July 10, 2009 by ગોવીંદ મારુ
તમામ કુદરતી જીવો સુર્યના ઉગવા-આથમવાના કુદરતી ઘટનાક્રમથી વાકેફ છે. છતાં કોઈક દીવસે સુર્યોદય થયા પછીના અમુક સમય પછી, તરત જ અંધકાર છવાઈ જાય, રાત પડ્યાના અહેસાસથી પંછીઓ પોતાના માળા તરફ પાછા ફરવા પ્રયાણ કરે, ધોળે દીવસે તારા દેખાવા લાગે, ત્યાં તો થોડા સમય પછી તરત જ સુર્યના કીરણો પ્રકાશ પાથરવાનું શરુ કરે અને દીવસનું વાતાવરણ પુન:સર્જાય, ત્યારે ભલ ભલા બહાદુર માનવીઓ ભયભીત થઈ જાય છે.
નરી આંખે સુર્યગ્રહણ નીહાળવું હીતાવહ નથી. તેમ કરવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. પ્રાચીન યુગમાં આવા હાનીકારક બનાવો બન્યા પણ હોય, તેનાથી ભયભીત થઈને આપણા પુર્વજોએ કોપાયમાન (માની લીધેલા) સુર્યદેવ(!)ને રીઝવવાના ભ્રામક ખ્યાલથી પ્રેરાઈને સુર્યગ્રહણ વખતે ઘર બહાર નહી નીકળવાનું સ્વીકાર્યું હશે! આ અગાઉ થયેલ ખગ્રાસ (સંપુર્ણ ગ્રહણ) નો આહ્ લાદક આનંદ માણવાને બદલે ઘરના બારી-બારણાં બંધ કરીને લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. એટલું જ નહી શીક્ષકો, પ્રાધ્યાપકો અને સરકારી કર્મચારીઓને ગ્રહણથી પીડાવું ન પડે તે માટે કેટલીક સરકારે રજા જાહેર કરી હતી. તેનું પુન: આંધળુ અનુકરણ ન થાય અને તા.22મી જુલાઈ, 2009ના રોજ બહુજન સમાજ સ્વતંત્રપણે વીચારે અને ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણનો આહ્ લાદક આનંદ માણી શકે તે આ બ્લોગરનો આ નમ્ર પ્રયાસ છે.
એક વર્ષમાં ઓછામાં ઓછા 02 અને વધારેમાં વધારે 07 ગ્રહણો થાય છે. 18 વર્ષ, 10-11 દીવસ અને 08 કલાકનું એક ગ્રહણચક્ર હોય છે. તે દરમ્યાન આશરે 70 ગ્રહણ થાય છે. તેમાં 42 સુર્યગ્રહણ અને 28 ચન્દ્રગ્રહણ થાય છે. પ્રમાણમાં 03 સુર્યગ્રહણ અને 02 ચન્દ્ર ગ્રહણ થાય છે. 223 ચંદ્રમાસ અથવા 6585 દીવસ અથવા એક ગ્રહણચક્ર વીત્યા બાદ તેના તે જ ગ્રહણો ફરીથી થાય છે. આમ એક સમયની નોંધ રાખી હોય તો આ ગ્રહણચક્રના દીવસો અવારનવાર નક્કી કરી શકાય છે. 28 ચંદ્રગ્રહણમાંથી સરાસરી 18 ગ્રહણ એક ઠેકાણે થાય છે. એટલે કે એક ગ્રહણચક્રમાં 70 ગ્રહણોમાંથી 07 સુર્યગ્રહણ તથા 18 ચંદ્રગ્રહણ ઘણું કરીને એક જ સ્થળે દેખાય છે. બાકીના તે સ્થળે દેખાતા નથી. 365 વર્ષે એકનું એક ગ્રહણ એના એજ સ્થળે થાય છે.
