાતાઓ મળી રહે છે, જેનો સુખદ સુચીતાર્થ એવો જ થાય કે, રૅશનાલીઝમ આપણા ગુજરાતમાં દીનપ્રતીદીન વધુને વધુ સ્વીકૃત તથા લોકપ્રીય વીચારધારા બની રહી છે; જેનો યશ આ લેખક જેવા અનેક સક્રીય કાર્યકરોની બહુવીધ પ્રવૃત્ત્તીઓને ફાળે જ જાય છે. રૅશનાલીઝમની આવી આગેકુચના સંદર્ભે, એક અજોડ આનંદ ઘટનાય અત્રે જાહેર કરી લઉં કે, પુજ્ય મોરારીબાપુ જેવા પ્રખર રામભક્ત કથાકારે પણ જમનાદાસને સારી એવી આર્થીક મદદ અચુક જ કરી છે. પુ. બાપુ રૅશનાલીઝમ પ્રત્યે હમદર્દ છે, એ પણ આ વીચારધારાની સર્વોપરીતા અને લોકકલ્યાણની ક્ષમતા તેમ જ એના પ્રચારક કાર્યકરોની સચ્ચાઈ તથા પ્રભાવકતાનો જ પુરાવો છે. તો સાથે સાથે જ, પુ. મોરારીબાપુની વ્યાવહારીક ઉદારતા ઉપરાંત ખુલ્લા મનની માનવીય અને વૈચારીક એવી વીશાળ, ઉદાર દૃષ્ટી- ભાવનાય એ પુરાવો છે.
શ્રી જમનાદાસ કોટેચાને પંચોતેર વર્ષ પુરાં થયાં, હજી આજેય તેઓ એવા જ જોરાવર, નવજવાન જેવા સક્રીય, ઉત્સાહી તથા સશક્ત છે, એ બદલ તેઓને અભીનંદન પાઠવતાં દીર્ઘાયુની શુભેચ્છા પણ પાઠવીએ ! તે સાથે જ, પોતાનો આ અમૃત મહોત્સવ ઈતર કશી ધામધુમથી ઉજવવાને બદલે, રૅશનાલીઝમની પ્રવૃત્ત્તીને ધરખમ વેગ આપતાં આવાં અમુલ્ય પુસ્તકો પ્રગટાવીને તથા વીનામુલ્યે વહેંચીને જ આ મંગલ ટાણું- અમૃત મહોત્સવ તેઓ ઉજવી રહ્યા છે, એ નવતર તથા સાચા રૅશનાલીસ્ટને શોભે, એવા નીર્ણય બદલ પણ આપણે તેઓને ખોબલે ખોબલે ધન્યવાદ આપીએ, અને જ્યારે ઉપર દાતાઓનો ઉલ્લેખ કર્યો જ છે, ત્યારે આ સંગ્રહનો તમામ ખર્ચ રાજીખુશીથી ઉપાડી લેતા ‘આ બહુ જ સારો વીચાર છે’- એમ કહીને રૅશનાલીઝમનેય પુરસ્કારનાર અમેરીકા નીવાસી શ્રી ગણેશભાઈ કરસનભાઈ પટેલ (વતન: ભલગામડા, તા. ધન્ધુકા) નેય સાભાર ધન્યવાદ આપ્યા વીના રહી જ કેમ શકાય ?
