અમેરીકાથી શ્રી દીપકભાઈ લલ્લુભાઈ પટેલ ( મુળ આફવા ગામ, તાલુકો બારડોલી )નો પત્ર છે; જે અત્રે હું, વ્યવસ્થીત લખાણના સંદર્ભે જરુરી સુધારા-વધારા સાથે, લગભગ શબ્દશ: પ્રસ્તુત કરું છું- ભાવકોની જાણ માટે તથા સંબંધીતોની આવશ્યક નોંધ અર્થે શ્રી દીપક પટેલ લખે છે:
હવે ‘ગુજરાતમીત્ર’ અખબાર અમે તમારા કરતાંય પહેલાં- અહીંના દીવસના લગભગ બપોર બાદ જ વાંચી શકીએ છીએ, અને એથી ખુબ ખુશ છીએ; કારણ કે, દાયકાઓથી ‘ગુજરાતમીત્ર’ અમારું માનીતું અખબાર રહ્યું છે. આવી વ્યવસ્થા બદલ અમે તંત્રીશ્રીના ખરેખર ઋણી છીએ.
એ મુજબ, ગયા શુક્રવારની સાંજે અમે શનીવાર તા.૧૨, સપ્ટેમ્બરના અંકમાં એક સમાચાર વાંચ્યા, અને આનંદ, આશ્વર્ય તથા કુતુહલ-જીજ્ઞાસાથી અમે રોમાંચીત થયા. એ સાથે જ અમને થયું કે, આ બાબતે કંઈક સક્રીય આગળ કરવું જોઈએ; કારણ કે, આવી ઘટના જો સત્ય હોય તો, એ ખરેખર જ અમારા વહાલા વતન ભારતની પ્રાચીન સંસ્કૃતીની અને એના યોગશાસ્ત્રની મહાનતા છે અને આજનું ગૌરવ છે. માટે પ્રસ્તુત સમાચાર દુનીયા આખીએ જાણવા જ જોઈએ. સમાચાર છે:
“…..આબુ-અંબાજી સ્થીત ગબ્બર પાસેની ગુફામાં રહેતા ૮૨ વર્ષીય પ્રહલાદભાઈની જાની (ચુંદડીવાળા માતાજી) છેલ્લાં ૭૨ વર્ષથી અન્ન-જળનો ત્યાગ કરી, સ્ત્રીવેશે અંબાજી માતાની ભક્તી કરી રહ્યા છે. શ્રી જાનીની આ રહસ્યમય અને અલૌકીક શક્તીએ વીજ્ઞાન અને મેડીકલ સાયન્સને પણ માથું ખંજવાળતા કરી મુક્યા છે… ‘હું કઈ રીતે જીવન જીવી રહ્યો છું?- એની તબીબી ચકાસણી અત્યાર સુધી ૨૫ વખત થઈ છે…’ અને આગળ તેઓ કહે છે; ‘માતાજી’ જ્યારે અગીયાર વર્ષનાં હતાં, ત્યારે ત્રણ દેવીઓ અને ત્રણ દેવતાઓએ એમને ક્રમશ: દર્શન આપ્યાં… તેમના એક સ્પર્શથી હંમેશ માટે ભુખ-તરસ લાગતી બંધ થઈ ગઈ અને મુખમાંથી અમૃત ઝરવા લાગ્યું.”
એ પછી, પોતાના તરફ્થી ટીપ્પણ કરતાં, શ્રી પટેલ લખે છે કે, જો અમારા અમેરીકામાં આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી હોય તો, પત્રકારો અને વીજ્ઞાનીઓ બધા જરુર દોડાદોડ મચાવી મુકે ! કયા તબીબો તથા કયા વીજ્ઞાનીઓએ આ ‘માતાજી’ની અલૌકીક શક્તીની ચકાસણી કરી, એમને શોધે, મળે, પુછે અને તેઓનો વીગતે ઈન્ટરવ્યુ લે, અને જાણવા જેવું કે જે સત્ય લાગે તે વ્યાપક રીતે પ્રગટ કરે ! આપણા ભારતીય પત્રકારો કેમ આવા ફરજપરસ્ત કે સક્રીય નથી, એમ અમે વીમાસણ કરીએ છીએ. આવો કોઈ ઈન્ટરવ્યુ કે ચકાસણી કરનારા વીજ્ઞાનીઓ કે તબીબોના અભીપ્રાય તો શું, નામઠામ પણ ક્યાંય વાચવા મળ્યાં નથી ! આમ કેમ ? જો આ હકીકત સત્ય હોય તો, અમને લાગે છે કે, ભારતનું નામ જગતભરમાં રોશન કરનારી આ મહાન સીદ્ધી છે.