સામન્ય રીતે બાળકો પણ જાણે છે કે કોઈ પણ અપારદર્શક વસ્તુ પ્રકાશના માર્ગમાં મુકવામાં આવે તો તેનો પડછાયો બીજી બાજું પડે છે. આ જ રીતે ચંદ્ર, સુર્ય અને પૃથ્વી વચ્ચે સીધી રેખામાં તેમજ એકબીજાથી બરાબર અંતરે હોય તો ચંદ્રનો પડછાયો પૃથ્વીના નાના ભાગ પર પડે છે. અને આ ભાગમાંથી જ્યારે સુર્યને જોવામાં આવે છે, ત્યારે સુર્ય, ચંદ્ર પાછળ સંતાયેલો દેખાય છે. જેને આપણે ખગ્રાસ સુર્યગ્રહણ કહીએ છીએ. આ એક અપુર્વ કુદરતી ઘટના છે. ધરતીકંપ, વાવાઝોડું જેવી ઘટનાઓમાં અતીભારે નુકસાન થાય છે. આવું કશું ગ્રહણની ઘટનામાં બનતું નથી. તેથી પારંપરીક ખોટા ખ્યાલો, રુઢીઓ વગેરે ત્યજી, વૈજ્ઞાનીક સમજદારીથી ગ્રહણની ઘટનાને નીહાળવી જ જોઈએ. સુર્યને નરી આંખે, દુરબીન કે ટેલીસ્કોપ વડે નીહાળવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. સુર્ય પુર્ણ ગ્રસીત થવામાં હોય ત્યારે પીનહોલ કેમેરા મારફત છાંયડાવાળી દીવાલ પર સુર્યબીંબ પ્રોજેક્ટ કરી પરાવર્ધીત યા પરીવર્તીત બીંબ નીહાળી શકાય છે. બદલાતા સમયમાં ટેલીસ્કોપ કે દુરબીન આગળ ફીલ્ટર રાખીને પણ સુર્યગ્રહણ નીહાળી શકાય છે. નીકલ-ક્રોમીયમ (INCOMEL) વડે આવરણ ચઢાવેલ અને સહેલાઈથી ઘસરકા ન પડે તેવા ફીલ્ટર(ચશ્મા) સુર્ય પ્રકાશમાંથી પાર-જાંબલી (અલ્ટ્રાવાયોલેટ) ને અધોરક્ત (ઈન્ફ્રારેડ) નુકશાન કરતા ભાગોને હટાવી શકે છે- તેવા ફીલ્ટર(ચશ્મા) વડે સુર્યગ્રહણ નીહાળી શકાય છે. પરંતુ તેના દ્વારા સતત ગ્રહણ નીહાળવું નહી. બલ્કે, અલપ-ઝલપ યા ક્ષણાર્ધ માટે જ ઉપયોગ કરવો/ ચશ્મા વાપરતા પહેલાં તેની ચકાસણી કરી લેવી કે તેમાં ઘસરકા યા ટાંકણીભર કાણાવાળું ફીલ્ટર હોય તો તે વાપરવું નહી- તેની ખાસ કાળજી રાખવી.
તા.22મી જુલાઈ, 2009ના રોજ થનારા ખગ્રાસ સૂર્યગ્રહણનો પટ્ટો સુરતની બંને બાજુએ એક તરફ વડોદરા અને બીજી તરફ સેલવાસ સુધી વિસ્તરેલો હશે, તેથી આ વિસ્તારમાં આ ગ્રહણ ખગ્રાસરુપે જોવા મળશે. સુરતમાં ખગ્રાસ ગ્રહણ 03 મીનીટ અને 17 સેકન્ડ સુધી જોવા મળશે, જ્યારે વડોદરા અને સેલવાસમાં તે માત્ર એક મીનીટ અને 19 સેકન્ડ સુર્યગ્રહણ જોવા મળશે. આ સદીનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ થશે ! તે 6.6 મીનીટ દેખાશે. ભારતીય સમય મુજબ સવારે 05 કલાક 28 મીનીટે ખગ્રાસ સુર્યગ્રહણ શરુ થશે અને 10 કલાક 42 મીનીટે ખગ્રાસ ગ્રહણ પુરું થશે. આ અગાઉ 24 ઓક્ટોબર 1995માં ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણ જોવાનો મોકો ગુજરાતને મળ્યો હતો, ત્યાર બાદ આ આ પ્રકારનું સુર્યગ્રહણ ગ્રહણ 123 વર્ષ પછી થશે. જેથી આ તક ચુકી ગયા બાદ આવું લાંબુ ખગ્રાસ ગ્રહણ જોવા મળશે નહી. જેથી આ ખગોળીય ઘટનાનો આહ્ લાદક આનંદ માણવા સૌ કાઈને અપીલ છે.
નોંધ:-
(1) ગુજરત/સુરત આમ્ચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન દ્વારા આત્મીય વીદ્યા મંદીર, કોળી ભરથાણા, સુરત ખાતે તા.21 ને 22/07/2009 ના રોજ વૈગ્યાનીકો, શીક્ષકો તેમજ મારા-તમારા જેવા જીગ્યાસુઓ માટે કાર્યશીબીરનું આયોજન કરેલ છે. જેમાં ભાગ લઈને ભારતભરમાં સૌથી લાંબુ સુર્યગ્રહણનો આહલાદક આનંદ માણવા માટે નીમંત્રણ છે. રજીસ્ટ્રેશન તેમજ વધુ જાણકારી માટે http://aaasteam.blogspot.com/ ની મુલાકાત લેવા વીનંતી છે.