રૅશનાલીસ્ટ જમનાદાસ ચમત્કારમાં નથી જ માનતા, છતાં એ પોતે જ એક ‘ચમત્કાર’ છે, એ આપણે તો માનવું જ પડશે ! કારણ એ જ કે, તેઓ ઝાઝું ભણ્યા નથી, વીશ્વના પ્રખર રૅશનાલીસ્ટ લેખકોનું સાહીત્ય વાંચી, મનન કરી એ સ્વીકારી, આવી વીચારધારાના ભેખધારી બનવાની કોઈ ભુમીકા જ તેઓ પાસે નહીં; તેઓ તો કેવળ પોતીકી વીચારશક્તી તથા વીવેકબુદ્ધીથી, આત્મપ્રતીભા અને આત્મપ્રતીતીથી જ આવા પ્રખર, સક્રીય રૅશનાલીસ્ટ યુવાવયથી જ બની રહ્યા. એ સાથે જ પોતાના સમય, શક્તી, સાધનો ખર્ચી, જાનના જોખમે તેઓએ આ વીચારધારાના પ્રચારમાં પણ ઝંપલાવી દીધું. જાણવા જેવી હકીકત છે કે, આ અલ્પશીક્ષીત પુરુષે એક ડઝન ઉપરાંત સામયીકોમાં તો પ્રચારક કટારો (કૉલમ) લખી છે; એ જ રીતે, ડઝનથી વધુ પુસ્તકોય પ્રગટ કર્યાં છે. આ સંગ્રહ, જે પુસ્તકનો અહીં હું આપને પરીચય કરાવી રહ્યો છું, એ પણ મુમ્બઈના ‘સમકાલીન’ દૈનીકમાં કટારરુપે પ્રગટેલા તેઓના અઠ્ઠાવન લેખોનો જ સંગ્રહ છે. શ્રી કોટેચાની ક્ષમાયાચના સાથે એક ‘ઐતીહાસીક’ રસીક હકીકત અત્રે પ્રગટ કરું કે, તેઓએ પોતે જ્યારે આ વીચારસરણી પ્રતીતીપુર્વક અને દૃઢતાપુર્વક સ્વીકારી, ત્યારે એને ‘રૅશનાલીઝમ’ કહેવાય, એટલીય જાણકારી એમની પાસે નહોતી ! તેઓએ ‘કોવુરવાદી સાહીત્ય’- એવો શબ્દપ્રયોગ કરવો પડ્યો ! બોલો, કેટલી અને કેવી સ્વયંસ્ફુરીત આ દીક્ષા ! માણસ અન્ય કોઈ પણ કંઠી બાંધી લે, એ સમજી શકાય; પરંતુ જે વીચાર સાવ અજ્ઞાત કે અલ્પપરીચીત તથા અલ્પપ્રચલીત હોય, ઉપરાંત બંડખોર અને આમુલ મુર્તીભંજક એવો ક્રાંતીકારી હોય; એનો સાક્ષાત્કાર તો કોઈ વીરલને, વીરલાને જ થાય, માટે જ એ ચમત્કાર !
‘જમનાદાસ કોટેચા અને રૅશનાલીઝમ’- આ સંગ્રહનો પહેલો જ લેખ વાંચો- આ પ્રચારપુરુષની જોખમી જવાંમર્દીનો અદ્ ભુત પરીચય મળી જશે: અઘોરી વીદ્યાની એક ભયાનક ઘટના વાંચીને, આ લેખક એની સચ્ચાઈ (હકીકતમાં તો જુઠાણું) સીદ્ધ કરવા, ઈન્દીરાજીની હત્યાના ભરતોફાનના માહોલમાં છેક અલાહાબાદ જવા ઉપડ્યા. પરંતુ પહોંચવાનું તો એથીય ભયંકર, અઘોર સ્થાને હતું, અને તે નજીકના ઝુસી ગામના સ્મશાનમાં ! પછી એ સ્મશાનના સંચાલકનેય મળ્યા; આખરે અઘોરીવીદ્યાની યા મારણ-વીદ્યાની ઘોર ઘટના કેવળ કોઈ અવળમતી લેખનો અસત્ય તરંગતુક્કો જ સીદ્ધ થયો. પરંતુ જમનાદાસના આવા જોખમી સાહસથી ગુજરાતને તો એક મુલ્યવાન સત્ય લાધ્યું કે, અઘોરીવીદ્યા કે તાંત્રીકવીદ્યા, મારણ, સંમોહન, વશીકરણ વગેરેનું મંત્રશાસ્ત્ર- એ બધી જ સાવ પાયાવીહીન ગપ્પાબાજી જ છે.