હવે બીજી વાત: તે જ દીવસે, એ સમાચાર સાથે જ, પ્રસ્તુત અલૌકીક ઘટનાનું રહસ્ય જણાવતી એક નોંધ પણ પ્રગટ કરવામાં આવી છે; જે જણાવે છે કે, ‘કુંડલીનીના ઉત્થાન અને યૌગીક શક્તીથી પ્રાપ્ત થતી આવી સીદ્ધીને વીજ્ઞાન પણ ઉકેલી શકતું નથી !’
અહીં નમ્રતાપુર્વક જણાવવાની રજા લઉં કે, હું વીજ્ઞાનરસીયો છું અને મારો જીવનવ્યવહાર બધો એકંદરે હું વૈજ્ઞાનીક અભીગમથી જ ચલાવું છું. પરીણામે આ બીજા સમાચાર અને એની વીજ્ઞાન વીષયક ટકોરથી મારી જીજ્ઞાસા સળવળી ઉઠી. બીજું કે, યોગવીદ્યા તથા એવાં ભારતીય દર્શનોમાં પણ મને રસ છે, લગાવ છે અને એની અમુક બાબતો પ્રત્યે મને પુરો આદર પણ છે. એથી આ ‘માતાજી’ના સમાચાર વાંચ્યા, એ પહેલાં પણ યૌગીક વીદ્યાના ચમત્કારો, એનું શાસ્ત્ર, એના હેતુ અને એથી મળતી સીદ્ધીઓ વીશે ચર્ચાવીચારણા, ચકાસણી કે જે ગણો તે, એ માટે અહીંના પ્રતીષ્ઠીત વીદ્વાનો, વીજ્ઞાનીઓ તેમજ ખાસ તો જ્ઞાની તબીબોને મેં પુછપરછ કરી જ હતી. ત્યારે તબીબો અને વીજ્ઞાનીઓનો તો ભારપુર્વકનો એકંદર જવાબ એવો જ હતો કે, અમે હજારો માનવદેહ જોયા છે, ચીર્યા છે, કાપ્યા છે, એનાં અંગપ્રત્યંગ અને સુક્ષ્મ કોશો સઘળું જ ઝીણવટથી, પાકું અને પુરું જોયું છે, બરાબર તપાસ્યું છે. પરંતુ માનવશરીરમાં ક્યાંય અમને ‘કુંડલીની’ જેવો કોઈ અવયવ, એવી ઉર્જા કે એવી કોઈ શક્તી બીલકુલ જોવા મળી નથી ! એ જ રીતે, શરીરમાં જુદા જુદા સ્થાને અમુક જે ‘ચક્રો’ હોવાની વાત યોગમાં આવે છે, એ મુલાધારચક્ર, અનાહતચક્ર, આજ્ઞાચક્ર કે સહસ્ત્રદળચક્ર અર્થાત્ બ્રહ્મરંધ્ર જેવાં કશાં અંગો, એવી કોઈ વીશીષ્ટ રચના કે કાણાં (રંધ્ર) મુદ્દલેય જોવા મળ્યાં નથી. અરે, એવો કોઈ અણસાર સુધ્ધાં મળ્યો નથી ! બીજી બાજુ, ‘માતાજી’વાળી અલૌકીક ઘટના બાબત એમ જણાવવામાં આવે છે કે, મુલાધારચક્રમાંથી વીદ્યુત્ વેગે નીકળતી કુંડલીનીની ઉર્જા તાળવામાંથી બ્રહ્મરંધ્રને ભેદી શકે છે.