(2) ખગોળશાસ્ત્રના અભ્યાસ સાથે સંકળાયેલા શ્રી ધનંજય રાવલના જણાવ્યા મુજબ વર્તમાન વાતાવરણની માફક 30 થી 40 % વાદળઓ નુંપ્રમાણ રહેશે તો પણ સુર્યગ્રહણ નીહાળી શકાશે. સુર્યગ્રહણ પડછાયાના પથ પર આવતા સુરત સહીત ભારત ને ચીનના કુલ ૧૨ સ્થળોએ વૈગ્યાનીકઓની ટીમ અત્યાધુનીક સાધનોથી સજ્જ રહેશે. આ તમામ સેન્ટર્સ ઈન્ટરનેટથી જોડાયેલા રર્હેશે. જેને કારણે જો કોઈ સંજોગોમા કોઈ સેન્ટર્સ પર ખરાબ હવામાનના કારણે સુર્યગ્રહણ નીહાળવામાં તકલીફ પડશે તો પણ તેઓ અન્ય સેન્ટર્સ નેટવર્ક પરથી સુર્યગ્રહણ નીહાળી શકશે.
Posted in વીજ્ઞાન/ટેકનોલોજી | 17 Comments »
July 7, 2009 by ગોવીંદ મારુ
ભ - ભયથી ઉત્પન્ન થયેલું
ગ - ગભરાવી નાંખે તેવું
વા - વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું
ન - નકારી ન શકાય તેવો ભ્રમ
વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું ભયથીઉત્પન્ન થયેલું કે
જે આજદીન સુધી માનવસમુદાય દ્વારા નકારી શકાઈ નથી
તેવી ભ્રમણા ભગવાનના નામે ઓળખાય છે.
Posted in રેશનલ | 23 Comments »
July 1, 2009 by ગોવીંદ મારુ
દરેક દેશને પોતાનું અલાયદું સંગીત હોય, ગીતો પણ અલગ હોય છે. તેવી જ રીતે દરેક રાજ્ય/પ્રદેશનું પણ પોતાનું સંગીત હોય–ગીતો હોય છે. ક્લાસીકલ સંગીત તો પુરા દેશનો ખજાનો અને તેની વાત જ નીરાળી છે. એ લોકભોગ્ય ઓછું હોય; પરંતુ જે તે પ્રદેશનાં લોકગીતોમાં જે પોતીકાપણું હોય છે, એ ભાગ્યે જ બીજે સાંભળવા મળે છે. એટલું જ નહીં; તે આખા ભાષક સમાજની તાસીર પ્રગટાવી આપે છે. આજના આધુનીક યુગમાં ડીસ્કો/બ્રેકડાન્સ અને હીન્દી ફીલ્મોના ધંગ-ધડા વગરનાં ગીતો સાંભળીએ ત્યારે મારા જેવા રસીક માણસને આઘાત થાય છે.
ગુજરાતી લોકગીતોનું સંગીત અદ્ ભુત છે. ગુજરાતી ફીલ્મોનાં ગીતો મોટેભાગે લોકગીતોની લોકપ્રીય ધુન આધારીત જ હોય છે. સારાં અને કર્ણપ્રીય ગુજરાતી ગીતોના દુષ્કાળમાં આદરણીય માવજીભાઈની વેબસાઈટ http://www.mavjibhai.com પર ‘ગીત ગુંજન’ વિભાગમાં સુંદર, મધુર- મઝાના ૩૬ ગુજરાતી લોકગીતોનો રસથાળ દીલ ખોલીને માણ્યો. આ અતીપ્રીય ગીતોનો રસથાળ મારા, તમારા- સૌ કોઈના માટે રણમાં મીઠી વીરડી સમાન છે.
મા. માવજીભાઈની જહેમત રંગ લાવી રહી છે. સંગીતના શોખીનો માટે ‘ગીત ગુંજન’ વિભાગ અન્યોને પ્રેરણા–પીયુષ પીવડાવીને સફળતા પ્રાપ્ત કરે એવી હાર્દીક અભ્યર્થના સાથે મા. માવજીભાઈના સૌજન્યથી તમામ ગીતો તેમજ તેની લીંક નીચે મુજબ સાદર રજુ કરી છે. જેના ઉપર ક્લીક કરો અને દીલ ખોલીને સાંભળો:
Posted in કલા - સાહીત્ય | 10 Comments »
June 25, 2009 by ગોવીંદ મારુ
ગુજરાતમીત્ર, સુરતના વરીષ્ઠ પત્રકારશ્રી ભગવતીકુમાર શર્માએ ‘આપણે બધા’માં તા.17/06/1992ના રોજ આજના બ્રાહ્મણના બ્રાહ્મણત્વ ઉપર શંકા કરી અને સાચા બ્રાહ્મણ બનવા માટે જે બાબતો ઉપર ભાર મુક્યો છે- તે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ બાબત મારી નજરે ભ્રમણા જ માત્ર હોય એવું લાગે છે. વ્યવહારમાં આવું બનતું નથી અને બનશે પણ નહીં. વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા બની રહેવાનો ઉદ્દેશ ધરાવતા બ્રાહ્મણો પૈકી શ્રી શર્માએ વર્ણવેલા ગુણો પ્રમાણેના સાચા બ્રાહ્મણો તૈયાર થાય તો પણ આવા મુઠ્ઠીભર સાચા બ્રાહ્મણોથી ભારતવર્ષમાં બ્રાહ્મણોની તાસીર ભુંસાવાની નથી. હા, જો જન્મથી જ સૌને દીગ્ગજ માનીને સૌને ઉપનયન તથા વેદાધ્યયનો અધીકાર આપ્યો હોત તો ભારતવર્ષની બધી જ પ્રજા યોગ્યતા પ્રમાણે આગળ વધી શકી હોત. તો જ શ્રી શર્માની અંતીમ પંક્તી ‘બ્રાહ્મણજન એટલે ઉંચી કોટીએ પહોંચેલું માનવ્ય- બીજું કશું નહીં; ન ન્યાત, ન જાત’, વ્યવહારમાં ઉણી ઉતરી શકે !