આવી તો સંખ્યાબંધ અદ્ ભુત- અદ્ ભુત ઘટનાઓના આશ્વર્યજનક બયાનથી આ પુસ્તક છલોછલ સમૃદ્ધ છે; જે વાંચતાં જબરજસ્ત રસ પડે, રોમાંચ થાય, સનસનાટી અનુભવાય: પેટમાંનું ઝેર દોરી વડે કાઢવાનો નુસખો- (2) દાભોળકરે અવતારી બાબાને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પકડાવી દીધા, (13) ભગતની સુકો મેવો (પ્રસાદ) કાઢી આપવાની ચાલાકી પકડી, (17) ભુતનગરીનો અનુભવ… (23) જુનાગઢના અઘોર તાંત્રીકનો રકાસ, (33) સત્ય સાંઈબાબાની કાર પાણીથી ચાલી શકે ? (47) મોરારજી દેસાઈ સાથેની વીચીત્ર મુલાકાત, (50) નીરજા ભનોતનો આત્મા માતાના શરીરમાં આવતો ? (54) શીષ્યે ગુરુના ચમત્કારનું રહસ્ય (પોલ) ખોલ્યું, (25) છાયાશાસ્ત્રીએ મમતાના જીવનમાં ઝેર ઘોળ્યું, (27) તાંત્રીક ચન્દ્રાસ્વામીની મુલાકાત, (57) પવીત્ર ભસ્મ ખરવાની ઘટના, (37) હીપ્નોટીઝમની ધુર્તલીલા વગેરે… આ ઉપરાંત; તરકટ, ઈલમગીરી, છળકપટ, ચમત્કાર, છઠ્ઠી ઈન્દ્રીયના જ્ઞાન, પડકારો તથા પડકાર ઝીલનાર કોઈ ચમત્કારી નહીં !, બાધા- માનતા આદી તમામ પ્રકારની ગેબી, અલૌકીક ઘટનાઓ કે શક્તીઓના દાવાઓના પર્દાફાશની કીંમતી તથા પ્રેરક બાબતો આ સંગ્રહમાં વાંચવા મળે છે; જે ગુજરાતની પ્રજાના માનસનું પ્રદુષણ ઘણા પ્રમાણમાં ઓછું કરશે, એવી આશા ની:શંક સેવી શકાય.
ભરતવાક્ય:
ગુજરાતની આશરે પાંચસો જેટલી કૉલેજોને આ પુસ્તક ભેટ આપવાનું નક્કી કર્યું છે… કૉલેજના સત્ત્તાવાળાઓએ કોઈ રવાનગી ખર્ચ પણ મોકલવાનો નથી. હવે પછી ‘જમનાદાસ કોટેચા અને વીવેકબુદ્ધીવાદ’ પુસ્તક પ્રગટ થશે- રૅશનાલીઝમનાં પુસ્તકો સંપુર્ણ વીનામુલ્યે આપવાની યોજના છે: સંપર્ક કરો: માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર (જમનાદાસ કોટેચા), જોરાવરનગર – 363 020 જીલ્લો – સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) મોબાઈલ ફોન: 98981 15976
તા. 5 ડીસેમ્બર 2009ના સુરતના ‘ગુજરાત મીત્ર’ના અંકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘રમણભ્રમણ’માંથી, લેખક અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર..
♦●♦●♦●♦
♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..