‘માતાજી’ના તાળવામાં કાણું છે, જ્યાંથી બ્રહ્મરંધ્રમાંથી નીકળતું કોઈ પ્રવાહી તેઓને નવજીવન આપતું રહે છે. આ પ્રમાણે ઝરતું પ્રવાહી ‘અમૃત’ છે, એમ પણ જણાવવામાં આવ્યું છે…
વીજ્ઞાનીઓ અને તબીબો સાથે આ બાબતે જે તાત્કાલીક અને તાત્ત્વીક ચર્ચા થઈ, એમાં તેઓનું કહેવું છે કે, દેહની અંદર જ આવું કોઈ જીવનદાયી પ્રવાહી વર્ષો સુધી આપોઆપ ઉત્પન્ન થઈ શકે જ નહીં. માનવદેહના સંચાલનમાં અમુક ઉર્જા વપરાઈ જાય છે, અને વીજ્ઞાનના નીયમ મુજબ, આ પ્રમાણે વપરાઈ જતી ઉર્જા માટે બહારનો ઉર્જા સપ્લાય અનીવાર્ય જ બની રહે છે. દેહમાં ક્યાંય એવા ઉર્જાના અખુટ ભંડારો ભરેલા કદીય જોવા મળ્યા નથી વગેરે… વીદ્વાનો વળી એમ કહે કે, યોગવીદ્યાના કેટલાક દાવા શંકાસ્પદ હોય છે: દા. ત. અહીં વસતા મહેશ યોગી હવામાં અધ્ધર થવાની યોગસીદ્ધીની વાત કરે છે ખરા; પરંતુ ક્યારેય એનો વીશ્વાસપાત્ર પ્રયોગ બતાવી શક્યા નથી. મેં સ્વામી આનંદનું એવું લખાણ વાંચ્યાનું પણ યાદ છે કે, ‘હું હીમાલયમાં ૩૦-૪૦ વર્ષ(કે જે આંકડો તેઓએ લખ્યો હોય તે યાદ નથી) રહ્યો, પણ કેવળ હવા ખાઈને જીવતો યા એવી કોઈ દૈવી શક્તી ધરાવતો એક પણ યોગી મેં જોયો નથી !’
તો, ‘માતાજી’ની અલૌકીક શક્તીના સમાચાર વાંચતાં, અમને અહીંના બુદ્ધીનીષ્ઠોને એક વીચાર આવ્યો છે કે, જો ‘માતાજી’ને અહીં અમેરીકાના તબીબો તેમજ વીજ્ઞાનીઓ સમક્ષ રજુ કરીએ અને સાક્ષાત્ દાખલો બતાવીએ કે, ‘જુઓ, ભારતીય યોગવીદ્યાનો આ ચમત્કાર !’ તો વીજ્ઞાન સમક્ષ એક અભુતપુર્વ પડકાર ભારતીય સંસ્કૃતી તથા એની પ્રાચીન વીદ્યાઓની વીશ્વમાં અજોડ એવી શક્તીઓ અને સીદ્ધીઓ દ્વારા રજુ કરી શકાય; જેથી ભારતની મોટી નામના થાય, એનું અમે ગૌરવ અનુભવીએ. એટલું જ નહીં, દુનીયાના વીજ્ઞાન માટે પણ એક નવી જ દીશા ખુલે. અમારો હેતુ ફક્ત માદરે વતન-ભારતની શાન બઢાવવાનો જ છે.
તો આ સાથે, અમે ‘માતાજી’ને અહીં અમેરીકા પધારવાનું હાર્દીક નીમંત્રણ પાઠવીએ છીએ.
તેઓશ્રી અહીં આવીને, બેત્રણ અઠવાડીયાં કે એકાદ મહીનો રહી જાય, એનો તમામ ખર્ચ તેમ જ બધી જવાબદારી અમારે માથે ! તો આ દીશામાં સક્રીય વીચારણા કરવા લાગતાવળગતા સૌ અગ્રણીઓને અમારી વીનંતી છે… આ વચન અમે ગંભીરતાથી, સચ્ચાઈપુર્વક આપી રહ્યા છીએ.
:ભરત વાક્ય:
આ નીમંત્રણ કે એ બાબતે કોઈ પણ વ્યક્તી જો કોઈ પણ મુદ્દે વાતચીત કે ચર્ચા કરવા ઈચ્છતી હોય, તો તેણે શ્રી દીપક એલ. પટેલનો સીધો સંપર્ક (અમેરીકા) સાધવો. સરનામું નીચે મુજબ છે:
Deepak Patel,
4577–HWY, 20E. NICEVILIE, FL. 32578- USA.
Ph. (001) 850-685-4878
–પ્રા. રમણ પાઠક
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૯ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માંથી સાભાર..
સૌજન્ય–’ગુજરાતમીત્ર’, સુરત..
સંપર્ક:
પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી - 394 641 ફોન: (02622- 222 176)