બ્રાહ્મણોએ વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા થવા સીવાય આ અગાઉ કશું કર્યું ન હતું અને હાલ પરીસ્થીતી બદલતા તેઓ થોડા ઢીલા પડ્યા છે. વર્તમાન પરીસ્થીતી પહેલા ભણવાનું કાર્યક્ષેત્ર બ્રાહ્મણોએ તેઓની પાસે રાખ્યું હતું. શુદ્ર (દલીત, આદીવાસી, બક્ષી-મંડલ પંચની તમામ જાતીઓ)ને જનોઈ નહીં, જનોઈ વીના વેદાધ્યયન નહીં અને વેદાધ્યયન વીના બ્રહ્મજ્ઞાન નહીં. આ રીતે જે જ્યાં જન્મ્યો ત્યાં જ પડ્યો રહ્યો. પરંતુ પાદરીઓની માફક બ્રાહ્મણોએ પણ પોતાની પાઠશાળાઓના દ્વાર સૌના માટે ખુલ્લા મુકી દીધા હોત અને સૌની સાથે માનવતાનો નાતો બાંધીને ભણાવ્યા હોત તો ભારતવર્ષની પ્રજા સાક્ષરતાથી પરીપુર્ણ થઈ હોત. બ્રાહ્મણો જેને શુદ્ર સમજીને આજે પણ તેની સાથે એક યા બીજી રીતે ઓરમાયું વર્તન દાખવે છે. આધુનીક આભડછેટ અપનાવે છે તે જ પ્રજાને મીશનરીઓએ સેવા કરી શીક્ષીત અને સંસ્કારી બનાવે છે. શું ખ્રીસ્તી પાદરીઓ અને તેની મીશનરી સંસ્થા જેવા બ્રાહ્મણો- ગુરુઓ અને સંસ્થાઓ શું આપણી પાસે નથી ? તો શ્રી શર્માની ઉંચી કોટીએ પહોંચેલા માનવરુપી બ્રાહ્મણની અપેક્ષા સંતોષશે ખરી ?
Posted in રેશનલ | 7 Comments »
June 18, 2009 by ગોવીંદ મારુ
‘ગુજરાતમીત્ર’ ના તા.૧૬/૦૯/૧૯૯૧ના અંકમાં ‘સ્પોટલાઈટ’ મુજબ, ૧૮ વર્ષીય ઈઝરાયલી કીશોર ઘેરબેઠાં અમેરીકાના પેન્ટાગોનની કોમ્પ્યુટર સંચાલીત અણુમીસાઈલો પર નીયંત્રણ કરી શકે તેવી કોમ્પ્યુટર પદ્ધતી વીકસાવી છે. જો ૧૮ વર્ષીય કીશોર આવી પદ્ધતીનું નીર્માણ કરી શકે તો આવતી કાલે ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે વીકસેલા દેશો પણ તેમજ કરી શકશે. કદાચ ઈઝરાયલે આ રહસ્ય હસ્તગત કરી લીધું હશે.
આનો અર્થ એવો થયો કે અણુશસ્ત્રો બનાવવાની કડાકુટમાં પડવાની પણ કોઈ જરુર નહીં રહે. અમેરીકા અને સોવીયત સંઘના અણુશસ્ત્રોને જ આ ઈઝરાયલી યુવાનની કરામતથી સંચાલીત કરી દુશ્મનના દેશોનો નાશ કરી શકાશે. ખર્ચ તદ્દન નજીવો હશે. વીશ્વશાંતી માટે એક મોટામાં મોટો ખતરો ઉપસ્થીત થયો છે અને તે નીવારવા માટે દુનીયાભરમાં જેટલા અણુશસ્ત્રો છે તેનો વીનાશ કરવાની તાતી આવશ્યતા ઉભી થઈ છે. સીલકમાં એક પણ અણુશસ્ત્ર કોઈના હાથમાં રહેવું જોઈએ નહીં.