– ગોવીન્દ મારુ – નવસારી
December 17, 2009
♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦
Posted in મીત્રોના લેખ/કવીતા | 20 Comments »
December 10, 2009 by ગોવીંદ મારુ
રૅશનલ વસીયત –
ક્રાંતીકારી નેમજી મુરજી છેડાની
મારા જીવનના અંતીમ દીવસો અને અંતીમક્રીયા બાબતમાં હું મારી ઈચ્છાઓનું વસીયતનામું નીચે પ્રમાણે કરું છું –
જો મારી જીન્દગીના છેલ્લા દીવસોમાં અકસ્માત અથવા અસાધ્ય બીમારીઓથી જો હું લાંબા સમય સુધી બેભાન અવસ્થામાં (કોમામાં) ચાલ્યો જાઉં અથવા નીર્ણય કરવા અક્ષમ થાઉં, યોગ્ય ડૉક્ટરો મારા મગજને મૃત જાહેર કરે, ફક્ત વેન્ટીલેટર્સના સહારે જીવતો રાખવામાં આવે, યોગ્ય સારવાર કરવા છતાં જો કોઈ ઉપાય કારગત થાય તેમ ન હોય, સામાન્ય (નોર્મલ) સ્થીતી થવાની કોઈ શક્યતા ન હોય, તો મારા કુટંબના સભ્યોએ યોગ્ય ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરી, મારા શરીરના પીડારહીત સરળ મોત (યુથનેસીયા)નો નીર્ણય લઈ લેવો અને એ માટે નીર્ણય લેનાર કોઈને કાયદાકીય કે સામાજીક રીતે જવાબદાર ગણવા નહીં.
એ પછી મારા શરીરનાં વધારેમાં વધારે શક્ય અવયવો જેવાં કે આંખો, ચામડી, લીવર, પેન્ક્રીયાસ, કીડની, બોનમૅરો વગેરે વગેરે જરુરીયાતવાળા યોગ્ય દરદીને યોગ્ય રીતે મળી શકે એ માટે વીશ્વાસુ હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સમ્પર્ક કરી દાન કરી દેવાં. બાકીનું શરીર પણ મૅડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને શીક્ષણ માટે દાન કરી દેવું.
અવારનવાર પહાડોમાં મુસાફરી કરતો હોવાથી જો દુરના પ્રદેશોમાં મને અકસ્માત થાય અને અવયવદાન કે દેહદાન પણ અશક્ય થઈ જાય તો તેવા સંજોગમાં મારા દેહના અગ્નીસંસ્કારને બદલે ભુમીસંસ્કાર કરવા (મૃતદેહને દાટવો) અને તે પર એક વૃક્ષ રોપવું.
જો ઉપરનાં કારણો સીવાય અલગ પરીસ્થીતીમાં મારું મૃત્યુ થાય તો પણ ચક્ષુદાન અને દેહદાન તો કરવું જ કરવું.
આનો અર્થ એમ નથી કે હું ભૌતીક અને નાશવંત શરીરને ધીક્કારું છું. આખી જીન્દગી મેં મારા પાર્થીવ શરીરને સાચવી રાખવા અને એનો અંત લંબાવવા ભરપુર કોશીશો કરી છે. મારા દેહને અને પૃથ્વી પરના આ જીવનને મેં શ્રેષ્ઠ અને એકમાત્ર જીવન ગણ્યું છે. મૃત્યુ નીશ્વીત છે; પણ એનો સમય નીશ્વીત નથી. એટલે આ શરીરના એક-એક અંગને બીમારી અને પીડામાંથી બચાવવા હું હંમેશાં ઝઝુમ્યો છું. હવે આ રીતે મારા અવયવોનું દાન કરી અવયવની જીન્દગી લંબાવવાનું મને સાર્થક લાગે છે.
મારી અંતીમક્રીયાઓ શાંતીથી કરવી, સ્મશાનયાત્રામાં કોઈ પણ સંજોગોમાં અગીયારથી વધુ વ્યક્તીઓને બોલાવવી નહીં. જો મારું મૃત્યુ હૉસ્પીટલમાં થયુ હોય તો ત્યાંથી જ શરીરનો નીકાલ કરવો, શબ ઘરે લાવવું નહીં. એક સાદી ચાદરમાં મારા મૃતદેહને સાદી રીતે લપેટી લેવો. જો ઘરે મૃત્યુ થયું હોય તો પણ એ પ્રમાણે જ કરવું. નનામી બાંધવી નહીં. જરુર હોય તો એલ્યુમીનીયમની નનામીનો ઉપયોગ કરવો. આરોગ્યની દૃષ્ટીએ જરુર ના હોય તો મારા મૃતદેહને સ્નાન કરાવવું નહીં. ધુપ-દીવો કે અગરબત્ત્તી કરવાં નહીં. સુખડની કે ફુલની માળા પહેરાવવી નહીં. મૃત શરીરને વન્દન કરવા નહીં. જીવનના છેલ્લા સમયને સુધારવાના કે આત્માની સદ્ ગતી માટેનાં ઉચ્ચારણો કરવાં નહીં. એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો.