૧૮ વર્ષીય ઈઝરાયલી કીશોર ડેરી સાઈડમને દેશપ્રેમ અને જીજ્ઞાસાથી પ્રેરાઈને જે અદભુત શોધ કરી છે, તે બદલ તેને ધન્યવાદ. તેણે જગતને સીદ્ધ કરી બતાવ્યું કે અમેરીકા અને રશીયાની કહેવાતી ‘ફુલપ્રુફ સીસ્ટમ ‘ફુલ-પ્રુફ’ નથી અને તેમના જ અણુશાસ્ત્રો તેમના પર ઝીંકી શકાય છે.
દુનીયાભરના દેશોની શાંતીપ્રીય જનતાએ વીશ્વશાંતી અર્થે દુનીયાભરમાં ખડકેલા તમામ અણુશસ્ત્રોનો નાશ કરવા માટે પ્રચંડ આંદોલન કરવાની ઘડી આવી પહોંચી છે. આ ખતરાની સામે મુડીવાદ, સામ્યવાદ, માર્કેટ ઈકોનોમી ઈત્યાદી વીવાદો ગૌણ બની જાય છે.
આ દીશામાં ભારત પહેલ કરશે ?
ગુજરાત મીત્ર ૨૪-૦૯-૧૯૯૧
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૯૯
Posted in આર. કે. મહેતાના ચર્ચાપત્રો | 7 Comments »
June 11, 2009 by ગોવીંદ મારુ
૨૯મી માર્ચ, ૧૯૯૨
વીજ્ઞાને પ્રાણીઓના દુધમાં પર્યાય મળે એવું સંશોધન કર્યું છે. જેમાં દવા ઉત્પન્ન કરવા માટે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરીકા, બ્રીટન અને નેધરલેન્ડ દવાના પર્યાય તરીકે ટી.પી.એ. નામનું પ્રોટીન તત્વ બકરીના દુધ દ્વારા પેદા કરે છે. આ પ્રોટીન તત્વ હ્રદયરોગના દર્દીઓની હ્ર્દુધમનીમાં જમાં થયેલી ગાંઠને દુર કરે છે. બાયોટેકનોલોજી/ જીનેટીક એન્જીનીયરીંગના વીશેષજ્ઞોએ બકરીના ગર્ભમાં એવાં જનીન દાખલ કર્યા છે કે જેના વીયાણ બાદ દુધમાંથી ટી.પી.એ. પ્રાપ્ત થાય છે. ઈચ્છનીય જનીનને નવજાત શીશુ દ્વારા પેઢી – દર પેઢી તેઓના દુધ દ્વારા આ ટી.પી.એ. તત્વ પ્રાપ્ત કરી હ્રદયરોગીઓને જીવતદાન આપવા માટેના અભીયાનમાં બકરી કારખાનાનું કાર્ય જાતે જ કરે છે.
અન્ય પ્રાણીઓની જેમ માનવી પણ એક પ્રાણી છે. માનવસમાજ કાંઈ પૃથ્વી ઉપર જીવવાનો ઈજારો ધરાવતો નથી. તેમ છતાં પોતાનો આહાર મેળવવા માટે માનવસમાજ જંગલીની જેમ ક્રુર બનતો જાય છે. અહીંસા અને પ્રાણીપ્રેમની આપણી લાગણી આપણી ત્વચા જેટલી જ જાડી અને બુઠ્ઠી છે કે જેથી બુધ્ધ, મહાવીર અને ગાંધીનું જીવન એળે ગયું હોય એવું લાગે છે.
આપણી સારવાર માટે દવા અનીવાર્ય છે. આ દવાઓનું નીર્માણ નાના – મોટા કારખાનાઓમાં થાય છે. આ કારખાનાઓ દ્વારા ફેલાતા પ્રદુષણમાં પ્રાકૃતીક સમતોલન જાળવવા માટે બકરી પ્રદુષણ રહીત દવાના કારખાના તરીકેનું કાર્ય કરીને હ્રદયરોગના દર્દીઓને પણ જીવતદાન આપે છે. ત્યારે બુધ્ધ, મહાવીર અને ગાંધીના આ ભારતમાં નાજુક, નમણાં અને શાંત સ્વભાવના નીરુપદ્રવી પ્રાણી – બકરીજાતનો માનવસમાજે ઋણ સ્વીકારવો જ જોઈએ.
Posted in આરોગ્ય/ઉપચાર્ | 19 Comments »
June 4, 2009 by ગોવીંદ મારુ
પાપ–પુણ્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષના કરે દાવા,
સ્વર્ગ–નરકનાં ક્યાં જંક્શન, કહેશે કોઈ બાવા?
કંઠી બાંધી, કાન ફુંકી, સુગુરા કર્યાના દાવા,
બ્રહ્મ–સંબંધમાં બખેડા, ઘણા હકના કરે દાવા.
થાંભલે–થાંભલે દાઢી, દાઢીએ દાઢીએ બાવા !
બ્રહ્મચર્યના નીયમ ખોટા, ખોટા શક્તીપાતના દાવા.
ટીલાં તાણી, માળા ફેરવી, ગૌમુખીમાં ગોટાળા,
ધોતી, લંગોટ, જનોઈ પહેરી, ગજબ વાસનાવાળા!
મુખ જોવાથી પાપ લાગે, અડે કરે ઉપવાસ,
મોકો મળે મુકે નહીં, કાળાં કરમ કરનારા 1
દાન નહીં કરે, નરકે જાશે, વાતોના કરનારા,
પારકા રોટલા, પારકા પૈસા, કયા નરકે જાશે બાવા ?
‘પુણ્ય અહીં કરે, પ્રભુ ઉપર આપે’, વાયદાના કરનારા
કહો: ‘અહીં આપ્યું, અહીં આપો’, તો ભાંગી પડશે બાવા !
બાળપણમાં દીક્ષા આપે, ને મુંડી નાખે માથાં,
વર્તમાનની વાસ્તવીકતા સામે, ટકે ન આવા બાવા !
– ખીમજી કચ્છી –
એ–38, સંત જલારામ સોસાયટી,
પંડોળ એસ્ટેટ સામે,
વેડ રોડ, સુરત–395 004–ભારત
Mobile-98251 34692
Posted in મીત્રોના લેખ/કવીતા | 16 Comments »
May 31, 2009 by ગોવીંદ મારુ
૧૦મી માર્ચ, ૧૯૯૩
બીડી, સીગારેટ, પાન, માવો, તમાકુ, ગુટખા ઈત્યાદીનું વેચાણ કરતાં અને
સામાજીક કાર્ય કરતાં એક મીત્રે વ્યસનમુક્તી મંડળ, નવસારીની સ્થાપના મીટીંગમાં જવા અંગેનો મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે તે સામાજીક કાર્યકરને મારે કહેવું પડયું કે જે દેશ/રાજ્યના પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા વ્યસનકારક ચીજવસ્તુઓનો આમજનતા ઉપર હુમલો કરવામાં આવતો હોય, જે રાજ્ય-દેશનું રાજકારણ તમાકુ-દારુના ઉત્પાદન ઉપર અને આવી વ્યસન-નશાકારક ચીજવસ્તુઓના વીક્રેતાઓ ઉપર નભતું હોય તેમ જ જ્યારે મા-બાપ જ પોતાના સંતાનોને વ્યસન-નશો કરવા માટે નીમીત્ત બનતા હોય તેવા સમાજમાં ફક્ત દેખાડો કરવા ખાતર જ વ્યસનમુક્તી મંડળ બનાવવું કે પછી તેમાં સામેલ થવું મને રુચીકર નથી લાગતું. વળી તમે વ્યસનમુક્તી મંડળના સભ્ય કે હોદ્દેદાર બનો એટલે તમારે આમજનતામાં વ્યસનમુક્તીનો પ્રચાર કરવો જોઈએ. અને વ્યસનમુક્તી અંગેનો પ્રચાર-પ્રસાર કરતાં પહેલાં તમારી પોતાની દુકાનમાંથી ઉપરોક્ત વ્યસનકારક ચીજવસ્તુઓના જથ્થાનો નાશ કરીને તેનું વેચાણ બંધ કરશો તો જ તમારી નીયતી અને અભીયાન સાર્થક ઠરે. અન્યથા વીશાળ ઉદ્દેશ ધરાવતા આ અભીયાનને લાંછન લગાવશો નહીં- આ વાત તેમણે સ્વીકારી.