દેહદાન કે ભુમીદાન શક્ય ન હોય અને જો ઈલેક્ટ્રીક સ્મશાન ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરવો. સુકાં કોપરાંની વાટી કે કાચની બંગડીઓ બાંધવી નહીં. નાળીયેર, અબીલ કે ગુલાલ વાપરવાં નહીં. મૃતદેહની આગળ બળતાં છાણાંની માટલી લઈ ચાલવું નહીં. ‘રામ બોલો ભાઈ રામ’ કે ‘જય જીનેન્દ્ર’ જેવાં સુત્રો બોલવાં નહીં, કે કોઈ લૌકીક વ્યવહારો પાળવા નહીં.
સમાજની પત્રીકામાં મારા ગામનું અને મારું નામ, ઉમ્મર, અવસાનનું કારણ ખાસ કરીને મારાં અવયવનાં દાન થયાની વીગત જરુર લખવી; પણ ફોટો આપવો નહીં. સગાંઓ સાથેનાં સગપણો લખાવવાં નહીં. પ્રાર્થના કે પ્રાર્થનાસભા રાખવી નહીં. તમામે તમામ પ્રકારના લૌકીક વહેવારો બંધ રાખવા. મારાં કોઈપણ સરનામાં કે ફોન નમ્બર પત્રીકામાં આપવાં નહીં. આત્માના કલ્યાણ માટે નવકાર ગણાવવાનો આગ્રહ રાખવો નહીં.
છેલ્લે, હું કેવી રીતે મૃત્યુ પામ્યો એની લાંબી લાંબી કથાઓ કરવી નહીં. ઘરની દીવાલ પર મારો ફોટો ટાંગીને તેને હાર પહેરાવવો નહીં. ખુણો પાળવો નહીં. સફેદ કપડાં પહેરવાં નહીં. મારી પત્નીએ વૈધવ્ય પાળવું નહીં. જૈન મન્દીરમાં પુજા રાખવી નહીં. અગીયારમું, બારમું, તેરમું કે વરસી વગેરે કંઈ જ કરવું નહીં. ઘરના સભ્યોએ પોતાની માનસીક શાંતી માટે જરુરીયાતમંદોને યથાશક્તી મદદ કરવી. પક્ષી-પ્રાણીઓને ખવડાવવું અને યોગ્ય સંસ્થાઓને દાન આપવું.
આ મારી અંતીમ ઈચ્છા છે અને આ નીર્ણય કોઈ પણ જાતની કડવાશ વીના રાજીખુશીથી, મારી સદ્ બુદ્ધીથી અને સંપુર્ણ જાગૃત અવસ્થામાં લઉં છું.
(સહી): નેમજી મુરજી છેડા
સંપર્ક:
નેમજી મુરજી છેડા, 44/એ-6/1, જીવન આરાધના, જીવન વીમા નગર, બોરીવલી (પશ્વીમ) મુમ્બઈ – 400013 ફોન નંબર: 022 28930237 મોબાઈલ નબર: 098194 51881
સપ્ટેમ્બર, 2009ના પ્રકાશીત થયેલા ‘વીવેકપંથી’, મુમ્બઈ(તંત્રી– ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891)ના 90મા અંકમાંનો આ લેખ ‘વીવેકપંથી’ની તેમ જ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર…
●‘વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે: http://sites.google.com/site/vivekpanthi/home http://sites.google.com/site/vivekpanthi/
♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/
♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..
– ગોવીન્દ મારુ – નવસારી
December 10, 2009
♦●♦●♦●♦●♦
Posted in મીત્રોના લેખ/કવીતા | 18 Comments »