એક સંસ્થાની મીટીંગમાં ભોજન બાદ આદતસે મજબુર એક યુવાને ગુટખાનું
પાઉચ ખોલ્યું. ત્યારે આ અજાણ્યા યુવાનને તેમ કરતા અટકાવવાને બદલે વ્યસનમુક્તી મંડળ, નવસારીના એક હોદ્દેદારે તે યુવાન પાસેથી ગુટખાની માંગણી કરીને ગુટખાનું સેવન કર્યુ. તેથી ઉપરોક્ત દુકાનદાર મીત્ર તેમજ આ લખનારે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદારનું તેમની પ્રતીબદ્ધતા તરફ ધ્યાન દોર્યું. ત્યારે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદારે નફ્ફટ થઈને જણાવ્યું કે, ‘આ તો ઠીક છે, હું તો બજરનું પણ સેવન કરું છું. આ ટાણે સંત જ્ઞાનેશ્વરના પ્રસંગનો ઉલ્લેખ કરવો જરુરી છે. વધુ માત્રામાં ગોળ ખાતા બાળકને થતું નુકશાન નીવારવા માટે બાળકની માતાએ બાળકની ગોળ ખાવાની ટેવ છોડાવવા માટેનો ઉપદેશ આપવા માટે વીનંતી કરી. ત્યારે સંત જ્ઞાનેશ્વરજીએ બે દીન બાદ તેણીને બાળકને સાથે લઈને આવવા જણાવ્યું. આ બે દીવસ બાદ સંત જ્ઞાનેશ્વરજી એ બાળકને ગોળ ન ખાવા માટે ઉપદેશ આપ્યો હતો. અર્થાત્ કોઈ પણ આચાર માટે પોતાનું આચરણ જરુરી છે.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આપણા યુવાધનના સતત સંપર્કમાં રહી વ્યસનમુક્તીનો ધનીષ્ઠ પ્રચાર-પ્રસાર કરીને યુવાનો નપુંસકતા, મોઢાં તેમજ ફેફસાના કેન્સરના શીકાર બની રહ્યા છે. બીડી, સીગારેટ, ચુંગી, હુક્કો, માવો, તમાકુ, ગુટખા, બજર વીગેરેનું સેવન કરે છે તેમને તમાકુ છોડાવી વ્યસનમુક્ત કરવાને બદલે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદાર જાહેરમાં માંગીને વ્યસન કરશે તો આવા હોદ્દેદારો આમજનતામાં શી જાગૃતી લાવી શકશે ?
Posted in આરોગ્ય/ઉપચાર્ | 9 Comments »
May 25, 2009 by ગોવીંદ મારુ
- પ્રો. જે. પી. મહેતા
તા.16-3 ના, વીદ્વાન જોસેફ મેકવાનના ‘સમભાવ પર્વની ફલશ્રુતી’માં યોગ્ય હેવાલ છે; પણ મર્મજ્ઞ જોસેફભાઈ, વીંછીની પુંછડી જેવા ડંખનું અંતીમ વાક્ય લખીને કમાલ કરે છે કે : “ઉત્તમ પરમારે બાપુના ને બાપુએ તેમના સૌના વખાણ કર્યા; પણ ઉણપ રહી ગઈ એક કે કોઈએ શીશુસહજ ભાવે રાજાને નાગો ના કહ્યો…!” જોસેફભાઈ જેવા રેશનાલીસ્ટનો ધ્વની પ્રધાન રીતે કહી જાય છે કે દરેક ધર્મગુરુ જુના શોષણખોર, દાધારોંગા, મનસ્વીજીવનાં, પ્રજાના ભોળપણનો (ધર્માંધતાનો) લાભ ઉઠાવતાં નાગા રાજાઓ જેવાં જ અધમ છે. રેશનાલીઝમને વૈજ્ઞાનીક અભીગમથી આવાં બાવાબાપુ સાવ વીરુદ્ધ દીશાનાં જીવન-પ્રવચન-કર્મો કરે છે જ. મારા જાણીતા એક ધર્મગુરુ મોરારીદાસ વીશે લખીને તેમના જેવા કે તેમનાથી વધુ અંધશ્રદ્ધા – ચમત્કારો – પુરાણોના ગપગોળા ગબડાવી, લાખોની મેદનીને ધર્મ નામે પ્રભાવવાણીથી આંજી, લાખો રુપીયાના-કલાકોના-તનમનધનના નર્યા બગાડ જેવી ‘ભાગવત’ કે ‘રામાયણ’ કથાઓ કહી, પોતે વારંવાર વીદેશોના વૈભવ માણી, દેશમાં પણ રાજસી વૈભવો માણી, પ્રજા પાસે દંડવત્ કરાવી, માનવીય ગૌરવ હણી, 21મી સદીમાંથી ‘રામરાજ્ય’માં લઈ જવા માંગે; પોતે વીજ્ઞાનદીધી સેંકડો સગવડો ભોગવી, પશ્વીમ અને વીજ્ઞાનને જ ભાંડે. મુલત: ધર્માંધતાના આ સૌ જીવંત પ્રતીકોને રેશના.ને શ્વેત-શ્યામ- દીવસ-રાત-સત્ય-અસત્ય જેવા/જેટલા વીરોધ છે જ. મોરારીદાસ પોતાને મોડર્ન સુધારક ગણાવે તો તેમણે પ્રથમ તો – 1. બહુરુપી જેવો વીચીત્રીવેશ – હાથમાં રામનામીમાળા – પગમાં ચાખડી, તીલક દુર કરવાં, સામાન્યજન જેવો પોષાક પહેરવો. 2. ‘કૈલાસગુરુકુલ’ જેવું રુપાળું નામ છોડી, ‘બાવાના છોકરાની (છોકરીની નહીં) બોર્ડીંગ’ નામ આપવું, કેમ કે, આ સ્વજ્ઞાતીની જ બોર્ડીંગ છે, અન્યોને પ્રવેશબંધી. 3. રોજ સવારે નાનો યજ્ઞ કરી ઘી-લાકડાં ન બાળવાં. 4. આખી દુનીયા શું માત્ર ગંગાજળ જ પીવે છે ? માત્ર ગંગાજળ જ પીવાનો હઠાગ્રહ શું પોતાની ગ્રામમાતા નદી માલણનું અપમાન નથી ? 5. દેશ-વીદેશનાં ઘેલાં ભક્તાણી-ભક્તો બાપુ જ્યાં ચાલ્યા હોય તેની ધુળ થેલીમાં ભરી, પ્રસાદી રુપે પુજે તે બંધ કરે. 6. પોતાની ચાખડી-શાલ-પાટ ઘેલાં ભક્તો પ્રસાદી માની મોટી કીંમતે બાપુના દલાલો પાસેથી ખરીદે છે તે જો સત્ય હોય તો બંધ કરાવે.
માત્ર તેઓ જ નહીં, અન્ય સૌ આસારામો – જયશ્રી દીદીઓ – પ્ર.બ.રુપ સ્વામીબાવાઓ, ને દીવંગત સેંકડો બાવાબાપુઓના મંદીરો-મજારો પુજવાનું બંધ કરી, તેમના સામૈયા, શોભાયાત્રાઓ – જન્મદીન – દીક્ષાદીન – સાક્ષાત્કારદીન વગેરે બગાડરુપ – તદ્દન નોનસેંસ ધર્માંધ કુક્રીયાઓ પ્રજા પોતે જ બંધ નહીં કરે તો રોજ નવા નવા તાલીબાનો ને તેમના આકાબાવા બાપુ-મૌલવીઓની નાપાક ફોજ દેશને બરબાદ કરશે જ, આજે પણ કરે છે. મેં જે કડવું સત્ય લખ્યું તે કોઈ વ્યક્તીવીશેષની નીંદા કરવા નહીં પણ પ્રજા સત્ય જાણી, માનવતા – વૈજ્ઞાનીક અભીગમવાળી બને તે શુભ હેતુથી જ છે. સૌ જાણે – આચરે કે 1. ન ઈશ્વર - ન ધર્મ 2. ન ગુરુઓ 3. ન જડમુર્તી પુજા-મંદીરો-મસ્જીદો 4. ન પુજા, પ્રાર્થના, નમાજ 5. ન હજયાત્રા 6. ન કંઠી દોરાધાગા-રુદ્રાક્ષ, તાવીજ નંગની વીંટીઓ 7. ન ભુતભુવા ન જ્યોતીષ 8. ન પુનર્જન્મ – ન સ્વર્ગનર્ક માત્રને માત્ર સત્ય-કરુણા-પ્રેમસુખાનંદ – જ્ઞાનવીજ્ઞાનયુક્ત માનવતાવાદી જીવન જ આરાધ્ય ને સાધ્ય છે.
[ બી-4, પંચશીલ, વીદ્યાભવન સ્કુલ સામે, ઘાટકોપર, મુંબઈ-400077]
તંત્રીનોંધ:
પત્રલેખક રેશનાલીસ્ટ છે. એમણે લખ્યું છે કે, “હાલ મુંબઈ છું; પણ છ માસ મોરારીદાસના મહુવા ખાતે રહું છું. નાનપણથી તેમને જાણું છું. તેમની પુત્રીઓ મારી વીદ્યાર્થીની હતી. અહીં જે લખ્યું છે. તે 100 ટકા સત્ય છે, શંકા ન કરશો.”
તા. 1–5–2009ના ‘નયામાર્ગ’ પાક્ષીક–(અમદાવાદ)ના, પાન ૨૩–૨૪ પર પ્રકાશીત ‘પત્ર-સાર’માંથી સાભાર…
Posted in મીત્રોના લેખ/કવીતા | 26 Comments »
May 19, 2009 by ગોવીંદ મારુ
B. D. 19/05/1988
પ્રીય મયુર,
તારી સાથેના નીર્મળ અને નીખાલસ સંબંધમાં આડે આવતાં મારા દોષોને સુધારવામાં હું કોઈ કસર નહીં રાખવાનો આ ક્ષણે સંકલ્પ કરું છું.
વર્ષગાંઠે ખુબ ખુબ આશીષ અને હાર્દીક અભીનંદન……
- પપ્પા
” લાગણીને હ્ર્દયની જો ભાષા મળે,
તો સંબંધોના સાચા ખુલાસા મળે.”
(પંક્તી: બાબુભાઈ પટેલ)
Posted in જનરલ | 23 Comments »